Archive for October 29, 2023
‘પત્રાવળી’-૧૭ ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.
રવિવારની સવાર
રોહિત શાહ
મિત્રો,
‘પત્રાવળી” એ તમારું સાહિત્યિક સાહસ છે અને એમાં સાહિત્યરસિકો સતત ભાગ લેતા રહે છે, એ ખૂબ આનંદની વાત છે. તમને ‘પત્રાવળી‘ શરૂ કરવા બદલ આનંદપૂર્વક અભિનંદન પાઠવું છું.
ભાષા પાણીની જેમ પ્રવાહી અને પરિવર્તનશીલ હોય છે, એટલે એના શબ્દો અને એ શબ્દોના અર્થ પણ સમયે-સમયે બદલાતા રહે છે.
ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ‘કાળ‘ અથવા ‘કાલ‘. આ એક જ શબ્દ અનેક અર્થચ્છાયાઓ ધરાવે છે. જેમ કે કાળ એટલે સમય. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ.
એ જ રીતે કાળ – કાલ એટલે દિવસ. ગઈકાલ અને આવતી કાલ માટે પણ ‘કાલ’ શબ્દ વપરાય છે. અહીં વીતેલા દિવસ અને આવનારા દિવસ માટે અનુક્રમે ‘ગઈકાલ‘ અને ‘આવતીકાલ‘ શબ્દ પ્રયોજાયો છે.
કાલ એટલે મૃત્યુ એવો અર્થ પણ ખાસ સંદર્ભમાં આપણને જોવા મળે છે. “રસ્તે જતા રાહદારીને એક ધસમસતી ટ્રક અથવા બસ ‘કાળ‘ બનીને ભરખી ગઈ” એમ કહેવામાં આવે છે ત્યારે ‘કાળ‘ એટલે મૃત્યુ કે યમદૂત એવો અર્થ સમજવાનો હોય છે.
મિત્રો, જૈન ધર્મમાં કોઈ સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ મૃત્યુ પામે ત્યારે તેઓ કાળધર્મ પામ્યાં એમ કહેવાય છે. આ ‘કાળધર્મ‘ મારો અત્યંત પ્રિય શબ્દ છે. સમયનો પણ એક ધર્મ હોય છે અને જીવનનો અંત એ સમયનો ધર્મ છે. એને કાળધર્મ કહેવાય છે
તો ક્યારેક કાલ એટલે ‘ક્યારેય નહીં‘ એવો અર્થ પણ સમજવાનો હોય છે. જેમ કે કોઈ દુકાન પર બોર્ડ માર્યું હોય કે ‘આજે રોકડા કાલે ઉધાર !‘ તો એનો અર્થ સ્પષ્ટ છે કે આજે ખરીદી કરવી હોય તો રોકડા પૈસા આપો. ઉધાર અહીં ક્યારેય મળશે નહીં, કારણ કે આવતીકાલ ક્યારેય આવતી નથી. આવતીકાલ જ્યારે આવે છે ત્યારે તે ‘આજ‘ બનીને જ આવતી હોય છે.
કાળ અને કાલ વિશે ગુજરાતી ભાષામાં કેટલીક માર્મિક કહેવતો પણ છે. જેમ કે ‘કાળ જાય પણ કલંક ન જાય‘, ‘કાળ જાય અને કહેણી રહી જાય‘, ‘કાળના કોદરાય ભાવે !‘ ‘કાલ કોણે દીઠી છે ?’, ‘કાલનું કામ આજે કરો, આજનું કામ અત્યારે જ !‘
તો કવિ નિરંજન ભગત જેવા કવિ કાવ્ય લખે છે કે ‘કાળની કેડીએ ઘડીક આપણો સંગ…‘
એક જાણીતો શબ્દપ્રયોગ છે ‘કાળમુખું‘. કાળમુખું એટલે અશુભ અથવા અપશુકનિયાળ ચહેરાવાળું.
કાળનો એક અર્થ ‘સમય‘ આપણે જાણ્યો. માણસે સમયનાં પણ ચોસલાં પાડ્યાં અને ચોઘડિયાં બનાવ્યાં. દિવસનાં ચોઘડિયાં જુદાં અને રાતનાં ચોઘડિયાં જુદાં ! એમાં એક ચોઘડિયું એટલે કાળ ચોઘડિયું. કાળ ચોઘડિયું અશુભનો સંકેત દર્શાવનારું ચોઘડિયું છે. ‘અશુભ‘ નામનું એક ચોઘડિયું પણ છે પરંતુ કાળ ચોઘડિયું પણ અશુભ મનાય છે ! કોઈ મંગલ કે સારું કામ લોકો કાળ ચોઘડિયામાં કરવાનું ટાળે છે.
ક્યારેક કાળ શબ્દનો અર્થ ભયાનક અથવા ખતરનાક એવો પણ થતો હોય છે જેમ કે કાળરાત્રી. કાળભૈરવ નામનો એક ખતરનાક રાક્ષસ પણ હતો. ઉનાળાની ‘કાળઝાળ ગરમી‘ એ પ્રયોગમાં પણ ખતરનાક અને દાહક વાતાવરણ અર્થ છે.
આમ શબ્દો સાથે રમવાનું આપણને ખૂબ ગમે છે, પણ એ નથી સમજાતું કે શબ્દો આપણને રમાડે છે કે આપણે શબ્દોને રમાડી છીએ !
શુભેચ્છા સાથે,
રોહિત શાહ
rohitshah.writer@gmail.com
Recent Comments