‘ખોવાયેલી લતિકા’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ

‘ખોવાયેલી લતિકા’

“લતિકામૅમ, આ છોકરી કોની છે ખબર નથી. એને તમે લઈ જાવ તો સારું નહીંતર એ આમથી તેમ રઝળતી ફરશે અને કોઈ ખોટી વ્યક્તિના હાથે ચઢી જશે. વળી પોલીસથાણામાં પણ કોનો અને કેટલો ભરોસો કરવો?”

મારી ઑફિસમાં આવીને એક અજાણી છોકરીનો હાથ સોંપતા મહિલા ઇન્સ્પેક્ટર બોલ્યા. બે કારણોસર વાત એમની સાચી હતી. એક તો જો કોઈ યોગ્ય આશરો ન મળે તો એ છોકરીનું ભાવિ રોળાઈ જાય અને બીજું સોશિઅલ વર્કર તરીકે આ શહેરમાં મારાં નામ અને કામથી સૌ પરિચિત હતાં.

કૉલેજની પ્રિન્સિપાલ હોવાની સાથે સમાજસેવક અને સમાજસુધારક તરીકે કેટલીય અબળાઓને ન્યાય અપાવવાથી માંડીને લગ્નમાં દહેજમુક્તિ અંગે મારી કામગીરીની નોંધ લેવાઈ હતી.

મારે પણ કોઈ છોકરીની જરૂર હતી જે મારા રોજિંદા કામમાં મને થોડીઘણી મદદ કરે. છતાંય આમ સાવ અજાણી છોકરી ?

“મેડમ, ચિંતા ના કરશો. એને જેટલું યાદ હતું એ મુજબ શક્ય એટલી તપાસ કરી છે. સાવ નાની હતી ત્યારે માબાપથી છૂટી પડી ગઈ એટલે એમનાં નામ-ઠામ એને યાદ નથી, પણ એને જોઈને, એની વાતો પરથી એ સારા ઘરની હોય એવું લાગે છે. તમારી પાસે સલામત રહેશે એમ વિચારીને એને પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે અહીં લઈ આવી છું.”

મારા ચહેરા પરની અવઢવ સમજીને મહિલા ઇન્સ્પેક્ટરે જાણે બાંહેધારી આપતાં હોય એમ જવાબ આપ્યો.

એમની વાત સાચી લાગી. છોકરીના નિર્દોષ ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ હતો.

“નામ શું છે તારું?”

“નામ કૃતિકા છે, પણ તમે મને કૃતિ કહીને બોલાવશો તો ચાલશે.” એણે જવાબ આપ્યો.

“અરે, કૃતિકા તો મારી બહેનનું નામ છે. હું તને મિલી કહીશ.”

“ના, નામ બદલવું હોય તો તમારી બહેનનું બદલજો પણ મને તો કૃતિકા કે કૃતિ કહીને જ બોલાવજો.”

અજાણી વ્યક્તિ સાથેય સ્પષ્ટતાપૂર્વક પોતાનું મંતવ્ય આપતી કૃતિકા મને ગમી ગઈ. એને ઘેર લઈને આવી.

“તમે વકીલ છો?” બારણાં પર ‘અશોક શર્મા- હાઇકૉર્ટ એડવૉકેટ’ નેમપ્લેટ જોઈને એણે પૂછ્યું.

“અશોક શર્મા મારા પતિનું નામ છે, હાઇકૉર્ટમાં કામ કરે છે.”

“તમે પણ કામ તો કરો જ છો ને તો પછી તમારું નામ કેમ નથી ?”

‘અરે ! આવો વિચાર મને કે અશોકને આવ્યો જ નહોતો.’

કૃતિકા ખૂબ ચપળ અને હોંશિયાર છોકરી હતી. મારાં નાનાંમોટાં કામો એણે ઉપાડી લીધાં. અહીં આવી એ પહેલાં કોઈ પરિવાર સાથે રહી હશે ત્યાં થોડુંઘણું અંગ્રેજી શીખી હતી. એની ધગશ જોઈને એના માટે થોડાં પુસ્તકો મંગાવી આપ્યાં.

કૃતિ આ ઘરની સદસ્ય હોય એમ સૌ સાથે ભળી ગઈ. ઘરમાં કોને શું ભાવશે એનું હું ધ્યાન રાખું તો મને શું ભાવશે એની ચિંતા એ કરતી.

“અંકલને જે ભાવે એ જ બનાવડાવો છો તો ક્યારેક તમને ભાવતું પણ બનાવી જ શકાય ને?”

‘અરે બાપરે, આ તો મારી મા કે દાદી? મારું આટલું ધ્યાન તો એ બે જણ જ રાખતાં.’

અને, ખરેખર આજે ઑફિસે જમવા માટે ટિફિન ખોલ્યું તો એમાં મીસી રોટી, સરસોનું શાક, રીંગણનું ભરથું, કાંદા-ટામેટાનું કચુંબર..મારી આંખમાં પાણી આવી ગયું. ક્યારે એ છોકરીએ રસોઈવાળાં બહેન પાસે આ બધું તૈયાર કરાવ્યું હશે !?

શાકમાંથી આવતી સરસોના તેલ સોડમથી તો હું પિયર માબાપુ પાસે પહોંચી ગઈ. બાળપણનાં એ દિવસો યાદ આવી ગયા. નાની હતી ત્યારે બાપુજી નાકમાં સરસોના તેલનાં ટીપાં નાખતા.

સાચેજ ખૂબ ખુશ થઈ ગઈ, ચાલો માબાપુની જેમ કોઈક મારું ધ્યાન રાખવાવાળું મળ્યું. કોઈક તો હતું જેને મારી પસંદ-નાપસંદની ફિકર હતી. બાકી અશોક પોતાનાં કામમાં વ્યસ્ત, છોકરાંઓ ગૂગલબાબામાં મસ્ત.

આજે હું પણ મસ્તીમાં આવીને ઘરમાં આમતેમ ફરતાં ફરતાં ગીત ગણગણતી હતી.

“અરે વાહ, તું તો સુપર મૉમ છું. કેટલું સરસ ગાય છે.” કહીને મારી જાણ બહાર છોકરાંઓએ એની વિડીયો ક્લિપ બનાવીને યુટ્યૂબ પર ‘અપલૉડ’ કરી તો સેંકડો લાઇક આવી અને પછી તો જે ફોન આવ્યા છે, બાપરે !

“તમારે માત્ર સગાં જ છે? એકે બહેનપણી નથી? “ કૃતિકાએ મને ફોન પર વાત કરતી સાંભળીને પૂછ્યું.

“જેટલા ફોન આવે છે એ ભાઈ, ભાભી, ભત્રીજી, દેરાણી, જેઠાણીનાં જ ? ક્યારેય કોઈ બહેનપણીઓ સાથે વાત કરતા સાંભળ્યાં નથી.”

કૃતિની વાત તો સાચી હતી, ઘર-પરિવાર, કામકાજ સંભાળવામાં મારું પોતાનું સત્વ ખોઈ બેઠી હતી, ગમા-અણગમા ભૂલી ગઈ હતી.

એ રાત્રે બેસીને બહેનપણીઓનાં નામ યાદ કરીને લિસ્ટ બનાવ્યું. ક્યારેક અમે સૌએ સાથે જીવવા-મરવાની વાતો કરી હતી. ત્યારે ક્યાં ખબર હતી કે કોણ ક્યાં હશે ?

એક મિત્રનો નંબર માંડ મળ્યો. એને પૂછીને બીજાના નંબર લીધાં અને એક ગૃપ બનાવ્યું. એક પછી એક સખીઓ જોડાતી ગઈ, એમની સાથે વાતો કરી તો લાગ્યું કે જાણે હું નવપલ્લ્વિત થઈ. નવી ચેતનાના અનુભવી. સમજાયું કે જીવનમાં મિત્ર કેમ જરૂરી છે.

સૌએ મનાલી જવાનું નક્કી કર્યું. પતિદેવને જાણ થઈ તો આખું ઘર માથે લીધું.

“પાગલ થઈ ગઈ છે કે શું?”

“પાગલ પહેલાં હતી, હવે ઠીક થઈ ગઈ છું.” મેં શાંતિથી જવાબ આપ્યો.

પતિદેવે છોકરાંઓ પાસે અકળામણ ઠાલવી. છોકરાંએ જવાબ આપ્યો.

“વન્ડરફુલ. ખરેખર તો મૉમ ઘણી મોડી જાગી, પણ કંઈ નહીં. જાગી ત્યારથી સવાર. તમે ઑફિસના કામમાં વ્યસ્ત રહેતા, દોસ્તો સાથે બહાર જતા ત્યારે ક્યારેય મૉમને પૂછ્યું સુદ્ધાં નહોતું કે મૉમે કેવી રીતે એકલહાથે અમને સાચવ્યા છે. હકિકત તો એ છે કે અમે કયા ક્લાસમાં ભણીએ છીએ એનીય તમને ખબર નહોતી. So now it’s Mom’s turn. Mom, go and enjoy with your friends.”

******

કયા પંખીએ વિચાર્યું હશે કે એની પાંખોનો રંગ કેવો છે? કયા પંખીને ખબર હશે કે એમના કલરવથી વાતાવરણ કેવું જીવંત બનતું હશે? વહેતી હવાને શું ખબર કે એના સ્પર્શથી કોનાં રોમેરોમ ઝંકૃત થઈ જતાં હશે? એ તો બસ એમની સહજ મસ્તીમાં જ ને?

ક્યારેક અમે સૌ અમારી ઇચ્છાઓના બીજને કોળવા અનુરૂપ જમીન, ખાતર, પાણી કે પ્રકાશ માટે ઝંખ્યાં હોઈશું પણ આજે તો બસ દુનિયાથી બેખબર એ પંખીઓ, વહેતી હવાની જેમ અમે અમારામાં જ મસ્ત બન્યાં. એ દસ દિવસમાં અમારી દુનિયા બદલાઈ ગઈ. ભીની માટીને કોઈ પણ સ્વરૂપમાં ઢાળી શકાય, અમે તો ચાકડે ચઢીને, નીંભાડામાં તપેલાં છતાં અમારું મિલન ઉત્સવ જેવું બની ગયું.

સૌએ એકમેકની ઝંખનાઓ પારખી. સૌ એકમેકનો હાથ પકડીને બાળપણની સ્મૃતિઓની ગલીઓમાં ફર્યાં, હસ્યાં, રડ્યાં. સમજાયું કે જે ક્ષણો વહી ગઈ છે એ પાછી તો નથી આવવાની પણ એ ઇચ્છાઓને ફરી એકવાર જીવવાની કોશિશ તો કરી જ શકાય.

વિચારું છું કે ખરેખર લાપતા કોણ કૃતિ કે હું?

કૃતિએ તો ખોવાયેલી લતિકા મને મેળવી આપી.

ડૉ. સંગીતા ઝા લિખિત વાર્તા ‘લાપતા કૌન’ પર આધારિત ભાવાનુવાદ ‘ખોવાયેલી લતિકા’

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

April 26, 2024 at 2:29 pm Leave a comment

‘પત્રાવળી-૪૨’ રાજુલ કૌશિક,ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી

રવિવારની સવાર…

પ્રિય પત્રસાથીઓ,

પત્ર, ટપાલ, કાગળ, ચિઠ્ઠી, પત્રિકા- કેટકેટલાં નામ ! આજે આ પત્રાવળી થકી પાઠવવામાં આવતી ટપાલોને પણ કેટલાં વહાણાં વહી ગયા. દેવિકાબહેને તો આજે ટપાલોને માનવીય સંદર્ભથી ઊઠીને કેટલી સરસ રીતે પ્રકૃતિ સાથે સાંકળી લીધી. કુદરતના પ્રત્યેક કરિશ્માને ટપાલ સાથે સાંકળવાની વાત -જાણે ઈશ્વરે માનવજાત માટે પાઠવેલા પત્રો.

આજે જ્યારે આ ઇ-મેઇલ દ્વારા પળવારમાં મળી જતા પત્રો થકી ખૂબ નજીક આવી ગયા છીએ ત્યારે એક વડીલે ( શ્રી ગિજુભાઇ વ્યાસે) કહેલી વાત યાદ આવે છે. લગભગ અડધી સદી પહેલાં જ્યારે ઇન્ટરનેટ કે ઇલેક્ટ્રોનિક્સ પત્ર-વ્યવહારની સુવિધાની કલ્પના પણ નહોતી ત્યારે એમણે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં એવો સમય આવશે કે જ્યારે એક વ્યક્તિ પત્ર-ટપાલ મોકલશે અને વળતી ક્ષણે જ દુનિયાના કોઈ પણ છેડે રહેતી બીજી વ્યક્તિને એ પત્ર મળી જશે. જ્યારે એક પત્ર મોકલાય અને દુનિયાના બીજે છેડે રહેનારને પંદર દિવસે એ પત્ર મળે એવા સમયે એ વાત સાંભળીને સાચે જ અજાયબી થઈ હતી પણ આજે એ કલ્પના હકીકત બની જ રહી છે ને !

આજથી અડધી સદી પહેલાની વાત આ ક્ષણે યાદ આવે એ આપણી સ્મૃતિની દેન જ છે ને ? સ્મૃતિની મંજૂષામાં કેટલુંય ભર્યુ હશે અને એ ક્યારે સળવળી ઊઠે કહેવાય નહીં.

પણ સૌથી વહાલી તો બાળપણની સ્મૃતિ જ હોં કે. આજે પણ ઉંમરના કોઈપણ પડાવે પહોંચેલી વ્યક્તિને બાળપણની યાદ જ સૌથી વધુ વહાલી હશે. બાળપણની એ સ્મૃતિથી તો આજે પણ મન એટલું જ પ્રફુલ્લિત નથી થઈ ઊઠતું?

સાવ આજની જ વાત છે. મનભાવન મોસમમાં પૂર્વીય દિશામાંથી પથરાતા ઉજાસમાં એક નાનકડું બાળક મસ્તીમાં આમતેમ ટહેલતું હતું અને એણે ફૂલ પર બેઠેલું પતંગિયુ જોયું. એકદમ રાજી થઈને એણે પતંગિયાનો પીછો કર્યો પણ એમ કંઈ હાથમાં આવે તો પતંગિયુ શાનું?

બસ આપણી સ્મૃતિનું પણ કંઈક આવું જ છે. યાદ કરવા મથીએ એ પેલા પતંગિયાની જેમ ઊડીને એક ડાળેથી બીજી ડાળે. તો કોઈ વાર અનાયાસે એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ બીજી અનેક યાદોને તાજી કરતી જાય. આ સ્મૃતિનાય અંકોડા શ્રી અમિત ત્રિવેદી કહે છે તેમ એકમેક સાથે જોડાયેલા તો ખરા જ….

“લ્યો સ્મરણ પાછા મનની ભીંતે આવી લટક્યાં.

પ્રસંગો વારાફરતી આવી ઘરમાં સચવાયા”

બાળપણથી શરૂ થતી સ્મૃતિ-સ્મરણયાત્રા ઘરમાં બનતા તમામ શુભ-મંગળ પ્રસંગો સુધી લંબાવાની અને કોઈ આવીને રોકે નહીં ત્યાં સુધી અવિરત ચાલ્યા જ કરવાની. પણ સાથે જરૂરી નથી કે આપણા મનમાં જે સ્મૃતિ અકબંધ સચવાયેલી છે એ કોઈની સાથે વાગોળીએ તો એના મનમાં પણ એવી જ છબી તાદ્રશ્ય થાય એટલે આ સ્મરણો સાચવવાની કળા પણ આપણે શીખી જ લઈને છીએ. એ ક્ષણોને પણ આપણે કૅમેરામાં કંડારી જ લઈએ છીએ ને !

દેવિકાબેન કહે છે એમ સ્મૃતિ મનમોજી તો ખરી જ અને બુદ્ધિને નેવે મૂકીને દિલને વળગી જાય. પણ આ સ્મૃતિ-સ્મરણ એટલે શું ? એ ક્યાંય કોઈ મનમાંથી ઉપજેલી વાત તો નથી જ. મનમાં ઊઠતા તંરગોને, વિચારોને તો આપણે કલ્પના કહીશું. સ્મૃતિ એટલે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના આજે યાદ આવે જે ખરા અર્થમાં ઘટી ગઈ છે અને મનના કોઈ ખૂણામાં સંઘરાઈને સચવાઈ રહી છે અને કાળક્રમે એ ફરી તાજી થાય છે. સ્મૃતિની જ આ માયાજાળ છે અને એમાંથી ક્યાં કોઈ બાકાત રહી શક્યું છે કે રહી શકશે ?

ગયા પત્રમાં એકપાઠી વ્યક્તિ એટલે કે એક વાર વાંચે, જુવે કે સાંભળે અને કાયમ માટે યાદ રાખે એવી વ્યક્તિઓની વાતનો ઉલ્લેખ થયો હતો. ગાંધીજીના મન પર જેમનો પ્રભાવ હતો એ શ્રીમદ રાજચંદ્ર શતાવધાની અર્થાત્ એકસાથે સો ક્રિયાઓ યાદ રાખીને એક સાથે કરી શકતા. કહે છે એમને સાત વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતુ. વાત પૂર્વજન્મની નથી કરવી. વાત અહીં કરવી છે સ્મરણની. શ્રી સુરેશભાઈના ‘જનાન્તિકે‘ માં જે મરણનો છેદ સ્મરણથી ઉડાડવાની વાત થઈ એના સંદર્ભમાં આ વાત યાદ આવી. જેના મનમાં પૂર્વજન્મની સ્મૃતિ પણ અકબંધ રહી હોય એને મરણ ક્યાં સ્પર્શ્યું ? સમયથી પણ વધુ બળકટ થઈને ઊભરે એવી આ સ્મૃતિ તમામ કાળથી પણ પર થઈ ?

જો કે આ બધી વાતો કહેલી -સાંભળેલી કે વાંચેલી છે જ્યારે મારે અહીં સાવ ઘરમેળે થયેલા સ્વ-અનુભવની વાત કરવી છે. આજે યાદ આવી. અમારાં દાદીમા જો આજે હોત તો શતાબ્દી વટાવી ચૂક્યાં હોત. આંકડા -નંબર બાબતે એમની સ્મૃતિ ગજબની હતી. એક વાર કોઈ પણ નંબર સાંભળે અને જીવનભર યાદ રહી જતો અને એટલી હદે કે જ્યારે એમના જીવનની અંતિમ ક્ષણો ગણાતી હતી, નાડી તૂટતી જતી હતી, થોડી થોડી વારે લગભગ અભાનવસ્થામાં સરી પડતાં હતાં ત્યારે એમને સચેત કરવા પૂછીએ, ”બા, મામાના ઘરનો ટેલીફોન નંબર?” અને શ્વાસ ભલે અટકી અટકીને ચાલતા હતા પણ એ તદ્દન અભાનાવસ્થામાં પણ એકવાર અટક્યા વગર સડસડાટ નંબર બોલી જતાં !!

શબ્દમાંથી સ્પર્શ, સંવાદ, મૌન અને હવે આ સ્મૃતિની વાતોનો ખજાનો જેમજેમ ખુલશે તેમ કંઈક અવનવું જાણવા મળશે. ખરી વાત ને મિત્રો ?

રાજુલ કૌશિક-

April 21, 2024 at 3:11 pm Leave a comment

‘અપૂર્ણ સંસાર’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ  મીનુ ત્રિપાઠી લિખિત વાર્તા -મુક્કમલ જહાં પર આધારિત ભાવાનુવાદ.

‘અપૂર્ણ સંસાર’

“પૂરણપોળી ભાવી હોય તો એક વધુ…..ખવાઈ જશે .”

કવિતાએ પોતાના પતિ વિવેકના બૉસ શુભમ સક્સેનાની થાળીમાં એક વધુ પૂરણપોળી પીરસી. ઘીની સોડમથી શુભમનું મન તરબતર થઈ ગયું.

“આટલું તો એ ક્યારેય ખાતો નથી અને આજે ….પેટ ભરાઈ ગયું, પણ મન નથી ભરાયું. આવું સ્વાદિષ્ટ ખાવાનું બનાવતાં ક્યાંથી શીખ્યાં?” શુભમના અવાજમાં પ્રસંશા અને પ્રસન્ન્તા હતી..

પોતાની પ્રસંશા સાંભળીને કવિતા શરમાઈ.

“સર, કવિતા એકદમ સાધારણ ઘરેલુ છે. આવી ઘરેલુ સ્રીઓ વળી ક્યાં કૂકરી ક્લાસમાં જતી હોય, એ તો ઘરમેળે જ શીખી છે.” કવિતાના બદલે વિવેકે ઉત્તર વાળ્યો.

“એક વાત કહું વિવેક? ગૃહસ્થી સંભાળવી સહેલી નથી. આજકાલ પત્ની ‘હોમમેકર’ હોય એ નિરાંતની જ નહીં ગૌરવની વાત છે.” શુભમે વિવેકની વાતને રદિયો આપી દીધો.

“અરે સર, ગૃહસ્થી સંભાળવામાં ક્યાં કોઈ ક્વૉલિફિકેશનની જરૂર છે?” વિવેકે પાંગળો બચાવ કર્યો.

“સમર્પણ, ત્યાગ જેવા ક્વૉલિફિકેશન જોઈએ જે આજકાલ બહુ ઓછી પત્નીમાં હોય છે. પત્ની હોવું અને પરફેક્ટ ગૃહિણી હોવું બંનેમાં ફરક છે. મારા મતે ગૃહસ્થજીવન પણ તપોભૂમી જ છે.

“એકવાર હું અને મેઘા હોટલમાં જમવા ગયાં હતાં. ફાઇવસ્ટાર હોટલના વાતાનુકૂલિત ડાઇનિંગરૂમમાં જમીન પર રેશમી ગાદી-તકિયા પાથરેલાં હતાં. સરસ મઝાના બાજોઠ પર મૂકેલી થાળીમાં પરંપરાગત ખાવાનું પીરસાયું. છરી-કાંટા કે ચમચીના બદલે હાથથી ખાવાનું હતું. આપણી વર્ષો પહેલાંની પરંપરા પર આપણને શરમ આવતી એ ‘સ્ટાઇલ-આઇકન’ બની છે. જમીન પરથી ઊઠીને ફરી હવે મોંઘા દામ આપીને હોટલમાં નીચે જમીન પર બેસીને જમવા જઈએ છીએ. જોકે, હાથથી જમવામાં ગજબ સંતોષ થયો હતો.”

“સર, બધાંને ક્યાં રસોઈ આવડે ? હવે તો ઘરમાં રહીનેય ખાવાનું બનાવવા બાઈ રાખે છે.”

“હશે, પણ કવિતાની રસોઈમાં જે સ્વાદ હતો એ કોઈ બાઈના હાથનો નહોતો. મને આજે અમારાં સૌ માટે ભાવતું ભોજન બનાવતી મારી મા યાદ આવી ગઈ. આખો દિવસ કામ કરતી છતાં એના ચહેરા પર તાજગી જોવા મળતી. સાંજ પડે થાકીને આવેલા પિતાજી એનો હસતો ચહેરો જોતા અને એમનો થાક ઉતરી જતો. આજે તમનેય એ જ પ્રેમથી જમાડતી કવિતાને જોઈને મને ઈર્ષ્યા આવે છે. અમારા ઘરમાં કૂક એટલી વિવિધ વાનગીઓ બનાવે છે કે જોઈને શું ખાવું, શું ના ખાવું એ વિચારવું પડે. ત્યારે આવી રીતે આગ્રહ કરીને કોઈ જમાડે તો એ ભોજનનો સ્વાદ અને આનંદ બેવડાઈ જાય.”

જમીને શુભમ જવા નીકળ્યો ત્યારે એને વિદાય આપતા કવિતા બોલી, “ફરી આવો ત્યારે મેઘાબહેનને જરૂર લઈને આવજો.”

******

શુભમના જતાની સાથે જ બૉસની હાજરીમાં વિવેક સાચવીને બેઠેલા પતિએ સંયમ ગુમાવ્યો.

રસોઈ સરસ બની હતી, કવિતાએ ભારે સૌજન્યપૂર્વક બૉસને સાચવ્યા એ વિશે પ્રસંશાના બે શબ્દો કહેવાના બદલે બૉસ આવ્યા ત્યારે વ્યવસ્થિત તૈયાર ન થવાથી માંડીને ઘરની મોંઘી ક્રોકરીના બદલે રોજિંદા વપરાશની ક્રોકરીમાં બૉસને જમવાનું પીરસવા સુધીનું લાંબુ ભાષણ કવિતાને માથે ઠોકી દીધું. લાંબા ભાષણના અંતે કવિતાને દુનિયાદારીની સમજ નથી, એવું સર્ટિફિકેટ પણ આપી દીધું.

વાત જાણે એમ હતી, કે વિવેકે બૉસની સાથે પાર્ટીમાં મેઘાને જોઈ ત્યારથી એ મનોમન મેઘા અને કવિતા વચ્ચે સરખામણી કરતો થઈ ગયો હતો.

વિવેક જ્યારે લગ્નની ઉંમરે પહોંચ્યો ત્યારે એના માટે સુયોગ્ય કન્યાની શોધ શરૂ થઈ ત્યારે એણે ઘણી યુવતીઓને નાપસંદ કરી હતી. એમાંની આ એક મેઘા હતી.

કારણ ? કારણ કે મેઘા સેલ્સગર્લ હતી. સામાન્ય ઘરની મેઘાનાં સપનાં ઘણાં બુલંદ હતાં. મેઘાના આત્મવિશ્વાસથી એ પ્રભાવિત થયો હતો. પણ, એક સેલ્સગર્લ કરી કરીને કેટલી પ્રગતિ કરે?

વળી ઘરમાંય મેઘા માટે સૌના મંતવ્ય અલગ હતાં. મેઘા જ નહીં એ વખતે જોયેલી અનેક યુવતીઓ અંગે મા, બહેનો સાથે ઘરમાં ચર્ચા થતી. વિવેક પોતે કોઈ નિર્ણય પર આવી શકતો નહોતો. કોઈનો દેખાવ તો કોઈની વાત કરવાની રીત, કોઈનું કદ તો કોઈનાં રંગરૂપ સામે વિવેકને વાંધો પડતો પરિણામે વધતી ઉંમર, માથેથી ઘટતા વાળની જેમ સર્વગુણ સંપન્ન કન્યાઓની યાદી ઘટતી ચાલી.

પાંચ-પાંચ વર્ષ સુધી મેળ પડ્યો નહીં. ભૂતકાળમાં નાપસંદ કરેલી યુવતીઓ પણ પરણીને ઠરીઠામ થઈ ગઈ. અંતે કવિતાને પસંદ કરી. કવિતા સંસ્કારી હતી, ગૃહિણી તરીકે કુશળ હતી પણ દેખાવમાં અન્ય યુવતીઓ કરતાં સામાન્ય હતી.

કવિતા એની પસંદ નહીં, મનનું સમાધાન હતી. આ સમાધાન કરતી વખતેય આગળ જોયેલી અનેક યુવતીઓ આંખ સામે આવી જતી. સતત એ સૌના દેખાવની સરખામણી કવિતા સાથે થઈ જતી.

એમાંય જ્યારે એ પાર્ટીમાં શુભમ સાથે મેઘાને મળવાનું થયું ત્યારથી એને મેઘાને નાપસંદ કરવા માટે અનહદ અફસોસ થયો. મેઘામાં આત્મવિશ્વાસ તો હતો જ અને હવે ધનાઢ્ય શુભમ સાથે પરણીને એ દેખાવ, વાણી, વર્તનથી જરા વધુ જ સફાઈદાર અને સ્ટાઇલિશ લાગતી હતી.

બસ, ત્યારથી કવિતા તરફ વિવેકની ચીઢ વધતી ચાલી, પણ એને ક્યાં ખબર છે કે શુભમ આજે કવિતાને નાપસંદ કરવા માટે પસ્તાઈ રહ્યો છે !

શુભમ અને કવિતાની સીધી મુલાકાત થઈ નહોતી. દૂર દેખાતી યુવતી તરફ ઈશારો કરીને માએ કહ્યું હતું,

“ભલે અન્ય યુવતીની સરખામણીમાં એ યુવતી સાદીસીધી દેખાય છે, પણ વ્યવહારકુશળ છે, રસોઈમાં પારંગત છે. જો તારી નજર ઠરે તો મુલાકાત ગોઠવીએ.”

પણ, દૂરથી…ઘણે દૂરથી એ યુવતીને જોઈને એને મળવાનું મન થયું નહીં. બે વર્ષ પછી મેઘા એના જીવનમાં આવી.

આજે દૂરથી જોઈને નાપસંદ કરેલી કવિતાને નજીકથી જોઈ, જાણી, ઓળખી ત્યારે એને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો અને વિવેકના નસીબ પર ઈર્ષા થઈ.

ક્યાં ઊડતાં પંખી જેવી, વર અને ઘર પ્રત્યે બેફિકર મેઘા અને ક્યાં વર અને ઘરની પળેપળે ફિકર કરતી કવિતા !?

ક્યાં મહારાજ પાસે રસોઈ બનાવડાવતી, જમવા ખાતર સાથે જમતી મેઘા અને ક્યાં મહેમાનને જ નહીં પતિને પણ આગ્રહપૂર્વક જમાડતી કવિતા !?

સાંજ પડે ઘેર આવે ત્યારે મેઘા એની રાહ જોતી હોય, વિચારોની આપલે કરતાં કરતાં સાથે બેસીને જમતાં હોય એવું કેટલીય વાર ઝંખ્યું હતું !?

કાશ, એ વખતે આધુનિક, મહત્વકાંક્ષી યુવતીની અપેક્ષા ન રાખી હોત અને સીધીસાદી કવિતાને પસંદ કરી હોત તો અત્યારે સુખ-શાંતિભર્યું જીવન જીવતો હોત.

ઘેર પહોંચ્યો ત્યારે એની હાજરીની નોંધ સુદ્ધાં લીધા વગર મેઘા લેપટૉપ પર કામ કરતી રહી.

રેડિયો પર સંભળાતા ભુપેન્દ્ર સિંઘના ગીત સાથેસાથે એ ગણગણતી હતી.

कभी किसिको मुकम्मल जहा नही मिलता

कही जमी तो कही आस्मा नही मिलता …

‘વાત તો સાચી જ ને?’ ગીતના શબ્દો સાંભળીને શુભમ જરા હસ્યો.

અસ્તુ.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

April 19, 2024 at 2:50 pm Leave a comment

‘નસીબ છું, નજૂમી નહીં’-રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા

‘નસીબ છું, નજૂમી નહીં’

નસીબનું પણ નસીબ હોય ??

આજે મારે વાત કરવી છે, વિભાની અને મારી.

વિભા એટલે વિભાવરી અને હું ??

હું એટલે વિભાવરીના જન્મથી જ એની સાથે જોડાયેલું એનું નસીબ. મારી કમનસીબી એ કે હું સઘળું જાણું છતાં ન કોઈને કશું કહી શકું કે ન તો સંભવિત ઘટનાઓને રોકી શકું, સઘળું જાણવા છતાં અનર્થ રોકવા અસમર્થ.

સહદેવ કરતાં હું વધુ લાચાર. ત્રિકાળ જ્ઞાની સહદેવને એક આશીર્વાદ હતો કે કોઈ પૂછે તો ભાવિ વિશે જણાવી શકતા. પણ, મને કોણ પૂછે?

વ્યક્તિની લાચારી સૌ સમજી શકે, પણ નસીબની લાચારી ક્યાં કોઈએ જોઈ કે જાણી? મારે આજે વાત કરવી છે મારી લાચારીની.

વાત માંડીને કરું તો શરૂ થશે વર્તમાનની આ ક્ષણની જેના અંકોડા અતીત સાથે જોડાયેલા છે.

******

“Can you please come to school Mrs. Vibha? Your daughter Neha has complain for you and your attitude.”

સ્કૂલના પ્રિન્સિપલનો અવાજ જરાય ઊંચો નહોતો છતાંય એમના અવાજની ધાર અને એ કરતાંય એની પર જે આરોપ મુકાયો હતો એ સાંભળીને વિભા થથરી ગઈ.

‘નેહા તો મારું જીગર, એને મારા માટે, મારી સામે ફરિયાદ !?’ વિભા બહાવરી બની.

“Yes, Mrs vibha. We received note from Neha’s teacher. She is too much disturbed and you are the reason for her disturbance ..”

ભૂકંપના તીવ્ર આંચકા પછી એવા જ તીવ્ર આફ્ટર શૉકની જેમ વિભા માટે આ બીજો આંચકો હતો. બીજા પછી ત્રીજો આંચકો ખમવાની એની તાકાત હતી નહીં.

એકલી… સાવ એકલી વિભાએ એની નેહાને સુખ આપવામાં કશી મણા રાખી નહોતી છતાં આજે એની પર આળ હતું કે એણે નેહાને તકલીફ પહોંચાડી છે.

*****

વિભાવરી સમજણી થઈ ત્યારથી એ સવાલ કરતી રહી કે શા માટે એનું નામ વિભાવરી રાખ્યું હશે? ફોઈ, મમ્મી-પપ્પા, કોઈએ એ નામનો અર્થ ‘રાત’ થાય એવું વિચાર્યું જ નહીં અને બસ નામ આપી દીધું ?

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લીધું ત્યારે એફિડેવિટથી માંડીને તમામ કાર્યવાહી કરીને એણે નામ રાખ્યું- વિભા, પણ, એમ નામ બદલવાથી ગ્રહો કે નસીબ બદલાતાં હોત તો વિભાના જીવનમાં અંધારી રાતનાં બદલે સુખનો અજવાસ હોત.

વિભા કૉલેજમાં આવી ને મમ્મી-પપ્પા અકસ્માતમાં અવસાન પામ્યાં. હાઇ-વે પર સામેથી આવતી ટ્રકની બ્રેક ફેઇલ જતાં સીધી એમની મારુતિ સુઝુકી સાથે અથડાઈ. પેસેન્જર સાઇડની પાછલી સીટ પર બેઠેલી વિભાનું બારણું ધડાકાભેર ખુલી ગયું. વિભા બહાર ફેંકાઈ ગઈ. એ બચી ગઈ. મમ્મી-પપ્પા ગાડીમાંથી બહાર નીકળે એ પહેલાં પેટ્રોલ ટેંક ફાટી.

મમ્મી-પપ્પાને અગ્નિદાહની પણ જરૂર ન રહી. વિભાને છોડીને ચાલ્યાં ગયાં. વિભા ફોઈ પાસે રહી.

ફોઈએ મમતાથી વિભાને સાચવી. માસ્ટર્સ કરીને વિભા અનિલ સાથે લગ્ન કરીને અમેરિકા આવી.

વિભા અને અનિલ, બંનેની આઇ.ટી.ની જોબ. ઑફિસમાં ઉત્તરોત્તર ઉત્કર્ષના આનંદમાં ઉમેરો થાય એવા વિભાની પ્રેગ્નન્સીના સમાચાર. વિભા ખૂબ ખુશ હતી.

“આટલી ખુશ ન થા, વિભા.” મારે એને કહેવું હતું, પણ કેવી રીતે કહું? નસીબ છું, નજૂમી હોત તો કહેત.

