Archive for October 21, 2023
પત્રાવળી ૧૬..ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.
પત્રાવળી ૧૬..
રવિવારની સવાર….
મિત્રો,
રખે એમ માનતાં કે હું કડક પ્રકારના આહાર-દમનમાં છું – એટલે કે ‘સ્ટ્રિક્ટ ડાયેટિન્ગ’ કરું છું. એવું નથી. બલ્કે હું તો ફૂઉઉડીઇઇ – “ફૂડી” છું, એટલે કે ખાવાની શોખીન છું. પણ શાકાહારી ને તેથી ‘શોખીન શાકાહારી’ કહેવાઉં!
આગળના પત્રોનો સંદર્ભ જરાક યાદ કરું તો, પડિયા અને પતરાળાં હવે કેવાં સ્મરણબદ્ધ થઈને રહ્યાં છે. વળી, મિષ્ટાન અને ફરસાણ હવે ઘરમાં જાણે ભાગ્યે જ બને છે. બહારથી હવે બધું સરસ મળી જાય છે, ખરું કે નહીં? હવે આપણે કહી શકીએ કે અમે બળતાંમાં ઘી ઊમેરતાં નથી, કે કોઈને માખણ લગાવતાં નથી!
મને બહુ કહેવતો યાદ નથી હોતી. મારા વરને હોય છે. એ ઘણી વાર બંગાળી કહેવત બોલે. ભાષા તો હું જાણું, પણ તળ-બોલીના પ્રયોગ ના સમજાય, એટલે પૂછવું પડે. સાંભળીને હસવું આવી જાય, અને વળી અર્થ પણ સંદર્ભને યોગ્ય જ હોય.
એમ તો ગુજરાતીની અમુક કહેવતો પણ મને સમજાતી નહીં. જેમકે, “જા બિલ્લી કુત્તે કુ માર”. સાંભળવામાં એ મને ‘કુત્તેકુમાર’ જેવું લાગતું. ક્યાંય સુધી થયા કરેલું, કે આ શબ્દોનો અર્થ શું હશે? આપણા ‘ગુજરાતી હિન્દી’માં ‘કુત્તે કો માર’ને બદલે ‘કુત્તે કુ માર’ થતું, ને ‘કુત્તે કુમાર’ જેવું જ બોલાતું!
પહેલેથી જ મારું ધ્યાન શબ્દો પર રહેતું, તેથી “ગરજ સરી કે વૈદ વેરી” જેવી, અથવા “ભેંશ ભાગોળે ને છાશ છાગોળે” જેવી ઉક્તિ મને સમજાતી, અને ગમતી પણ ઘણી. કારણ એ જ કે એમાં પ્રાસ છે, લય છે.
વલીભાઈએ શબ્દ-પ્રયોજન વિષે બહુ સરસ વાતો કરી. ને ખરેખર, શબ્દો પોતે ભાષાનાં ઘરેણાં છે. ઉપરાંત, શબ્દોને એમના પોતાના અલંકાર પણ હોય છે. એટલે જ તો હું મને પોતાને ‘શોખીન શાકાહારી’ કહીને હરખાઉં છું, કારણ કે એ છે વર્ણાનુપ્રાસ. એ માટે કવિ શ્રી મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’ની “કામિની કોકિલા કેલી કુજન કરે” જેવી પંક્તિ કેવી યાદ રહી ગઈ છે!
અને રવીન્દ્રનાથ તો ગીતે ગીતે હરખાવતા રહે છે – જેમકે, (ગુજરાતી કરીને) “આજ દિગંતે ઘન ઘન ગભીર, ગુરુ ગુરુ ગુરુ ગુરુ ડમરુ રવ થયો છે આ શરૂ–”; અથવા બીજા એક ગીતમાં, “સહસા તેથી જ ક્યાંકથી કુલુ કુલુ કુલુ કુલુ કલકલ સ્ત્રોતે દિશા દિશાએ છે જળની ધારા–”. શબ્દોની રમત જેવું લાગે છે ને? પણ આ તો છે શબ્દ-પ્રયોજનની સર્જનાત્મક લીલા.
જુભાઈએ પર્સનલ ડાયરીની જગ્યાએ વાસરિકા અથવા દૈનંદિની જેવા શબ્દો ઉપયોગમાં લીધા. કેટલા સરસ ધ્વનિ છે એમના. હું નાનપણથી ડાયરી લખતી હતી, ને વર્ષો સુધી લખી. પણ એમણે સાચું જ કહ્યું છે કે પત્રોમાં સંપર્કનો, ને પરસ્પર ભાવાવેશનો ઉદ્દેશ હોય છે. પત્રોમાં શબ્દોનો ઇષત્ મર્મર ધ્વનિ હોય છે.
જૂના હોય કે નવા, બોલચાલના હોય કે કાવ્ય-પંક્તિમાંના, તળપદા હોય કે સંસ્કૃત, વર્ણસંકર હોય કે સાહિત્યના – શબ્દોનું કામ આ છે: રસપ્રદ રીતે, અસરકારક રીતે, પોતપોતાની રીતે, અલંકૃત થઈને ઉપસ્થિત થવાનું.
મિત્રો, સંમત થાઓ છો ને મારી સાથે?
—– પ્રીતિ સેનગુપ્તા
Recent Comments