Archive for October 15, 2023
પત્રાવળી-૧૫, ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી
પત્રાવળી-૧૫
રવિવારની સવાર
પત્રમિત્રો,
આ પત્ર-પ્રયાસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે.
પત્રો તો વહેતા ભલા. ઝાડ પરનું પાંદડું ઘરડું થયા કેડ્યે(કાઠિયાવાડમાં કેડ્યે એટલે પછી…) ખરી પડે ને હવા હોય તો વહેતું થાય, નીકર (નહીંતર) સીધું ઝાડના થડ કને બેસી જાય. લીલું પાન જાતે તો ખરે જ નહીં.
આ પત્રો તો તાજેતાજા જ વહેતા થતા રહેવાના. તાજેતાજા જ એને માણી લેવાના. બલકે વહેંચી દેવાના. આ પત્રો એના માધ્યમે કંઈકેટલીય વસ્તુઓનું વિતરણ પણ કરતા રહેવાના.
પત્રલેખનની સાથે મૂકીને તપાસવા જેવો એક બીજો પણ સાહિત્ય પ્રકાર છે જેને આજે અહીં વિચારી જોઈએઃ આ પ્રકાર છે વાસરિકા, વ્યક્તિગત ડાયરીનો.
ડાયરી એ તદ્દન વ્યક્તિગત બાબત છે અને તે લખનાર પાસે જ રહેનારી ચીજ છે. જ્યારે પત્રો તો અનિવાર્યપણે કોઈ અન્ય સાથે સંકળાઈને જ સાર્થક થનારી બાબત છે. પત્રો લખાઈને લેખક પાસે પડ્યા રહે તેનો કશો જ અર્થ નથી હોતો જ્યારે ડાયરી તો પોતે જ પોતાને કહેવાયેલી સંભળાવાયેલી ને છતાં મૌન રહેવા સર્જાયેલી ‘વાત’ છે ! જોકે લખનારને મન તો મોટેભાગે આ અંગત ગણાતી ચીજ ક્યારેક તો કોઈ ને કોઈ સુધી પહોંચે તે અભિપ્રેત હોય તે સહજ છે. છતાં પત્રની માફક તેનો હેતુ સીધેસીધો જાહેર થવાનો ન હોય.
પત્રો તો લખાય જ કોઈ અન્ય દ્વારા વંચાવા માટે ! એક રીતે કહીએ તો તે એક પ્રકારનું લાઉડ થિંકીંગ જ ગણાય. લખાતાં સુધી એ મૌન જેવું હોય છે ને જેવું ગંતવ્યે તે પહોંચ્યું કે મુખરિત !! વાંચનારો એને મનમાં વાંચે કે પ્રગટરૂપે પણ એમાંનો શબ્દ તો જાણે કાનને સંભળાતાથઈ જાય છે. ખરેખર તો પત્રનો શબ્દ ઝાડનાં પાનની જેમ મર્મરતો જ હોય છે અને તેની મર્મર એને સાચું પત્રરૂપ બક્ષે છે.
વાસરિકા કે દૈનંદિની ભલે રોજેરોજની વાત માંડી બેસનારી હોય પણ તેને મુખરિત થવાનું નસીબ ભાગ્યે જ હોય છે. કહું કે ઢબુરાઈને પડી રહેવાનું નસીબ લઈને આવેલી એ ડાયરીનાં બે પૂંઠા વચ્ચે લગભગ ગોપિત જ રહે છે.
જોકે આ જ ડાયરી જો પ્રગટ થાય, વ્યકત થાય તો ક્યારેક ભારે. ઊથલપાથલનું કારણ પણ બની રહે છે. અને પત્રો સ્વભાવે જ મુખરિત હોવા છતાં મોટે ભાગે ફાઈલમાં પુરાઈ જઈને રદ્દી બની રહે છે જેને ભંગારવાળા પણ પસ્તીની જેમ સ્વીકારે નહીં !!
પણ આ અહીંની પત્રયાત્રાનો પરિચય શું આ પરિભાષામાંઆપીશું ?
ના. આ પત્રયાત્રા તો અનેકોને આવરી લેનારી બની રહે તે હેતુવાળી હોઈ આ માધ્યમથી અનેક વાતોને પ્રસારવાનું લક્ષ્ય રખાયું છે. લખતીવેળા આ પત્રોને વાસરિકાના સ્વરૂપે રાખીને પછી એને વૃક્ષપર્ણની માફક વહેતાં મૂકવાના હોય છે, અલબત્ત લીલાછમ્મ ! ઝાડની ડાળેથી ખરતાં ઘરડાં પાનની માફક નહીં પણ વસંતે કૉળેલા, નવપલ્લવિત વૃક્ષની જેમ અનેક વિષયોથી શોભાવતાં રાખીને……!
સૌને ધન્યવાદ સાથે, – જુ.
Recent Comments