વિભાની સગર્ભાવસ્થા દરમ્યાન બાળક કોઈ ખામી લઈને જન્મશે એવા મેડિકલ રિપોર્ટ હતા. ખામીવાળું બાળક અનિલને મંજૂર નહોતું. અબોર્શન વિભાને મંજૂર નહોતું. ખામીવાળા બાળક સાથે વિભાની જોડે રહેવું અનિલને મંજૂર નહોતું.

“અનિલ, તું મુક્ત છો. મા થઈને હું બાળકનો જીવ લેવા તૈયાર થઈશ એવું તું વિચારે એ જ ….

“એકલાં રહેવું મને મંજૂર છે, પણ જે પિતા બાળકને ગર્ભમાં જ મારી નાખવાનું કહે એવી વ્યક્તિ સાથે જન્મારો નથી કાઢવો. જે દિવસે તારો વિચાર બદલાય તો ચાલ્યો આવજે.”

“અને જ્યારે તારો વિચાર બદલાય તો તું ચાલી આવજે.” અનિલે કહ્યું હતું.

વિભા કે અનિલ છૂટાં થયાં વગર અલગ રહે છે.

નેહાના જન્મ સમયથી માંડીને આજ સુધી દસ વર્ષનો સમય વહી ગયો. મલ્ટિ-ટાસ્ક્ વિભા ઑફિસમાં ‘ટીમ લીડ પોઝિશન’ની મહત્વની જવાબદારી સાથે ઑટિસ્ટિક નેહાને ઉત્તમ પરવરિશ સાથે ઉછેરતી રહી. સ્પીચ થેરેપીથી માંડીને આવશ્યક ટ્રેનિંગમાં કશી મણા રાખી નહોતી.

વિભા નેહાની ખામી-ખૂબી જાણતી હતી. નેહાને પેન્ટિંગ ખૂબ ગમતું. કલાકો સુધી એ ચિત્રો દોરવામાં, રંગો પૂરવામાં વ્યસ્ત રહેતી. નેહા એમાં ખૂબ આગળ વધે એ માટે વિભા શક્ય એટલા પ્રયાસ કરતી.

અલ્બર્ટ આઇન્સ્ટાઇન, ચાર્લ્સ ડાર્વિન, મોત્સાર્ટ, એ નામો વિભા માટે પ્રેરણાશક્તિ હતાં. વિભાની કલ્પનાના કંકુવર્ણા સાથિયા હતા.

સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે નામ લખાવ્યું- નેહા વિભા દિક્ષિત.-

અને આજે એ નેહા કહે છે, કે મમ્મી એને તકલીફ પહોંચાડે છે ??

પણ, વિભાને ક્યાં ખબર હતી કે એની પર મુકાયેલા આ આળ પાછળ પંપાળ કોની છે?

વિભા અને અનિલે ડિવોર્સ નહોતાં લીધાં એટલે અનિલને ઇચ્છા થાય ત્યારે નેહાને મળવાની છૂટ તો હતી જ. નેહા અજાણ્યાનેય વહાલી લાગે એવી મીઠડી હતી. અનિલ તો એનો પિતા હતો, લોહીનું સગપણ હતું સાથે થોડાક અંશે વિભાને, નેહાને કરેલા અન્યાયનો પસ્તાવો પણ ખરો. સમય જતા ક્યારેક નેહાને મળવાનું અનિલને મન થઈ જતું. વીકએન્ડમાં એ નેહાને મળવા આવતો. વિભાની અનિચ્છા છતાં નેહાને પોતાના ઘેર લઈ જતો. ધીમેધીમે અનિલની નેહા તરફની કાળજી જોઈને વિભાના મનમાં એક કૂણું બીજ રોપાયું.

‘છેવટે બાપ છે ને? સંતાન એનું ય તો છે ને?”

નેહાને અનિલ સાથે જવા દેતી.

*****

મારે વિભાને રોકવી હતી. નેહાને મોકલતી અટકાવવી હતી. કારણ કે હવે શું થશે એની મને ખબર હતી અને વિભાને ખબર નહોતી કે પોતાના મનમાં જે કૂણું બીજ રોપાયું છે એમાં અજાણતાં વિષનું ખાતર રેડાઈ રહ્યું છે?

જોકે અનિલને પણ ક્યાં ખબર હતી કે નેહા સાથેની વાતો કેવો રંગ લાવશે?

અનિલ નેહાને મળે ત્યારે એને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતો. નેહાને રમાડતો, નેહા સાથે રમતો, ખૂબ વાતો કરતો.

“Daddy, why you are not living with us?” નેહા પૂછતી.

“Your mumma didn’t want to spend her life with me. She asked me to leave so I… નેહાના પ્રશ્નોના જવાબમાં અનિલ જે મનમાં આવે એ કહી દેતો.

વાત જુદો વળાંક લઈ રહી હતી.

એકની એક વાત વારંવાર રટ્યા કરવાની નેહાની ખામીથી એ અજાણ હતો કે જાણીને ?? એ તો અનિલ જ જાણે.

ધીમેધીમે નેહાના માનસમાં એક વાત ઘર કરતી ગઈ કે, એ ડૅડી વગર મોટી થઈ રહી છે એનું કારણ મમ્મા છે.

“Why Daddy is not living with us? Why we are not living with Daddy? All of my friends are living with the family, why not me?” હવે તો એ વિભાને પણ પૂછી લેતી.

શું જવાબ આપે વિભા? એ કેવી રીતે કહે કે તારા ડૅડીને તું જોઈતી જ નહોતી? નેહાની ઉંમર નહોતી કે એને સાચી વાત સમજાવે. માંડ બાપ-દીકરી વચ્ચેની લાગણીઓના પત્થરોનો રામસેતુ અકબંધ રહે એ માટે મૌન સેવતી.

વિભાનું મૌન નેહાને અકળાવતું, પરિણામે અનિલની વાતોને સત્ય માની લેતી. નેહાના મનમાં રોપાયેલી વિષવેલ પાંગરતી ગઈ.

“ડૅડીને મારી સાથે રહેવું છે, પણ મમ્માએ ડૅડીને મારાથી દૂર રાખ્યા.”

વિભા પાસે ફરિયાદ કરતી નેહા હવે ક્લાસમાં, ક્લાસટીચર્સ પાસે પણ રટવા માંડી.

સ્કૂલમાં પણ એના મૂડસ્વિંગને લીધે એ ઉદાસ થઈને બેસી રહેતી ત્યારે પણ એક જ રટણ,

“ડૅડીને મારી સાથે રહેવું છે, પણ મમ્માએ ડૅડીને મારાથી દૂર રાખ્યા.”

શું કરે, ક્યાં જાય? કોને કહે વિભા, કે અનિલને નેહા જોઈતી જ નહોતી?

વિભાની મમતા, તપસ્યા કસોટીની એરણે ચઢી હતી. સત્ય જાણ્યાં વગર નેહાના મનમાં, સ્કૂલમાં એની છબી ખરડાવા માંડી હતી.

નેહા જીદે ચઢી હતી. એને ડૅડાની સાથે રહેવું હતું.

વીકએન્ડ પર ડૅડી એને કેટલી મઝા કરાવતા ! અને મમ્મા ? મમ્મા તો બસ સવારથી શરૂ કરીને સ્કૂલ, ક્લાસ, થેરેપી, થેરેપી અને થેરેપીની પાછળ જ રહેતી.

નેહાને ક્યાં ખબર હતી, કે મમ્માની મહેનતથી એ આજે નૉર્મલ બાળકોની સ્કૂલ સુધી પહોંચી હતી. સહજતાથી એ સૌ સાથે ભળતી થઈ હતી..

જે નેહા માટે વિભા અનિલથી અલગ રહેવાનો કપરો નિર્ણય લીધો હતો એ જ નેહા માટે, દીકરીનું બાળપણ ડૅડા વગર અધૂરું ન રહે એ માટે અનિલ સાથે રહેવા સમાધાનની ભૂમિકાએ આવીને ઊભી.

******

‘‘મારે વિભાને રોકવી હતી. કહેવું હતું થોભી જા વિભા. તું જે પગલું લેવા વિચારી રહી છે એમાં તું શું ગુમાવવાની છું એ હું જાણું છું.

“જન્મ પહેલાં નેહાને સ્વીકારવાની અનિલની તૈયારી નહોતી એ અપરાધબોજથી એને મુકત થવું છે. દીકરીના ઉછેરમાં એ વિભાની જોડાજોડ છે એવું સાબિત કરવું છે. જાતને સાબિત કરવાની ઘેલછામાં એ વરસી જવાનો છે, માત્ર અને માત્ર લાડ કરવાનો છે.

“નેહાના સુકોમળ માનસને સક્ષમ બનાવવા આજ સુધી તું જે કરતી આવી છું એ સમજ અનિલમાં ઓછી છે. એ દિમાગથી નહીં દિલથી વિચારે છે.

“વિભા, નેહાની માનસિક સ્વસ્થતા માટે સ્નેહથી સાથોસાથ સમજણપૂર્વકનો વ્યવહાર, કદાચ કપરી લાગે એવી થેરેપી કેટલી આવશ્યક છે એ તું જાણે છે, અનિલ નહીં.

“અનિલે કિનારે બેસીને ક્યાં જાણ્યું છે કે મઝધારે વમળમાં અટવાયેલી હાલકડોલક થતી નાનકડી નાવને સ્થિર રાખવા કેટલો અને કેવો પ્રયાસ તેં કર્યો છે?

“વિભા, અનિલની સાથે રહેવા તૈયાર થતું મન પાછું વાળી લે, નહીંતર નેહા…..

“નેહાનું ભાવિ હું જાણું છું, પણ શું કરું? નસીબ છું નજૂમી નથી, નહીંતર વિભાએ મને ક્યારેક પૂછ્યું હોત તો હું જે જોઈ શકું છું એ કહી શકત.”

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

April 18, 2024 at 12:31 pm Leave a comment

‘ શૂન્યતા’: ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘ શૂન્યતા’

ખડીંગ…..

પથારીવશ કૃશકાય હેમંત ટેબલ પર કંઈક લેવા મથતો હતો. માંડ ટેબલ સુધી પહોંચેલો અશક્ત હાથ કાચના ગ્લાસ સાથે અથડાયો. ગ્લાસ જમીન પર પડ્યો અને કાચ ફૂટવાના અવાજથી તંદ્રાવસ્થામાં સરી પડેલી નર્સ ઝબકી.

“અરેરે…આ શું કર્યું? કંઈ જોઈએ તો મને કહેવાનું ને? રોજેરોજ પાણી ઢોળાયને મારે સાફ કરવાનું વળી મેડમ આવીને જોશે તો કોને ખબર કેટલું સંભળાવશે?” નર્સના બડબડાટની સામે હેમંતે ટેબલ પર પડેલી ઘડિયાળ તરફ નજર કરી. વર્ષોથી સમયપાબંદ હેમંત માટે ઘડિયાળ એની જીવનનું અભિન્ન અંગ હતી.

હેમંતનો ઈશારો સમજીને નર્સે હાથમાં ઘડિયાળ આપી. ઘડિયાળ સામે નજર કરતા હેમંતે આંખથી પ્રશ્ન કર્યો.

આમ તો આ રોજની વાત હતી. ઉચ્ચ હોદ્દા પર કામ કરતી માયા મોટાભાગે મોડી આવતી. ક્યારેક વહેલી આવે તો અલપઝલપ દેખા દઈને બહારના કામે ચાલી જતી.

આઠ વાગ્યે બીજી નર્સ આવે એ પહેલાં ડ્યુટી પરની નર્સ હેમંતને સૂપ આપીને ચાલી જતી. હેમંતના ભાગે તો શૂન્યતા જ આવતી.

છેલ્લા થોડાક સમયથી હેમંત માયાને નોકરી છોડવા સમજાવતો.

“માયા, ઈશ્વરની આપણી પર ઘણી કૃપા છે. છોકરાંઓ પોતાની રીતે ખુશ છે. બાકીનું જીવન આપણે સુખ-શાંતિથી પસાર કરી શકીએ એટલું કમાઈ લીધું છે ને હવે ઝાઝી આવશ્યકતા રહી નથી. તું પણ નિવૃત્તિ લઈ લે તો આ ભાગદોડમાંથી સાથે નિરાંતને શ્વાસ લઈને જીવી શકીએ.”

માયા મનસ્વી હતી. ગૃહિણી બનીને રહેવાનું એના માટે અસંભવ હતું.

*****

પ્રથમ પત્ની કરૂણાની યાદ આવતા હેમંતની આંખ ભીની થઈ.

કરૂણા સીધી, સાદી ગૃહિણી હતી. હેંમત અને ત્રણ સંતાનોમાં જ આખું વિશ્વ સમાઈ જતું. હેમંત જ્યારે અન્ય મહિલાઓને કામ કરતી જોતો ત્યારે એ કરૂણા પર ભારે અકળાતો.

“આ શું આખો દિવસ ઘરની જળોજથામાં ભરાયેલી રહે છે. જરા ઘરની બહાર આવીને જો તો ખબર પડે કે કામ કરવાની સાથે ઘર પણ કેવી રીતે સંભાળી શકાય?”

જેમજેમ હેમંતની પ્રગતિ થતી ગઈ એમ એનું દોષદર્શી વલણ વધતું ચાલ્યું. કરૂણાને નાનીનાની વાતે ઉતારી પાડતો હેમંત વધુ ને વધુ સમય બહાર રહેવા માંડ્યો. મમ્મી તરફ પપ્પાનું વલણ, મમ્મીની ઉદાસી છોકરાંઓ પણ જોતાં, સમજતાં પણ કશું કરવા લાચાર હતાં.

હેમંતની નફરતની કરૂણાની તબિયત પર અસર થવા માંડી ને સાવ છ મહિનાના ટૂંકા ગાળામાં એનું અવસાન થયું. કરૂણાના અવસાન સાથે હેમંતની સંયમને પાળ તૂટી ગઈ.

ઑફિસમાં કામ કરતી મુક્ત વલણ ધરાવતી માયા સાથે હેમંતની નજદીકી વધી. નિકટતા લગ્નમાં પરિણમી. કરૂણાના અવસાન પછી છ મહિનામાં માયા સાથે હેમંતે બીજા લગ્ન કર્યા. માયા હેમંત કરતાં ઉંમરમાં પંદર વર્ષ નાની હતી, મહત્વકાંક્ષી હતી.

શરૂઆતથી જ માયાને ત્રણે સંતાનો પ્રત્યે ઝાઝો સ્નેહ હતો જ નહીં. મોટી પૂજા પરણેલી હતી. મેડિકલમાં ભણતી પિંકી શહેર બહાર હોસ્ટેલમાં રહેતી. બાકી રહ્યો દીકરો- વિક્રમ. વિક્રમ તરફ માયાનું ઉપેક્ષિત વલણ હેમંતને દેખાતું નહોતું, પણ નવ વર્ષનો વિક્રમ બરાબર સમજતો. કરે તો શું કરે? જાય તો ક્યાં જાય?

મમ્મી તરફ પપ્પાનો કઠોર વ્યવહાર એણે જોયો હતો અને હવે નવી મમ્મી તરફની ઘેલછા પણ જોતો.

હેમંત માયાની માયામાં લપેટાતો ચાલ્યો. માયા એનું સર્વસ્વ હતી. હેમંતની કમજોરી માયાની તાકાત બની. સવારે ઑફિસ અને સાંજે પાર્ટીમાં માયા અને હેમંતનો દિવસ પૂરો થતો.

ઘરમાં સવારે બનેલું ખાવાનું વિક્રમ માટે મૂકી રખાતું. બંને ટાઇમ એકસરખું ખાઈને કંટાળે તો વિક્રમ બચાવેલા પૈસાથી બહાર ખાઈ આવતો ત્યારે એને મા ખૂબ યાદ આવતી. ઘરમાં હોય ત્યારે વિક્રમ રૂમમાં જ પુરાઈ રહેતો.

“વિક્રમ માટે ચિંતા થાય છે હોં..આખો દિવસ રૂમમાં જ પુરાઈ રહે છે. આમ તો ક્યાં સુધી ચાલશે? માયાએ પાસા ગોઠવવા માંડ્યાં.

“આ ઉંમર જ એવી છે. મા-બાપ કરતાં મિત્રો સાથે સમય પસાર કરવો વધુ ગમે.” હેમંત

“એનો ઉપાય?”

એના ઉપાયમાં વિક્રમને હોસ્ટેલ મોકલવાનો નિર્ણય લેવાયો.

“અરે, વિક્રમની મરજી તો જાણી લો અને પૂજાને પણ પૂછી લો. એણે તો લગ્ન પછી અહીં આવવાનું જ બંધ કરી દીધું છે. કોઈ જાણશે તો કહેશે કે નવી માએ આવીને દીકરાને બહાર ધકેલ્યો.” મનોમન રાજી માયાએ ઠાવકાઈનો મુખવટો પહેરી લીધો.

વિક્રમે હોસ્ટેલ રહેવાનું પસંદ કર્યું.

મનમરજીની માલિક માયાને મનગમતું સામ્રાજ્ય મળ્યું.

સમય પાંખો પસારીને ઊડતો રહ્યો. પિંકી ડૉક્ટર બની. અસીમ સાથે પ્રેમલગ્ન કરીને વિદેશ ચાલી ગઈ. વિક્રમે ભણીને મનપસંદ યુવતી સાથે લગ્ન કરી લીધાં. માયાને મનદુઃખ ન થાય એ માટે પિંકી કે વિક્રમના જીવનસાથીનો હેમંતે સ્વીકાર ન કર્યો.

પૂજા, પિંકી અને વિક્રમે હેમંત સાથે, ઘર સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. કરૂણાએ મમતાથી પોરવેલી માળાનાં મણકા વેરવિખેર થઈ ગયા.

નિઃસંતાન માયાએ પોતાની વિધવા ફોઈના દીકરા રમેશને જાણે દત્તક જ લઈ લીધો. ભણવાની સાથે ઘરનાં નાનાંમોટાં કામ કરતો રમેશ ઘરનું અનિવાર્ય અંગ બની ગયો. ઘરની આર્થિક વ્યવસ્થા પણ રમેશને સોંપી દીધી. માયાએ પોતાની મનપસંદ યુવતી સાથે પરણાવીને ઘર જાણે એ બંનેના હવાલે કરી દીધું.

હેમંતની અકળામણ સામે માયા પાસે જવાબ તૈયાર હતો,

“કેમ આપણો દીકરો હોત તો એ ઘર, ઘરની વ્યવસ્થા સંભાળતો હોત તો તમને ગમત ને? માની લો કે રમેશ તમારો જ દીકરો છે.”

માયાનું મન સાચવવા હેંમતે રમેશને પણ ખુશ રાખવો પડતો. નિવૃત્તિ પછી હેમંત પાસે સમય જ સમય હતો. માયા વગર ઘરમાં એનું મન ગોઠતું નહીં. માયાને નોકરી છોડવા સમજાવતો રહ્યો, માયાને ઘરમાં બંધાઈ રહેવું પસંદ નહોતું.

“હવે આટલા વર્ષે મને સમજાવવાની માથાકૂટ કરવાનું બંધ કરો. ઘરમાં રમેશ તો છે જ ને. સાથે રહે એ જ સાચો સગો. પૂજા, પિંકી કે વિક્રમ ક્યાં તમારી સામે જોવાય તૈયાર છે? હા, સમય આવશે ત્યારે હક લેવા જરૂર દોડી આવશે.”

માયાનાં ઉદ્દંડ વર્તન અને ઉપેક્ષાથી હેંમત નાસીપાસ થતો ચાલ્યો. માયા પ્રત્યે મોહનાં આવરણ વચ્ચે હવે એને કરૂણા યાદ આવતી.

‘કરૂણા સાથે પોતે કેટલો અનુચિત વ્યવહાર કર્યો હતો ને છતાં કરૂણા? ક્યારેય ઊંચા સાદે એણે જવાબ આપ્યો નહોતો. માયાના મોહમાં પોતે પૂજા, પિંકી અને વિક્રમની પણ પરવા કરી નહીં !?

‘માયા પારકી હતી. સાવકી મા હતી, પણ પોતે તો એમનો પિતા હતો ને? કેમ…કેમ..એણે છોકરાંઓને વિસારે પાડ્યાં? મા ગઈ એની સાથે એમનાં માથેથી પિતાનું છત્ર પણ ખેસવી લીધું? હવે અતીતને ક્યાં પાછો વળાશે?’

ઉચાટ, પશ્ચાતાપની મન પર અસર થવા માંડી. મન પર બોજો વધતાં તન ખોરવાયું. પૅરાલિસિસ થતા પૂરેપૂરો અન્ય પર નિર્ભર બની ગયો.

માયાએ એની દેખભાળ માટે નોકરચાકર, ડૉક્ટર-નર્સની ફોજ ખડકી દીધી.

સમાચાર મળતાં છોકરાંઓ પોતાની સગવડે આવીને હેમંતને મળી ગયાં. માયાના રાજમાં આથી વિશેષ કરી પણ શું શકે?

અને હેમંત પણ હવે શું કરે? કોને કહે, કહે તો કેવી રીતે કહે ?

છોકરાંઓની, કરૂણાની માફી માંગવા માટે શબ્દો તો ઘણા છે. વ્યકત કરવા વાચા નથી.

ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. હજુ કેટલાં પસાર થશે એની હેમંતને ખબર નથી. માયા આવશે એવી અપેક્ષાથી થોડીથોડી વારે એ બારણાં તરફ નજર માંડે છે.

ખુલ્લા બારણાં સાથે ખાલી નજર અફળાઈને પાછી ફરે છે ત્યારે એમાં કરૂણાનો કરૂણાસભર ચહેરો દેખાય છે. ખાલી નજર અને શૂન્યતા જ હવે એના જીવનની વસમી વાસ્તવિકતા છે.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

‘ શૂન્યતા’: રાજુલ કૌશિક

ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ. સૌજન્યઃ હર્ષવદન ત્રિવેદી

‘ શૂન્યતા’

ખડીંગ…..

પથારીવશ કૃશકાય હેમંત ટેબલ પર કંઈક લેવા મથતો હતો. માંડ ટેબલ સુધી પહોંચેલો અશક્ત હાથ કાચના ગ્લાસ સાથે અથડાયો. ગ્લાસ જમીન પર પડ્યો અને કાચ ફૂટવાના અવાજથી તંદ્રાવસ્થામાં સરી પડેલી નર્સ ઝબકી.

“અરેરે…આ શું કર્યું? કંઈ જોઈએ તો મને કહેવાનું ને? રોજેરોજ પાણી ઢોળાયને મારે સાફ કરવાનું વળી મેડમ આવીને જોશે તો કોને ખબર કેટલું સંભળાવશે?” નર્સના બડબડાટની સામે હેમંતે ટેબલ પર પડેલી ઘડિયાળ તરફ નજર કરી. વર્ષોથી સમયપાબંદ હેમંત માટે ઘડિયાળ એની જીવનનું અભિન્ન અંગ હતી.

હેમંતનો ઈશારો સમજીને નર્સે હાથમાં ઘડિયાળ આપી. ઘડિયાળ સામે નજર કરતા હેમંતે આંખથી પ્રશ્ન કર્યો.

આમ તો આ રોજની વાત હતી. ઉચ્ચ હોદ્દા પર કામ કરતી માયા મોટાભાગે મોડી આવતી. ક્યારેક વહેલી આવે તો અલપઝલપ દેખા દઈને બહારના કામે ચાલી જતી.

આઠ વાગ્યે બીજી નર્સ આવે એ પહેલાં ડ્યુટી પરની નર્સ હેમંતને સૂપ આપીને ચાલી જતી. હેમંતના ભાગે તો શૂન્યતા જ આવતી.

છેલ્લા થોડાક સમયથી હેમંત માયાને નોકરી છોડવા સમજાવતો.

“માયા, ઈશ્વરની આપણી પર ઘણી કૃપા છે. છોકરાંઓ પોતાની રીતે ખુશ છે. બાકીનું જીવન આપણે સુખ-શાંતિથી પસાર કરી શકીએ એટલું કમાઈ લીધું છે ને હવે ઝાઝી આવશ્યકતા રહી નથી. તું પણ નિવૃત્તિ લઈ લે તો આ ભાગદોડમાંથી સાથે નિરાંતને શ્વાસ લઈને જીવી શકીએ.”

માયા મનસ્વી હતી. ગૃહિણી બનીને રહેવાનું એના માટે અસંભવ હતું.

*****

પ્રથમ પત્ની કરૂણાની યાદ આવતા હેમંતની આંખ ભીની થઈ.

કરૂણા સીધી, સાદી ગૃહિણી હતી. હેંમત અને ત્રણ સંતાનોમાં જ આખું વિશ્વ સમાઈ જતું. હેમંત જ્યારે અન્ય મહિલાઓને કામ કરતી જોતો ત્યારે એ કરૂણા પર ભારે અકળાતો.

“આ શું આખો દિવસ ઘરની જળોજથામાં ભરાયેલી રહે છે. જરા ઘરની બહાર આવીને જો તો ખબર પડે કે કામ કરવાની સાથે ઘર પણ કેવી રીતે સંભાળી શકાય?”

જેમજેમ હેમંતની પ્રગતિ થતી ગઈ એમ એનું દોષદર્શી વલણ વધતું ચાલ્યું. કરૂણાને નાનીનાની વાતે ઉતારી પાડતો હેમંત વધુ ને વધુ સમય બહાર રહેવા માંડ્યો. મમ્મી તરફ પપ્પાનું વલણ, મમ્મીની ઉદાસી છોકરાંઓ પણ જોતાં, સમજતાં પણ કશું કરવા લાચાર હતાં.

હેમંતની નફરતની કરૂણાની તબિયત પર અસર થવા માંડી ને સાવ છ મહિનાના ટૂંકા ગાળામાં એનું અવસાન થયું. કરૂણાના અવસાન સાથે હેમંતની સંયમને પાળ તૂટી ગઈ.

ઑફિસમાં કામ કરતી મુક્ત વલણ ધરાવતી માયા સાથે હેમંતની નજદીકી વધી. નિકટતા લગ્નમાં પરિણમી. કરૂણાના અવસાન પછી છ મહિનામાં માયા સાથે હેમંતે બીજા લગ્ન કર્યા. માયા હેમંત કરતાં ઉંમરમાં પંદર વર્ષ નાની હતી, મહત્વકાંક્ષી હતી.

શરૂઆતથી જ માયાને ત્રણે સંતાનો પ્રત્યે ઝાઝો સ્નેહ હતો જ નહીં. મોટી પૂજા પરણેલી હતી. મેડિકલમાં ભણતી પિંકી શહેર બહાર હોસ્ટેલમાં રહેતી. બાકી રહ્યો દીકરો- વિક્રમ. વિક્રમ તરફ માયાનું ઉપેક્ષિત વલણ હેમંતને દેખાતું નહોતું, પણ નવ વર્ષનો વિક્રમ બરાબર સમજતો. કરે તો શું કરે? જાય તો ક્યાં જાય?

મમ્મી તરફ પપ્પાનો કઠોર વ્યવહાર એણે જોયો હતો અને હવે નવી મમ્મી તરફની ઘેલછા પણ જોતો.

હેમંત માયાની માયામાં લપેટાતો ચાલ્યો. માયા એનું સર્વસ્વ હતી. હેમંતની કમજોરી માયાની તાકાત બની. સવારે ઑફિસ અને સાંજે પાર્ટીમાં માયા અને હેમંતનો દિવસ પૂરો થતો.

ઘરમાં સવારે બનેલું ખાવાનું વિક્રમ માટે મૂકી રખાતું. બંને ટાઇમ એકસરખું ખાઈને કંટાળે તો વિક્રમ બચાવેલા પૈસાથી બહાર ખાઈ આવતો ત્યારે એને મા ખૂબ યાદ આવતી. ઘરમાં હોય ત્યારે વિક્રમ રૂમમાં જ પુરાઈ રહેતો.

“વિક્રમ માટે ચિંતા થાય છે હોં..આખો દિવસ રૂમમાં જ પુરાઈ રહે છે. આમ તો ક્યાં સુધી ચાલશે? માયાએ પાસા ગોઠવવા માંડ્યાં.

“આ ઉંમર જ એવી છે. મા-બાપ કરતાં મિત્રો સાથે સમય પસાર કરવો વધુ ગમે.” હેમંત

“એનો ઉપાય?”

એના ઉપાયમાં વિક્રમને હોસ્ટેલ મોકલવાનો નિર્ણય લેવાયો.

“અરે, વિક્રમની મરજી તો જાણી લો અને પૂજાને પણ પૂછી લો. એણે તો લગ્ન પછી અહીં આવવાનું જ બંધ કરી દીધું છે. કોઈ જાણશે તો કહેશે કે નવી માએ આવીને દીકરાને બહાર ધકેલ્યો.” મનોમન રાજી માયાએ ઠાવકાઈનો મુખવટો પહેરી લીધો.

વિક્રમે હોસ્ટેલ રહેવાનું પસંદ કર્યું.

મનમરજીની માલિક માયાને મનગમતું સામ્રાજ્ય મળ્યું.

સમય પાંખો પસારીને ઊડતો રહ્યો. પિંકી ડૉક્ટર બની. અસીમ સાથે પ્રેમલગ્ન કરીને વિદેશ ચાલી ગઈ. વિક્રમે ભણીને મનપસંદ યુવતી સાથે લગ્ન કરી લીધાં. માયાને મનદુઃખ ન થાય એ માટે પિંકી કે વિક્રમના જીવનસાથીનો હેમંતે સ્વીકાર ન કર્યો.

પૂજા, પિંકી અને વિક્રમે હેમંત સાથે, ઘર સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. કરૂણાએ મમતાથી પોરવેલી માળાનાં મણકા વેરવિખેર થઈ ગયા.

નિઃસંતાન માયાએ પોતાની વિધવા ફોઈના દીકરા રમેશને જાણે દત્તક જ લઈ લીધો. ભણવાની સાથે ઘરનાં નાનાંમોટાં કામ કરતો રમેશ ઘરનું અનિવાર્ય અંગ બની ગયો. ઘરની આર્થિક વ્યવસ્થા પણ રમેશને સોંપી દીધી. માયાએ પોતાની મનપસંદ યુવતી સાથે પરણાવીને ઘર જાણે એ બંનેના હવાલે કરી દીધું.

હેમંતની અકળામણ સામે માયા પાસે જવાબ તૈયાર હતો,

“કેમ આપણો દીકરો હોત તો એ ઘર, ઘરની વ્યવસ્થા સંભાળતો હોત તો તમને ગમત ને? માની લો કે રમેશ તમારો જ દીકરો છે.”

માયાનું મન સાચવવા હેંમતે રમેશને પણ ખુશ રાખવો પડતો. નિવૃત્તિ પછી હેમંત પાસે સમય જ સમય હતો. માયા વગર ઘરમાં એનું મન ગોઠતું નહીં. માયાને નોકરી છોડવા સમજાવતો રહ્યો, માયાને ઘરમાં બંધાઈ રહેવું પસંદ નહોતું.

“હવે આટલા વર્ષે મને સમજાવવાની માથાકૂટ કરવાનું બંધ કરો. ઘરમાં રમેશ તો છે જ ને. સાથે રહે એ જ સાચો સગો. પૂજા, પિંકી કે વિક્રમ ક્યાં તમારી સામે જોવાય તૈયાર છે? હા, સમય આવશે ત્યારે હક લેવા જરૂર દોડી આવશે.”

માયાનાં ઉદ્દંડ વર્તન અને ઉપેક્ષાથી હેંમત નાસીપાસ થતો ચાલ્યો. માયા પ્રત્યે મોહનાં આવરણ વચ્ચે હવે એને કરૂણા યાદ આવતી.

‘કરૂણા સાથે પોતે કેટલો અનુચિત વ્યવહાર કર્યો હતો ને છતાં કરૂણા? ક્યારેય ઊંચા સાદે એણે જવાબ આપ્યો નહોતો. માયાના મોહમાં પોતે પૂજા, પિંકી અને વિક્રમની પણ પરવા કરી નહીં !?

‘માયા પારકી હતી. સાવકી મા હતી, પણ પોતે તો એમનો પિતા હતો ને? કેમ…કેમ..એણે છોકરાંઓને વિસારે પાડ્યાં? મા ગઈ એની સાથે એમનાં માથેથી પિતાનું છત્ર પણ ખેસવી લીધું? હવે અતીતને ક્યાં પાછો વળાશે?’

ઉચાટ, પશ્ચાતાપની મન પર અસર થવા માંડી. મન પર બોજો વધતાં તન ખોરવાયું. પૅરાલિસિસ થતા પૂરેપૂરો અન્ય પર નિર્ભર બની ગયો.

માયાએ એની દેખભાળ માટે નોકરચાકર, ડૉક્ટર-નર્સની ફોજ ખડકી દીધી.

સમાચાર મળતાં છોકરાંઓ પોતાની સગવડે આવીને હેમંતને મળી ગયાં. માયાના રાજમાં આથી વિશેષ કરી પણ શું શકે?

અને હેમંત પણ હવે શું કરે? કોને કહે, કહે તો કેવી રીતે કહે ?

છોકરાંઓની, કરૂણાની માફી માંગવા માટે શબ્દો તો ઘણા છે. વ્યકત કરવા વાચા નથી.

ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. હજુ કેટલાં પસાર થશે એની હેમંતને ખબર નથી. માયા આવશે એવી અપેક્ષાથી થોડીથોડી વારે એ બારણાં તરફ નજર માંડે છે.

ખુલ્લા બારણાં સાથે ખાલી નજર અફળાઈને પાછી ફરે છે ત્યારે એમાં કરૂણાનો કરૂણાસભર ચહેરો દેખાય છે. ખાલી નજર અને શૂન્યતા જ હવે એના જીવનની વસમી વાસ્તવિકતા છે.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

April 13, 2024 at 9:18 am Leave a comment

‘ પાનખર’-રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા

‘ પાનખર’

‘પતઝડ સાવન બસંત બહાર

એક બરસ કે મૌસમ ચાર, મૌસમ ચાર…

પાંચવા મૌસમ પ્યાર કા, ઇન્તઝાર કા…’

એફ.એમ. રેડિયો ચાલુ કર્યો ને ગીત સાંભળીને સૂરીલી હસી પડી.

‘આ કવિઓની કલ્પનાને ય દાદ આપવી પડે હોં… સર્વત્ર એમની હકૂમત હોય એમ ઈશ્વરે સર્જેલી આ પ્રકૃતિમાંય પોતાની મનમરજીની ઋતુ ઉમેરી દે. જોકે આમ તો કહે છે ને કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.’

આ ગીત એને બહુ ગમતું અને સોહમના આગમન પછી તો સાચે જ પ્યાર અને ઇન્તઝારની પાંચમી મોસમનો મતલબ સમજાયો.

સૂરીલી.

મમ્મી કહેતી હતી કે, જન્મીને પહેલી વાર રડી ત્યારે જ પપ્પાએ છઠ્ઠીએ વિધાતા લેખ લખે એ પહેલાં જ બર્થ સર્ટિફિકેટ પર એનું નામ સૂરીલી લખાવી દીધું હતું.

“મારી દીકરીનો કંઠ એટલો તો સૂરીલો છે કે, સંગીતની દુનિયામાં નામ રોશન કરશે.”

