Archive for November, 2023
પત્રાવળી-૨૧, ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.
આલેખન : કૃષ્ણકાંત ઉનડકટ
રવિવારની સવાર…
પ્રિય મિત્રો,
આજે થોડાક શબ્દોથી તમને બધાને મળું છું. હું જે લખું છું તેના પરથી તમે મારા વ્યક્તિત્વનો આછેરો અંદાજ બાંધશો. કોણ કેવા શબ્દો વાપરે છે તેના પરથી તેની ઓળખ નક્કી થતી હોય છે. પોત પ્રકાશતું હોય છે. દાનત છતી થતી હોય છે. ઈરાદા વર્તાતા હોય છે. છેલ્લે તો માણસ જેવો હોય ને એવા જ શબ્દો એના મોઢેથી નીકળતા હોય છે, પેનમાંથી ટપકતા હોય છે અથવા તો કી–બોર્ડની મદદથી સ્ક્રીન પર પડતા હોય છે. શબ્દો માણસની છાપ ક્રિએટ કરે છે. લેખકોનાં લખાણ પરથી વાચકો એક અભિપ્રાય બાંધતા હોય છે, વક્તાના બોલથી શ્રોતાઓ તેને માપતા હોય છે. માત્ર લેખકો કે વક્તાઓનેજ આ લાગુ પડતું નથી. દરેક માણસને સ્પર્શે છે. આપણે કહીએ છીએને કે એની જીભ તો કુહાડા જેવી છે. જીભમાં ધાર કાઢવી કે જીભને સંવેદનાનો સ્પર્શ આપવો એ આપણે કેવા શબ્દો પસંદ કરીએ છીએ અને તેને કેવી રીતે રજૂ કરીએ છીએ તેના પર આધાર રાખે છે. શબ્દો બોલવાના હોય છે, ફેંકવાના નથી હોતા. ઘણા લોકો શબ્દોના છુટ્ટા ઘા કરે છે. શબ્દોને તો તમે જેવો આકાર આપો એવા એ બની જાય. એને તીક્ષ્ણ પણ બનાવી શકો અને તાજગી પણ બક્ષી શકો.
મને ઘણી વાર વિચાર આવે છે કે શબ્દો સામૂહિક છે કે વ્યક્તિગત? મારી રીતે જ તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરું છું. બધા માટે શબ્દો તો આખરે એ જ છે જે શબ્દકોશમાં છે. શબ્દકોશના શબ્દો સામૂહિક છે. જ્યારે તમે તેને વાપરો ત્યારે એ વ્યક્તિગત બની જાય છે. તમારા બની જાય છે. બાયલાઇન એ જ બતાવે છે કે આ શબ્દો આ વ્યક્તિના છે. લખનાર એના માટે જવાબદાર છે. શબ્દોનો અર્થ પણ સમજનાર ઉપર આધાર રાખે છે. હું કહેવા કંઈ માગું અને તમે સમજો કંઈ તો એમાં શબ્દોનો કોઈ વાંક નથી હોતો. કાં તો હું સરખું સમજાવી ન શક્યો અને કાં તો તમે સમજી ન શક્યા. એક સરસ ક્વોટેશન યાદ આવે છે, હું જે લખું કે બોલું એના માટે હું જવાબદાર છું, તમે સમજો એના માટે નહીં. શબ્દો જે મતલબથી કહેવાયા હોય એ જ અર્થથી સમજાય તો ઘણી મુશ્કેલીઓ ઊભી ન થાય. આપણે બચાવ કરવો ન પડે કે મારો કહેવાનો મતલબ એવો ન હતો.