પપ્પા જ્યોતિષ નહોતા છતાં એમણે ભાખેલું ભાવિ હકીકત બન્યું. સંગીતમાં વિશારદ સૂરીલી સુગમ સંગીતથી માંડીને શાસ્ત્રીયસંગીતના કાર્યક્રમોમાં છવાતી ચાલી.

તે સાંજે ‘કેન્સર પીડિત દર્દીઓ’ માટે ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કાર્યક્ર્મ પૂરો થયો. સૂરીલી હજુ તો સ્ટેજ પરથી નીચે આવે એ પહેલાં જ બીજા પગથિયે એક યુવક સામે આવીની ઊભો રહ્યો.

“અભિનંદન સૂરીલી. તમારો અવાજ ખૂબ મીઠ્ઠો છે અને કંઠ કેળવાયેલો. મન, આત્મા પ્રસન્ન થઈ જાય એવો સૂરીલો સૂર છે. મારું નામ સોહમ. હું વ્યવસાયે ડૉક્ટર છું, સંગીત ગમે છે. નાનો હતો ત્યારે થોડું ઘણું સંગીત શીખ્યો હતો. સમય જતાં સમજાયું કે શોખ કરતાં શિક્ષણ મહત્વનું છે એટલે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ડૉક્ટર તરીકે સફળ થયો છું, પણ આજે તમને સાંભળીને વર્ષો જૂનો શોખ ફરી જાગ્યો. સમજાયું કે જીવનમાં માત્ર વ્યવસાયિક સફળતાના સોનેરી રંગ માટે અન્ય રંગો તરફથી વિમુખ થવાની જરૂર નથી.”

સૂરીલીએ એકધારું બોલતા સોહમ સામે સ્મિત ફરકાવ્યું.

“આભાર અને આનંદ. આભાર એટલા માટે કે તમને મારો કંઠ ગમ્યો. આનંદ એટલે કે સંગીત સાંભળીને તમારો જૂનો શોખ ફરી જાગૃત થયો.”

આ તેમની પ્રથમ મુલાકાત અને અનેક મુલાકાતોની શરૂઆત.

સૂરીલીના તમામ કાર્યક્રમમાં સોહમની હાજરી હોય જ. હવે સૂરીલીની નજર પણ ઑડિયન્સમાં બેઠેલા સોહમને જ શોધતી.. સોહમ સાથે નજરના તાર અને સૂરીલીના સૂરતાલ એકરૂપ થવા માંડ્યાં.

“Let’s have coffee” સોહમે સૂરીલીને કહ્યું. એ દિવસથી ‘મોકા’ કૉફી શોપ બંનેની મુલાકાતની માનીતી કૉફી શોપ બની ગઈ.

સોહમ સરળ હતો. મોટાભાગે સૂરીલી જ બોલતી. ક્યારેક સોહમ એના કામની, હોસ્પિટલની, પેશન્ટની વાતો કરતો. સોહમની કામ પ્રત્યેની નિષ્ઠા, પેશન્ટ પ્રત્યે સંવેદના, સહાનુભૂતિ સૂરીલી સમજી શકતી.

સોહમ એને ગમવા માંડ્યો. સોહમને ગમતા રંગ, ગમતાં પુસ્તકો, ગમતી જગ્યાઓ ગમવા માંડી હતી. સોહમની જેમ બ્લેન્ડેડ કૉફીની સાથે પનિનિ સેન્ડવિચ પણ ભાવવા માંડી.

સોહમને મળવાનું હોય ત્યારે જરા વધુ ચીવટથી એ તૈયાર થતી. સોહમને ગમતા સ્કાય બ્લૂ, ડીપ બ્લૂ, ડસ્ટી રોઝ કે પીચ કલરની સાથે પીચ મેલ્બા એના ‘ફેવરિટ કૉમ્બિનેશન’ બની ગયાં.

********

“મોટાભાગે લોકો એવું માને કે, દર્દીની સારવાર કરવામાં ડૉક્ટરોએ લાગણીને પ્રાધાન્ય આપવાનાં બદલે સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા કેળવવી પડે, પણ હું સાવ એવો સ્થિતપ્રજ્ઞ નથી બની શકતો. લાંબો સમય એક જ દર્દીને ટ્રીટમેન્ટ આપતાં આપતાં હું પોતે એ દર્દમાંથી પસાર થઈ રહ્યો હોઉં એવું અનુભવું છું.” કહીને સોહમ ઉદાસ થઈ જતો.

સોહમ આમ વાત કરતા કરતા ચૂપ કેમ થઈ જતો એ સૂરીલીને ક્યારેય સમજાતું નહોતું.

“સોહમ, ઉદાસી તને જરાય શોભતી નથી.”

“ખરી વાત, પણ મારી પ્રકૃતિ એવી જ છે. ક્યારેક એવું થાય છે કે, જો કોઈને હું સાજો કરી ન શકવાનો હોઉં તો આ પ્રેફેશનમાં રહેવાનો મને હક નથી.”

“તમે લોકો ડૉક્ટર છો, દેવ નહીં વળી દરેક વ્યક્તિને માત્ર ને માત્ર સફળતા જ મળી હોય એવો કિસ્સો આજ સુધી મેં સાંભળ્યો નથી.”

આગળ બોલવા જતી સૂરીલીએ સોહમના ચહેરા પર ઉદાસીની ઘેરી છાયા જોઈ. વધુ કંઈ બોલવાના બદલે ચૂપચાપ સોહમનો હાથ પસવારતી રહી.

સોહમની ઉદાસી, અચાનક મૌનના અભેદ કોશેટામાં જાતને સજ્જડ બંધ કરી દેવાની રીત એને સમજાતી નહોતી. આવી ક્ષણોમાં એને એવું લાગતું કે એ સોહમને સમજી શકી નથી કે સોહમના મન સુધી પહોંચી શકી નથી અથવા સોહમને બંને વચ્ચે બંધાતા લાગણીના સેતુ પર પગ જ માંડવો નથી ??

*********

પસાર થતા સમયની સાથે સમય પસાર કરવા જેટલી બંને વચ્ચે ઘનિષ્ટતા વધી હોવા છતાં સૂરીલીને સોહમ ઘણો દૂર લાગતો. સમજાતું નહોતું કે કેમ ?

આ વણપૂછ્યા ‘કેમ’નો એક દિવસ સોહમે જ જવાબ આપી દીધો. અલબત્ત પત્રમાં.

‘સૂરીલી,

‘જાણું છું તારા મનમાં અનેક સવાલો અને ઘણો બધો સંતાપ છે. કોણ જાણે કેમ પણ હું મને જ સમજી નથી શક્યો તો તને શું સમજાવું?

‘કદાચ મારા જીવનમાં કોઈ કાયમી રહ્યું જ નથી. મનથી, લાગણીથી જેની સાથે હું બંધાયો છું એ દરેક મારાથી દૂર થાય છે ત્યારે લાગે છે કે, જા જીવ કોઈની સાથે લાગણીનું બંધન શક્ય જ નથી, સદા માટે એ બંધન સાચવવું આપણાં હાથમાં નથી. દરેક વાત, દરેક ઘટના ક્ષણિક છે. લાગણીઓ પણ. હા, સદૈવ જો કશાનો સાથ હોય તો એ છે પીડાનો સાથ.

‘મારો સૌ પ્રથમ પ્રેમ, મારી મમ્મી. તરબતર લાગણીમાં એ મને ભીંજવતી. એવું લાગતું કે દુનિયામાં મારી મમ્મી જેવી બીજી કોઈ મા હશે જ નહીં.

માંડ બાર વર્ષનો હોઈશ અને નજર સામે એ ચાલી ગઈ. સાવ આમ અચાનક કોઈ કેવી રીતે ચાલી નીકળે?

‘ક્ષણ પહેલાંની જીવંત વ્યક્તિને નજર સામે નિશ્ચેષ્ટ સૂતેલી જોઈ છે ક્યારેય?

‘ડૉક્ટર બન્યો ત્યારે સમજાયું કે, ગુલઝાર સાહેબ કહે છે એમ ‘મોત એ કોઈ કવિતા નથી.’ કુંદનિકા કાપડિયા કહે છે એમ એક જીવતી વસ્તુ છે છતાં, એને સ્વર નથી, શબ્દ નથી, ગંધ નથી. મૃત્યુ એક અદીઠ છાયા છે, જ્યારે સ્પર્શે ત્યારે સમજાય છે કે એ સૌની આસપાસ જ હતી.

‘એ પછી પપ્પા, ત્યારબાદ ભૂમિ…

ભૂમિની તો કોઈ વાત તને કરી જ નથી. મનમાં કોઈ ખોટ નહોતી, પણ ભૂતકાળનાં ભીંગડાં ખોતરીને એ ઘા તાજો નહોતો કરવો.

‘ભૂમિ જેટલી ઝડપથી મારા જીવનમાં આવી એટલી જ ઝડપથી ચાલી ગઈ. એ થોડો સમય અમે ભરપૂર જીવ્યાં. હાથમાં હાથ લઈ સાથે જીવશું, સાથે મરીશું એવા ઘેલછાભર્યા વચનો આપ્યાં. ભૂમિએ વચન ન પાળ્યું. હાથ મારો છોડીને કોવિડનો સાથ….પૉલિથીન બેગમાં બંધ એનો દેહ…

‘એ પછી તો અમારા પર વિશ્વાસ અને જીવવાની જિજીવિષા લઈને આવતાં હોય એવા અનેક પેશન્ટને નજર સામે શ્વાસ છોડતાં જોયા છે.

‘સૂરીલી, તું મારી નજીક આવતી જાય છે એમ મારો ભય વધતો જાય છે. એકલતા સહી લઈશ, પણ હવે કોઈને ગુમાવાની પીડા સહન કરવાની તાકાત નથી.

‘માટે હું જ દૂર ચાલ્યો જાઉં છું. ટ્રાન્સફર લઈ લીધી છે. ક્યાં એ પૂછતી નહીં કે જાણવાની કોશિશ પણ ના કરતી અને રાહ તો ના જ જોતી. ક્યારેય પાછો નહીં આવું.’

સોહમ

********

સૂરીલીના જીવનમાં પ્રેમનો, પ્રતીક્ષાનો વાસંતી રંગ ચઢે એ પહેલાં પાનખરનો સૂકો રંગ વેરીને સોહમ ચાલ્યો ગયો.

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

April 12, 2024 at 8:12 am

પત્રાવળી-૪૦, રજનીકુમાર પંડ્યા, શ્રી રમેશ પારેખ-ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.

સાહિત્યરસિક પત્રમિત્રો,

સુડતાલીસ વર્ષ અગાઉ, લેખક શ્રી રજનીકુમાર પંડ્યા અને કવિ શ્રી રમેશ પારેખ વચ્ચે ‘શબ્દ’ વિશે થયેલી શબ્દ-ચર્ચાના બે રસપ્રદ પત્રો પૈકી એક તેની હસ્તલિખિત પ્રત સાથે….

પ્રસ્તાવનામાં શ્રી રજનીકુમાર પંડ્યા લખે છેઃ

શબ્દ બ્રહ્મ છે ? છે, -રજનીકુમાર પંડ્યા.

1971 ની સાલ. તેંત્રીસ વર્ષનો હું જામનગરમાં હતો ત્યારે અમરેલી વસતા અને આગળ જતાં ગુજરાતી ભાષાના યુગસર્જક કવિ બની રહેનારા રમેશચંદ્ર મોહનલાલ પારેખ હજુ ઘડતરની પ્રક્રીયામાંથી પસાર થઈ રહ્યા હતા. અમારી દોસ્તીને હજુ આઠ-નવ જ વર્ષ થયાં હતાં. એ જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા અને હું એક નાનકડી કૉ-ઑપરેટીવ બૅંકમાં મેનેજર ! પણ અમારી વચ્ચે ટપાલી સાહિત્યચર્ચા સતત ચાલતી રહેતી. એવા જ એક દૌરમાં મેં એમની ઉપરના મારા પત્રમાં શબ્દ વિષે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. એનો જવાબ તો 5-8-71 ના પોસ્ટકાર્ડરૂપે મારી પાસે સચવાયેલો પડ્યો છે. જે હવે પછીની કડીરૂપે રજુ થશે, પણ પહેલા મારો સવાલ, કે જે શબ્દ વિષે હતો તે જોઈ લઈએ.

મારો સવાલ આ પ્રમાણે હતો.

‘કોઈ પણ અભિવ્યક્તિનું આપણું ઓજાર શબ્દ છે. અર્થ એ પછીના ક્રમે આવે. પણ લખતી વખતે હું કાયમ એવું અનુભવું છું કે મારે જે કાંઈ કહેવું છે તેને માટે બોલાયેલો કે લખાયેલો શબ્દ હંમેશાં મને ઊણો પડે છે. એમ થાય છે કે હું મારા મનમાં છે તેને હું મૂર્ત કરી શકતો નથી. મનમાં છે, અનુભૂતિમાં છે અને જે કહેવા માટે મેં કલમ ઉપાડી છે તે બધું જ મારી સામે ભલે સ્થૂળ સ્વરુપે નહીં તો સ્થૂળ સંકેતરૂપે તો પ્રગટવું જ જોઈએ. જો હું ‘પાણી’ બોલું તો પાણી નજર સામે ભલે ઉત્પન્ન તો ન થાય પણ મને ભીનાશ અનુભવાવી જ જોઈએ. રણ લખું તો રણપણું મને ફીલ થવું જોઈએ.

મારા સાહિત્યગુરુ મોહમ્મદ માંકડ મને એક વાર એમ કહેતા હતા કે કોઈ પાશ્ચાત્ય લેખકે પોતાની લખાતી નવલકથામાં એક મેડિકલ ડૉક્ટર ડૉ વિલિયમ્સનું પાત્ર ઊભું કર્યું હતું. હશે, તે તેની નવલકથાની જરૂરત હશે પણ મૂળભૂત રીતે તો એ પાત્ર કાલ્પનિક જ હતું. પણ પછી એ નવલકથાના લેખન દરમિયાન એ લેખક બીમાર પડ્યા ત્યારે એને ખરેખરા ડૉક્ટરની આવશ્યકતા ઉભી થઈ. ત્યારે એનો પરિવાર કોઈ ખરેખરા ડૉક્ટરને બોલાવી લાવ્યો ત્યારે આ લેખકે એની સારવાર લેવાનો ઇન્કાર કરી દીધો. કહ્યું કે ના, ના, આ નહિં. મારા ડૉક્ટર તો ડૉ વિલિયમ્સ છે. એને બોલાવો.

પછી શું થયું એ જાણવાનું કોઈ જ મહત્વ નથી. મહત્વ એ વાત પ્રતિપાદિત કરવાનું છે કે લેખકે પોતાના શબ્દોથી એ કાગજી ડૉક્ટરને પણ પોતાના પૂરતો જીવંત બનાવી દીધો હતો.

મને હંમેશાં શબ્દો, ભાષા પાંગળા લાગે છે. એનાથી કશું નજર સામે મૂર્ત થવાની વાત તો દૂર રહી પણ મનમાં છે તેનું પૂરું communication પણ થતું નથી. શબ્દો તો બોલાયા કે લખાયા પછી ફેંકાઈ જાય છે. આપણા મનમાં રહી જાય છે ‘હજુ કશુંક મારી જીભે, મનમાં, મારી ચેતનામાં રહી ગયું છે તેની પીડા’.

ઘણીય વાર મારી ભાષા સામું પાત્ર સમજતું નથી એની પીડા પણ આપણા શબ્દોને સાવ વાંઝિયા બનાવી દે છે. સામું પાત્ર સમજતું નથી કારણ કે એની અને મારી ભાષા એક નથી.

એવે વખતે જગત આખામાં મનુષ્યો વચ્ચે પ્રત્યાયનની એક જ ભાષા હોવી જોઈએ એમ થાય છે. જોકે તોય શબ્દો મૂર્તિમંત થતા નથી એવી મારી પીડા તો ઊભી જ રહે છે.

પુરાણા ધાર્મિક ગ્રંથોમાં જે શબ્દ બોલે તે વસ્તુ-પદાર્થ નજર સામે પ્રગટ થાય તેવા સિદ્ધ મનુષ્યોની વાતો આવે છે, તે સાચી હશે ?

સાચી છે કે નહીં તે કહી શકતો નથી, પણ હોવું જોઈએ તેમ તો લાગે જ છે. શબ્દની એ શક્તિ સિદ્ધ તો કોઈ કાળે થશે જ થશે. શબ્દ બ્રહ્મ છે. ⓿

શબ્દ ચર્ચાની બીજી કડી : શ્રી રમેશ પારેખ રજનીકુમારને લખે છે :

‘આપણો સૌનો પ્રૉબ્લેમ છે કે શબ્દ સંકેત મટીને ક્રિયા બને. (આ વાત) આદર્શ તરીકે ગમે છે, પણ વ્યવહારમાં આપણે જાણીએ છીએ તે મુજબ એ (શબ્દ) સંકેત પણ બની શકતો નથી. એટલે જ તો Communication નો અભાવ સાલ્યા કરે છે. તું જગતમાં એક ભાષા હશે –ની રમ્ય કલ્પના કરે છે, ત્યારે મને મારી પર હસવું આવે છે. કે મારે –એટલે કે આપણે-જ એક ભાષા પામી શક્યા નથી- કે શકતા નથી તેનું શું ? ભાષાઓ, ઘોંઘાટભાષા અવાજ ચીસ કોલાહલ બધું જ ભેળસેળ, સેળભેળ થઈ જાય છે ને કોઈ એક ભાષાનું છડેચોક ખૂન થતું રહે છે. શક્યતા જ દૂધપીતી થઈ જતી હોય ત્યારે…. ‘ને બૉમ્બની જગાએ શબ્દો કામ કરશે ‘ની હવાઈ કલ્પના પર મને મારી જાત પર લાચાર હસવું ન સૂઝે તો શું સૂઝે ? કોણ જાણે કેમ, આપણા પ્રૉબ્લેમ કોઈ સમાંતર ક્ષણે આકાર લેતા હોય છે….”

લેખક સંપર્ક- રજનીકુમાર પંડ્યા.

ઇ મેલ-rajnikumarp@gmail.com

April 7, 2024 at 2:25 pm

‘ટીચર્સ ડે’ ગરવી ગુજરાત (લંડન)માં પ્રસિદ્ધ પૂનમ એહમદ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ.

રોજની જેમ જ નંદિનીએ ઘર પહોંચતાની સાથે પોતાનું પર્સ સોફા પર લગભગ ફેંકવાની જેમ મુક્યું.

“કેમ મમ્મી, ફરી આજે તારા ફેવરિટ સ્ટુડન્ટ સાથે પ્રોબ્લેમ થયો કે શું ?” નંદિનીની દીકરી સુરભીએ મસ્તીભરી નજરે મમ્મીની સામે જોઈને સવાલ કર્યો. એણે ધાર્યું હતું એમ જ નંદિનીએ આજે પણ નમન સામે ફરિયાદોનું પોટલું ખોલીને આખા દિવસની ચીઢ ઠલવવા માંડી.

સુરભી અને નંદિનીના પતિ સંદિપ માટે આ રોજની વાત હતી.

નંદિની છઠ્ઠા ધોરણની ક્લાસ ટીચર હતી. આમ તો સૌની સાથે એનો વ્યવહાર માયાળુ હતો, પણ કોને ખબર છેલ્લી બેંચ પર બેઠેલા ફૂવડ જેવા લાગતા નમનને જોઈને એના મનનો ક્રોધ અને ધૃણા મિશ્રિત ભાવ ચહેરા પર છલકાયા વગર રહેતા નહીં.

સાવ નિસ્તેજ લાગતો નમનનો ચહેરો, ઠેકાણાં વગરનાં કપડાં, જેમતેમ ઓળેલા વાળ, ગરબડિયા અક્ષરોમાં લખેલી એની નોટ્સ જોઈને એ એટલી તો અકળાતી કે ના પૂછો ને વાત.

‘સારી સ્કૂલમાં છોકરાંઓને કેવી રીતે મોકલાય એની માબાપને ખબર નહીં પડતી હોય? જે છોકરાંઓ કે માબાપમાં ઢંગધડો ના હોય એવા માટે સરકારી સ્કૂલ છે જ ને? ત્યાં ધકેલવાના બદલે અહીં અમારાં માથે શું કામ ઠોકતાં હશે?”

રોજની જેમ આજે પણ એ નમનને લઢી નાખવાની ઇચ્છા એ રોકી શકી નહીં.

“નમન…”

નંદિનીનો કરડો અવાજ સાંભળીને નમન બેંચ પરથી ઊભો થઈ ગયો.

“ગઈ કાલે ક્લાસમાં શું ભણાવ્યું હતું, યાદ છે?’

નંદિનીના સવાલનો જવાબ આપ્યા વગર નમન નીચા મોઢે ઊભો રહ્યો. ક્લાસમાં દબાયેલા હાસ્યનું મોજું ફરી વળ્યું. નંદિનીના રોષે માઝા મૂકી ને નમનને નજરથી દૂર કરવા ક્લાસની બહાર ઊભા રહેવાનો આદેશ આપ્યો.

ક્લાસ પૂરો થતાં વિદ્યાર્થીઓની નોટબુક લઈને સ્ટાફરૂમમાં આવી. નમનની નોટબુક જોઈને આજે પણ રોજની જેમ જ અકળાઈ.

‘હે ભગવાન, આ છોકરો જો આમ જ કરશે તો કેવી રીતે પાસ થશે? અને જો પાસ નહીં થાય તો આખું વર્ષ મારે ફરી એનું મોં જોવાનું થશે.’

અને ખરેખર એવું જ થયું. ત્રિમાસિક પરીક્ષામાં નમન બધા વિષયોમાં નપાસ હતો. પ્રિન્સિપાલ સારિકા મેડમે નંદિનીને બોલાવી. હજુ તો નમનનું નામ લે પહેલાં જ નંદિનીએ પોતાનો બળાપો ઠાલવવા માંડ્યો.

“મે’મ, આ છોકરાંનુ ભણવામાં જરાય ધ્યાન હોતું જ નથી. હું તો આ વર્ષે નવી આવી છું, પણ એ કેવી રીતે અહીં સુધી પહોંચ્યો હશે એની નવાઈ લાગે છે.”

સારિકા મે’મની પ્રકૃતિ શાંત, સૌમ્ય અને ધૈર્યવાળી હતી. એમણે નંદિનીને નમનની આગલા વર્ષની માર્કશીટ બતાવી. નંદિની આશ્ચર્યચકિત બનીને જોઈ રહી.

નમન અત્યંત મેઘાવી વિદ્યાર્થી હતો. સ્કૂલની અન્ય પ્રવૃત્તિમાં પણ હંમેશાં અવ્વલ રહેતો.

“નંદિની, તમે અહીં આવ્યાં એના થોડા સમય પહેલાં જ નમનની મમ્મીનું અવસાન થયું છે. નમનના પપ્પા હજુ પોતાની જાતને સંભાળી શક્યા નથી. ઘર-ગૃહસ્થી, નમનની દેખભાળ કરવાવાળું કોઈ નથી. જાતે તૈયાર થઈને સ્કૂલે આવી જાય છે. પાડોશીઓની મદદથી જેમ તેમ ઘરનું તંત્ર ચાલે છે. નમનની મમ્મી હતી ત્યાં સુધી એ ઉચ્ચ કક્ષામાં પાસ થયો છે.

“સ્કૂલે આવતાં બાળકોનાં માવતર બનીને એમને જીવનમાં આગળ વધવાની સાચી દિશા દર્શાવવાની જવાબદારી આપણી છે. આશા છે, મારી વાત તમે સમજી શક્યા હશો.” સારિકા મે’મના અવાજમાં ભારોભાર શાલિનતા હતી.

નંદિની સ્તબ્ધ.

સાંજે ઘેર પહોંચીને પણ નંદિની શાંત હતી. આખા દિવસની સ્કૂલની રોજનીશી સંભળાવાને બદલે એનો ગંભીર ચહેરો જોઈને ઘરમાં સૌને નવાઈ લાગી. જમવાના ટેબલ પર થોડી રમૂજ કરીને વાતાવરણ હળવું બનાવવા સુરભીએ પ્રયાસ કર્યો, પણ વ્યર્થ.

“શું વાત છે મમ્મી, આજે કેમ આમ મૌનીબાબાની જેમ બેઠી છું? આજે તારો ફેવરિટ સ્ટુડન્ટ નમન સ્કૂલે નહોતો આવ્યો કે શું?”

સુરભીની ટીખળ સાંભળીને સંદિપ હસી પડ્યો. નંદિની રડી પડી. વાતાવરણ હળવું થવાનાં બદલે વધુ ગંભીર બન્યું.

“નંદિની, તબિયત ઠીક નથી કે શું?” સંદિપ પત્નીનો હાથ પસવારતા બોલ્યો. નંદિનીની આંખમાંથી તો આંસુની ધાર. કેટલીય વારે એ માંડ બોલી.

“મારાથી નમન સાથે બહુ મોટો અન્યાય થઈ ગયો. વગર જાણે, વિચારે, સમજે મા વગરના નમનને કેટલી હદે હડધૂત કર્યો !? કેટલી નારાજગી, કેટલી સખતીથી એની સાથે વર્તી છું એ વિચારીને આજે મને મારી જાત પર શરમ આવે છે.”

નમનનો ચહેરો યાદ આવતા અપરાધબોજ સાથે સવારની પ્રતીક્ષામાં આખી રાત એ જાગતી રહી.

ક્લાસમાં પહોંચતાની સાથે નમનને બોલાવ્યો. નમનને આશ્ચર્ય થયું. ડરતો ડરતો એ નંદિનીની પાસે પહોંચ્યો. જેમ તેમ ઓળેલા ગુંચવાયેલા વાળમાં નંદિનીએ મમતાથી હાથ ફેરવ્યો.

“હોમવર્ક કર્યું છે, નમન?” નંદિનીના કોમળ અવાજે કરેલા સવાલનો નમન પાસે જવાબ નહોતો, એ જમીન પર નજર ખોડીને ઊભો રહ્યો. ક્લાસમાં દબાયેલા હાસ્યનું મોજું ફરી વળ્યું. આ વખતે નંદિનીએ ક્લાસના વિદ્યાર્થીઓ સામે કરડી નજરે જોયું. ક્લાસમાં સોપો પડી ગયો.

“નમન, તું અહીં મારી પાસે જ બેસ.”

એ દિવસથી નંદિનીનો નમન તરફનો વર્તાવ બદલાઈ ગયો. ક્લાસમાં નમનને સૌથી સહેલા સવાલો પૂછતી. બે દિવસ, ચાર દિવસ, નમન ચૂપ જ હતો. નંદિનીએ જરાય અકળાયા વગર એ સિલસિલો ચાલુ રાખ્યો અને અંતે પાંચમા દિવસે નમનની ચુપકિદી તૂટી.

એનો જવાબ સાંભળીને નંદિની જેમ સૌએ નમનને તાળીઓથી વધાવી લીધો.

ધીરેધીરે નમનમાં સુખદ પરિવર્તન દેખાવા માંડ્યું. થોડો સાફસૂથરો બનીને સ્કૂલે આવતો, હોમવર્ક પણ કરવા માંડ્યો. સૌની સાથે ભળવા માંડ્યો. નંદિનીની સામે પહેલી બેંચ પર બેસતો થયો. પ્રશ્નોના ઉત્તર આપવામાં એણે પહેલ કરવા માંડી. ક્લાસમાં સૌ તાલીઓથી એને વધાવતા. નંદિનીના ચહેરા પર ખુશી જોઈને એનો ઉત્સાહ વધતો.

આજ સુધી નમન સાથે તોછડા વ્યવહારના લીધે મનમાં ઉદ્ભવેલા અપરાધભાવમાંથી નંદિની જરાતરા બહાર આવવા માંડી. નમન માટે એ ઘેરથી નાસ્તો લઈ આવતી. બંને વચ્ચે નવો-અનોખો સંબંધ બંધાતો ગયો.

સ્કૂલમાં અન્ય વિષયના શિક્ષકોને પણ નંદિની આગ્રહપૂર્વક નમન માટે ધ્યાન રાખવાનું કહેતી. નમનમાં કલ્પનાતીત બદલાવ આવતો ગયો. છ માસિક પરીક્ષામાં તો સૌના આશ્ચર્ય વચ્ચે નમન ખૂબ સરસ પરિણામ લઈ આવ્યો. સારિકા મે’મે નંદિનીને બોલાવી.

“નંદિની, તમારી પાસે મને આ જ અપેક્ષા હતી. એક માસૂમ બાળકનો વર્તમાન સુધારીને એનું ભાવિ ઉજ્જ્વળ બને એવા જે પ્રયાસ કર્યા એ માટે આભાર કે અભિનંદન જેવા શબ્દો ઓછા પડે.”

નંદિની રાજી રાજી. એક કુમળું ફૂલ એની જરા અમસ્તી મમતાભરી કાળજીથી કરમાતું બચી ગયું.

નંદિનીને સારિકા મે’મ પ્રત્યે અનહદ માન થયું. પોતાનું માનસ બદલવાનું શ્રેય તો સારિકા મે’મનું જ ને?

વર્ષાંતે ટીચર્સ ડે આવ્યો. પ્રાર્થના, ગીતો, નૃત્ય, નૃત્યનાટિકાનાં અંતે શિક્ષકોનાં સન્માનનો કાર્યક્રમ હતો. સૌ પોતાના શિક્ષક માટે નોખી નોખી ભેટ લઈ આવ્યા.

નંદિનીના ટેબલ પર ભેટનો ખડકલો હતો. સૌથી છેલ્લે છાપામાં પેક કરેલી ભેટ લઈને નંદિની સામે નમન ઊભો હતો.

“ઘરમાં પડેલી કોઈ જૂની નકામી ચીજ લઈ આવ્યો લાગે છે.” છોકરાંઓમાં કાનાફૂસી ચાલી.

નંદિનીએ સૌથી પહેલી નમનની ભેટ ખોલી. છાપામાંથી એક સાડી સરી પડી.

“આ મારી મમ્મીની સાડી છે. તમારી પાસે આવું ત્યારે મમ્મી જેવી સુગંધ આવે છે. ” નમન અત્યંત સંકોચભર્યા અવાજે બોલીને નંદિનીને પગે લાગ્યો.

નંદિનીના હૃદયમાં તો લાગણીઓનું ઘોડાપૂર.. મમતામાં પણ એક સુગંધ હશે જે આવડાં નાનાં બાળકે અનુભવી !?

કોઈનીય પરવા કર્યા વગર નંદિનીએ નમનને પોતાનાં હૈયાસરસો ખેંચી લીધો.

ટીચર્સ ડે પર ગુરુ- શિષ્યના સ્નેહનું જીવંત ઉદાહરણ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી.

ભાવાનુવાદ: રાજુલ કૌશિક

April 5, 2024 at 2:16 pm

‘પાદુકા પૂજન’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘પાદુકા-પૂજન’

ત્રેતાયુગમાં ચૌદ વર્ષ સુધી શ્રીરામની ચરણપાદુકાનું સ્થાપન કરીને ભરતે રાજ્યધુરા સંભાળી તે પછી આજના યુગમાં વિધાનબાબુની પાદુકાભક્તિ ચર્ચાનો વિષય બની છે.

વર્ષો પહેલાં કોઈનાય ઘરમાં ભગવાન સિવાય ભાગ્યે અન્ય તસવીર મૂકવામાં આવતી એટલે વિધાનબાબુના ઘરમાં એકે વડીલની તસવીર ન હોય એ સ્વાભાવિક વાત હતી. એવા ઘરમાં કાકાનાં પગરખાંનું પૂજન થાય એ સૌ માટે અચરજની વાત હતી.

વિધાનબાબુએ એમના શયનખંડમાં એક બેઠક પર લાલ રેશમી વસ્ત્ર પર કાકાનાં પગરખાંની સ્થાપના કરી હતી. દર વર્ષે ચંદન અને ધૂપથી એનું પૂજન કરતા.

ગરમીમાં પાકી સડક પર ખુલ્લા પગે ચાલવામાં કેવી તકલીફ પડે એટલે જે કોઈ એમની પાસે સહાય માંગવા જાય એને વિધાનબાબુ બીજું કશું આપે કે ના આપે એક જોડ ચંપલ લેવાના પૈસા જરૂર આપતા.

વિધાનબાબુનો આશય સારો અને સાચો હતો.

કેટલાય લાચાર ગરીબ, ભિખારી કે સહાય માંગવાવાળા, જરૂરિયાતમંદ સગાંસંબંધીઓને નવી ચંપલો ખરીદીને આપે ત્યારે કહેતા, “નાનપણથી કાકાએ શીખવાડ્યું છે કે, અન્નદાન કે વસ્ત્રદાન જ પુણ્યનું કામ નથી. ગરમીમાં, ઠંડીમાં ચંપલોનું દાન પણ ભારે મહત્વનું.”

વાત જાણે એમ હતી કે, વિધાનબાબુના કાકા એમના પિતાજીની જેમ ખાસ બુદ્ધિમાન નહોતા. એ જે કામ હાથમાં લે એ કામ ક્યારેય સફળ થતું નહીં. ક્રમશઃ કાકા નિષ્ફળ, નકામા સાબિત થવા માંડ્યા. અંતે સંયુક્ત પરિવારની ખેતીવાડી સંભાળવાનું કામ કાકાના ફાળે આવ્યું.

બહારના કામમાં કાકાની નિષ્ફળતા છતાં ઘરનું કામ એ કેવી સરળતાથી કરતા એ નાનકડા વિધાને જોયું હતું.

કાકી ઘરનું બધું કામ સંભાળતાં. આખો દિવસ ચાલતું રસોડું સમેટતાં રાત પડતી. એ પછી દાદીના પગ દબાવવાનાં. આખો દિવસ કામને લીધે કાકીની કમર જકડાતી ત્યારે વિધાને કાકાને કાકીના પગ દબાવતા, ઘૂંટણ પર મલમ લગાવતા જોયા હતા. વિધાન સમજતો કે, કાકાએ જો કાકીની તબિયતનુ ધ્યાન ન રાખ્યું હોત તો આ સંયુક્ત પરિવાર ક્યારનો વીખરાઈ ગયો હોત.

આખા દિવસના થાકેલાં કાકી સવારે વહેલાં ન ઊઠી શકે તો સવારે ઊઠીને કાકા ચાનું તપેલું ચઢાવતા, ઘરના નોકર-ચાકરથી માંડીને સૌને ચા આપી છોકરાંઓને નાસ્તો બનાવી આપતા.

બપોરે ખેતીવાડી, નારિયેળી સંભાળતા. ઘી-દૂધ, માખણ સૌ ખાતાં પણ ગૌશાળાનું ધ્યાન તો કાકા જ રાખતા. એ ઉપરાંત મહેમાનોની આગતાસ્વાગતા જેવા કેટલાય કામ કાકાના માથે. પણ, એ કામમાં પૈસા ક્યાં મળે એટલે કાકા ન-કામા ગણાતા.

કાકા સાવ નકામા કહેવાતા છતાં વાર-તહેવારે, લગ્નપ્રસંગે દિવસ-રાત જોયા વગર વિવિધ મિષ્ટાન્ન બનાવવામાં એમનો કોઈ જોટો નહોતો.

સહેજ નવરા પડે કે ચબૂતરા પર કબૂતરો ટોળે વળે એમ કાકાની આસપાસ છોકરાંઓ ટોળે વળતાં. સાંજ પડે છોકરાંઓને વાર્તા કહેતા. કાકાને છોકરાંઓ બહુ વહાલાં. એમાં સૌથી વહાલો વિધાન. વિધાન નાનપણથી જ શાંત અને ભણવામાં હોંશિયાર.

જ્યારે વિધાનને શિષ્યવૃત્તિ માટે પાંચ માઇલ દૂરની સ્કૂલમાં જવાનું થયું ત્યારે ઘરમાં સમસ્યા સર્જાઈ, વિધાન જાય કેવી રીતે? એ સમયે ગાડીઓ નહોતી. ઘરનું એક માત્ર સાધન સાઇકલ જે પિતાજી વાપરતા. પણ, કચેરીનું કામ છોડીને એ આવી ન શકે. બાકી રહ્યા કાકા. કરવું શું?

“વિધાનને ખભે બેસાડીને હું લઈ જઈશ.” ન-કામના કાકાએ રસ્તો કાઢ્યો.

શિષ્યવૃત્તિની પરીક્ષા પૂરતા જ નહીં, શિષ્યવૃત્તિના વર્ગો ભરવા આખા મહિના સુધી કાકા વિધાનને ખભે બેસાડીને હરિપુર લઈ જતા. કાકા પાસે ચંપલો નહોતી. ગરમીના દિવસોમાં ખુલ્લા પગે ચાલવામાં કેવુંય કષ્ટ પડ્યું હશે? પગમાં છાલાં પડ્યાં હશે !? ખેતીવાડીમાં કામ કરતા લોકો ભાગ્યેજ ચંપલો પહેરતા. વળી કાકા ક્યાં કારોબાર સંભાળતા કામના માણસ હતા? ગામના પાંચ લોકો વચ્ચે એમની ઊઠકબેઠકેય નહોતી. ભલા એમને વળી ચંપલની શી જરૂર, એટલે કાકા માટે ચંપલ લેવાનો વિચાર સુદ્ધાં કોઈને ન આવ્યો.

વિધાન ભણે ત્યાં સુધી કાકા સ્કૂલ પાસેના ઓટલા પર બેસતા. વિધાન આવે એટલે એને નાસ્તો કરાવી, ચા પીને વિધાનને ખભે બેસાડીને પાછા ઘર તરફ કાકાની દડમજલ શરૂ થતી.

“કાકા, મને ખભે બેસાડીને ચાલવામાં તમારા પગની શી દશા થઈ છે?” વિધાનનો અવાજ રૂંધાતો. પણ, ખુલ્લા પગે દસ માઇલ ચાલવા કરતાં કાકાને વિધાનની ભણવાની જવાબદારી ઘણી વધુ લાગતી.

“મને શું તકલીફ, ભલા? મારે તો આમતેમ આંટાફેરા જ. તારી જેમ ભણવામાં કે ભાઈની જેમ કચેરીના કામમાં ક્યાં મગજ ચલાવવાનું છે?

“એકવાર તું પરીક્ષા પાસ કરીને હાઇસ્કૂલમાં ભણવા જઈશ, મોટો ઑફિસર બનીશ, અમારા વંશનું નામ ઉજાળીશ, એ કંઈ નાની વાત છે ! તું કમાય ત્યારે મારા માટે ચંપલ ખરીદી લાવજે.”

“કાકા, ચંપલ તો લઈ આવીશ, પણ તમે પહેરશો ખરા?”

“હા રે, કેમ નહીં? નકામા માણસો જાતે ચંપલ ન ખરીદે પણ કોઈએ આપેલા તો પહેરી શકે ને?” કાકા સરળતાથી બોલ્યા.

વિધાનને શિષ્યવૃત્તિ મળી ત્યારે ગામભરમાં સમાચાર ફેલાઈ ગયા.

“સાંભળ્યું છે કે તમારા ભત્રીજાને શિષ્યવૃત્તિ મળી?” કોઈએ પિતાજીને સવાલ કર્યો એની સાથે ગાલ પર સણસણતો તમાચો પડ્યો.

“વિધાન મારો ભત્રીજો નહીં દીકરો છે એ જાણતો નથી ? ખભે બેસાડીને લઈ જવાની મને ફુરસદ નથી તો શું એ મારો દીકરો મટી ગયો? જા, હવે આખા ગામમાં જઈને કહી આવ કે, મારા ભત્રીજાને નહીં મારા દીકરાને શિષ્યવૃત્તિ મળી છે.”

કદાચ પહેલીવાર પિતાજીને વિધાન એમનો દીકરો છે એ વાતનો ગર્વ થયો કે જાણ થઈ?

પિતાજીની વાત સાંભળીને કાકા હસ્યા હતા. એમને યાદ હતું કે, વિધાનનો જન્મ થયો ત્યારે માની બચવાની શક્યતા નહોતી. વિધાનના પિતાએ કાકીને બોલાવીને વિધાન સોંપ્યો હતો. આજથી આ દીકરો તારો, પછી સૌનો. નસીબજોગે મા બચી ગઈ, પણ વિધાન કાકા-કાકી પાસે જ ઉછર્યો.. આજે વિધાનને શિષ્યવૃત્તિ મળી ત્યારે પિતાજીને યાદ આવ્યું કે વિધાન એમનો દીકરો છે?

એ પછી તેર-ચૌદ વર્ષની ઉંમરથી વિધાને પોતાની નિષ્ઠા અને બુદ્ધિથી સફળતા મેળવી, ઊંચા હોદ્દા પર કામ કર્યું એ જોવા પિતાજી ન રહ્યા.

વિધાનબાબુને નોકરી મળી તે પછીય કાકા ગામથી ઘી-ગોળ, ચોખા, નારિયેળ લઈને આવતા.

વિધાનબાબુ આવે ત્યારે કાકા-કાકી માટે મેવા-મીઠાઈની સાથે કાકાની શ્વાસની તકલીફ માટે દવાઓ લાવતા. કાકા ભારે ખુશ. વિધાન માટે આશીર્વાદનો ખજાનો ખોલી દેતા.

વિધાનબાબુની વધતી ઉંમર સાથે કાકા સાવ ખખડી ગયા. હવે શહેર જવું મુશ્કેલ હતું. બદલાતી નોકરીના લીધે વિધાનબાબુને આજે કટક તો કાલે કોરાપુટ રહેવાનું થતું. કાકા-કાકીનું સ્વાસ્થ્ય હવે એક શહેરથી બીજા શહેર ફરવાની ઝાક ઝીલે એવું નહોતું. શ્વાસની બીમારી વધતી ચાલી એમ કાકાનું હરવાફરવાનું ઓછું થતું ગયું. ઈશ્વરના દરબારનું તેડું નજીક દેખાતું હતું. વિધાનબાબુ ઊભાઊભ કાકાને ભાવતાં રસગુલ્લા લઈને મળવા દોડ્યા.

કાકાને મળવા ભત્રીજો આવ્યો છે એ સાંભળીને આસપાસના સૌ એકઠા થયા.

“એ ભત્રીજો નહીં, દીકરો છે મારો.” કાકાના અવાજમાં જોશ આવી ગયું.

“હા ભાઈ હા. દીકરો… કોઈ ઇચ્છા છે બાકી? કમાઉ દીકરો આવ્યો છે, તમારી સઘળી ઇચ્છાઓ પૂરી થશે.”

“એક જોડી ચંપલ પહેરવાની ઇચ્છા ઘણાં સમયથી હતી. મોટાભાઈ જેવો તો હું ના બની શક્યો, પણ ચંપલ પહેરીને એકવાર એમની જેમ ચાલવું’તું. વિધાન નાનો હતો ત્યારે કહેતો કે એ લાવી આપશે. કદાચ ભૂલી ગયો લાગે છે નહીંતર એક જોડ ચંપલ તો એ ખરીદીને લાવ્યો જ હોત. હવે તો પગમાં સોજા વધી ગયા છે. કદાચ વૈદ્યની દવાથી સોજા ઓછા થાય ને પહેરી શકું તો નસીબ.”

કાકાની વાત સાંભળીને દિલમાં શારડી ફરી ગઈ હોય એમ વિધાન સ્તબ્ધ.

’ભુલાઈ ગયું કે સૌની જેમ કે પોતે માની લીધું કે, નકામા માણસોને ચંપલની શી જરૂર?’

આજે પણ કાકાના મનમાં ચંપલ પહેરવાની ઇચ્છા એટલી જ બળવત્તર હતી. કાકા માટે ઘણું લાવ્યો હતો, પણ ચંપલ લેવાયા નહોતા એ હકિકત હતી.

વિધાનબાબુ ચંપલ લઈ આવ્યા. ઈશ્વર કરે ને કાકાના પગના સોજા ઓછા થાય. કમ સે કમ એકવાર ચંપલ પહેરી શકે તો ગનીમત.

સોજા ઓછા થાય એની રાહમાં કાકાએ ચંપલ પગને સ્પર્શે એટલી અડોઅડ મુકાવી.

“મારો વિધાન લાવ્યો છે. પ્રભુ મને એ પહેરીને ચાલવાની તાકાત આપશે.” અંતિમ ક્ષણો સુધી એ બોલતા રહ્યા અને જીવ ચાલ્યો ગયો.

વિધાનની ચંપલમાં એટલી તાકાત નહોતી કે કાકાની પરમધામ તરફ જતી યાત્રા પાછી વાળી શકે. કાકાની અંતિમક્રિયા પછી ફક્ત એકવાર કાકાના ચરણસ્પર્શ પામેલા એ પગરખાં માથું નમાવી વિધાનબાબુ લઈ આવ્યા.

ચૌદ વર્ષના વનવાસ પછી પોતે પાછા ફરશે એવો શ્રીરામે ભરતને વાયદો આપ્યો હતો. કાકાએ વિધાનને એવો કોઈ વાયદો આપ્યો નહોતો, પણ ઉનાળાની બળબળતી બપોરે ધરા ધગધગતી હોય ત્યારે કાકાએ પહેરેલાં પગરખાંનો ખટખટ અવાજ વિધાનના હૃદયને વીંધતો રહે છે.

પ્રતિભા રાય લિખિત, રાજેન્દ્ર પ્રસાદ મિશ્ર અનુવાદિત વાર્તા ‘પાદુકા પૂજન’ પર આધારિત ભાવાનુવાદ ‘પાદુકા-પૂજન’

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

March 28, 2024 at 1:17 pm

‘જાગ્યાં ત્યારથી સવાર.’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘જાગ્યાં ત્યારથી સવાર’

જીવનસંધ્યાએ ઊભેલી કલ્પના આજે પાર્કના એ બાંકડા પર બેઠી હતી જ્યાં પાંત્રીસ વર્ષ પહેલાં એણે અને સુરેશે ભાવિ જીવનનાં સપનાં જોયાં હતાં.

એકદમ સ્વસ્થ એવો સુરેશ માત્ર બે દિવસની બીમારીમાં ચાલ્યો ગયો.

સુરેશ અને કલ્પનાનું દાંપત્યજીવન પ્રસન્ન હતું. સુરેશની સ્ટેટ બેંકની અને કલ્પના સરકારી ઑફિસની જોબ સાથે અશ્વિન અને અદિતિને મોટાં કરવાં, લગ્ન સુધીની જવાબદારી નિભાવવી કશું જ સહેલું નહોતું છતાં સ્નેહપૂર્વક પાર પાડ્યું હતું.

પહેલાં અશ્વિનને પરણીને શ્વેતા આવી ત્યારથી અદિતિ અને શ્વેતાને લાંબો સમય સાથે રહેવાની તક મળી. બંનેને એકબીજા સાથે ખૂબ ફાવતું. દિવસભરની નોકરી પરથી પાછાં આવીને બંને સાંજનું રસોડું સંભાળે ત્યારે ઘરનાં વાસણોનાં ખખડાટ સાથે બંનેનાં મુક્ત હાસ્યનો રણકાર ઘરને જીવંત બનાવતો. કલ્પના ખુશ હતી. સુરેશના ગયા પછી હવે આ ઘર હસતું થયું.

એ પછી અદિતિના લગ્ન થયા. શ્વેતા જેવી પુત્રવધૂ અને સતીશ જેવા જમાઈથી કલ્પનાનો પરિવાર પૂર્ણ હતો.

સૌનો સમય સુખેસુખે જતો હોય એવું ક્યાં હંમેશાં બને છે?

એક સાંજે અદિતિ પાછી આવી. સતીશને શરાબની લત લાગી હતી. સતત અદિતિ પાસે પૈસાની માગણી કરતો અને ન મળે તો મારપીટ.

વાત સાંભળીને સૌ સ્તબ્ધ. અશ્વિન-શ્વેતાએ સતીશને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ વ્યર્થ. સતીશ અદિતિના નામે ફ્લેટ કરીને ચાલ્યો ગયો.

અદિતિ હંમેશ માટે પાછી આવી ગઈ. કલ્પના એને હૂંફ અને અશ્વિન હિંમત આપતો. આશ્ચર્ય એ વાતનું થયું કે આજ સુધી અદિતિ સાથે હસતીરમતી શ્વેતા સાવ શાંત થઈ ગઈ.

એક સાંજે શ્વેતા ઘેર પાછી ન ફરી. શ્વેતાની ઑફિસ એની મમ્મીના ઘરની સાવ નજીક હતી. ક્યારેક એ મમ્મી પાસે જતી, પણ આમ કહ્યાં વગર તો ક્યારેય નહીં. રાહ જોઈને અશ્વિને ફોન કર્યો.

“મમ્મીના પાસે છું?”

“હા.”

“રાત્રે પાછી આવીશ કે કાલે? તારા વગર કોઈને ગમતું નથી, હોં.”

“ભૂલી જજે એ બધી વાતો.”

“અરે, અહીં અદિતિને લીધે સૌ ચિંતિત છે અને તું આમ…..”

“હવે મારાથી એ બધું નહીં સચવાય. એ ઘરમાં મને ગોઠતું નથી.”

“ત્રણ બેડરૂમ, મા જેવી સાસુ, બહેન જેવી નણંદ અને ઘરમાં ગોઠતું નથી?” અશ્વિન વાત પૂરી કરે એ પહેલાં ફોન મુકાઈ ગયો હતો.

આઠ દિવસે પોતાનો સામન લેવા પાછી આવી. અશ્વિન ગુસ્સામાં હતો.

કલ્પનાએ શ્વેતાને બોલાવી. શું થયું હશે? શ્વેતા કંઈ બોલે તો ખબર પડે ને?

પોતે તો શ્વેતા ને અદિતિમાં કોઈ ભેદ નહોતો રાખ્યો. અદિતિ અને શ્વેતાનો વ્યવહાર સખી જેવો હતો.

તો પછી અશ્વિન સાથે? આશંકા અને ઉચાટથી મન ફફડી ગયું.

“શ્વેતા…?

“એમ.બી.એ. કરવું છે. મમ્મીના ઘરથી યુનિવર્સિટી સાવ પાસે છે. ત્યાં મને વધુ અનુકૂળતા રહેશે.”

“બેટા, આપણા ઘરથી માત્ર વીસ મિનિટ વધુ થશે. ત્યાં મમ્મીની સર્જરીને માંડ બે મહિના થયા છે. એમનો ભાર વધારવાની શી જરૂર? જાણે છે ને,પપ્પા હોત તો તું ભણવાનું વિચારે છે એ જાણીને કેટલા ખુશ થાત?

કલ્પના બોલતી રહી ને શ્વેતા સામાન લઈને ચાલી ગઈ.

કલ્પનાના કાલાવાલા, અશ્વિનનો આગ્રહ, અદિતિની આજીજી સઘળું વ્યર્થ ગયું.

શ્વેતા શું ગઈ, ઘરની રોનક ચાલી ગઈ. અદિતિના લગ્નવિચ્છેદને લઈને કલ્પનાના મનમાં ખેદ હતો. હવે અશ્વિનને ઘરમાં એકલો જોઈને એનો જીવ બળતો. અશ્વિન અને અદિતિની એકલતા એને કોરી ખાતી.

*******

શ્વેતા ભણવામાં હોંશિયાર તો હતી જ, પણ એમ.એ. કર્યા પછી નોકરીની આવશ્યકતા, લગ્ન, સમજી વિચારીને આગળ ભણવાનો વિચાર માંડી વાળ્યો હતો.

આગળ ભણવાની ઇચ્છા ત્રણ વર્ષે પૂરી થતી હતી. વધુ સારી નોકરી મેળવવાની શક્યતાઓથી એનું જોશ બેવડાયું. ભારે ઉત્સાહથી ભણવા માંડી

બે મહિના ક્યાંય પસાર થઈ ગયા.

શ્વેતાની બહેન વૃષાલી એના ત્રણ વર્ષના દીકરા કુણાલ સાથે અઠવાડિયા માટે મમ્મી સાથે રહેવા આવી. મમ્મીની સર્જરી પછી સાંસારિક જવાદારીઓના લીધે નીકળી શકી નહોતી. શ્વેતાનેય કેટલા વખતે મળાયું હતું !

વૃષાલી પતિની, દીકરાની, ઘરની, સાસુમાની વાતો કરતા થાકતી નહોતી. શ્વેતા શાંત હતી.

વૃષાલીના મનનો આનંદ ચહેરા પર છલકતો. વૈવાહિક જીવનનાં, માતૃત્વનાં પરમ સુખ અને સંતોષથી એ છલછલ હતી.

અઠવાડિયું તો ક્યાંય પસાર થઈ ગયું. વૃષાલીના જવાનો દિવસ આવ્યો. શ્વેતાએ એને વધુ રોકાવાનો આગ્રહ કર્યો.

“ના બાબા ના…જોતી નથી, પ્રશાંતના રોજે કેટલા ફોન આવે છે !? સાચું કહું શ્વેતા, મારા વગર પ્રશાંતનું અને પ્રશાંત વગર મારું જીવન જ અધૂરું. મારા મમ્મીજી તો વળી હું નહીં હોઉં તો પોતાના ખાવાપીવાનુંય પૂરું ધ્યાન નહીં રાખતાં હોય એ વાત ચોક્કસ.”

એ દિવસે કૉલેજમાં શ્વેતાનું ચિત્ત ભણવામાં ન લાગ્યું. પુસ્તકનાં પાનાંઓમાં એને વૃષાલી, પ્રશાંત, એનાં સાસુમાના ચહેરા દેખાતા. થોડી થોડી વારે આવીને વૃષાલીને વળગી પડતો કુણાલ દેખાતો હતો.

કૉલેજ પૂરી થાય એ પહેલાં જ એ નીકળી ગઈ.

ઘેર આવીને અશ્વિનને ફોન કર્યો.

“અશ્વિન, હું ઘેર આવું છું.”

મમ્મીને પગે લાગીને નીકળી ત્યારે શાલિની ઓવારણાં લેતાં બોલી. “દીકરી, તને કેટલી વાર સમજાવી, પણ ….જવા દે એ વાત. જાગ્યાં ત્યારથી સવાર. જા, સૌને સુખ આપીને સુખી થજે.”

ઘરમાં એકલા અશ્વિનને જોઈને શ્વેતાને આશ્ચર્ય થયું.

અદિતિ એનાં ફ્લેટમાં રહેવા ચાલી ગઈ છે ને મા એની સાથે રહે છે, એ જાણીને આઘાત લાગ્યો.

“અશ્વિન, હમણાં જ જઈને બંનેને લઈ આવીએ.”

કલ્પના એ જ બાંકડા પર બેઠી હતી. એકલી, થાકેલી, હારેલી..

“મા….”

“શ્વેતા..તું ? ક્યારે આવી?

“મા, ચાલો આપણાં ઘેર. અદિતિને પણ લઈ આવું છું. સૌ પહેલાંની જેમ સાથે રહીશું.” શ્વેતા કલ્પનાને વળગી પડી.

“જઈશું તો ખરાં, પણ તારું ભણવાનું ચાલુ રાખવાની શરતે; નહીંતર નહીં.”

“હા મા, પણ ઊભાં તો થાવ. પહેલાં અદિતિને તો લઈ આવીએ.”

કલ્પનાના મનમાં આનંદની લહેર ઊઠી. શ્વેતા અને અશ્વિનના હાથ થામીને ઘર તરફ ચાલી.

રત્નપ્રભા શહાણે લિખિત,

લતા સુમંત અનુવાદિત વાર્તા -‘સૂઝ’પર આધારિત ભાવાનુવાદ.

March 23, 2024 at 8:51 am

‘ રૂખસત’-રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા

‘ રૂખસત’

“અનુ, એકમેકને ઘણું ઓળખી લીધાં. ચાલને હવે પરણી જઈએ.” અમોલે અત્યંત સ્નેહથી પ્રસ્તાવ મૂક્યો.

અવનિ અને અમોલ છેલ્લા ચાર વર્ષથી એક કંપનીમાં કામ કરતાં હતાં. અનુની પ્રકૃતિ શાંત હતી. એકએક શબ્દ તોળીને બોલતી. અમોલ એકદમ બોલકો અને તરવરિયો. ઘડીકમાં અજાણ્યાને પણ મિત્ર બનાવી દે એવો. અતડી રહેતી અનુ સાથે મિત્રતા કેળવતા એને સમય તો લાગ્યો, પણ મિત્રતા કેળવ્યા પછી એણે અનુને જેટલી ઓળખી એટલી તો અનુ પણ પોતાની જાતને ઓળખી શકી નહોતી.

“અનુ, હજુ તું સમયના એક એવા ખંડમાં જીવે છે જે ક્યારેય તારો હતો જ નહીં. ભૂતકાળમાંથી બહાર આવ. કોઈ તને ન ઓળખી શક્યું એ તારો નહીં તને ન ઓળખી શકનાર કમભાગીનો દોષ હતો. કેટલાક પહેલ પાડ્યા વગરના હીરા જેવા હોય, પણ એનું નૂર પારખવાની જે સમજ ઝવેરીમાં હોય એ પરખ સંદિપમાં હતી જ નહીં.”

અમોલની વાત સાચી હતી.

ઘરની બાજુના બંગલામાં હમણાં રહેવા આવેલા પરિવારનો પાંચ વર્ષનો સંદિપ નામનો છોકરો અને અનુ નામની છોકરી દોસ્ત બની ગયાં. હવે સંદિપ અને અનુની સવાર સાથે શરૂ થતી અને સાંજ પણ સાથે જ ઢળતી.

રોજેરોજની દોસ્તી ક્યારેક દંગલમાં ફેરવાઈ જતી, છતાં બંનેને એકબીજા વગર ચાલતું નહોતું. સ્કૂલબસમાં બારી પાસેની સીટ પર બેસવાથી માંડીને કોનું હોમવર્ક પહેલાં પૂરું થયું એ વાદ-વિવાદ પછીનાં રિસામણાં-મનામણાંથી શરૂ થયેલી દોસ્તી સ્કૂલ કૉલેજના છેલ્લા વર્ષ સુધી અકબંધ રહી.

સંદિપની મમ્મીને અનુ પસંદ હતી. ભણવામાં સંદિપ કરતાં તેજ એવી અનુમાં ઘરને શોભાવે એવી સાદગી હતી. ફેશનને અનુરૂપ કપડાં પહેરવાનું કે ટાપટીપ કરવાનું એને ગમતું નહીં. ભણવામાં બેપરવાહ સંદિપનો રીતસર કાન આમળીને ભણવા બેસાડતી અનુને જોઈને રેણુબહેનને લાગતું કે અનુ ઘરની સાથે સંદિપને પણ સાચવી લેશે. સૌ કોઈની જેમ રેણુબહેનને પણ એમ જ હતું કે, બંને જણ એકબીજાને પસંદ કરે છે. ક્યારેક ધીંગામસ્તી કરવા જતા સંદિપને એ રોકી લેતા.

“છોડ છોકરીને, ક્યાંક કથોલું વાગી જશે તો ગમશે તને?”

આ ગમવાની વાતને સંદિપ અને રેણુબહેન કયા અર્થમાં લે છે એ અનુને સમજાતું નહીં, પણ રેણુબહેનની લાગણી જરૂર સમજાતી અને ગમતીય ખરી.

“અરે, જા રે….તારા જેવું કોણ થાય ?” કહીને સંદિપ એનો હાથ છોડી દેતો. અનુ ઇચ્છતી કે સંદિપ ક્યારેય એનો હાથ ન છોડે. આમળવા પકડેલો હાથ જીવનભરનો સાથ બની રહે.

અનુને માસ્ટર્સ કરવું હતું. સંદિપ પણ માસ્ટર્સ પ્રોગ્રામમાં જોડાય એવી એની ઇચ્છા હતી. યુનિવર્સિટીના કેટલાક પ્રોગ્રામ ચકાસી, એની પ્રિન્ટઆઉટ લઈને એ સંદિપના ઘેર પહોંચી.

“સંદિપ, અનુ સરસ છોકરી છે. તને તો ગમે જ છે, મને અને પપ્પાને પણ બહુ ગમે છે. તમારી દોસ્તી હંમેશનું સગપણ બની જાય તો ….” સંદિપના મમ્મી વાત પૂરી કરે એ પહેલાં સંદિપ તાડૂક્યો.

“મમ્મી, આ શું માંડ્યું છે તે? અનુ સરસ છોકરી છે. મારી સારી દોસ્ત ખરી, પણ એ મારી પસંદ તો નથી જ. મારી સાથે શોભે એવી ‘ગુડ લૂકિંગ’, ચાર્મિંગ છોકરી શોધ નહીંતર હું મારી મેળે શોધી લઈશ.” કહીને પગ પછાડતો સંદિપ ઉપર ચાલ્યો ગયો અને ઉત્સાહભેર સંદિપને મળવા આવેલી અનુના પગ બારણાની બહાર જ થીજી ગયા.

સંદિપની ત્રાડથી કાન જ નહીં મનમાં બહેરાશ છવાઈ ગઈ.

સંદિપ દિલથી નહીં દિમાગથી વિચારતો હતો. બાળપણની દોસ્તી અલગ વાત હતી અને જીવનભરનો સંબંધ અલગ. અનુ સર્વગુણ સંપન્ન તો હતી જ, પણ નાજુક, નમણી અનુ સહેજ ભીનેવાન હતી.

હાથમાં માસ્ટર્સ પ્રોગ્રામની પ્રિન્ટઆઉટ સાથે એ પાછી વળી ગઈ. મસ્તીમાં આમળવા પકડેલો હાથ સંદિપે છોડી દીધો હતો.

*******

અનુ સંદિપને મળ્યા વગર જ માસ્ટર્સ કરવા મુંબઈ ચાલી ગઈ. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ લઈને મુંબઈ જ રહી ગઈ. વાતને દસકો વહી ગયો.

પાંચ વર્ષથી કંપનીમાં જોડાયેલા અમોલની સરળ પ્રકૃતિના લીધે અનુ એની સાથે સહજ થતી ગઈ.

“અનુ, ક્યાં ખોવાઈ ગઈ?” ભૂતકાળમાં સરી ગયેલી અનુની સામે ચપટી વગાડીને અમોલે એને વર્તમાનમાં પાછી આણી.

“અમોલ, મન પર રિજેક્શનનો ભાર લઈને તારી સાથે કેવી રીતે ચાલી શકીશ? ક્યારેક થાય છે કે, સંદિપને મારામાં જે ખામી દેખાઈ એ તનેય ક્યારેક કઠશે તો?”

“અનુ, આ પાંચ વર્ષ એળે નથી કાઢ્યાં. તારી સાથેની વાતો માત્ર ઉપરછલ્લી નહોતી. તારા વ્યક્તિત્વના ઊંડાણ સુધી પહોંચવાની, તને ઓળખવાની એ સીડી હતી. એના થકી તને સમજ્યો છું. તારી એ આંતરિક ઓળખને ચાહી છે, નહીં કે બાહ્ય આવરણને.”

“મને થોડો સમય આપ, અમોલ.”

“જાણું છું તારા મનમાં શું ચાલી રહ્યું છે. જા, એકવાર સંદિપને મળી આવ.”

*******

અમદાવાદના એરપોર્ટ પર મુંબઈ ભણી ટેક-ઑફ કરી રહેલા પ્લેનમાં બેઠેલી અનુ પોતે પણ આજે એક ઊંચાઈને આંબી રહી હોય એવા ભાવથી હળવાશ અનુભવી રહી. આટલા વર્ષોથી રિજેક્શનના શૂળથી એ પીડાઈ રહી હતી. આજે એ શૂળની પીડામાંથી એ મુકત હતી.

જે સંબંધ ક્યારેય કોઈ પડાવ પર પહોંચવાનો જ નહોતો એમાંથી કોઈ જાતની સ્પષ્ટતા કર્યા વિના, કહ્યા વિના દસ વર્ષ પહેલાં એ નીકળી તો ગઈ હતી, છતાં એનો કોઈ એક તાર આજ સુધી મનના ખૂણામાં ખટક્યા કરતો હતો. એક એવો સંબંધ જે વર્ષોથી ‘હાયબર્નેશન’માં ચાલ્યો ગયો હતો છતાં હૃદયમાં સળવળતો રહ્યો હતો એમાંથી એ બહાર આવી ગઈ હતી. અનુએ હળવાશ અનુભવી.

અમોલ કેટલો સાચો હતો !

મા-બાપુને મળીને એ સંદિપના ઘેર પહોંચી હતી. બારણું ખોલીને ઊભેલા સંદિપે અનુને જોઈને જેટલું આશ્ચર્ય અનુભવ્યું એથી અનેકગણો આઘાત સંદિપને જોઈને અનુએ અનુભવ્યો.

નાજુક-નમણી પણ સહેજ ભીનેવાન અનુ આજે સાદા કપડાંના બદલે બ્રાન્ડેડ ડ્રેસમાં હતી. લાંબા, કાળા- બ્લો ડ્રાય સિલ્કી વાળ, બ્યુટી-ટ્રીટમેન્ટથી ચમકતો એનો ચહેરો જોઈને સંદિપ બઘવાઈ ગયો.

“અંદર આવવાનું નહીં કહે સંદિપ?”

સહેજ ખસીને સંદિપે રસ્તો કરી આપ્યો. મિડલ-ક્લાસ વ્યક્તિના સામાન્ય ઘર જેવો જ સામાન્ય દેખાતો ઘરમાલિક સંદિપ કોઈ સામાન્ય કંપનીમાં નોકરી કરતો હતો.

કાન આમળીને પરાણે ભણાવતી અનુના ચાલ્યા ગયા પછી માસ્ટર્સ કરવા જેવી ત્રેવડ રહી નહોતી. પરિણામે સ્માર્ટ, હેન્ડસમ સંદિપ પ્રગતિ કરવાના બદલે જ્યાં હતો ત્યાં સ્થગિત થઈ ગયો હતો.

હા, સંદિપની એક ઇચ્છા પૂરી થઈ હતી. સંદિપની પત્ની એની સાથે શોભે એવી ગુડ-લૂકિંગ, ચાર્મિંગ જરૂર હતી, પણ કૉલેજ ગ્રેજ્યુએટ શ્રુતિ માત્ર સીધી-સાદી હાઉસ-વાઇફ હતી.

અનુ જેટલો સમય સંદિપ-શ્રુતિ સાથે રહી ત્યાં સુધીમાં એણે જોયું કે, સંદિપનો કશું ન કરી શકવાનો, કશું ન પામી શકવાની હતાશનો ભાર સંદિપની સાથે શ્રુતિ પર પણ સતત ઝળુંબ્યા કરતો.

“અનુ, તારી લાગણી હું સમજી શક્યો નહોતો. તારી સાથે મેં અન્યાય કર્યો છે….” શ્રુતિ અંદર પાણી લેવા ગઈ ત્યારે સંદિપ માંડ આટલું બોલી શક્યો.

“અન્યાય..? મેં વળી ક્યારે તારી પાસે ન્યાય માંગ્યો હતો કે ન્યાય-અન્યાયના ત્રાજવે તું મારી લાગણી તોળવા બેઠો ? ન્યાયનું ત્રાજવું તો ઉપરવાળાના હાથમાં હતું. જેની જેટલી હેસિયત હતી એ પ્રમાણે એણે ન્યાય તોળ્યો જ છે. And you know what Sandip, એક દિવસ હું તને કહ્યા વગર ચાલી ગઈ હતી. આજે હું તને રુખસ્ત આપવા આવી છું. મારા મનમાંથી, મારી યાદોમાંથી, મારા જીવનમાંથી. હંમેશ માટે…

“આવજે કહીશ તો આવવાનો રસ્તો ખુલ્લો રહેશે. મારે એ રસ્તો પણ બંધ કરી દેવો છે એટલે આવજે પણ નહીં કહું.”

અને અનુ ઘરની બહાર નીકળી ગઈ.

અનુ જે રિજેક્શનના શૂળમાંથી બહાર આવી હતી એ શૂળ હવે સંદિપના મનને સતત વીંધતું રહેવાનું હતું.

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

March 21, 2024 at 2:19 pm

‘સરવૈયું’ -ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ શુભાંગી ભડભડે લિખિત વાર્તા ‘સારાંશ’નો ભાવાનુવાદ

‘સરવૈયું’

‘હે..પ્રભુ.. સાંજ ઢળવા આવી, આંખે મોતિયો પાક્યો છે. રખેને ક્યાંક ઠોકર ખાઈને…” ચિંતાતુર માલતી વિશેષ વિચારી શકી નહીં.

માલતીની ચિંતા સકારણ હતી. વિનાયકરાવનો નિવૃત્ત થયા પછી સાંજે પાર્કમાં ચાલવા જવાનો અને સમયસર પાછા આવવાનો નિયમ. આજે સાંજ રાત તરફ ગતિ કરી રહી હતી અને એ પાછા ફર્યા નહોતા. માલતીની ચિંતા અને ઘરની અંદરબહારના ચક્કરોની ગતિ વધી ગઈ.

વિચારવંટોળમાં અટવાતી માલતીને વિનાયકની ભાળ લેવા ફોન કરવાનો વિચાર આવ્યો, પણ રાત પડે ફોન કરીને કોઈને ચિંતા કરવવી કે નહીં એની અવઢવમાં ફોન પાસે જઈને અટકી રહી.

થોડી વાર પહેલાં પ્રકાશ દવાઓનું લિસ્ટ લેવા આવ્યો, વિનાયક રાવને ન જોતાં એમના વિષે પૃચ્છા કરી ત્યારે માલતીએ ચિંતા હડસેલીને કહ્યું હતું, ‘આ પેંશનરોની વાતો પૂરી થશે ત્યારે આવશે ને?”

પ્રકાશ એટલે એમની સંકટ સમયની સાંકળ. એમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતો.

અને અવિનાશ? એ તો વળી માલતીની રસોઈનો ભારે ચાહક. વર્કશૉપમાંથી રોજે ફોન કરે, “માસી, મારા માટે કટોરો ભરીને શાક રાખવાનું હોં… મને તૃપ્ત કરશો તો સ્વર્ગમાં તમારું સ્થાન નિશ્ચિત સમજો.”

માલતીની સખી સુનિતાના દીકરાઓ પ્રકાશ, અવિનાશ અને સતિશ માલતી અને વિનાયકનું ખૂબ ધ્યાન રાખતા.

દર રાત્રે અવિનાશ અચૂક ફોન કરીને માલતીને દવાઓ લેવાનું, વિનાયકના પલંગ પાસે પાણી મૂકવાનું, ઘરનું બારણું લૉક કરવાનું, લાઇટો બંધ કરવાનું યાદ કરાવતો અને જરૂર પડે તો ફોન કરવાનું કહેતો.