શબ્દોનું સૌંદર્ય જળવાવું જોઈએ. અયોગ્ય રીતે બોલાતા કે લખાતા શબ્દો એ શબ્દોનું અપમાન છે. શબ્દોની ગરિમા જાળવવાનું બધાને નથી આવડતું. આપણે જન્મીએ પછી અમુક સમય બાદ આપણને બોલતા આવડી જાય છે પણ શું બોલવું, કેવું બોલવું, ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એ ઘણી વખત આખી જિંદગી નથી આવડતું. અમુક લોકો લખે તો એવું થાય કે વાંચ્યા જ રાખીએ, બોલે તો એવું થાય કે સાંભળ્યા જ રાખીએ, બાકી તો એવું જ થાય કે આ હવે બંધ થાય તો સારું.
જેને શબ્દો વાપરતા આવડે છે એ સમજુ છે. ભણેલા હોય એ પણ શબ્દોના ઉપયોગમાં થાપ ખાઈ જતા હોય છે. આપણને ખુદને ઘણી વાર એવું થાય છે કે મારે આમ બોલવાની કે લખવાની જરૂર નહતી. હવે ‘સોશિયલ મીડિયા’નો યુગ છે. દરરોજ લખાય છે. લાઇક મળે છે, કમેન્ટ્સ થાય છે અને સરવાળે લખનારો ઓળખાઈ જાય છે. શબ્દોને પણ શણગારી શકાય. શબ્દોનું બ્યુટીપાર્લર દરેકના દિલમાં હોય છે. આપણે શબ્દોને વાપરતા પહેલાં એ તૈયાર છે કે નહીં એ વિચારીએ છીએ? શબ્દોને તેજાબમાં બોળીને વાપરીએ ત્યારે કદાચ શબ્દોને પણ થોડીક બળતરા થતી હશે. એક બાળકની વાત યાદ આવે છે. એની મમ્મી એને રોજ ખિજાતી. કોઈ ને કોઈ બાબતે બેફામ બોલતી. એક વખત દીકરાએ બહુ સલુકાઈથી કહ્યું કે, મમ્મી તું મને ખીજા તેનો વાંધો નથી પણ પ્રેમથી ખીજા ને! આપણે શબ્દોને સારી રીતે વાપરી શકીએ. એના માટે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે હું શબ્દોને સારી રીતે વાપરતો નથી. આપણને તો ખબર જ ક્યાં હોય છે?
હું કંઈ પણ લખતી વખતે એટલું ચોક્કસ વિચારું છું કે હું આ શબ્દો લખવા માટે પ્રામાણિક છું? લેખક પહેલાં તો પોતાની જાત સાથે પ્રામાણિક હોવો જોઈએ. હું મારી સાથે પ્રામાણિક હોઉં તો જ વાચકો સાથે વફાદાર રહી શકું. જો હું પ્રામાણિક ન હોઉં તો શબ્દોના ઉપયોગ પાછળ રહેલો દંભ વર્તાઈ જ જવાનો છે. હૃદયમાંથી નીકળેલા શબ્દો જ હૃદય સુધી પહોંચે, બાકી તો અથડાઈને પાછા આવે. પડઘાની જેમ. પડઘા ક્યાંય પહોંચતા હોતા નથી. લખતી વખતે મારી આંખો થોડીકેય ભીની થાય તો જ વાચકની આંખમાં જરાક ભેજ વર્તાય. શબ્દોને હું પૂજાની સામગ્રીની જેમ વાપરું છું.
એ શબ્દો જ તો છે જે મને તમારા સુધી પહોંચાડે છે. હું તો મારા વાચકો માટે જ લખું છું. વાચકો જ લેખકને લેખક બનાવે છે. હું હંમેશાં કહું છું કે મારા માટે મારા વાચકો સર્વોપરી છે. તમને બધાને શબ્દોના સથવારે મળીને મજા આવી. આપણા શબ્દો અને આપણા સંબંધો સજીવન રહે એ સુંદર જિંદગી માટે જરૂરી છે.
આ પત્ર માટે પ્રેરનાર દેવિકાબેન ધ્રુવનો આભાર. આપ સહુને વંદનસહ શુભકામનાઓ. આવજો.
શબ્દપૂર્વક…
–કૃષ્ણકાંત ઉનડકટ
Recent Comments