માલતીને અવિનાશ યાદ આવ્યો. એને ફોન કરવાનું વિચારીને ઉતાવળે માલતી ઊભી થઈ જ ને પગના અંગૂઠામાં મોચ આવી. હવે ચિંતા, વેદના અને વિનાયક તરફના રોષે માઝા મૂકી.

‘અહીં હું એકલી છું અને છે એમને કોઈ ચિંતા? કોણ જાણે શું સમજે છે જાતને?’

વળી ગુસ્સો ઓસર્યો ને ચિંતાથી મન ઘેરાયું. ‘કેટલાક સમયથી મગજનું ઠેકાણું નહોતું. ઘર છોડીને ચાલ્યા જવાનું બોલ્યા કરે છે. ક્યાંક જતા રહ્યા હશે તો ક્યાં શોધીશ એમને?’

એટલામાં ખીચડી બળ્યાની વાસથી માલતી ચોંકી.

‘હાય…હાય..’

બે બુઢ્ઢા લોકો માટે બે મુઠ્ઠી દાળ-ચોખા ઓર્યા હતાં તે બળીને કોયલા થઈ ગયાં, હવે ?

માલતીમાં ફરી ખીચડી બનાવવાની હામ નહોતી.

ત્યાં બારણું ખખડ્યું.

“કેટલું મોડું કર્યું, ક્યાં રહી ગયા હતા?” વિનાયકને જોઈને માલતીની ચિંતા ને ચીઢ સાથે પ્રગટ્યાં.

“સોનાલી માંદી છે. એની પાસે ગયો હતો.”

“સોનાલી? કોણ સોનાલી?”

“દેશપાંડેની દીકરી.’ વિનાયક કહ્યું તો ખરું ને યાદ આવ્યું કે, એમણે ક્યારેય માલતીને સોનાલી અંગે વાત કરી જ નહોતી.

“આમ જોઉં તો એની સાથે કોઈ સંબંધ નથી અને આમ જોઉં તો બહું ઊંડો સંબંધ. મને એનામાં આપણી સ્વીટી દેખાય છે.”

વિનાયકે ખુલાસાથી વાત માંડી.

એક દિવસ એ પાર્કમાં બેઠા હતા ને છ-સાત વર્ષની છોકરી એમની પાછળ આવીને સંતાઈ.

“દાદાજી, હું અહીં સંતાઈ છું એ કોઈને કહેતા નહીં હોં. તમારો કોટ મારી પર નાખી દો.”

એ દિવસથી સોનાલીનાં રમવાના સમય અનુસાર વિનાયકનો પાર્કમાં જવાનો સમય નિશ્ચિત થઈ ગયો. એની સાથે રમવામાં ક્યાં સમય પસાર થતો એની ખબર નહોતી પડતી.

“મને તો ક્યારેય કહ્યું નહીં અને રાત સુધી સોનાલી પાર્કમાં થોડી બેસી રહે?”

“સોનાલીને તાવ આવ્યો છે. એણે જીદ કરી કે દાદાજીને બોલાવો.”

“આજ સુધી મને જણાવવાનું જરૂરી ન લાગ્યું?” માલતીના અવાજમાં પીડા હતી. એ ઊભી થઈ ગઈ.

રાત્રે અવિનાશનો ફોન આવ્યો. એ પૂછે એની પહેલાં જ માલતી બોલી,

“દવા, પાણી, ટૉર્ચ બધું જ પાસે છે, પણ નજીકની વ્યક્તિ જ દૂર થઈ જાય એનું શું કરવું? જીવતરનો સાર કાઢીએ ને ખબર પડે કે આખું ગણિત જ ખોટું હતું તો કોની ભૂલ કાઢવી?”

“શું થયું માસી, લાગે છે આજે તબિયત ઠીક નથી.. હું આવી જઉં?”

“ના..ના..દીકરા, આ તો તારા કાકા મોડા આવ્યા એટલે મૂડ ખરાબ છે.

“એક કામ કરો. મનને શાંત કરવા પ્રભુનું ધ્યાન ધરો, માળા કરો.” માસીનું મન પારખીને અવિનાશે એમને સાંત્વન આપ્યું.

અવિનાશના કહ્યા પછીય માલતીનું મન શાંત ન થયું. માળા લઈને બેઠી. મનમાં શ્રીરામનું નામ ને ચિત્ત બીજે ભટકતું રહ્યું. હાથમાંથી માળા સરકી ગઈ. એને પોતાનાં મિલિંદ અને મનીષા યાદ આવી ગયાં.

*******

માલતી અને સુનિતા બહેનપણીઓ. બંનેના સ્વભાવમાં ફરક. માલતીનાં સપનાં ઘણાં ઊંચા હતાં. એ એમ.એસસી. કરીને એ લેક્ચરર બની. સુનિતા માતા-પિતાએ બતાવેલા યુવક સાથે લગ્ન કરીને ઘર-ગૃહસ્થીના ચક્કરમાં વ્યસ્ત થઈ ગઈ. એમ.એસસી.નું ફોર્મ ભર્યા પછી સાસુની બીમારી, દીયરનાં લગ્ન, એક પછી એક સંતાનોના જન્મને લીધે આગળ ભણવાનો વિચાર જતો કર્યો.

એન્જિનિયર થયેલા વિનાયક સાથે લગ્ન પછી તો માલતીનું અભિમાન વધ્યું. સુનિતાની સરળ, વાસ્તવિક વાતો એને તુચ્છ લાગતી. એ માનતી કે વ્યક્તિએ પિતા કે પતિ પર નિર્ભર રહેવાના બદલે આત્મવિશ્વાસ સાથે સ્વબળે ગરુડની જેમ આસમાનને આંબવા ઊંચી ઉડાન ભરવી જોઈએ.

માલતીએ મિલિંદ અને મનીષાની આંખોમાં આભને આંબવાનું સ્વપ્ન આંજ્યું. વિનાયકની અનિચ્છા છતાં મિલિંદને પંચગીનીની કૉન્વેન્ટ સ્કૂલમાં મૂક્યો. મુંબઈમાં મેડિકલનું ભણી, ડૉક્ટર બનીને એ અમેરિકા સેટલ થયો. મનીષાએ જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એની સાથે ભણતા સ્વિટ્ઝર્લેન્ડના યુવક સાથે લગ્ન કરીને વિદેશ સ્થાયી થવાનો નિર્ણય કર્યો.

વિનાયકે મનીષાને અલગ સંસ્કૃતિવાળા વિદેશી યુવક સાથેના લગ્ન સામે લાલબત્તી ધરી હતી.

“અલગ દેશ, અલગ સંસ્કૃતિ. સ્વિટ્ઝર્લેન્ડ જઈને ક્યાંક ફસાઈ તો?”

“પ્રેમ કરે છે એને પરણે છે. બીજા દેશનો, બીજી સંસ્કૃતિનો હોય તેથી શું, માણસ તો છે ને? મનીષા તો સ્વબળે આભમાં અનેરા રંગ ભરી દે એવી ચિત્રકાર છે.” માલતી કહેતી.

“આભ આભાસ છે. સત્ય નહીં.” વિનાયક કહેતો રહ્યો અને મનીષા ચાલી ગઈ.

માલતીએ શીખવ્યું હતું એમ બંને સંતાનોની આકાંક્ષાએ આભને આંબવા ‘ગરુડ-ઉડાન’ ભરી. માલતી ખુશ હતી. વિનાયક રડી પડ્યો.

વિનાયક જમીનથી જોડાઈને રહેવામાં માનતો. સુનિતાના ઘરનો સ્નેહ, સુમેળભર્યો માહોલ, ગણેશપૂજા, નવરાત્રીની ધામધૂમ બહુ ગમતાં, પણ માલતી આગળ વ્યક્ત ક્યાં વ્યક્ત કરવો? એ ચૂપ રહેતો.

સુનિતાનો સતીશ એન્જિનિયર થયો ત્યારે માતા-પિતાની ઇચ્છા અને આશીર્વાદથી ત્રણે ભાઈઓએ પોતાની ફેક્ટરી ખોલવાનો નિર્ણય કર્યો.

વિનાયક ખુશ.

એ રાત્રે મિલિંદનો ફોન આવ્યો.

“મા. હું સેટલ થઈ ગયો છું. તારી ઇચ્છા મુજબ દર મહિને પૈસા મોકલતો રહીશ. તબિયતનું ધ્યાન રાખજો અને હા, દર મહિનાની ત્રીજી તારીખે ચોક્કસ ફોન કરીશ.” મિલિંદે વાત પૂરી કરી.

“મિલિંદ સેટલ થઈ ગયો. દર મહિને પૈસા મોકલશે.” માલતીએ સુનિતાને ખુશખબર સંભળાવ્યા. સંતાનોની પ્રગતિનું અભિમાન સુનિતા પાસે પ્રગટ કરવાનું ક્યારેય એ ચૂકતી નહીં.

સુનિતાની પસંદગીની સાદી, સરળ યુવતીઓ સાથે અવિનાશ અને પ્રકાશના લગ્ન લેવાયાં.

માલતીના મનમાં મિલિંદના લગ્નની શરણાઈના સૂર છેડાયા. મિલિંદ સર્જન છે. એના માટે તો ડૉક્ટર કે એન્જિનિયર યુવતી જ શોધીશ, મનનો વિચાર જણાવવા મિલિંદને ફોન કર્યો.

“મારા પત્રની રાહ જોજે મા.” કહીને મિલિંદે ફોન કટ કર્યો.

એ રાત્રે ચિત્રકાર પતિથી મુક્ત થઈ ગઈ છે એવી જાણ કરતો મનીષાનો ફોન આવ્યો ત્યારે વિનાયકે મનીષાને પાછા આવી જવા સમજાવી.

“અહીં મારાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે. અઢળક નામના, પ્રસંશા પામી છું. એકલી છું, ખુશ છું. ‘ગરુડ-ઉડાન’ની ટેવ પડી છે ને હવે કોઈ બંધનમાં પડવું નથી.” મનીષાની વાત સાંભળીને પહેલી વાર માલતી ચૂપ હતી.

એક દિવસ અવિનાશ ને પ્રકાશ આવ્યા.

“એક વિનંતી છે, કાકા. અમારી ફેક્ટરીમાં તમારા માર્ગદર્શનની જરૂર છે. આપશો ?”

વિનાયક ખુશ. નિવૃત્તિ પછી એને ખાલી ઘર ખાવા ધાતું, ઘરની બહાર નીકળવાનો મનગમતો માર્ગ મળ્યો.

વિનાયકનો સમય ફેક્ટરીમાં અને માલતીનો સમય મિલિંદના પત્રની રાહ જોવામાં પસાર થતો રહ્યો.

એક દિવસ મિલિંદે લગ્ન કરી લીધાંની જાણ કરતો પત્ર આવ્યો. પત્રની સાથે મિલિંદ અને રોઝીનો ફોટો હતો.

માલતી સાવ તૂટી ગઈ.

“અરે, પ્રેમ કરીને પરણ્યો છે. બીજા દેશની, બીજી સંસ્કૃતિની હોય તેથી શું, માણસ તો છે ને ?” વિનાયકે માલતીને કહ્યું.

શું બોલે માલતી? મનીષાને લગ્ન માટે રોકી ત્યારે માલતીએ વિનાયકને આમ જ કહ્યું હતું. માલતી એના શબ્દોને યાદ આવ્યા.

વિનાયકે મિલિંદને રોઝી સાથે ભારત આવવા કહ્યું.

“શક્ય જ નથી બાબા, રોઝીએ હમણાં જ દીકરીને જન્મ આપ્યો છે. સ્વીટીનો ફોટો મોકલી આપીશ.”

“રોઝી પ્રેગનન્ટ હતી, જણાવ્યું નહીં?”

“આવી નાનીનાની વાતોમાં શું કહેવાનું?”

માલતીને પોતાની પાંખો કપાઈ ગયાં જેવી આજે વેદના થઈ.

“માલતી, તેં છોકરાંઓને આભને આંબવાના સ્વપ્ન દેખાડ્યાં, ‘ગરુડ-ઉડાન’ ભરવાનું શીખવ્યું. પ્રેમ ન શીખવી શકી. જીવનમાં સ્નેહ, સંબંધ કેટલા મહત્વના છે એ જ ન શીખવ્યું !? પહેલેથી તેં એમને નિર્બંધ, સ્વતંત્ર રહેતાં શીખવ્યું. હવે સૌ પોતપોતાનાં વ્યસ્ત છે. હું સ્વીટીમાં સોનાલીને શોધીને સંતોષ માનું છું. ફક્ત તારાં હાથ ખાલી છે.”

વિનાયકને કહેવાની ઇચ્છા થઈ, પણ બીમાર, મનથી ભાંગી ગયેલી માલતીને વધુ પીડા થશે માનીને મન માર્યું.

થોડા સમય પહેલાં માલતીને હાર્ટ એટેકને લીધે હોસ્પિટલ દાખલ કરવી પડી હતી. માઇલ્ડ એટેક હતો, ઝાઝી ચિંતાનું કારણ નહોતું છતાં સુનિતાનો પરિવાર ઊભાઊભ આવી ગયો. ઘરનું કોઈ એક જણ માલતી પાસે રોકાતું.

મિલિંદને જાણ કરી. એનો ફોન આવ્યો.

“મા, પૈસાથી કોઈ ચિંતા ના કરતી. ઉત્તમ ટ્રીટમેન્ટ કરાવજે. હું આવી જાત. રોઝી ફરી પ્રેગનન્ટ છે. સ્વીટીનું ધ્યાન આયા રાખે છે, પણ રોઝીનું મારા સિવાય કોઈ નથી. અને હા, મનીષાનો ફોન હતો, એણે બીજા લગ્ન કરી લીધાં છે.”

માલતીએ ફોન પટક્યો.

વિચારોનાં વાવાઝોડામાં અટવાઈ. છોકરાંઓનાં મનમાં આભને આંબવાની ઇચ્છા એણે જ રોપી હતી.

છોકરાંઓને ક્યાં દોષ દે?

શું જોઈતું હતું ને શું મેળવ્યું?

જીવનનાં સરવૈયામાં મળી હતી, આત્મગ્લાનિ, હાર, એકલતા….

આજે એ એકલી હતી, સાવ એકલી.

અસ્તુ.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

March 14, 2024 at 12:46 pm

‘અદીઠ સંવેદન’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ બંદિતા દાશ લિખિત વાર્તાનો ભાવાનુવાદ.

‘અદીઠ સંવેદન’

આ જગથી બેપરવા એવું એ ઝાડ એકદમ અકડુની જેમ ઊભું હતું. એને તો કશાથી કોઈ ફરક પડતો નહીં જ હોય, પણ એને લીધે મા-બાપુ વચ્ચે અવારનવાર વિખવાદ થયે રાખતો.

“એ કપાશે પછી જ હું ખાઈશ નહીંતર આજથી જ મારે ઉપવાસ.” મા ગુસ્સે થઈને જીદ પર આવી જતી. કેટલીય વાર સમજાવ્યા પછી એ ખાતી, પણ ઘરમાં પાછું એ પુનરાવર્તન થયે રાખતું.

આંગણાની પરવા કર્યા વગર એ પગ પસારીને ફેલાવા માંડ્યું હતું. દાદાબાપુએ આ ઝાડ દાદા-દાદીની લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે એ વાવ્યું હતું એટલે એને વધતું જોઈને બંને જણા ખુશ થતાં.

ત્યારે ક્યાં ખબર હતી કે, આ જ ઝાડ એક દિવસ એમનાં દુઃખનું કારણ બનશે ?

આખા આંગણાંમાં ફેલાયા પછી એ ઘરની છત પર છત્રીની જેમ ફેલાવા માંડ્યું. ગરમીમાં એની છાયા ગમતી, પણ ઠંડીમાં તડકો રોકાવા માંડ્યો ત્યારે પરેશાની શરૂ થઈ. પણ, એને શું ફરક પડ્યો? એનો તો વ્યાપ વધવાની સાથે જાણે રોફ વધતો ચાલ્યો. હા, એ જાગૃત પ્રહરીની જેમ ઘરનું રક્ષણ કરતું.

પાનખરમાં ઘરના આંગણમાં ખરેલાં પાનનો ઢગલો સાફ કરવાનું કામ વધી જતું. દાદીનો આગ્રહ હતો કે ઘરનું આંગણું એકદમ સાફ હોવું જોઈએ એટલે જેને આ જવાબદારી સંભાળવાની આવતી એને એ ઝાડ પર રોષ ચઢતો.

દાદાએ દક્ષિણ દિશા છોડીને ઝાડની ફરતે ચબૂતરો બનાવ્યો હતો. સૌની જેમ દીદી પણ સાસરેથી આવે તો પહેલાં આ ચબૂતરા પર બેસી્ને જરા શ્વાસ લઈને જ ઘરમાં આવતી. દીદીને જોઈને દાદી દોડી આવતી. દીદીને વહાલથી ગળે લગાવતી ને ઘરની બધી ફરિયાદોનું પોટલું દીદી આગળ ખોલી દેતી.

ચબૂતરો કેટલાય અવતારો ધારણ કરતો. ઘડીકમાં એ દાદીની અકળામણ ઠલવવાનું સ્થાન બનતો તો ક્યારેક લક્ષ્મણરેખા.

લક્ષ્મણરેખા એટલા માટે કે, ચબૂતરો વટાવીને નાનીના પત્રો અંદર લઈ જવાની માની હિંમત નહોતી. દાદીની નજર ચૂકવીને એણે પત્રો અહીં જ વાંચી લેવા પડતાં.

ક્યારેક ચબૂતરો અમારી રમતોનો, ભણવાના નામે રામાયણ-મહાભારત વાંચતા જોવાનો, દાદીની વાતો સાંભળવાનો તો ક્યારેક મજૂરો સાથે દાદાજીની લમણાઝીક જેવી કેટલીય ઘટનાઓનો સાક્ષી બન્યો.

કૉલેજમાં કેટલીય રાતો આ ઝાડ નીચે બેસીને વાંચ્યું હશે. રાતના પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રનું અજવાળું આ ઝાડના પાંદડાઓની વચ્ચે ચળાઈને આંગણામાં રેલાઈ આવતું.

આ ઝાડ સાથે હું અનોખું ઐક્ય અનુભવતો. જાત સાથે વાતો થતી તો જાણે એ મારું અંતરમન વાંચી લેતું. મારી લાગણીઓ એ પારખી લેતું. અમારાં સુખ-દુઃખ એકબીજાનાં હોય એવી મનોસ્થિતિમાં અમારાં બંને વચ્ચે મૌન સંવાદ રચાતો.

એક દિવસ અચાનક દાદાજીએ હંમેશ માટે વિદાય લીધી. દક્ષિણાભિમુખ મૂકેલી દાદાજીની અર્થીને કાંધ આપીને સૌ લઈ ચાલ્યા. દાદી બેભાન થઈને પડી. ઝાડ એનુંય સાક્ષી. એ પછી રાતના અંધારામાં દાદીનું મૂક આક્રંદ પણ એ સાંભળતું રહ્યું. સતત બોલ્યા કરતી કરતી દાદી રાતોરાત મૌનયોગી જેવી બની ગઈ. દાદીની સાથે એ ઝાડ પણ સાવ ગુમસૂમ..

ક્યારેક ચબૂતરા પર બેઠી દાદી જાણે કોઈને લાડ કરતી હોય એમ ઝાડને સહેલાવતી. પોતાના મનની વ્યથા મનમાં જ સમાવીને બહારથી હિંમત દેખાડતી દાદી મનથી કેટલી હિજરાય છે એનુંય સાક્ષી એ ઝાડ. રાત્રે ઘર આખું જંપી ગયું હોય ત્યારે વિલાપ કરતી દાદીને ભલે એ સાંત્વન ન આપી શકતું, પણ એનો શોક સમજી શકતું. એકાદ પાંદડું ખેરવીને સમજાવતું કે, સહન કરવાનું સૌના નસીબમાં લખેલું જ હોય છે.

દાદાજી કહેતા કે, “સહનશીલ વ્યક્તિઓથી વિપત્તિ પણ હાર માની લે.” દાદાજીની આ વાત ઝાડ બરાબર સમજતું. એની સહનશક્તિ અસીમ, અપ્રમેય હતી. મેં પણ આ વાતને જીવનપથનું ભાથું બનાવી લીધું.

“ગમે એટલા આંધી-તોફાન આવે, પથરીલા રસ્તે ચાલવાનું થાય કે શાંત પગલે મોત આવીને ઊભું રહે આપણે મેરુની જેમ અટલ રહીશું.” એવા ભાવને મારી જેમ જ એ ઝાડે આત્મસાત કરીને સમય સાથે કદમતાલ મેળવી લીધો હતો. સમય એની પાંખો પસારીને આગળ વધતો રહ્યો. મારી જેમ ઝાડ બાળપણમાંથી યુવાન બનતું ચાલ્યું. પહેલાંથી અધિક ગર્વીલું બનીને સૂર્ય-ચંદ્રની સમીપ જવા પ્રયાસ કરતું રહ્યું. બદલાતી મોસમ સાથે પોતાની રૂખ બદલીને વધુ સશક્ત બન્યું.

ચબૂતરા પર બેસીને જેવી નોકરી મળ્યાની ઘોષણા કરી કે તરત દાદીએ પડોશમાં રહેતી છોકરી સાથે મારા વિવાહ નક્કી કર્યા. વિવાહ, લગ્ન, દીકરીનો જન્મ, આ બધી ઘટનાનું સાક્ષી આ ઝાડ.

અચાનક દક્ષિણ દિશાએ ઝાડનો એક ભાગ સુકાવા માંડ્યો. એક વાત ધ્યાનમાં આવી હતી કે, દાદીમા એ બાજુથી મૂળ ખોદીને દરેક આગંતુકને આપતી. હું દાદીમાને ટોકતો તો માબાપુની વઢ પડતી. દાદી તરફ આ સહાનુભૂતિનું કારણ દાદીમાની ઉંમર હતી કે ઝાડ પર એમનો અધિકાર હતો, એ મને નહોતું સમજાતું.

ઝાડ સુકાવાના લીધે ઘરમાં સૌ વ્યથિત હતાં. જૂની માન્યતાને અનુસરીને પિતાજીએ શાલિગ્રામ પર ચઢાવેલું પાણી લાવીને ઝાડ પર છંટકોર્યું. વહેલી સવારે પાણીમાં સોનું કે ચાંદી નાખીને એ પાણીનો છંટકાવ કર્યો. ઝાડ બચાવવા શક્ય એટલા પ્રયાસો કર્યા.

કદાચ દાદાજી વગર એ હિજરાતું હશે એમ માનીને દાદીએ દાદાજીનો ફોટો લાવીને ઝાડની નીચે મૂકવાનું કહ્યું. એ ઝાડ અમારા માટે માત્ર ઝાડ નહોતું, ઘરનું એક સદસ્ય હતું. દરેકની જેમ એનામાં લાગણીઓ હતી. ફરક માત્ર એ હતો કે એની સંવેદના એ વ્યક્ત નહોતું કરતું, પણ એ સમજવા જેટલી સંવેદનશીલતા અમારામાં વિકસી હતી.

એક દિવસ દાદીએ મને બોલાવીને કહ્યું, “ભલે એ ફળ નથી આપતું, પણ એની દક્ષિણ તરફનું મૂળ કમર પર બાંધવાથી અંડકોષ-વૃદ્ધિને લગતો રોગ મટે છે. તારા દાદાજીના આ નુસખાથી છોકરાંઓને ફાયદો થતો. આ ઝાડનો પાડ માનવો જોઈએ, એની પ્રદક્ષિણા કરી, પાણી સીંચીને માથું ટેકવવું જોઈએ. તું એના માટે જેમતેમ બોલે છે એ બંધ કર. એની મરજીથી એ સુકાયું છે, એની મરજીથી ખીલશે અને અંતે જેટલું સૌના માટે ઉપયોગી થવાનું હશે એટલું થઈને સમય થતાં જાતે મુક્તિ મેળવી લેશે. અને હા, હું ના હોઉં તો જ્યાં સુધી એ છે ત્યાં સુધી તું એની સંભાળ લેજે. તારા પરદાદા બહુ ખુશ થશે, તને ઢગલો આશીર્વાદ આપશે.”

ઓહ! તો આ હતું ઝાડનું રહસ્ય !? સત્ય જાણ્યા વગર મત આપવા માટે મને જાત પર ચીઢ ચઢી.

આસપાસના ગામમાં સૌને ફાયદો થાય છે એ જાણ્યા પછી ભલે એ ઝાડ ફળ નથી આપતું, આંગણમાં એના પાંદડા ખરે છે કે તડકો નથી આવતો એ ચિંતા કરવાનું મેં છોડી દીધું.

સમય જતા સાચે જ ઝાડ નવપલ્લવિત થવા માંડ્યું સાથે દાદીએ પથારી પકડી. દાદીએ પોતાની ઉંમર ઝાડના નામે કરી હોય એમ ઝાડ લીલુંછમ થયું ને દાદી ચાલી નીકળી.

દાદીના પાર્થિવ શરીરને ઝાડની સાત વાર પરિક્રમા કરાવીને વિદાય આપી. થોડા દિવસ સુધી અસ્થિકુંભ ઝાડ પર લટકાવી રાખ્યો. એક દિવસ એમનાં અસ્થિ ઝાડની બખોલમાં પધરાવી, ખાલી કપડાંની પોટલી અને કુંભનું ગંગામાં વિસર્જન કરી આવ્યો. મને વિશ્વાસ છે ઝાડ અને દાદી બંને એકાકાર થઈ, સમાજ પર અનંતકાળ સુધી ઉપકાર કરતાં રહેશે.

‘અસ્થિકુંભ’ના વિસર્જન પછી આવીને ઝાડ પાસે માથું ટેકવ્યું તો દાદીની જેમ ઝાડ મને લાડ કરતું હોય એમ તનમનને શીતળતાનો સ્પર્શ થયો.

અસ્તુ

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

March 12, 2024 at 2:30 pm

‘સૂનકાર’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ માન્યમ રમેશકુમાર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ

‘સૂનકાર’

આ એવો સમુદ્ર તટ છે જ્યાં ઊભા રહીને સૂનકાર કોને કહેવાય એનું વર્ણન કરવું અશક્ય છે. સમુદ્રમાંથી ઊઠતાં પાણીનાં મોજાંનો અવાજ, મોજાં પાછાં વળી જાય ત્યારે કેટલાય છોકરાંઓની કલબલ. પાછળ વિવિધ ખાદ્ય ચીજો વેચવાવાળાનો અવાજ…અવાજ..સતત અવાજ.

જોકે, મને કશું જ નથી સંભળાતું. જાણે કોઈ મૂક ફિલ્મ જોતો હોઉં કે અવાજ બંધ રાખીને ટી.વી.જોતો હોઉં એમ મારા માટે સઘળે ઘેરો સૂનકાર છે.

થોડા દિવસથી શ્રવણશક્તિ ઘટી હતી. દીકરાને કહ્યું તો એણે મને ટકોર્યો,

“ઓછું સંભળાય છે તો મશીન પહેરી કેમ નથી રાખતા?”

મશીનથી ફાયદો નથી જાણીને એણે ઈશારામાં ડૉક્ટર પાસે લઈ જશે એમ કહ્યું. પુત્રવધૂ માટે તો આ કોઈ સમસ્યા જ નહોતી. નિવૃત્ત માણસને વળી શું ફરક પડે? હવે એને કેવી રીતે સમજાઉં કે, બહેરાપણું નિવૃત્ત વ્યક્તિ માટે કેવો શ્રાપ છે?

દીકરી અને જમાઈ બંને કામ કરે છે. જમાઈના મા ગુજરી ગયાં પછી મારી પત્ની દીકરીને મદદ કરવા એના ઘેર રહે છે. એને મારી તકલીફ જણાવીને કોઈ ફાયદો નહોતો છતાં કાગળ લખીને જણાવવાનું વિચાર્યું.

ધીરેધીરે ઉજાસ ઓછો થયો એમ સમુદ્રતટ પર લોકોની અવરજવર ઓછી થતી ગઈ. પાછળથી આવતાં વાહનોનો અવાજ સંભળાતો નહોતો એટલે એની અડફેટમાં ન આવી જવાય એવી સતર્કતાથી મેં ઘર તરફ ચાલવા માંડ્યું. ઘેર પહોંચ્યો ત્યારે પૌત્ર અને પૌત્રી વચ્ચે કોઈ વાતે ઝગડો ચાલતો હશે અને પૌત્રવધૂ એમને સમજાવવા મથતી હશે એવું લાગ્યું. પહેલાંનો સમય હોત તો ઝગડાનું કારણ જાણીને એમને સમજાવવા પ્રયાસ કરી શક્યો હોત.

સાંજે જમીને સૌ ટી.વી.ની આસપાસ ગોઠવાયાં. પુત્રવધૂને ધારાવાહિકમાં રસ, છોકરાંઓને કાર્ટૂન નેટવર્કમાં રસ. દીકરો એની ઑફિસની ફાઇલો ખોલીને બેઠો હતો. મારા માટે આ કશું જ કામનું નહોતું. હું બહાર વરંડામાં જઈને માર્ક ટ્વેનની ‘હકલબેરી ફિન’ વાંચવા માંડ્યો. આમ તો આ છોકરાંઓ માટેનું પુસ્તક છતાં મને હજુ આ પુસ્તક ગમે છે. આમ જોવા જઈએ તો બાળપણ અને ઘડપણ એક જેવાં જ ને?

ટી.વી પર ચાલતા પ્રોગ્રામ કે છોકરાંઓ વચ્ચેના વિખવાદ, મને ક્યાં સંભળાવાના એટલે આરામથી વાંચતો રહ્યો. ક્યારેક લાગે છે કે, ન સંભળાવાના લાભ તો છે.

જોકે, મારી પસંદગીનાં ગીતો ન સાંભળી શકવાનો અફસોસ પણ ઓછો નથી. રાત પડે અનેક વિચારો અને ચિંતાથી મન ઘેરાઈ જાય છે. સમજાતું નથી કે, આ ચિંતાઓ ન સંભળાવાના લીધે છે કે ઉંમરના લીધે?

ના ઘડિયાળની ટીકટીક, ના પંખાની ખટખટ. ફક્ત શાંતિનો કોલાહલ. પહેલાં વીજળી જાય અને પંખો બંધ પડે તો એનો સન્નાટો વર્તાતો. અત્યારે પંખો ચાલે છે તોયે સન્નાટો. હવે સન્નાટાની ટેવ પડવા માંડી છે કે શું?

એક વાર્તા વાંચી હતી એ યાદ આવી. લખ્યું હતું,

‘દિવસભરમાં જરૂર ના હોય એવા કેટલાય શબ્દો, જેનાથી તકલીફ પહોંચે એવી કેટલીય વાતો લોકોને સાંભળવી પડે છે. જેમ આંખો પર પાંપણ છે એવી રીતે કાનનેય પાંપણ હોય તો અવાંછિત ગરબડથી બચી શકાય?’

‘ભગવાને મને ખૂલે જ નહીં એવી પાંપણો આપી હશે? હું હસી પડ્યો. ન સંભળાવાના ફાયદા શોધવા માંડ્યો.

‘વાહ, ચારેકોર ગમે એટલો અવાજ કેમ ન હોય, હું શાંતિથી વાંચી શકુ છું. કોઈની સાથે વિવાદ નથી થતો. કોઈ ગમે તે બોલે કે ઘાંટા પડે એ નહીં સંભળાય. દૂર ક્યાંક માઇક પર ઘોંઘાટ થતો, એની મને અકળામણ થતી. હવે એની ચિંતા નહીં. દિવાળીમાં બોંબ ફૂટે તો હવે કાનમાં ધાક નહીં પડે, પરમ શાંતિ.

બીજા સપ્તાહે દીકરો મને ઈ.એન.ટી. પાસે લઈ ગયો. બંને વચ્ચેની વાત સંભળાતી નહોતી. વાતના હાવભાવ પરથી લાગ્યું કે, સર્જરી કરવી પડશે.

નિષ્ણાત ડૉક્ટર પાસે સર્જરી કરાવવાની હતી. એનો ખર્ચો ત્રીસ હજાર થશે એ જાણીને આંચકો લાગ્યો. દીકરીના લગ્નનો ખર્ચો, પોતાનું ઘર બનાવવાનો ખર્ચો કાઢ્યા પછી નિવૃત્તિમાં ખાસ બચત રહી નહોતી. પેન્શનની રકમ બેંકની લૉન ભરવામાં વપરાતી. દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. એની કમાણીમાંથી ઘર ચાલે છે એટલે એની પાસે ઝાઝી બચત નહીં હોય એ હું સમજતો હતો.

એક બાજુ દીકરા પર ખર્ચાનો ભાર, બીજી બાજુ જીવનભરનો સૂનકાર. બંને વસમી સ્થિતિ.

બીજું એક સપ્તાહ પસાર થયું. ઘરમાં કોઈએ સર્જરી અંગે વાત ન કરી. ક્યારેક દીકરો અને પુત્રવધૂ મારી સર્જરીને લઈને વાત કરતાં હશે, કદાચ વિખવાદ પણ થતો હશે. પુત્રવધૂને મારી સર્જરી માટે આ ઉંમરે આટલો ખર્ચો કરવાનું બેકાર લાગતું હશે, એવું હું સમજી શકતો.

ન તો આ ચર્ચાનો કોઈ ઉકેલ હતો કે ન અંત.

ચાર દિવસ પછી દીકરાએ સર્જરીનું નક્કી થઈ ગયું છે એવો જાણ કરતો પત્ર બતાવ્યો.

કેવી રીતે વ્યવસ્થા કરી હશે? ઑફિસમાંથી લૉન લીધી હશે? અનેક વિચારો અને ચિંતાથી હું અકળાયો.

“ઑફિસમાંથી કેટલાક સહકર્મચારીઓએ મદદ કરી છે.” અનેક સવાલો કર્યા પછી દીકરાએ કાગળ પર લખીને જણાવ્યું.

થોડી શાંતિ થઈ. હાશ, એ પૈસા હપતે હપતે વાળી શકાશે.

જોકે બે દિવસ પછી રસ્તામાં મળેલા રંગાસ્વામી પાસેથી ખરી જાણકારી મળી.

કાનની સર્જરી અંગે રંગાસ્વામી જાણવા માંગતા હતા. નવાઈ લાગી કે, એમને મારી સર્જરીની કેવી રીતે જાણ થઈ હશે?

હમણાંથી ક્યાંય જવાનું થાય તો ખીસ્સામાં કાગળ-પેન રાખવાની ટેવ પાડી છે. ઝટ દઈને કાગળ-પેન રંગાસ્વામીના હાથમાં પકડાવ્યાં.

એમણે જે લખ્યું એ વાંચીને ખૂબ આઘાત લાગ્યો. પુત્રવધૂને પીયરથી ચઢાવામાં આવેલા દાગીના અને પૌત્રી માટે બનાવેલી સોનાની હાંસડી રંગાસ્વામીના ત્યાં ગિરવી મૂકીને પૈસા ઉધાર લીધા હતા.

આ વિશે મને જાણ નહીં હોય એવું રંગાસ્વામીને ક્યાંથી ખબર?

આ રસ્તો પુત્રવધૂએ કાઢ્યો હતો એવું પણ એમણે જ લખ્યું.

‘ઓહ, આજ સુધી હું એને સમજી શક્યો જ નહોતો !?’

સર્જરી પહેલાં કરાવવા પડતા જરૂરી ચેકઅપના રિપોર્ટ લેવા ગયા ત્યારે દીકરા અને ડૉક્ટર વચ્ચે કંઈક તો ગંભીર ચર્ચા ચાલી.

દીકરાએ લખ્યું,

‘ઈ.એન.ટી. નિષ્ણાત સર્જનનું માનવું છે કે, ઉંમર અને અન્ય રિપોર્ટ જોતાં સર્જરીની સફળતા અંગે સંપૂર્ણ ખાતરી નથી. શ્રવણશક્તિ પાછી મળવાની શક્યતા ઘણી ઓછી છે એટલે સર્જરીનો નિર્ણય વિચારીને લેવો.’

દીકરાનું માનવું હતું કે, ‘ગમે તે થાય સર્જરી તો કરાવી લેવી છે. પપ્પા થોડું પણ સાંભળી શકે તો ગનીમત.’

કાગળ વાંચીને મેં લખ્યું,

‘બેટા, ડૉક્ટરની વાત સાથે સંમત છું. ખરેખર કહું તો ડૉકટરે મારા મનની જ વાત કહી છે. જો સર્જરીથી કોઈ ખાતરીબંધ પરિણામ ન મળવાનું હોય તો એ વાત પડતી મૂકી દે. બહેરાપણું મને સદી ગયું છે. હવે એના લીધે ઝાઝી પરેશાની નથી લાગતી.’

*****

હાશ, આગલા દિવસે ડૉક્ટર સાથે કરેલી વાતથી સર્જરીના નિર્ણયમાં આટલો ફરક પડ્યો એની નિરાંત અનુભવી રહ્યો.

આગલા દિવસે ડૉક્ટરને મળીને જણાવી આવ્યો હતો કે,

‘હું આ સર્જરીની સાવ વિરુદ્ધ છું. હવે મને સાંભળવાની શક્તિ પાછી મેળવવાની કોઈ ઇચ્છા નથી. દીકરાએ ઉધાર લઈને સર્જરી માટે વ્યવસ્થા કરી છે એ મને જરાય મંજૂર નથી. હું સંજોગોને ધ્યાનમાં લઈને સર્જરીની ના પાડું છું એ જાણીને દીકરો દુઃખી થશે, મારી વાતનો વિરોધ કરશે.’

અને ભારપૂર્વક વિનંતી કરી હતી,

‘કૃપા કરીને મારી આટલી મદદ કરશો? તમે જ એને કહેજો કે આ સર્જરીથી ઝાઝો ફાયદો થવાનો નથી.‘

મારી વિનંતી ડૉક્ટરે માની.

બસ, હવે શબ્દોની દુનિયામાંથી વિદાય લઈને સદાના માટે ‘સૂનકાર’ સ્વીકારી લીધો છે.

અસ્તુ

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

March 1, 2024 at 4:12 pm

પત્રાવળી-૩૪, રાજુલ કૌશિક/ ન્યૂઝ ઓફ ગાંધીનગરમાં પ્રસિદ્ધ પત્રોત્સવ શ્રેણી

પત્રાવળીના સહપંથીઓ.

આજે પત્રાવળીની સફર શરૂ થયે ૩૩ અઠવાડિયા પસાર થઈ ગયા અને મઝાની વાત એ છે કે આ સફરમાં સહપંથીઓ જોડાતા ગયા ત્યારે મજરુહ સુલતાનપુરીના શબ્દો થોડા શાબ્દિક ફેરફાર સાથે યાદ આવે છે.

“હમ ચાર હી ચલે થે જાનિબે મંઝિલ મગર, લોગ સાથ આતે હી ગયે, કારવાં બનતા ગયા”… અને આમ પણ આ તો એક સંવાદિતાના સૂરે જોડાયેલા સહપંથી આદરેલી સફર છે ને?

દેવિકાબહેન, તમે આજે જે સંવાદની વાત કરી છે એ સંવાદ જ તો આપણી પાસેની એક વિશિષ્ટ શક્તિ છે જેના દ્વારા આપણે આપણી લાગણીને વાચા આપી શકીએ છીએ. એકમેક સાથે સંકળાયેલા રહીએ છીએ. ક્યારેક મૌન તો ક્યારેક સંવાદ…એ બંને વચ્ચે સમતોલન રાખીને આપણા સંબંધો સાચવી લઈએ છીએ ને?

ક્યારેક એવું પણ બનતું હોય કે આપણે માત્ર આપણી સાથે જ રહેવા માંગીએ છીએ પણ મોટા ભાગે આપણે આપણા સારા-ખોટા અવસરે કોઈકને શોધીએ જ છીએ જે આપણી લાગણીનો પડઘો આપે. ક્યારેક એવું બને કે આપાણા જીવનનો સૌથી મહત્વનો, સૌથી રાજીપાનો અવસર હોય ત્યારે પણ એ સુંદર-મંગળ ક્ષણ આપણે એકલા હોઈએ તો ક્યાં માણી શકીએ છીએ? એવી ક્ષણોને આપણે સૌ સાથે વહેંચીને માણીએ તો એની સુંદરતા અનેક ઘણી વધી જાય છે ને? માણસને વહેંચાવું ગમે જ છે. ભીતરથી એકલતા અનુભવતો માણસ કયારે એ એકલતાનો આઇસ બ્રેક થાય એવી રાહ તો જોતો જ હોય છે. એ રાહ જુએ છે કોઈની….કોઈ એને કંઈક પૂછે એની.

ઘણીબધી લાગણીઓ આંખ કે ચહેરા દ્વારા સામેની વ્યક્તિને સ્પર્શે છે પણ જ્યારે એને આપણે શાબ્દિક વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણા અવાજના આરોહ-અવરોહથી પ્રગટ થતી અભિવ્યક્તિ કે એનો સૂર વધુ પ્રબળ નથી લાગતો?

દેવિકાબહેને કહ્યું એમ સંવાદ એક હૃદયને બીજા હૃદય સાથે જોડતો સેતુ છે. આપણી મનની વાત અન્ય સુધી પહોંચાડવાનું માધ્યમ છે. આજે એ અંગે એક નાનકડી વાત યાદ આવે છે.

જ્હોનાથન પેટીટ નામથી તો આપણે સૌ સાવ અજાણ્યા છીએ. એ નામ આજ સુધી આપણા કાને પડ્યું પણ નહીં હોય ! શક્ય છે ભવિષ્યમાં પણ નહીં પડે, પરંતુ એમણે એમના જીવનની એક એવી મર્મસ્પર્શી વાતનો ઉલ્લેખ કર્યો હતો એ આજે યાદ આવી. એ કહે છે કે જ્યારે તેઓ દસ વર્ષની ઉંમરના હતા ત્યારે એમની માતાએ બનાવેલું અત્યંત ટેસ્ટી ખાવાનું મઝાથી ખાધું. ત્યાર બાદ એ એમની પ્લેટ સાફ કરતાં હતાં ત્યાં એમના માતાએ આવીને કહ્યું, “સોરી દીકરા, આજે પણ ખાવાનું અત્યંત ખરાબ હતું નહીં?”

જ્હોનાથને આશ્ચર્ય અને આઘાત પામતાં માને કહ્યુ, “ ના, ખાવાનું અત્યંત સ્વાદિષ્ટ હતું. મને ખરેખર ખૂબ ભાવ્યું.”

“ખરેખર? હવે આશ્ચર્ય પામવાનો વારો એમની માતાનો હતો. “તું કાયમ કશું જ બોલ્યા વગર ચૂપચાપ ખાય છે. ક્યારેય કશું કહેતો નથી, મારું બનાવેલું ખાવાનું તને ભાવે છે એવું ક્યારેય તેં મને જણાવ્યું નથી એટલે મેં ધારી લીધું કે તને મારું બનાવેલું ખાવાનું નહીં ભાવતું હોય.”

“ના મા, તું તો ખરેખર શ્રેષ્ઠ કૂક છે.”

“તો તારે મને ક્યારેક તો જણાવવું જોઈતું હતું.” મા એ જવાબ આપ્યો.

જ્યારે તમારા મનમાં શું છે એ જણાવો નહીં ત્યાં સુધી એ અવ્યક્ત લાગણીનો શું અર્થ?

વાત આમ છે. આપણે લાગણીઓથી ભલે છલોછલ હોઈએ પણ એ લાગણી જ્યાં સુધી વ્યકત નથી થતી ત્યાં સુધી એ વ્યર્થ છે. સંવાદ એ સેતુ છે જેના થકી આપણે અન્ય સુધી પહોંચી શકીએ છીએ. પ્રેમ ગમે તેટલો કરતા હોઈએ પણ એ પ્રેમ જ્યાં સુધી શબ્દોનું સ્વરૂપ ધારણ ન કરે ત્યાં સુધી અધૂરો જ લાગવાનો. પ્રીતમની લાગણીઓ પ્રિયા એની આંખોમાં જોઈ શકે છે પણ વાણીમાં વ્યક્ત ન થાય ત્યાં સુધી એને સંતોષ ક્યાં થવાનો ?

દેવિકાબહેને એમના પત્રમાં કહ્યું કે, એમના ગયા પત્રથી શરૂ થયેલ મૌનની વાત, પર્વતોની હારમાળા પર પડતા પડઘાની જેમ વિવિધ રીતે ઝીલાઈ. કેવી સરસ વાત! મૌન પણ પડઘાની જેમ ઝિલાય…. આપણે હંમેશા ઇચ્છીએ જ છીએ કે વાત આગળ વધે. આપણે અનેક જગ્યાએ ગયા છીએ અને જોયા છે echo point ઈકો પૉઇન્ટ….આપણે પણ ત્યાં ઊભા રહીને આપણું અથવા સૌથી વહાલી વ્યક્તિનું નામ બોલીએ છીએ અને ચારેબાજુથી એનો ધ્વનિ પડઘાય છે. આપણા જ અવાજના આરોહ અવરોહ એમ યથાવત સાંભળીને કેવા ખુશ થઈ જઈએ છીએ !

બે વ્યક્તિ સાવ સામસામે જોઈને કેટલી વાર બેસી શકે? વાત આગળ વધશે વાતચીતથી ને? ક્યારેક એવું બને કે મનથી આપણે ઇચ્છીએ કે કોઈ કશું પૂછે અને જવાબમાં આપણે છલકાઈ જઈએ. મનનો ઊભરો ઠાલવી દઈએ. ગીતા રચાઈ કૃષ્ણ-અર્જુનના સંવાદોથી. અર્જુને પોતાના મનની વ્યથા વ્યક્ત જ ન કરી હોત તો અંતર્યામી હોવા છતાં શ્રી કૃષ્ણે સંવાદ આદર્યો હોત?

સંવાદ ત્યાં સુધી આવકાર્ય છે જ્યાં સુધી એ વિવાદનું સ્વરૂપ ન ધારણ કરે. વાત સાચીને ?

રાજુલ કૌશિક-

February 25, 2024 at 11:06 am

‘દુઃખ એક ઉત્સવ’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક) માં પ્રસિદ્ધ દાશરથિ ભૂયાં લિખિત વાર્તા- ‘દુઃખ કા ઉત્સવ’ પર આધારિત ભાવાનુવાદ

‘દુઃખ એક ઉત્સવ’ –

ગામ-શહેરનાં ચોક, બજાર, ગલી, મહોલ્લામાં ચારેકોર સ્મશાનવત્ સૂનકાર હતો. કોરોનાની મહામારીના આતંક લીધે નીરવતા અને નિસ્તબ્ધતા છવાયેલી હતી. મોતની સંખ્યા દિવસે દિવસે વધતી હતી. નાનાં-મોટાં, અમીર-ગરીબ, નેતા-અભિનેતા વચ્ચે ભેદ રાખ્યા વગર કોરોનાએ અનેક પરિવારોને તબાહ કરી દીધા.

સુરેશ આમાંથી બાકાત નહોતો. છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ જરાય ઓછો નહોતો થતો. અકાળ મૃત્યુનો ડર તિક્ષ્ણ ધારની જેમ મનને છેદી રહ્યો હતો એના ચહેરા પર ભય અને પીડાનો આતંક સાફ દેખાતો હતો. નાની અમસ્તી વાત કે વસ્તુ પણ ભયાનક સ્વરૂપે દેખાતી. અખબાર, ટીવી., મોબાઇલ પર મિત્રો સાથે વાતોમાં કે ખાવા-પીવામાંય મન નહોતું લાગતું. પતિની પીડા જોઈને અનુપમા હોસ્પિટલમાં દાખલ થવા કહેતી. હોસ્પિટલનું નામ સાંભળતા જ સુરેશ સહેમી જતો.

દર્દીની સારવાર કરવામાં કોવિડથી સંક્રમિત થવાની શક્યતાને લીધે હોસ્પિટલમાં સારવારમાં લાપરવાહી વર્તાતી હોય છે એવો ભ્રમ એના મનમાં ઘર કરી ગયો હતો. મરણાસને પહોંચી ગયો હોય એવી લાગણીથી ઘેરાયેલા સુરેશને મૃત્યુ સિવાય અન્ય કોઈ વિચારોય નહોતા આવતા. જીવન અર્થહીન લાગવા માંડ્યું.

એ મરશે ત્યારે શત્રુઓ કેટલા ખુશ થશે, પત્ની બીજા લગ્ન કરશે, મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર કરવાના બદલે એની લાશને જમીનમાં દાટી દેવાશે એવા સંભવિત દૃશ્યોની કલ્પનામાંથી જાતને જુદો તારવી નહોતો શકતો.

સુરેશના શ્વાસ ખૂબ તીવ્રતાથી ચાલતા હતા. અડોશપડોશમાં કોઈનેય સુરેશની બીમારીની જાણ ન થાય એવી સતર્કતાથી અનુપમા દવા લઈ આવતી.

“જાણો છો, અષાઢ મહિનામાં દર વર્ષે રથયાત્રાના પંદર દિવસ પહેલાં ઠાકુર જગન્નાથજીને પણ તાવ આવે છે અને એમનેય નાની કોટડીમાં બંધ રહેવું પડે છે? આપણે તો સામાન્ય માણસો છીએ અને આ તો સીઝનલ તાવ છે. થોડી પીડા વેઠવી પડે એમાં ડરવાનું નહીં. જગન્નાથજી સહાય કરશે ને સૌ સારા વાના થશે. પણ, હવે સરકારી નિયમ અનુસાર ઓળખત્ર આપીશું તો દવા મળશે ને વળી સ્વાસ્થ્યકર્મીઓ ઘેર આવીને તમને જોઈ જશે.” અનુપમા સુરેશને આશ્વાસન આપતા બોલી.

સ્વાસ્થ્યકર્મી આવીને કોવિડ છે એવું કહેશે તો હોસ્પિટલમાં જવું પડશે, એ વિચારે સુરેશ વધુ ગભરાઈ ગયો. થોડીવારમાં સ્વાસ્થ્યકર્મીઓ આવ્યા. નજીકના પરીક્ષણ કેન્દ્ર પર લઈ જઈને પરીક્ષણ કરવામાં આવ્યું. રિપોર્ટ આવે ત્યાં સુધી ઘરમાં જ ઈલાજ કરવાની સૂચના મળી. તત્કાળ તો સુરેશને હાશ થઈ, પણ એ હાશ લાંબી ન ચાલી.

સોસાયટીમાં સુરેશને કોરોના થયાની અફવા ફેલાવાથી લોકોએ એનાથી અંતર રાખવા માંડ્યું. દૂધવાળા, છાપાવાળા, શાકભાજીવાળાએ ઘેર આવવાનું ટાળ્યું. સોસાયટીના લોકોના વ્યવહારથી એ વધુ ભયભીત થયો.

હવે તો સુરેશને સપનામાંય કાળાં, બિહામણા, ડ્રેગન જેવી આગ ઓકતા રાક્ષસો, હાથમાં તલવાર અને ગળામાં ખોપરીઓની માળા પહેરેલી રાક્ષસીઓ દેખાતી. ઘડીભરમાં એ સૌના ચહેરા સોસાયટીવાળાના ચહેરામાં ફેરવાઈ જતા. એમના પાશમાંથી છૂટવા મથતા સુરેશને એ લોકો ચારેકોર લપકારા લેતી આગ કે જ્વાળામુખીમાં ફેંકી દેતા.

ઊંઘમાંય સુરેશ ‘કોરોના ….કોરોના…’ની બૂમો મારતો. પરસેવાથી લથબથ સુરેશને અનુપમા હડબડાવીને ઊઠાડી દેતી.

એટલામાં ડોર-બેલ વાગ્યો. પરીક્ષણ કેન્દ્રમાંથી રિપોર્ટ લઈને ‘કોરોના વૉરિઅર’ ઊભો હતો.

“અભિનંદન મી.સુરેશ. તમારો કોવિડ રિપોર્ટ નેગેટિવ છે.” સુરેશ કંઈ પૂછે એ પહેલાં એ બોલ્યો.

સુરેશ તો ખુશીથી પાગલ…

“મેં કોવિડ જેવા અજાણ્યા શત્રુને મહાત કર્યો.”

સુરેશ તો જાણે જંગ જીત્યો, પણ કોરોનાએ જે જંગ આદર્યો હતો એનાથી ફરી લૉકડાઉનની જાહેરાત થઈ. જાનહાનીનો આંક ઉત્તરોઉત્તર વધતો ચાલ્યો. લાશોના ખડકલા વધતા ચાલ્યા. જાનલેવા બીમારીના ભયના લીધે સ્વજનોને અંતિમ સંસ્કાર આપવાથીય લોકો દૂર રહ્યા.

સૌને સમજાયું કે પ્રકૃતિની સામે માનવ કેટલો પામર, કેટલો અસમર્થ છે. જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, સ્મિત-શોક, હાનિ-લાભ જીવનના અંશ માત્ર છે.

સુરેશ સાથે પણ એમ જ બન્યું. થોડા સમય પહેલાં કોરોના સામે જંગ જીતીને ખુશ થયેલા સુરેશના નસીબમાં એ ખુશી ઝાઝી ટકી નહીં. કોવિડ વૅક્સીન, બુસ્ટર ડૉઝ લેવા છતાં એ ફરી બીમાર પડ્યો. જીવન મોત સામે જંગ હારી ગયું.

સુરેશ-અનુપમાના પ્રેમલગ્ન બંનેમાંથી એક પણ પરિવારે સ્વીકાર્યા નહોતા. પતિના મૃત્યુ બાદ અનુપમા પોતાની જાતને સંભાળવા અસમર્થ હતી ત્યાં નાનકડી દીકરીને ક્યાં સંભાળે? મોત જ એક રસ્તો દેખાતે હતો જેનાથી આ સંજોગો સામે મુક્તિ મેળવી શકે. એણે નિર્ણય લઈ લીધો, પણ માનવીએ લીધેલા નિર્ણયને ઉપરવાળો ક્યાં માન્ય રાખે છે? આત્મહત્યા કરવા નદીમાં કૂદવા જતી અનુપમાને કોઈએ બચાવી લીધી.

“મને મરવા દો. મારા જીવનમાં માત્ર દુ;ખ અને અંધકાર જ છે.” અનુપમા રડી પડી.

“સંસારમાં પરિવર્તન અફર છે. દિવસ પછી રાત અને હર રાત પછી દિવસ આવે જ છે. સુખ-દુઃખનું પણ એમ જ છે. બંનેમાંથી એક પણ સ્થાયી નથી, એ સત્ય જે સમજી લે એ કશાથી ચલિત નથી થતાં. કૃપા કરીને હું જ્યારે બોલાવું ત્યારે જરૂર આવજો. મહત્વપૂર્ણ વાત કરવી છે.” કહીને અનુપમાને બચાવનાર એ વૃદ્ધે એને એક કાર્ડ આપ્યું.

એટલામાં દીકરીના રડવાનો અવાજ સાંભળીને સફાળી ચોંકી.

“અરેરે.. વગર વિચાર્યે એ શું કરવા બેઠી હતી !! જાણે વૃદ્ધના સ્વરૂપે આવીને ભગવાને એને અનર્થમાંથી બચાવી લીધી.

એક દિવસ એને નિશ્ચિત સ્થળે બોલાવવામાં આવી.

આખો હૉલ ભરેલો હતો. મંચ પર ઉપસ્થિત પેલા સજ્જનનું ભાષણ શરૂ થયું.

“પ્રિયજનો,

“આપને એવું લાગે છે કે, આપ સૌ વિફળ અને પરાજિત લોકો છો, પણ ખરેખર તો તમે સૌ હાર્યા પછી પણ વિજેતા બની શકો છો. વિફળતા વિરામચિહ્ન કે દુઃખદાયક સ્થિતિ નથી.

“તમે જ સિદ્ધ કરી શકશો કે જીવન મૂલ્યવાન હીરો છે. માત્ર એને ચમકાવવાની જવાબદારી પોતાની છે.

“આપણે હવા ભરેલો ફુગ્ગો લઈએ છીએ, પણ બીજા દિવસે એના હાલ જુદા હોય છે. સાચવીને રાખવા છતાં એમાંથી ધીમેધીમે હવા નીકળતી જાય એમ એ ઢીલો પડતો જાય છે. એવી રીતે મોહ-માયા, સુખઃદુખમાંથી પણ સમય આવતા તમારું મન મુક્ત થશે.

“નિષ્ફળતા કાયમ સાથે નથી રહેતી. કેટલીય ચૂંટણીઓ હાર્યા પછી અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા. ૧૦૦ થી વધુ શૉટ અને ૩૦૦ મેચ હાર્યા પછી માઇકલ જોર્ડન બાસ્કેટ- બોલના શ્રેષ્ઠ ખેલાડી ગણાય છે.

“રામેશ્વરમાં અખબાર વેચવાવાળો છોકરો- અબ્દુલ કલામ ‘મિસાઇલ-મેન’નું બિરુદ અને ભારતના રાષ્ટ્રપતિનું સન્માન પામ્યા.

“એક અખબારમાંથી છુટ્ટા કરવામાં આવેલ યુવાન વૉલ્ટર ડિઝનીનું નામ આજે પણ અમેરિકાની એનિમેશન ઇન્ડસ્ટ્રિમાં આદરથી લેવાય છે.

“કમ્પ્યૂટર, ઈ-મેઇલ કે ઇન્ટરનેટથી સાવ અજાણ એવા જ્યાક (જૈક) મા ચીનના સૌથી સફળ મેગ્નેટ, રોકાણકાર, અલીબાબા ગ્રુપના સહ-સ્થાપક ધનિક વ્યક્તિ તરીકે વિશ્વભરમાં જાણીતા છે.

“જેમની મા માનસિક રોગીઓની હોસ્પિટલમાં હતી, પિતાના મૃત્યુ પછી ભારે જહેમતથી ભાઈને ઉછેર્યો, જેમનું બાળપણ અતિ કષ્ટદાયી હતું એવા ચાર્લી ચેપ્લિન આજે પણ સૌ કોઈની સ્મૃતિમાં છે.

“યાદ રાખજો, ખરું ગૌરવ નિષ્ફળતા પછી હાર માનવાના બદલે ઊભા થઈને સફળ થવાનો પ્રયાસ કરવામાં, નિષ્ફળતા પરથી પાઠ શીખીને વિજેતા બનવામાં છે.”

મંચ પર વક્તવ્ય પૂરું થયું ત્યારે ઉપસ્થિત શ્રોતાના ચહેરા પરથી દુઃખની છાયા ઓસરી અને સાહસ, ઉત્સાહની ભરતી ચઢી. સુરેશના ગયા પછી અનુપમાને પહેલી વાર દુઃખને સફળતાનો પાયો કેવી રીતે બનાવાય એ સમજાયું.

અસ્તુ

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

February 23, 2024 at 10:50 am

‘લવ મેરેજ’-રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા .

‘લવ મેરેજ

કાવ્યા……ઓ કાવી…અનિતાની બૂમ સાંભળીને કાવ્યાએ સાઇન આઉટ કરીને ઑફિસની ફાઇલો બંધ કરી.

“ચા…લો….સાંજની સભાનો આરંભ” બબડતી કાવ્યાને ખબર હતી કે, મમ્મીની વાતોમાંથી એ સાઇન આઉટ નહીં કરી શકે.

ટી-મોબાઇલ કંપની માટે કામ કરતી કાવ્યાએ બે દિવસ પહેલાં જ એનો ૨૭મો જન્મદિન મમ્મી સાથે મનાવ્યો હતો.

ટોર્ટિયા સૂપ, પાસ્તા સલાડ, પિઝાને અંતે ડાર્ક ચોકલેટ કેક.

“Happy Borthday Kavi” કહીને મમ્મીએ કાવ્યાનું મોં મીઠું કરાવ્યું.

“કાવ્યા…”

“મમ્મી, હવે તું શું કહીશ એની મને ખબર છે. પણ, પ્લી….ઝ મમ્મી કમ સે કમ આજની સાંજે તો એ કડવું કરિયાતું બાકાત રાખ.”

કાવ્યા ૨૫ વર્ષની થઈ ત્યારથી અનિતાએ ઓન લાઇન મેટ્રિમૉનિઅલ વેબસાઇટ પર કાવ્યા માટે મુરતિયા શોધવાનું શરૂ કર્યું હતું.

“તું આવી સાઇટો પર સમય બરબાદ કરવાના બદલે તારા ‘કૂકરી ક્લાસ’, ‘કૂકરી શો’ પર સમય આપને ભઈસાબ.”

“તને મારો સમય બરબાદ થાય એ મંજૂર નથી એવી રીતે મને પણ તારું જીવન બરબાદ થાય એ મંજૂર નથી એનું શું? કાવ્યા, હવે તો તારી જીદ છોડી દે. મલ્હાર કેટલો સરસ છોકરો છે. તનેય ગમતો હતો તો પછી એણે તને પ્રપોઝ કર્યું ત્યારે તેં એને ના પાડી. જાણી શકું છું કેમ?”

“મમ્મી, મને લવમેરેજના ફિતૂર પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે. પ્રેમલગ્ન કરીને તને શું મળ્યું ? એકલતા અને કાવ્યા નામની એક જવાબદારી?”

“કોઈ એક વ્યક્તિ બેજવાબદાર નીકળે એટલે આખી પુરુષજાત દોષી?”

અઠવાડિયાંમાં એકાદ-બે વાર તો કાવ્યા અને અનિતા વચ્ચે આ ચર્ચા અચૂક થતી.

********

મમ્મી-પપ્પા વચ્ચે મતભેદ ક્યારે મનભેદમાં ફેરવાઈ ગયા એ કાવ્યાને સમજાય એ પહેલાં બંને અલગ થઈ ગયાં. અનેકવાર થતી ઉગ્ર ચર્ચાઓમાં કાવ્યાએ મમ્મીને એવું કહેતાં સાંભળી હતી કે, “પ્રેમલગ્ન કરવાનો નિર્ણય મારો હતો. લગ્નજીવન સુખી અને સફળ થયું હોત તો પોરસાઈને ફરતી હોત. વિફળતામાં પસ્તાવો થાય તો કોની પાસે જવું કે કોને કહેવું?”

ઝાઝી તો સમજ નહોતી, પણ પ્રેમલગ્ન અને વિફળતા જેવા અઘરા શબ્દો કાવ્યાને સમજાયા વગર પણ યાદ રહી ગયા હતા.

કાવ્યાનો એક માત્ર નિયમ- ‘નિશાળેથી નીસરી જવું પાંસરું ઘેર’.

કૉલેજમાં સખીઓ ઘણી, પણ સખાનો વિચાર સુદ્ધાં મનથી દૂર રાખ્યો હતો. આપણે જે ધારીએ કે ઇચ્છીએ એવું થતું હોય તો જીવન કેવું મઝાનું રહે!

કાવ્યાના મનમાં સખાનો વિચાર નહોતો આવતો, પણ કાવ્યાને સખી બનાવવાનો વિચાર મલ્હારના મનમાં વસંતના કેસૂડાની જેમ મહોર્યો અને વાસંતી વાયરાની જેમ દિલ-દિમાગને મહેકાવી રહ્યો હતો.

મલ્હારને કાવ્યાની સૌમ્યતા, એનું ભોળપણ ગમી ગયાં હતાં. ક્લાસમાં કાવ્યાની નજીક બેસવાનું, કાવ્યા સાથે વાતો કરવાનું મન થતું. કિનારા સુધી આવીને મોજાંનાં પાણીની ભીનાશ પગને સ્પર્શે કે મોજાંનાં પાણીને ખોબામાં ભરીએ એ પહેલાં પાછાં વળી જતાં મોજાંની જેમ કાવ્યાની પાસે જવાની અનેક મથામણ છતાંય કાવ્યા તો દૂરની દૂર.

એક વાર તો મલ્હાર અનિતાનેય મળી આવ્યો.

“આંટી, મલ્હાર નામ છે મારું….” કહીને મલ્હારે પોતાની, પરિવારની ઘણી વાતો અનિતા સાથે કરી. કાવ્યા પ્રત્યે પોતાના એકતરફી પ્રેમની, કાવ્યાનાં સંવેદનહીન વર્તનની પણ વાત કરી.

“આંટી, પહાડના પત્થરો ફાડીને ઝરણું પોતાનો રસ્તો કરી લે છે. મને એમ કે કાવ્યાનું હૃદય સાવ પત્થર જેવું તો નહીં જ હોય. હશે આંટી, હજુ તો કૉલેજ પૂરી થઈ. એકાદ બે વર્ષ સુધી મને લગ્નની ઉતાવળ નથી. આજથી મારો કેસ તમને સોંપ્યો, તમે મારા વકીલ. કાવ્યા માટે તમને જો હું યોગ્ય લાગતો હોઉં તો એને સમજાવજો. મારામાં કે મારા પરિવારમાં કોઈ કસર લાગતી હોય તો બેધડક મને જણાવજો. જે ક્ષણે કાવ્યાનું મન માને ત્યારે મને જણાવવામાં ક્ષણવાર પણ રાહ ના જોતાં.”

અનિતાએ મલ્હાર અને એના પરિવાર વિશે ઘણું બધું જાણી લીધું. એને લાગ્યું કે, દીવો લઈને શોધવા નીકળી હોત તો પણ મલ્હાર જેવો છોકરો કાવ્યા માટે ન શોધી શકી હોત.

કૉલેજનું એ છેલ્લું વર્ષ હતું. કાવ્યા પ્રત્યે મારો પ્રેમ, મારી લાગણી આજે વ્યક્ત નહીં કરું તો એ પછી તો ક્યારેય નહીં કરી શકું, એ વિચારે ‘વેલેન્ટાઈન ડે’ના દિવસે લાલ ગુલાબનો બુકે લઈને કાવ્યા પાસે પહોંચ્યો.

“કાવ્યા, એક સરખાં દેખાય એવાં એકાવન ગુલાબો ભેગા કરવામાં જેટલો સમય લાગ્યો એટલો પ્રેમનો એકરાર કરવામાં નહીં લગાડું.

I love you, Kavya…Will you be my Valentine? Will you marry me…?……..

પણ, મલ્હાર પ્રેમનો એકરાર પૂરો કરે એ પહેલાં જ કાવ્યા ત્યાંથી ઊભી થઈને સડસડાટ ચાલી ગઈ.

એ વાતને આજે સાત વર્ષ પસાર થઈ ગયાં. અનિતા એને સમજાવવાની કોઈ કસર છોડતી નથી. જોકે લગ્નના નામથી ભડકતી કાવ્યા હવે થોડી નરમ થઈ પડી છે.

મમ્મીની દૃષ્ટિએ વિચાર કરતી તો એની વાત સાચી લાગતી. પણ, હવે કોઈ મુરતિયા પર મન ઠરતું નહોતું.

********

“કાવ્યા….ઓ કાવી…..”

મમ્મીની બૂમમાં આજે આવેશ હતો. આશ્ચર્યનો કે આઘાતનો?

સાંભળીને કાવ્યા ઑફિસની ફાઇલ બંધ કર્યા વગર કે સાઇન આઉટ કર્યા વગર રૂમની બહાર.

“શું થયું, મમ્મી? કેમ આટલી અથરી…?”

“આ જો કાવી, મલ્હાર.” અનિતાના અવાજમાં ધ્રુજારી હતી.

લગ્ન માટેની કોઈ સાઇટ પર મલ્હારની મમ્મીએ મલ્હારનો ફોટો અને બાયોડૅટા મૂક્યો હતો.

ઓહ! તો હજુ મલ્હારે લગ્ન નથી કર્યા?

“કાવ્યા, આ વખતે મને એક વાર મલ્હાર કે એની મમ્મી સાથે વાત કરી લેવા દે, પ્લીઝ.” મમ્મીની આજીજી કાવ્યા ટાળી ન શકી.

*****

માસ્ટર્સ કર્યા પછી મુંબઈનો બિઝનેસ સંભાળવા મલ્હાર ત્યાં જ રહી ગયો. મમ્મીના આગ્રહથી અનેક છોકરીઓને મળતો, પણ એનું મન કોઈનાય માટે નહોતું માનતું.

“લગ્ન કરીનેય પ્રેમ થાય. હું કે તારા પપ્પા ક્યાં પ્રેમ કરીને પરણ્યા હતાં?” મમ્મી કહેતી.

“મારું મન માનશે એ દિવસે સામેથી આવીને કહીશ, બસ?”

“આજે છેલ્લી વાર એ છોકરીને તું મળી લે. તારું મન નહીં માને તો તારી મરજી થશે ત્યાં સુધી રાહ જોઈશ, પણ આજનો દિવસ મારું મન રાખ.” મમ્મીની આંખોમાં આંસુ અને અવાજમાં આજીજી હતી.

દિવાળી કરવા આવેલો મલ્હાર રાત્રે મુંબઈ પાછો જવાનો હતો. મમ્મીનું મન રાખવા, છોકરી વિશે કોઈ જાણકારી લીધા વગર, ફોટો જોયા વગર, મળીને ના પાડવાના હેતુથી સાવ ઔપચારિક મુલાકાત માટે મલ્હાર સવારે અગિયાર વાગ્યે ‘ ધ પ્રોજેક્ટ કાફે’ પહોંચ્યો.

કાવ્યા એની રાહ જોતી બેઠી હતી.

“હેલ્લો મલ્હાર.”

“કાવ્યા, તું?”

“કોને મળવા જવાનું છે એ જાણ્યા વગર જ આવ્યો હોય એમ અજાણ્યાની જેમ કેમ વર્તે છે?”

“સાચે જ કાવ્યા, આજે મમ્મીનું મન રાખવા નીકળ્યો ત્યારે જાણતો નહોતો કે તારી સાથે મુલાકાત થશે. જે દિવસે તને જોઈ ત્યારથી માત્ર તારી સાથે રહેવું છે, જીવવું છે અને જીવન છે ત્યાં સુધી તને ચાહવી છે એવી મનોભૂમિ પર ઊભો હતો.

“તું એને ઘેલછા ગણે તો તે, પણ મારા માટે તો એ જ સત્ય હતું. તને પ્રપોઝ કર્યું, તું ચાલી ગઈ ત્યારની મારા મનની સ્થિતિ હું સમજાવી શકતો નથી. મનમાં થોડું એવું પણ હતું કે, આ જીદ્દી છોકરી એક દિવસ તો મને સમજશે અને…….

“જવા દે કાવ્યા, તને કહીને કોઈ અર્થ નથી. જે વ્યક્તિ મનમાં જડ કરી ગયેલી ગ્રંથીઓ આડે વાસ્તવિકતા જોઈ શકતી જ નથી એની પાસે હૃદયની લાગણીઓ સમજવાની અપેક્ષા ક્યાં રાખવી?

“અને હું મુંબઈ ચાલ્યો ગયો. સાત સમુદ્ર પાર કરી શક્યો હોત જો સાથે તું હોત, પણ આ સાત વર્ષ કેવી રીતે પસાર કર્યા છે એની ક્યાં વાત કરવી?

“કાવ્યા, આજે પણ હું તને પ્રેમ કરું છું. છતાં, મમ્મી ઇચ્છે છે માટે તું મારી સાથે જોડાય એ વાત જ હું સ્વીકારી શકતો નથી.

“વેલેન્ટાઈન ડે’ના દિવસે એક સરખાં લાલ ગુલાબનો બુકે લઈને આવ્યો તે દિવસથી માંડીને આજ સુધી આપણાં છેડાછેડી બંધાશે, પરણ્યા એટલે પ્યારા લાડી- ચાલો આપણે ઘેર રે…ગવાશે, કંકુથાપા દેવાશે, મમ્મી તને પોંખતી હશે, હાથમાં હાથ અને જીવનભરનો આપણો સાથ એ વિચારે હું લીલોછમ બની જતો.

“પણ સોરી કાવ્યા, આ પરાણે પ્રીતવાળી વાત સાથે હું સંમત નથી.”

મલ્હાર ઊભો થઈને સડસડાટ ચાલી ગયો. બરાબર કાવ્યા ચાલી ગઈ હતી એમ જ.

********

સાંજે ૬-૫૦ વાગ્યે મુંબઈ જતી ઇન્ડિગો એરલાઇન્સના ડિપાર્ચર ગેટ પર મલ્હાર પહોંચ્યો ત્યારે કાવ્યા હાથમાં લાલ ગુલાબનો બુકે લઈને ઊભી હતી.

“એક સરખાં દેખાય એવાં એકાવન ગુલાબો ભેગા કરવામાં જેટલો સમય લાગ્યો એટલો પ્રેમનો એકરાર કરવામાં નહીં લગાડું, મલ્હાર. મનમાં જડ કરી ગયેલી ગ્રંથીઓ આડે વાસ્તવિકતા જોતી નહોતી એવી આ જીદ્દી છોકરી તારા હૃદયની લાગણીઓ સમજી છે. સવારે તું જે રીતે ચાલ્યો ગયો એ ક્ષણે જ મને સમજાયું કે, સાચે જ હવે મારે તારી સાથે રહેવું છે, જીવવું છે અને જીવન છે ત્યાં સુધી તને ચાહવો છે.

“આપણાં છેડાછેડી બંધાતાં હશે, પરણ્યા એટલે પ્યારા લાડી- ચાલો આપણે ઘેર રે…ગવાતું હશે, કંકુથાપા દેવાતા હશે, મમ્મી બંનેને પોંખતાં હશે, હાથમાં હાથ, જીવનભરનો આપણો સાથ એ એ વિચારમાત્રથી હું પણ લીલીછમ બની ગઈ છું.

“Yes Malhar, I Will be your Valentine and will love you for my entire life.

” Will you marry me?”

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

February 14, 2024 at 2:05 pm

‘વિસ્મૃતિ’ -ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ગોપીનાથ મોહંતી લિખિત ઉડિયા વાર્તા પર આધારિત ભાવાનુવાદ

– વિસ્મૃતિ-

એક સવારે અશોકને આભાસ થયો કે, એની યાદશક્તિમાં કંઈક તો ગોટાળો છે. નામ ભૂલી જવાય છે કે શું?

આમ તો અશોક તનમનથી એકદમ સ્વસ્થ હતો. રોજિંદા કામો સ્ફૂર્તિથી કરી લેતો. વકીલ તરીકે કોર્ટમાં અને વ્યક્તિ તરીકે સમાજમાં એના વિચારોનું, વક્તવ્યનું મૂલ્ય હતું. બધું જ બરાબર હતું, પણ જ્યાં વ્યક્તિઓનાં નામની વાત આવે કે સમસ્યા સર્જાતી. રોજેરોજ મળનારી, આસપાસ રહેતી વ્યક્તિનાં નામ સુદ્ધાં યાદ નહોતાં રહેતાં.

સવારે શાક વેચવાવાળા કાકા આવ્યા.

આ કોણ હશે, ગોપી, જગ્ગુ કે મોતી? ચહેરો જ નહીં વ્યક્તિ પણ જાણીતી લાગે છે. જ્યાં રહે છે એ ગલી, એનું ઘર, જમાઈએ મારીને પાછી મોકલેલી એની જુવાન દીકરી યાદ આવી. દીકરીનાં ભરણપોષણ માટે કંઈક કાર્યવાહી કરવાની કાકાએ વિનંતી કરી હતી. કાકાની કરમકથની સાંભળીને એમના ઘેર ગયો હતો. દીકરીને જોઈને દુઃખ થયું હતું. દીકરીનાં ભરણપોષણની વ્યવસ્થા કરી આપવા એણે પૂરો પ્રયત્ન કર્યો હતો. પણ, જેનું નસીબ જ નબળું હોય એને કોણ બચાવે? શીતળાની ઝપટમાં આવીને એ મરી ગઈ એ બધું જ યાદ આવ્યું, પણ એનું નામ યાદ નહોતું આવતું.

શું કરું? કયા નામથી બોલાવું? નામ પૂછીશ તો કાકાને ખરાબ લાગશે. એમના મનમાં પોતાના માટે જે આદર, સ્નેહ હશે એ ગુમાવી બેસશે. કેવી રીતે વાત શરૂ કરું?

એણે અણધાર્યો સવાલ કર્યો, “કરમદાં લાવ્યા છો?”

બુઢ્ઢા કાકાને નવાઈ લાગી. કરમદાં? એ તો ક્યારેય આવ્યો નથી અને હજુ તો એ બજારમાં આવ્યાંય નથી.

અશોક ઊભો થઈને અંદર ચાલ્યો ગયો. ગઈકાલની જ વાત હતી. એક પાર્ટીમાં ગયો ત્યાંય કોઈને સાચાં નામથી બોલાવી શક્યો નહોતો. અને હવે આ કાકા, એટલું જ નહીં રસ્તામાં મળતા લોકોનાં નામમાં પણ ગોટાળા થઈ જતાં.

ગઈકાલે પાનના ગલ્લે ઊભેલા માધવબાબુને શંકરના નામથી બૂમ મારી હતી. એળે ગઈ. ક્યાંથી જવાબ મળે?

એ પાસે પહોંચી જ ગયો.

“અરે સાહેબ, ભારે વ્યસ્ત? બોલાવ્યા છતાં સામે ન જોયું? કદાચ સાંભળાયું નહીં હોય!”

“કેવી વાત કરો છો, તમે મને બોલાવ્યો? સાહેબ, મારા કાનમાં સરસોનું તેલ નાખું છું, કાન એકદમ સાબૂત છે. હમણાં તમે શંકરના નામની બૂમ મારી એ પણ સાંભળી. મને એમ કે પાછળ શંકર પાનવાળાની દુકાન છે એમને બોલાવતા હશો.

અશોકના કપાળે પરસેવો વળ્યો. સમજાઈ ગયું કે આ શંકરબાબુ નથી.

વાત વાળી લેતા બોલ્યો, “જવા દો એ વાત. લ્યો આ સિગરેટ અને એ તો કહો કે બંને પુસ્તક વાંચી લીધાં?”

“કેવાં પુસ્તક, કયાં પુસ્તક?”

અશોકના માથે ફરી આફત આવી. પુસ્તકનાં નામ યાદ ન આવ્યાં. શું બોલે?

“આ તો ગજબ વાત અશોકબાબુ. મારો વિશ્વાસ કરો, હું કોઈ પુસ્તક તમારી પાસેથી લાવ્યો નથી. છતાં, આજે અગિયાર વાગ્યા પછી ઘેર જ છું. જાતે આવીને જોઈ લેજો ભઈસાબ.” કહીને માધવબાબુ ચાલવા માંડ્યા.

“ખરા છે લોકો, કેટલી સરળતાથી વસ્તુ લઈને ભૂલી જાય છે!” એમની વાતથી અશોકને ચીઢ ચઢી. ત્યાં કોઈએ એને બોલાવ્યો.

સામે ઊભેલી વ્યક્તિએ આત્મીયતાથી પૂછ્યું, “કેમ છો? લાંબા સમય પછી મુલાકાત થઈ. બધું ઠીક છે ને?”

‘હે ભગવાન, હવે આ કોણ હશે? આટલી આત્મીયતાથી વાત કરે છે, ચહેરો પરિચિત લાગે છે.”

“શું સમાચાર?” કોઈ રીતે ઓળખ મળે એ હેતુથી અશોકે એમની ખબર પૂછી.

“ખાસ સમાચાર તો એ છે કે, મારા સસરા ગુજરી ગયા.”

“ઓહ ! વૃદ્ધ હશે નહીં?” અશોકે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું.

“આજકાલ તો સૌ વૃદ્ધ જ ને? બનાવટી ઘી-તેલ, પાણી મેળવેલું દૂધ પીને જુવાન કે બુઢ્ઢા, સૌના સ્વાસ્થ્ય પર અસર થવા માંડી છે, પણ જવા દો એ વાત. આપણી વાત કરીએ.” સામે ઊભેલા ભાઈ બોલ્યા.

“હા, એ વાત સાચી. કહો, તમારું કામ કેવું ચાલે છે?” કંઈક કરતાં પરિચિતતાનો તાળો મળે એવો અશોકે સવાલ કર્યો.

“અમારું કામ તો તમે અખબારમાં જોતા જ હશો ને?” સસ્મિત જવાબ મળ્યો.

“અં…હા…હા..વાચું છું ને. તમારું કલેક્ટરીનું કામ કેમ ચાલે છે?”

“કોણ કલેક્ટર, કયું કામ?”

‘ઓહ, આ કલેક્ટર નથી! હાથમાં ચામડાની બેગ છે તો ઇન્સ્યોરન્સવાળા હશે?’

હવે અશોકના ધૈર્યનો અંત આવવા માંડ્યો. એણે સીધું જ પૂછી લીધું,

“માફ કરજો, પણ મને તમારું નામ યાદ નથી આવતું.”

“તાજુબ્બીની વાત. તમારા નાના ભાઈને એક વર્ષ ટ્યુશન આપ્યું હતું. આપણે એક વર્ષ લૉ સાથે ભણ્યા. તમારા પિતા સાથે પણ મારી કેટલી ઘનિષ્ઠતા હતી? ભૂલી ગયા? ખરા છો તમે તો!”

“ભાઈને કેટલાય લોકોએ ભણાવ્યો હતો. લૉ કૉલેજમાં તો અઢીસો વિદ્યાર્થી હતાં અને પિતાજીના મિત્રોની સંખ્યા સાંભળશો તો તમે છક થઈ જશો.”

પછી એ ભાઈએ કચેરીની મુલાકાત યાદ કરાવી.

“વાત લાંબી કરવાના બદલે તમારું નામ કહી દો ને ભઈસાબ.” અશોક ખરેખર અકળાયો.

“ઓહ, એમ વાત છે. મારું નામ નીલ માધવદાસ છે. આઇ. એસ. કર્યા પછી કાશ્મિર કમિશનમાં છું. સસરા ગુજરી ગયા એટલે અહીં આવ્યો છું. લાગે છે કે સાચે જ તમને ઠીક નથી લાગતું.” નીલનું આત્મસન્માન ઘવાયું.

શરમથી અશોક નીચું જોઈ ગયો.

“હા, કેટલો સમય સાથે પસાર કર્યો હતો નહીં ! તમને સમોસા બહુ ભાવતાં….હવે યાદ આવ્યું. એ કેવી રીતે ભુલાય? પણ, નર્વસ બ્રેક ડાઉનના લીધે નામ યાદ નથી રહેતાં. શું કરું?”

નીલને વિશ્વાસ ન આવતો હોય એમ ડોકું ધુણાવ્યું. નમસ્કાર કરીને ચાલવા માંડ્યા.

એ પછી તો રસ્તામાં કેટલાય લોકો મળતા રહ્યા. દરેક વખતે એમની સાથે સુખ-દુઃખની, હસી-મજાકની વાતો થતી રહી. પણ, નામ ન જ યાદ આવ્યાં. હવે અશોકને ચિંતા થતી કે, રખેને એ કોઈને ભળતા નામે ના બોલાવી બેસે એટલે ફક્ત ‘કેમ છો, સાહેબ?” કહીને કામ ચલાવવા મથતો.

કોઈના ઘેર જવાનું થાય તો એમની નેમપ્લેટ પરથી ઓળખ પામવા મથતો. ક્યાંક આખા નામના બદલે ‘એમ.સી.મહાંતિ’ જેવી નેમપ્લેટ હોય તો ભારે અટવાતો.

માધવચંદ્ર મહાંતિ કે માર્કંડ મહાંતિ, શું નામથી બોલાવવાના?

પછી જાતને સાંત્વન આપવા મથતો. એ નામ ભૂલે છે, કોઈના ગુણ નથી ભુલતો ને ! વિધાતાએ બનાવેલી સૃષ્ટિમાં સંબંધોનું મૂલ્ય છે, એની ના નહીં, પણ સંબંધોમાં લાગણીઓની ભરતી-ઓટ આવે એનાથી જીવન અટકી નથી જતું. ચહેરો જોઈને નામ નથી યાદ આવતું છતાં આંખો જોઈને અંતઃકરણ તો પરખાય છે ને?

એ આંખોથી વ્યક્તિને પારખવા મથતો. ક્યારેક કોઈ વ્યક્તિની ધૂંધળી ઓળખ મનમાં આવતી-જતી. નામ-વિસ્મૃતિના લીધે હવે માર્કંડ કે માધવ વચ્ચે કોઈ ફરક રહ્યો નહોતો.

હા, ફરક એટલો જરૂર પડ્યો કે યૌવન આથમે એ પહેલાં વિસ્મૃતિના રોગને લીધે એ ઘર ન વસાવી શક્યો.

અસ્તુ

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

February 11, 2024 at 9:46 am

‘એક સંબંધ- નામનો’ -ગુજરાત દર્પણમાં (ન્યૂ જર્સી .યુ એસ.એ)પ્રસિદ્ધ વાર્તા-

‘ એક સંબંધ- નામનો’

“શ્વેતા સાંભળ્યું છે કે, તારા પપ્પા ફરી લગ્ન કરવાના છે?” દિપાલીએ પૂછેલો આ માત્ર સવાલ નહોતો, મારા અસ્તિત્વને હચમચાવી નાખતો આઘાત હતો. આ એક સવાલ છેલ્લા પંદર દિવસમાં પચીસ વાર પુ્છાયો છે અને દરેક વખતે તૂટીને હું અણુ-અણુમાં વિખરાઈ છું.

આ સવાલનો જવાબ કોની પાસે માગું? પપ્પા પાસે? અનિતાદીદી પાસે? દીદી…? છટ, દીદી શેના વળી? અનિતા જ. માત્ર અનિતા.

શું સંબંધ છે એનો મારી સાથે કે મારા પપ્પા સાથે? જોકે, એ બંને વચ્ચેના સંબંધને નામ આપવું પડે એવી પરિસ્થિતિ તો સર્જાઈ જ હશે ત્યારે જ તો પપ્પાએ આ સંબંધ મંજૂર કર્યો હશે ને?

પણ, આટલો જલદી? મમ્મી ગઈ એને છ મહિના માંડ થયા ને પપ્પા અનિતા સાથે? પંદર વર્ષની ઉંમરે આ સહન કરવાની કે સમજવાની મારી માનસિક તૈયારી હતી જ નહીં.

અનિતાદીદી મમ્મીની જગ્યા લે એ વાતને પપ્પાએ સંમતિ આપી જ કેમ? ક્રોધથી મારું માથું ફાટી જશે એવું લાગ્યું. દિપાલીથી છૂટી પડીને સીધી ઘેર આવી. આજે તો પપ્પા સાથે આ વાતનો ફેંસલો થઈ જવો જોઈએ. આ ઘરમાં ક્યાં તો શ્વેતા ક્યાં તો અનિતા.

અરે, પણ ફેંસલો કરવાની જરૂર જ ક્યાં છે. આ ઘર મારું છે. હું જ રહીશ. આજે તો પપ્પાને કહી જ દઈશ.

*****

છેલ્લા કેટલાય સમયથી પપ્પા અને અનિતાનું નામ સાથે લેવાતું. પપ્પા હતા તો સોશિઅલ સાઇકૉલોજીના પ્રોફેસર, પણ ઘણાં ઊંડાણભર્યા અભ્યાસને લીધે અનેક પુસ્તકો લખ્યા. પપ્પાના સ્ટડીરૂમની શેલ્ફ પુસ્તકોથી ખીચોખીચ ભરેલી રહેતી.

અનિતાદીદીએ સોશિઅલ સાઇકૉલોજીમાં પીએચડી (PhD) શરૂ કર્યું ત્યારથી ઘણી બધી માહિતી માટે અવારનવાર યુનિવર્સિટીથી માંડીને પપ્પાને મળવા ઘરે આવતાં.

ક્યારેક રેફરન્સ માટે કોઈ પુસ્તકની જરૂર પડે તો પપ્પા ન હોય તો મમ્મીની રજા લઈને ઘેર આવતાં.

સાવ ઓછાબોલાં અને અતડાં લાગતાં અનિતાબહેન ધીમેધીમે મમ્મી સાથે, મારી સાથે ખુલવાં માંડ્યાં. ઘેર આવે અને જો લાંબો સમય રોકાયાં હોય તો મમ્મી એમને જમીને જવાનો આગ્રહ કરતી. મને પણ એમની વાતો સાંભળવાનું, એમની સાથે વાતો કરવાનું ગમવા માંડ્યું. જમવા રોકાવાની એ ના પાડે તો હું આગ્રહ કરીને રોકી લેતી.

અનિતાબહેન સાવ એકલાં હતાં. નાનપણમાં એમની જ મમ્મીના અવસાનને લીધે મનમાં મમ્મીની ઝાઝી સ્મૃતિ નહોતી, પણ પપ્પા વિશે એ ખૂબ વાતો કરતાં. અનિતાબહેનને એમ.એ.ની ડીગ્રી મળી ને એમના પપ્પા લાંબી માંદગીમાં પટકાયા. લગભગ ત્રણેક વર્ષની લાંબી માંદગીના લીધે અનિતાબહેનનું આગળ ભણવાનું અટકી પડ્યું.

પપ્પાના અવસાનનો અઘાત, એકલતા, માનસિક હતાશાને લીધે થોડાં વર્ષ એમ જ પસાર થઈ ગયાં. એકલતા દૂર કરવા ફરી ભણવાનું શરૂ કર્યું. પીએચડી(PhD) માટે પુસ્તકોમાંથી માહિતી મેળવવા માટે થઈને પપ્પા સાથે મુલાકાતો શરૂ થઈ. સમય જતા ક્યારેક પપ્પા ન હોય તો પણ આવતાં અને પપ્પાના પુસ્તકોમાં ખૂંપી જતાં.

સહજ શ્યામલ વર્ણ, સૌમ્ય ચહેરો, લાંબા કાળા વાળ, ચાલમાં નજાકત. અનિતાબહેનમાં કશુંક તો આકર્ષણ હતું.

એકાદ વર્ષમાં અનિતાબહેન ઘરનાં સભ્ય બની ગયાં.

“શ્વેતા, તું મને અનિતાબહેનના બદલે અનિતાદીદી કે ફક્ત દીદી કહીશ તો મને ગમશે, હોં.”

“ઓકે…આજથી દીદી કહીશ બસ?”

દીદી પપ્પાને સર અને મમ્મીને મેમ કહેતાં. સમય જતા અને આત્મિયતા વધતા મેમના બદલે અંજનાબહેન અને પછી દીદી મમ્મીને અંજુબહેન કહેતાં.

સમયે ક્યારે એની કરવટ બદલી એની જાણ ન થઈ. જાણ ત્યારે થઈ જ્યારે મમ્મીની માંદગીને ડૉક્ટરોએ લ્યૂકેમિઆ નામ આપ્યું.

લ્યૂકેમિઆ અમારા માટે નામ નહીં ધગધગતો લાવા હતો જેનાથી મમ્મીની જ નહીં મારી અને પપ્પાની પ્રાણશક્તિ પીગળી રહી હતી.

થોડા સમયથી દેખીતા કોઈ કારણ વગર મમ્મીનું વજન ઉતરવા માંડ્યું હતું. સદા સ્ફૂર્તિમાં રહેતી મમ્મીની સ્ફૂર્તિ ઓસરવા માંડી હતી. જ્યારે જોઈએ ત્યારે મોજમાં રહેતી મમ્મીનો મૂડ બદલાવા માંડ્યો હતો. મારી કે પપ્પાની વણમાગી જરૂરિયાત પૂરી કરતી મમ્મીને અમારી ઇચ્છાઓનો બોજ લાગતો હોય એમ પરાણે પૂરી કરતી હોય એવું કેમ લાગતું?

મને કે પપ્પાને મમ્મીના આ મિજાજ પલટાનું કારણ સમજાતું નહોતું. દીદીએ જીદ કરીને ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવડાવી ને જે નિદાન આવ્યું એનાથી આખું ઘર ખળભળી ઊઠ્યું. પપ્પા તો સાવ ભાંગી પડ્યા. મેં પોક મૂકીને રડવાનું જ બાકી રાખ્યું.

દીદીએ મમ્મીની ટ્રીટમેન્ટથી માંડીને જાણે આખા ઘરનો ભાર માથે લઈ લીધો.

ટ્રીટમેન્ટ શરૂ થાય એ પહેલાં જ મમ્મીને ઝીણો તાવ આવવા માંડ્યો હતો. શરીરની શક્તિ અને ચહેરાનું નૂર ઓછું થવા માંડ્યું.

બૉન મૅરો ટ્રાન્સપ્લાન્ટ પહેલાં કેમો-થેરેપી, રેડિએશન થેરેપીની શરૂઆત….

છ મહિના સુધી મમ્મીની એ યાતના, પપ્પાની ચિંતા જોઈને હું હાકીબાકી બની જતી. પપ્પાની ઉંમર જાણે બીજા દસ વર્ષ વધી ગઈ અને મમ્મી….?

નથી યાદ કરવું મારે કશું….નથી યાદ કરવો મારે એ સમય….

છતાંય યાદ આવે છે દીદીએ લીધેલી અમારી કાળજી.

મમ્મીને કેમો-થેરેપી માટે પપ્પા હોસ્પિટલ લઈ જતા, પણ ક્યારેક પપ્પા ન જઈ શકે તો મમ્મીને લઈ જવાથી માંડીને, આખો દિવસ મમ્મીની સાથે રહેવું, મમ્મીને કેમો-થેરેપી સહ્ય બને, હીમોગ્લોબિન ઓછું ન થાય એ માટે રોજેરોજ ‘એ.બી.સી.ડી’ એટલે કે, એપલ, બીટ, ગાજર, દ્રાક્ષનો જ્યુસ બનાવીને આપવો…

મારી અકળામણ સાચવી લેવી…

એ દિવસોમાં દીદી અમારાં સૌનું માનસિક બળ બની રહ્યાં. દીદી સ્ટડી રૂમના બદલે કિચનમાં વધુ જોવા મળતાં. ઘરના સદસ્ય હોય એમ અમારાં માટે લેવાતી કાળજી ત્યારે તો ગમતી.

પણ, તેથી શું?

બીજા બે મહિના પસાર થયા. મમ્મીનું શરીર કોઈ પણ ટ્રીટમેન્ટનો ભાર ખમી શકતું નહોતું. દિવસે દિવસે નહીં, ક્ષણે ક્ષણે શરીર ક્ષીણ થતું ગયું. અંતે ક્ષીણ શરીરનો ભાર પણ મમ્મી ન ખમી શકી.

મમ્મી ચાલી ગઈ.

ત્યારે દીદીએ જ અમારા ઘરને, મને અને પપ્પાને સાચવી લીધાં.

પણ, તેથી શું?

તેથી કંઈ મમ્મીની જગ્યાએ દીદીને સ્વીકારી લઉં?

No way…

કોઈ કાળે નહીં….આજે તો એનો ફેંસલો થઈ જશે. અનેકોના સવાલની જેમ દિપાલીના સવાલે મને હચમચાવી દીધી. કૉલેજથી ઘર સુધી કેવી રીતે પહોંચી મારું મન જાણે છે.

ઘર ખુલ્લું જ હતું, પણ પપ્પાના બદલે અનિતાને જોઈને મારો પારો આસમાને પહોંચ્યો. એનો અર્થ એ કે હવે ઘર પણ અનિતાને હવાલે?

“Enough of it.”

“મારે તમને કંઈક કહેવું છે…. શા માટે….શા માટે તમે આમ અમારા જીવનમાં…..” શું બોલવું જાણે એ સમજાતું જ નહોતું?

“શ્વેતા, અહીં આવ. બેસ મારી પાસે.”

એ જ વશીકરણ કરતો હોય એવો સૌમ્ય ચહેરો, મૃદુ અવાજ…

પણ તેથી શું?

આજે તો કોઈ કાળે એમની વાત સાંભળવી નથી. માત્ર હું જ બોલીશ અને એમણે સાંભળવું પડશે, પણ શું બોલું? ક્યાંથી શરૂ કરું? કેવી રીતે એમને કહું કે, બસ થયું હવે તમે મારાં, પપ્પાના જીવનમાંથી ખસી જાવ.

આખી વાતનો ફેંસલો લાવવા તો પપ્પા સાથે વાત કરવાની હતી અને આમ સામે અનિતાને જોઈને જીભ થોથવાઈ ગઈ.

“શ્વેતા, અંજુબહેન….”

“અંજુબહેન નહીં મેમ…”

“મેમ પણ નહીં, તારી મમ્મી. ઓકે?”

“That’s better…” હજુ ફૂંફાડા મારતો ક્રોધ વ્યક્ત કરવા શબ્દો નહોતા મળતા. આખો દિવસ દીદી- દીદી કહીને કૉલેજની ન ખૂટે એવી કેટલીય વાતો કરી છે અને આજે કેમ જીભ સાથ નથી આપતી?

“શ્વેતા, આજે તું કોઈ વાત કરે એ પહેલાં ‘મેમ’ શું કહે છે એ જાણી લે એવી મેમની ઇચ્છા હતી.

અનિતાએ એક સીલબંધ કવર મારા હાથમાં પકડાવ્યું જેની પર મમ્મીએ જ લખ્યું હતું કે, મારી હયાતી બાદ આ કવર શ્વેતાને આપવું.

“મેમની ઇચ્છા આ કવર તને જ આપવાની હતી. એ દિવસે એમને જરા વધુ તકલીફ થઈ. ઑક્સિજન લેવલ ઘટી રહ્યું હતું. રખેને તું આવે ત્યાં સુધીમાં……અને કવર તને આપવાનું રહી જાય એ ડરથી મને સોંપતા કહ્યું હતું કે, તું થોડી સ્વસ્થ થાય એ પછી જ તને આપવું.

ઉતાવળે મેં કવર ખોલ્યું. એક પત્રની સાથે હોસ્પિટલના બેડ પર ઓશીકાના ટેકે સાવ ક્ષીણ શરીરે બેઠેલી મારી મમ્મીનો ફોટો સરી પડ્યો.

મને ઉદ્દેશીને મમ્મી જે લખ્યું હતું એ વાંચીને હું સ્તબ્ધ….

મમ્મી જ ઇચ્છતી હતી કે, અનિતા આ ઘર, ટીનએજર દીકરીને અને એકલતામાં સરી ન જાય એ માટે પપ્પાને સાચવી લે. મમ્મીએ જે રીતે અનિતાને એની ઇચ્છા જણાવી હતી એના પરથી હું કલ્પના કરી શકતી હતી કે એને અમારી કેટલી ચિંતા હતી અને અનિતા પર કેટલો વિશ્વાસ.

મમ્મીએ લખ્યું હતું….

“શ્વેતા, તને અને તારા પપ્પાને હું જાણું છું. હું નહીં હોઉં ત્યારે કોણ કોને સાચવશે એની મને ચિંતા હતી, પણ હવે નથી. અત્યંત લાગણીથી અનુએ સૌને સાચવી લીધાં એ મેં જોયું, અનુભવ્યું છે.

“શ્વેતા, ખરેખર તો મારે તારી સાથે વાત કરવી હતી. ન કરી શકી. સોરી બેટા.

“અનિતાએ જ્યારથી આપણાં ઘેર આવવાનું શરૂ કર્યું ત્યારે લ્યૂકેમિઆની માંદગીના લીધે એના પપ્પાને ગુમાવી ચૂકેલી સાવ એકલી, માનસિક રીતે ખોખલી હતી. અહીં એને પરિવારની હૂંફ જેવું લાગ્યું. મારી સાથે એ મોકળાશથી વાત કરતી. હું ‘મેમ’ માંથી અંજુબહેન અને અનિતામાંથી એ ક્યારે અનુ બની એ યાદ નથી.

“છેલ્લા આ છ મહિનામાં એણે જે લાગણીથી મને સાચવી છે એનું ઋણ ચૂકવવા હું નહીં હોઉં, પણ એને તમારી સાથે રાખીને તમે ચૂકવો એવી ઇચ્છા છે.

“તારા પપ્પા તો સંસારમાં સાધુ જેવા છે. હું પરણીને આવી ત્યારથી ઘર કેવી રીતે ચાલે કે સંસાર કેવી રીતે સચવાય એની તથામાં ક્યારેય પડ્યા નથી. કોઈ પૂછશે કે, તારા જન્મની પાંચમી મિનિટથી માંડીને પંદર વર્ષની કેવી રીતે થઈ તો જવાબ શોધવા માથું ખંજવાળશે. એનો અર્થ એ નથી કે જવાબદારીની સમજ નથી, હા, દુનિયાદારીની સમજ નથી એ વાત ખરી. એમને તો એ ભલા અને એમનાં પુસ્તકો ભલા. જાણું છું કે મારા ગયા પછી એ સાવ મૂંઝાઈ જશે, કરમાઈ જશે. તૂટી જશે. એમનાં આદર્યા કામો અધૂરાં રહી જશે માટે જ એમની અને તારી જવાબદારી અનુને સોપું છું. એ જવાબદારી લઈ શકે એવા સંબંધનું નામ આપવું પડશે. ઓળખ આપવી પડશે.

“રખે એવું માનતી કે પપ્પાની આમાં મંજૂરી છે. આજ સુધી એમના કે અનુમાં ગુરૂ-શિષ્યાનો ભાવ જ મેં જોયો છે. અનુભવ્યો છે, પણ સમાજને એ વાત સમજાવવી અઘરી છે. મારી હાજરી હોવા છતાં અનુની અવરજવર માટે સો સવાલો ઊઠ્યા છે જેના જવાબ હું આપી શકી. તું નાની છું, પપ્પા ઓલિયા જેવા છે, સાચા છે માટે સમાજની પરવા નહીં કરે, પણ અનુ ઓઝપાશે. એના પપ્પાના ગયા પછી માંડ થાળે પડેલું એનું ભણતર અને જીવન ફરી એકવાર અટવાશે. મનથી એ ભાંગી પડશે તો ફરી કોણ એને ઊભી કરશે? કોણ એને ટેકો આપશે?

“અનુને તમે સાચવી લેશો ને?

“તારા પપ્પા પાસે મેં વચન લીધું છે કે, અનુને અપનાવવાની વાતને મારી અંતિમ ઇચ્છા સમજે. અનુ અને તમે બંને મારી આ વાત સ્વીકારી લેશો તો મારા આત્માને શાંતિ મળશે.”

મારી નજર અનિતા પર….ના…ના, દીદી પર પડી.

સાવ સ્થિર જાણે પત્થર. મારો ક્રોધ આંસુ બનીને વહી રહ્યો.

મમ્મીએ આટલું બધું વિચારી લીધું?

મમ્મીની અંતિમ ઇચ્છા પ્રમાણે પપ્પા અને દીદીએ આર્ય સમાજમાં જઈને સંબંધને સમાજની દૃષ્ટિએ માત્ર ઓળખ આપી છે.

બાકીનું સત્ય હું જાણું છું. બંને આજે પણ ગુરૂ-શિષ્યા જ છે. હવે હું રાહ જોઉં છું કે, સમાજની દૃષ્ટિએ આપેલા સંબંધને બંને જણાં સાચા અર્થમાં સ્વીકારી લે તો મમ્મીના આત્માને શાંતિ મળે.

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

February 9, 2024 at 11:13 am

-ખાન-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ સુભદ્રાકુમારી ચૌહાણ લિખિત વાર્તા ‘હિંગવાલા’ પર આધારિત ભાવાનુવાદ

– ખાન –

‘અમ્મા…..ઓ અમ્મા.., હિંગ લઈશ ને? ” લગભગ

૩૫ વર્ષની ઉંમરનો ખાન આંગણાંમાં આવીને ઊભો હતો.

“હમણાં કશું નથી લેવાનું…જાવ અહીંથી.” નવ-દસ વર્ષના બાળકે બહાર આવીને કહી દીધું, પણ એમ ક્યાં ખાન માને?

“અમ્મા, હીંગ લઈ લે. હું દેશ જાઉં છું. પાછા આવવામાં બહુ દિવસો થઈ જશે.” ખાને રટણ ચાલુ રાખ્યું.

“અરે, હજુ પંદર દિવસ પહેલાં તો તારી જ પાસેથી બહુ બધી હિંગ લીધી છે.” સાવિત્રીએ બહાર આવતાં ખાનને કહ્યું.

“એક નંબરની હિંગ છે, મા. ઘરમાં પડી રહેશે. તારા હાથથી સારી બોણી થાય છે. એક તોલો તો લઈ લે. દેશમાં જઈશ પછી ખબર નથી ક્યારે પાછો આવીશ.” કહીને ખાને એક ડબ્બી સાવિત્રી તરફ સરકાવી.

ઘરમાં હાજર બાળકોની મના છતાં સાવિત્રીએ હિંગ રાખી લીધી. પૈસા લઈ, સલામ કરીને, ખાન ચાલ્યો ગયો. છોકરાંઓ અકળાયાં.

“હિંગની જરૂર તો હતી નહીં તો ખોટા પૈસા ખર્ચ્યાને? હવે એ હિંગવાળાને આપ્યા એટલા પૈસા અમનેય આપી દે.” સૌથી મોટા છોકરાએ જીદ કરી.

“મા એમ કંઈ આપણને પૈસા નહીં આપે. ખાન એનો પહેલો દીકરો છે, ખાનને તો એ આપશે જ.” સાવિત્રીની દીકરી તોબરો ચઢાવીને બોલી.

સાવિત્રી છોકરાંઓની વાત સાંભળીને હસી પડી, પણ ચહેરા પર ખોટા ગુસ્સાના ભાવ સાથે બોલી,

“ખાને પૈસાની સામે હિંગ આપી, તમે શું આપશો?”

“માટી….” છોકરાઓનો જવાબ સાંભળીને એ સાચે જ ફરી હસી પડી.

“સારું, સારું.. ત્રણે જણને એક સરખા હિસ્સામાં પૈસા વહેંચી આપીશ, બસ? ” કહીને એ કામે લાગી.

આ વાતને કેટલોય સમય થઈ ગયો. સાવિત્રી પાસે હતી એ બધી હિંગ પૂરી થઈ ગઈ. એ ખાનના આવવાની રાહ જોતી હતી એવામાં હોળી આવી. હોળી પર શહેરમાં ઘણાં તોફાનો થયાં. એને વારંવાર ખાનની યાદ આવતી હતી સાથે ખાનની ચિંતાય થતી.

‘આ તોફાનોમાં ખાનને કંઈ થયું તો નહીં હોય ને?’

સાવિત્રીની ચિંતાના જવાબમાં એક સવારે ખાન આવીને ઊભો રહ્યો. આટલા દિવસે ખાનને જોઈને સાવિત્રીને થોડી હાશ થઈ.

“અરે ખાન! આટલા દિવસ ક્યાં હતા? મારા ઘર સુધી આવવામાં ડર ના લાગ્યો?”

બંને કાન પર હાથ મૂકીને તોબા કરતા ખાન બોલ્યા,

“દેશમાંથી બે દિવસ પહેલાં જ પાછો આવ્યો અને આવું કેમ બોલે છે મા ? દીકરાને તે વળી અમ્માના ઘેર આવવામાં ડર હોય?”

“ખબર છે, અહીં તો કેવા દંગલ થયાં છે?”

“ખબર છે. દંગલ કરવાવાળાઓમાં અક્કલ નથી.” કહીને ખાને ડબ્બો ખોલીને સાવિત્રીને હિંગ તોળી આપી. સાવિત્રી કે ખાન પાસે હિસાબ પ્રમાણે થતા આપવા-લેવાના છુટ્ટા પૈસા નહોતા. ફરી આવીને લઈ જશે કહીને ખાન ચાલ્યા ગયા.

દિવસો, મહિનાઓ પછી શહેરમાં થોડી શાંતિ ફેલાઈ. સમય પસાર થતો રહ્યો. સૌ દશેરાની તૈયારીમાં લાગ્યા. સાંજે ચાર વાગ્યે મા કાલીનું સરઘસ નીકળવાનું હતું. બાળકો એ સરઘસ જોવા ઉત્સાહી અને ઉતાવળા હતાં.

એક તો સાવિત્રી ખૂબ ડરપોક અને વળી એના પતિ બહારગામ હતા. એણે છોકરાંઓને રમકડાં અપાવવાના, સિનેમા બતાવવાના, શક્ય હોય એટલાં પ્રલોભન આપ્યાં. પણ, બાળકો ના માન્યાં તે ના જ માન્યાં. ઘરનો નોકર રામુ પણ એટલો જ ઉત્સાહી હતો.

“ચિંતા ના કરતાં માજી. હું એમની સાથે જઈશ. જેવાં જઈશું એવાં તરત પાછા…”

હવે છોકરાંઓને મોકલવા જ પડે એવી સ્થિતિ હતી. છોકરાંઓનું ધ્યાન રાખવાનું અને સાંજ પહેલાં પાછાં આવી જવાનું કહીને સૌને રામુ સાથે સરઘસ જોવા મોકલ્યાં.

જોતજોતામાં સાંજ ઢળવા માંડી. અંધારું થવા માંડ્યું, પણ છોકરાંઓ આવ્યાં નહોતાં. હવે સાવિત્રીની ચિંતા વધવા માંડી. ઘરની અંદરબહાર આંટાં મારતી સાવિત્રીને દૂર ભાગાભાગ કરતા લોકો નજરે ચઢ્યા.

“રમખાણ ફાટી નીકળ્યું છે…રમખાણ…” સાથે બુમરાણ પણ સંભળાઈ.

સાવિત્રીના હાથ-પગ ઠંડા પડવા માંડ્યાં.

ત્યાંથી પસાર થતી એક વ્યક્તિને ઊભા રાખીને છોકરાંઓની ભાળ લાવી આપવા વિનંતી કરી.

“અમે ક્યાં તમારાં છોકરાંઓને ઓળખીએ છીએ, માજી.” કહીને એ વ્યક્તિ પણ દોડી ગઈ.

‘વાત તો સાચી. છોકરાંઓને જાણતાં હોય એ પણ આવી ભીડમાં એમને કેવી રીતે શોધે?’

પોતે લીધેલા સાહસી, અવિચારી નિર્ણય પર સાવિત્રીને જાત પર ક્રોધ ચઢ્યો. છોકરાંઓ તો જીદ કરે. એણે જવા શું કામ દીધાં? ના પાડી દેવાની હોય ને?

બહાવરી બનેલી સાવિત્રી છોકરાંઓની મંગળકામના માટે યાદ આવ્યાં એ તમામ દેવી-દેવતાઓને પ્રાર્થના કરી.

ધીમેધીમે શોરગુલ ઓછો થવા માંડ્યો. રાતની સાથે નીરવતા ઘેરી થવા માંડી. હતાશ સાવિત્રી જોરજોરથી રડવા માંડી.

એટલામાં એક પરિચિત અવાજ સંભળાયો.

“અમ્મા…”

સાવિત્રી દોટ મૂકતી બહાર આવી. ખાન સાથે છોકરાંઓ હેમખેમ પાછાં આવેલાં જોઈને એનો જીવ હેઠો બેઠો. છોકરાંઓ દોડીને સાવિત્રીને વળગી પડ્યાં.

“સમય સારો નથી, અમ્મા. છોકરાંઓને આવી ભીડમાં બહાર મોકલાતાં હશે ?”

અસ્તુ,

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

February 1, 2024 at 6:28 pm

પત્રાવળી-૩૦, ન્યૂઝ ઓફ ગાંધીનગર, જન ફરિયાદમાં પ્રસિદ્ધ પત્રોત્સવ શ્રેણી

પત્રાવળી૩૦   

સહયાત્રીઓ !

તમારાં સૌની ટપાલો સમયસર મળે છે. ઇ-મેઇલનું બારણું ખખડે ને જોઉં કે આજે કોઈના લખાણનું પરબીડિયું નથી પણ ટપાલ છે, એટલે એક ઉત્સાહ જાગી જાય અને ઉનાળાના ઠંડા માટલાના પાણીની માફક ગટગટાવી જાઉં. (ઉનાળો ! સાક્ષાત્ અનુભવી રહ્યો છુંને એટલે સાવ સહજ અત્યારે અહીંય ટપકી પડ્યો !)

તમ સૌની ટપાલના જવાબમાં (ના, જવાબમાં નહીં, કાંઈ વેપાર કે વહેવાર થોડો છે? કે કોઈ હિસાબકિતાબનાં લેખાંજોખાંય નથી વળી; એટલેવાચનસુખના ઓડકારના વળતા પ્રતિભાવમાં” –) સહજ થાય કે સૌને લાવો સંભારી લઉં.

સંભારી લઉંએમ લખ્યું ભલે, પણ ટપાલની પ્રવૃત્તિ, પ્રક્રિયા, કામગીરી, કાર્યવાહી શું ફક્ત સંભારવા પૂરતી મર્યાદિત હોય ? ટપાલ કોઈ કાગળના ટુકડા પર ટપકાવાતા અક્ષરો કે કમ્પ્યૂટરના પડદે છપાતા ફોન્ટસની હારમાળા છે કે ? લખવાની શરૂઆત થયા પછી હજારો વર્ષોમાં કેટકેટલાં લખાણો ચામડા ઉપર, તાલપત્રો ઉપર, પથ્થરો ઉપર ને એમ બદલાતાં જતા પટ ઉપર લખાતાં રહ્યાં છે. વેપારવ્યવહારદસ્તાવેજ ને કોણ જાણે કેટલાય ઉદ્દેશોને લઈને સદીઓથી લખાતું આવ્યું છે !

પણ સૌથી ઉપર જો કોઈ લખાણ રહ્યાં હોય તો તે સર્જનાત્મક લખાણો ! કાવ્યશાસ્ત્રમાં સંઘરાયેલો ઇતિહાસ જોઈશું તો જણાશે કે કાવ્યશાસ્ત્ર જેમાં ગદ્યપદ્ય સમગ્ર સર્જનોનો સમાવેશ થાય છે, તેણે આપણી સંસ્કૃતિને સાચવીને પ્રસારી છે.

પણ, સર્જનાત્મક સાહિત્ય અને વ્યવહારોનાં સ્થૂળ, રૂક્ષ લખાણો એ બંનેની વચમાં જેનું સ્થાન મને દેખાયું છે તે તો છે ટપાલો ! એમાં સ્થૂળ વ્યવહારોય છે ને હૃદયને નીચોવીને ગંતવ્યે બેઠેલા વાચકને ક્યારેક તો હલબલાવી મૂકનારાં સર્જનાત્મક તત્ત્વોય છે !! મને તો કિશોરાવસ્થાથી એનો નેડો લાગેલો.

પણ વાત તો હું કરતો હતો પત્ર દ્વારા સંભારવાની, ને તમને સૌને ક્યાંથી ક્યાં લઈ ગયો ? હા, પત્રો જો લાંબા થઈ જાય ને રોજિંદા વાતવ્યવહારોને ડાબે હાથે મૂકીને ફિલસૂફી ઠઠાડવા માંડે તો પત્રો પત્રો રહેતા નથી.

છતાં એક એવું કારણ માધ્યમની માયા પાછળ રહેલું છે, જેને માટે તો આજે તમને સહુને સંભાર્યાં હતાં ! (ફરી પાછું સંભારણું !)

તમને સહુને યાદ હશે કે મારા એક પત્રમાં મેં પત્ર અંગે લખેલું કે એવો અરીસો છે જેમાં વાંચનારને લખનારનો ચહેરો દેખાતો હોય છે ! આને ટેલિપથી તો કહેવાય તોય એક ચમત્કાર તો છે . લખનાર, એનાં ઘરનાં સૌ, અરે ઘરનું ફળિયું, ઓશરી ને રસોડું સુદ્ધાં વાંચનારને દેખાતું હોય છે પત્રમાં !!

ને એટલે તો એક જમાનો હતો જ્યારે ટપાલી સૌનો માનીતો હતો ! દૂરથી દેખાતા ટપાલીનાં ચરણારવિંદ પોતાના ઘરભણી વળતાં દેખાય કે તરત ઘરધણી ઊભડક થઈ જતો ! (હા, ગામમાં જો કોઈને ઘેરતારલઈને ટપાલી આવે તો માણસ ધ્રુજી જતો….માઠા સમાચારની બીકે પડોશીઓય ગણગણી રહેતા કે ભારે થૈ, કોક ગયું !

લ્યો, એક બીજુંય યાદ આવી ગયુંમરણનો કાગળ હોય તો કાગળના મથાળે ઘાટા અક્ષરે લખવામાં આવતું કેકપડાં ઉતારીને વાંચજોજેથી કરીને કપડાંવાસણ વગેરે અભડાઈ જાય…)

વળી પાછી મૂળવાતનું વતેસરથઈ ગયું. તમે સૌ કંટાળી જાવ પહેલાં હવે વાત કરી નાખું એટલે હાંઉં.

પત્ર લખનાર, અહીં હું પોતે, લખતી વેળા નજર સામે તમને સૌને રાખું તો સહજ છે પણ લખતી વખતે મને જે પ્રેરે છે તે તો તમારા આવીને વંચાઈ ગયેલા પત્રોમાંની ફોરમ. પત્રો કાગળ પર હોય કે કમ્પ્યૂટરને પડદે, પણ એમાં લખાયેલાછપાયેલા અક્ષરોમાંથી જ્ઞાનેન્દ્રિયોને સ્પર્શી જનારી કોઈ અગમ્ય ચીજ સ્ફુરી રહેતી હોય છે. જુઓ સ્ફુરણા શબ્દમાં કોઈ ફોરમનો અર્થ પ્રગટતો જણાય છે ? પત્રોને હું એટલે જીવંત ગણું છું.

પત્રો સર્જનાત્મક અને વ્યાવહારિક બંને બાબતોને સવ્યસાચીની જેમ પ્રયોજે છે !! એમાં બે હૃદયોની ધબકનું પ્રત્યાયન થાય છે તો વ્યવહારોની સીધી, સાદી, સપાટ વાત સચોટ રીતે પહોંચે છે. લેણદેણની વાતો કે કાયદાકીય નોટિસો કે નોકરીધંધાના વ્યવહારો પત્રોમાંના અક્ષરોથી અસરકારક રીતે ગંતવ્યે પહોંચીને કામ પાર પાડે છે.

મિત્રો, આપણા પત્રો પણ એના લક્ષ્યસ્થાનને વીંધે અને આગળ જતાં આપણા સૌ સહયાત્રીઓને પણ પ્રેરે તો આપણી યાત્રા જરૂર સફળ થશે. નેટજગતે પત્રોને સાહિત્યના મનગમતા સર્જનવ્યાપારનું સ્થાન પ્રાપ્ત થાય તેવી આશા રાખું.

આજના લાંબા અને કંઈક અંશે નિબંધરૂપ બની ચૂકેલા મારા પ્રયાસ બદલ ક્ષોભ સાથે

સૌની સાભાર સ્મરણવંદના…..

–    જુગલકિશોર

January 29, 2024 at 7:14 am

‘અંતિમ વિદાય?’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ માલતી જોશી લિખિત વાર્તા ‘સાજીશ’ પર આધારિત ભાવાનુવાદ.

મા-બાપુ, પમ્મી, મોહન, મોહનની પત્ની શીલા, સોહન અને નિમ્મી.

આ મધ્યવર્ગી પરિવારની મોટી દીકરી પમ્મીને પરણે પાંચ વર્ષ થયાં પછી પણ એના સાસરે થતા ક્લેશના લીધે અવારનવાર પિયર પાછી આવતી.

આજે ફરી આખા ઘરમાં સન્નાટો ફેલાઈ ગયો. કારણ? પમ્મીનો પત્ર.

છેલ્લા કેટલાક સમયથી આમ જ થતું. પમ્મીનો પત્ર આવતો અને સૌ ખળભળી જતાં. અકળાયેલા બાપુજી બહાર ચાલ્યા જતા. મા રસોડામાં જઈને રૂદન ખાળવાનો પ્રયાસ કરતી છતાં આંખમાંથી આંસુના પૂર વહી આવતા. સોહન ભણવાના બહાને ભાઈબંધના ઘેર ચાલ્યો જતો અને જમવાના સમય સુધી પાછો નહોતો ફરતો. મ્હોં ચઢાવીને નિમ્મી પણ પોતાના રૂમમાં ચાલી જતી.

આવા સમયે ઘરમાં સૌથી વધુ ભાર મોહન અને શીલા અનુભવતાં. હંમેશાં ડરતાં કે, ભૂલથી પણ એવું કશું ના બોલાઈ જાય જેનાથી દારુના ઢગલામાં આગ ચાંપવા જેવી સ્થિતિ સર્જાય.

પમ્મીના પત્રની સૌથી વધુ અસર મા પર થતી.

પાંચ વર્ષના વૈવાહિક જીવનમાં છેલ્લાં ચાર વર્ષથી પમ્મીની એકધારી ફરિયાદ આવતી કે, “જો મારે અહીં વધુ રહેવાનું થશે તો પછી કશું હાથમાં નહીં રહે. હું કંઈક ખાઈ બેસીશ તો તમે મને ખોઈ બેસશો.”

શરૂઆતમાં પમ્મી પિયર ચાલી આવતી તો સૌ એને સાચવી લેતાં. બેચાર દિવસ પછી બાપુજી ખુદ પમ્મીના સાસરે જઈને એણે કરેલા કે ન કરેલા અપરાધોની માફી માંગી લેતા. ક્યારેક જમાઈને બોલાવીને સમજાવતા, પણ સઘળું વ્યર્થ.

પમ્મી આવતી ત્યારે ઘરના રોજિંદા ક્રમની સાથે મહિનાનું બજેટ પણ ખોરવાઈ જતું. પમ્મીને ખુશ રાખવા મા ઢગલો રૂપિયા ખર્ચી નાખતી.

આ બધું કરવામાં શીલાનાં જ પૈસા ખર્ચાતા. ઘરમાં આરોપ-પ્રતિ આરોપનો સિલસિલો શરૂ થઈ જતો.

આ બધું જોઈને પમ્મીને પણ અતિ દુઃખ થતું. ક્યારેક એ બોલી દેતી કે, “મારા આવવાથી ઘરનું વાતાવરણ સાવ આવું થઈ જશે એવી ખબર હોત તો હું મારા ઘેર શું ખોટી હતી?”

અને સાચે જ સૌ પમ્મીના જવાની તૈયારી આદરી દેતાં. ઢગલો સામાન સાથે પમ્મીને અપાતી વિદાય કપરી રહેતી. ઘરની નજીવી આવકમાં મોટો ખાડો પડતો. પમ્મીની વિદાય સાથે ઘરનાં સૌની જરૂરિયાત પર કાપ આવી જતો.

પમ્મીને સાચવવાની મથામણમાં ઘરખર્ચમાં જે ખાઈ ઊભી થતી એ પુરાય ત્યાર પહેલાં તો પમ્મીનો બીજો પત્ર આવતો. આમ ક્યાં સુધી ચાલશે એની દ્વિધા સાથે એક ડર સૌના મનમાં રહેતો.

આ વખતે પમ્મીનો પત્ર આવતા ફરી ઘર આખામાં ખળભળાટ મચ્યો. મોહન પમ્મીને લઈ આવવાની તરફેણમાં હતો. માર્ચ મહિનાથી સોહન અને નિમ્મીની પરીક્ષાઓ શરૂ થતી હતી. પમ્મીના આવવાથી ભણવા-વાંચવા પર અસર થશે એ વિચારે સોહન પમ્મીની બોલાવવાના મતમાં નહોતો.

નિમ્મી પણ સોહન સાથે સંમત હતી કારણ કે પમ્મીની આવવાથી ઘરનું વાતાવરણ અશાંત થઈ જતું. પમ્મી પોતાની દીકરીની તો વાત દૂર ખુદને માંડ સંભાળી શકતી. હતાશાને લીધે ગુમસૂમ થઈને એક રૂમમાં બેસી રહેતી પરિણામે બંનેને સાચવવામાં ઘરમાં સૌની જવાબદારી વધી જતી.

“વાહ, શું કળયુગ આવ્યો છે, પોતાની બહેન પણ સૌને નડે છે?” સોહન અને નિમ્મીની વાતથી મા અકળાતી.

અંતે બાપુજીએ પમ્મીને પત્ર લખીને જણાવી દીધું કે, ‘સોહન અને નિમ્મીની પરીક્ષાઓ પૂરી થશે ત્યારે એ ખુદ એને લેવા આવશે.’

પણ, હજુ તો પત્ર પહોંચે એ પહેલાં પમ્મી આવી પહોંચી. એને જોઈને સૌના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો.

એ દિવસે ઘરમાં આનંદનું વાતાવરણ હતું. મોહને નિમ્મીના વિવાહ અંગે વાત કરવા એના એક પરિચિત પરિવારને જમવાનું આમંત્રણ પાઠવ્યું હતું. મુલાકાતના બહાને એ લોકો ઘર અને નિમ્મીને જોઈ લે એવી એની ઇચ્છા હતી.

ઘર અને નિમ્મીને સજાવીને શીલાએ સાસુમાને પણ તૈયાર કર્યા. મહેમાનોની આગતાસ્વાગતા શરૂ જ થઈ હતી ને પમ્મી આંધીની જેમ આવીને વાવાઝોડાની જેમ વરસી.

“મને ત્યાં ભઠ્ઠીમાં છોડીને અહીં તમે સૌ મહેમાનોને બોલાવીને મઝા માણો છો? કેટલા પત્રો લખ્યા, પણ કોઈએ ખબર લેવાની તસ્દી સુદ્ધાં ના લીધી કે પમ્મી જીવે છે મરી ગઈ. હું આટલી ભારે પડતી હતી તો હાથ-પગ બાંધીને મને કૂવામાં જ ફેંકી દેવી હતી ને? તમારી પાસે આપવા જેટલું કંઈ હતું નહીં તો મારા લગ્ન કરવાની જરૂર ક્યાં હતી?” પમ્મીનો શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો.

મહેમાનોની હાજરીમાં જે તમાશો થયો એનાથી સૌ અત્યંત ભોંઠા પડી ગયાં. અનેકવાર ક્ષમાયાચના માંગીને મહેમાનોને વિદાય કર્યા. નિમ્મી માટે એમનાં તરફથી શું જવાબ આવશે એ તો નિશ્ચિત જ હતું.

મહિનાના આખરી દિવસો હતા છતાં નિમ્મીના ભવિષ્ય માટે થઈને મોહને મહેમાનગતિ માટે જેમતેમ કરીને સગવડ કરી હતી. મોહનના કર્યા-કારવ્યા પર પાણી ફરી ગયું. ઘરમાં માતમ જેવું વાતાવરણ છવાઈ ગયું.

મા અને શીલા સિવાય સૌએ પમ્મીની ઉપેક્ષા કરી હોય એમ પોતપોતાનાં કામે વળગ્યાં.

બે દિવસ તો પમ્મી શાંત રહી શકી, પછી લાવાની જેમ ઉકળવા માંડી.

“લાગે છે કે મારું અહીં આવવું કોઈને ગમ્યું નથી. આવું અપમાન થશે એવી ખબર હોત તો મારા જ ઘરમાં અપમાન સહન કરીને બેસી રહેત કે પછી નાનીમોટી નોકરી શોધી લેત.”

“હા, ભાઈ-ભાભીની છાતી પર મગ દળવા કરતાં તો નોકરી જ શોધી લેવી જોઈતી હતી. જ્યારે મન થાય ત્યારે ચાલી આવે છે, ક્યાં સુધી તારા માટે સૌએ હેરાન થવાનું? ઘરમાં એક બીજી છોકરી પણ છે જેને પરણાવવાની છે, એટલી તો તને ખબર હોવી જોઈએ.” આ વખતે તો સોહને સંભળાવ્યું.

“તારા ઘેર આવું ત્યારે આટલો રોફ દેખાડજે. અત્યારે તો મારા પિતાના ઘેર આવું છું.”

“પિતાનું ઘર….? વિચારી જોજે.” કહીને સોહન ઘરની બહાર ચાલ્યો ગયો. નાનો હતો, અપરણિત હતો એટલે આગળપાછળનું વિચાર્યા વગર પોતાનો ઉકળાટ ઠલવવા જેટલી સ્વતંત્રતા લઈ લીધી.

સોહન આટલું બોલી ગયો છતાં બાપુજી કંઈ જ ન બોલ્યા એ વાતે પમ્મી સ્તબ્ધ હતી. જેમના આધારે, વગર વિચારે પોતે ચાલી આવી હતી એમણે પણ સોહનને બોલતા ન રોક્યો એ વિચારે પમ્મીનો આઘાત બેવડાયો.

“બાપુજી….?”

“હું શું કરું પમ્મી ? શક્ય હતું ત્યાં સુધી પહોંચી વળવા પ્રયાસ કર્યા, પણ હવે આ બુઢ્ઢા બાપમાં એટલી તાકાત રહી નથી કે આ બધું સંભાળી શકે. મારાં પેન્શનમાંથી દવાઓ જ માંડ આવે છે. દીકરાના ભરોસે દિવસો કાઢું છું ત્યાં એના માથે કેટલો ભાર વધારું? પમ્મી દીકરા, અમે તારા જન્મ માટે જવાબદાર છીએ. કર્મની ગતિ તો તારે જ ભોગવવી પડશે. સુખ કે દુઃખ જે નસીબમાં લખાયું છે એ તો તારા ઘરે રહીને ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. આમ ને આમ ચાલશે તો નિમ્મીના વિવાહ કેવી રીતે કરીશું?”

ચાર દિવસ પછી સોહન સાથે પમ્મીને સાસરે મોકલી ત્યારે બાપુજીને લાગ્યું કે જાણે દીકરીને અંતિમ વિદાય ના આપી રહ્યા હોય !

નથી ને કાલે કશું અજુગતું બન્યું, પમ્મીના સાસરિયાઓએ એની સાથે કશું અઘટિત કર્યું તો એમાં પોતે પણ બરાબરના હિસ્સેદાર જ ગણાશે.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

January 25, 2024 at 2:48 pm

નિત્યનીશી-૧

મિત્રો,

રંગપર્વના પાવન દિવસોમાં ‘નિત્યનીશી’નો શુભારંભ થયો અને આપ સૌના પ્રેમાળ પ્રોત્સાહનથી અમે પાંચે સંપાદકોએ અમારી ડાયરીનું પ્રથમ પાનું ખુલ્લું મૂક્યું. હવે પછી દર શનિવારે અમેરિકાની સાંજે એટલે કે ભારતની રવિવારી સવારે, નિત્યનીશીના એક પાના સાથે અમે આપને મળતાં રહીશું તે સહજ જાણ સારું..

તો વાંચતાં રહેશો નિત્યનીશીનું એક પાનું દર અઠવાડિયે એક .. એકાંતે રચાતું ને મનની અંગત વાતો કરતું સાહિત્ય- ‘ડાયરી’

ક્યારેક અચાનક મનમાં કોઈ વિચાર સ્ફૂરી આવે તો ક્યારેક કોઈ સ્મૄતિ સળવળી ઊઠે. આવું કંઈક બને ત્યારે એ વિચાર કોઈ નવું સ્વરૂપ પણ લઈ લે. એ દિવસે સવાર સવારમાં અતિ પ્રસિદ્ધ થયેલી અમારી સામૂહિક ‘પત્રાવળી’ યાદ આવી. એમાંના પત્રો જ્યારે ફેસબુકના પાને મૂકવાનું નક્કી કર્યું ત્યારે એની લોકપ્રિયતાની વાતના અનુસંધાનમાં જુગલકિશોરભાઈ સાથે વાત કરી ત્યારે એનો રાજીપો વ્યક્ત કરવાની સાથે એમણે ‘સામૂહિક ડાયરી’ લખવાનો એક નવો વિચાર રમતો મૂક્યો..અને તરત જ દેવિકાબેન ધ્રુવ અને પ્રીતિબેન સેનગુપ્તાએ ઉત્સાહપૂર્વક સંમતિ દર્શાવી અને મઝાની વાત તો એ બની કે લંડનથી નયનાબેન પટેલ પણ અમારી સાથે રાજીથી જોડાવાં તૈયાર થઈ ગયા અને આમ પાંચ સંપાદકોનું પંચમ બન્યું. આ પંચમ શબ્દ પણ મઝાનો.

હા તો, સૌ પ્રથમ તો નેટ ડાયરીનું સ્વરૂપ કેવું હશે, કેટલા સમયગાળે તેને પ્રગટ કરવું, નામ શું રાખવું વગેરે બાબતની ચર્ચાઓના અંતે નેટ પર ફેસબુકનું નવું પેજ બનાવીને કેવી રીતે પ્રગટ કરવું એ અંગે જુભાઈએ માર્ગદર્શન આપ્યું. પ્રારંભદિન પહેલાં આ સમગ્ર કાર્યની પ્રસ્તાવનારૂપે મઝાનું અને માહિતીસભર લખાણ દેવિકાબેને લખ્યું અને એમાં તો જાણે ડાયરીની ઓળખ છતી થતી ગઈ.

એમના જ શબ્દો અહીં સીધા મૂકવા છે….

“‘ડાયરી’ નામે સાહિત્ય સ્વરૂપ અનેક નામથી પરિચિત છે. દૈનંદિની,વાસરી,વાસરિકા,રોજનીશી રોજિંદી, રોજની, નોંધપોથી વગેરે. અંગ્રેજીમાં જર્નલ, ડેબૂક, લોગબુક, ક્રોનિકલ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. એમાં દરરોજની નોંધ રોજ રોજ કરવાની હોય ત્યારે થાય કે રોજ રોજ વળી શું લખવાનું? ને એટલે જ એને માટે રોજની-શી?! એવું એક સ્મિત ફરકાવતું નામ પણ જુગલકિશોરભાઈને જ સૂઝે!

“આ વિશે વધુ ઊંડાણથી વિચારતાં પ્રીતિબહેન સેનગુપ્તાને વળી એક નવું નામ લાધ્યું ‘નિત્ય-નીશી’ અને અમે પાંચ સાથીદારોએ (જુગલકિશોરભાઈ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા ધ્રુવ અને નયના પટેલ રાજુલ કૌશિક) સ્નેહથી વધાવી પણ લીધું.

“સાહિત્યનું આ સ્વરૂપ વ્યક્ત થવા માટે મઝાનું છે. એનું મઝાનું હોવું ખાસ તો એ કારણસર છે કે એ લખાણો જાત સાથેની જાત્રા સમા હોય છે. ભીતરી અનુભૂતિ કોઈ પણ રૂપે આ માર્ગે વહી નીકળી શકે છે. ડાયરી અંગત જીવનનું એવું સુરક્ષિત સંગીત છે કે જ્યાં વ્યક્તિ પોતાનાં સ્વાનુભવો, સંવેદનાઓ અને વિચારોને સ્થાન આપી શકે છે.

“બીજી મઝાની વાત એ છે કે, ડાયરી લખવા માટે કોઈ ખાસ ધારાધોરણ કે નિયમ ન હોય. ઘણા લોકો હંમેશા નિયમિત રીતે લખે. ઘણાં, કોઈ ખાસ વાત, અવિસ્મરણીય પ્રસંગ કે બનાવ ટાંકવાનો હોય ત્યારે લખે. કેટલાંક વળી હૈયામાં ઘૂમરાતાં મોજાંઓને ડાયરીમાં ઠાલવે, ડાયરીનાં કોરાં પાનાંઓમાં છલકાવે. એ રીતે લખનાર વ્યક્તિનું એ પ્રસંગ કે બનાવ અંગેનું નિરીક્ષણ, વિચારો, અનુભવજન્ય ચિંતન વગેરે મનોભાવો એમાં પ્રગટે છે અને તે કોઈ અન્યને કહેવાતા નથી. બસ, મનની મઢૂલીમાંથી શબ્દોની પાંખે ઊડતા ઊડતા ડાયરીના સિંહાસને સ્થાન લે છે.

“આમ, નિત્ય લખતા રહેવાની ઈચ્છા (નિત્ય-નીશી) આપણને અનાયાસે આપણી નિકટ લઈ આવે છે. વળી એ ગમે ત્યારે ખોલીને વાંચી શકાય અને તસ્વીરોની જેમ સ્મૃતિઓને તાજી કરી આપે છે. એટલે કે રોજનીશી એ લખનારનાં સમય, સ્થળ, આબોહવા, વિચારો, મનોદશા, અને ભૌગોલિક સંગ્રહનું સજાગ આલેખન છે. અમ્બ્રોસ (એમ્બ્રોસ) બીયર્સ નામના એક ચિંતકે કહ્યું છે કે, “ડાયરી વ્યક્તિએ સ્વયં લખેલો રોજિંદો દસ્તાવેજ છે” આપણાંમાંથી ઘણાને ડાયરી લખવાની આદત હોય છે. પશ્ચિમના દેશોમાં ડાયરી લખનારાંને ‘ડાયરીસ્ટ’ કહે છે.

“આ તબક્કે એક વધુ વાત નોંધવી ગમશે. કહેવાય છે કે, ડાયરી લેખનનો ઈતિહાસ ખૂબ જૂનો છે. આપણા ઋષિમુનિઓ શિષ્યો પાસે લખાવતા. બીજી સદીના ઉત્તરાર્ધમાં રોમન સમ્રાટ માર્કસ ઓરેબિયસે ગ્રીક ભાષામાં લખેલી ‘ટુ માય સેલ્ફ’ને સૌથી પૌરાણિક ડાયરી તરીકે જોવામાં આવે છે. એ ‘મેડિટેશન’ તરીકે પણ ઓળખાય છે. વર્ષ ઈ.સ. ૧૯૦૩ની સાલમાં સંગીતકાર પિતાને ત્યાં જન્મેલી એનીસ નીનની થોકબંધ નોંધપોથીઓમાંથી ચૂંટેલી સામગ્રીના પાંચ ગ્રંથ બહાર પડ્યા છે.

૧૯૦૮માં ‘સ્મિથસન’ કંપનીએ ‘ફેધરવેઈટ’ ડાયરી બનાવી. ૧૯૪૨માં જ્યારે મેરી એન ફ્રેન્કને સૂઝયું કે ડાયરી લખવી જોઈએ ત્યારે ૧૩ની ઉંમરે ડાયરી લખવાનું શરૂ કર્યું. તેની આ ડાયરી હિટલરના જુલમોનો ઈતિહાસ લખે છે. તેણે લખેલી ડાયરી જગતની ૧૮થી વધુ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે. તે ઉપરાંત રશિયાના મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી અને ફ્રાન્સના નવલકથાકાર આંદ્ર (આંદ્રે) જીદની રોજનીશીઓ પ્રખ્યાત બની છે. આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, મહાદેવ દેસાઈથી માંડીને ઘણા બધા લેખકોએ પોતાની જિંદગીના કોઈ ને કોઈ તબક્કાની રોજનીશી લખી છે.”

આટલી પૂર્વભૂમિકા પછી ‘પત્રોત્સવ’ની જેમ જ હવે ૨૦૨૧ના આ પૂર્વાર્ધ કાળમાં અમે ‘નિત્ય-નીશી’ શરૂ કરી રહ્યાં છીએ.

દર સપ્તાહે એક લેખે પાંચ અઠવાડિયે પાંચેય સંપાદકોનાં ડાયરી-પાનાં પ્રગટ કરવાનું પણ નક્કી થયું.

દિવસ ઊગતાથી માંડીને સાંજ-રાત સુધીમાં એક પછી એક પ્રસંગ નજરે કે કાને પડતા રહે છે. આમાંના કેટલાક પ્રસંગો શાંત જળમાં કાંકરી પડે ને જેમ વલયો પ્રગટે તેમ મનને વશ રહેતા નથી ને વિચારો ભાવોને સર્જી બેસે છે.

તે દિવસે જુભાઈએ જે વિચારબીજ વાવ્યું તેને અંકુરો ફૂટી ચૂક્યા છે ! આ નવી શ્રેણીને નેટવાચકો સમક્ષ મૂકવાનો સમય થઈ ગયો છે ત્યારે અમારી ડાયરીનાં આ પાનાં કે જે અમારાં અંગત હતાં તે સૌ વાચકો સમક્ષ મૂકીને સૌની શુભેચ્છા માંગી લઈએ છીએ!!

પ્રીતિ સેનગુપ્તાનું પાનુ : ‘આભલું’

દેવિકા ધ્રુવનું પાનું : ‘ચંદરવો’

નયના પટેલનું પાનું : ‘ગોરજ’

રાજુલ કૌશિકનું પાનું : ‘રજકણ’

જુગલકિશોરભાઈનું પાનું : ‘તરંગ’

૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૧

January 25, 2024 at 6:36 am

પત્રાવળી- ૨૯,ન્યૂઝ ઓફ ગાંધીનગર-જન ફરિયાદમાં પ્રસિદ્ધ પત્રોત્સવ પત્રશ્રેણી

પત્રાવળી- ૨૯

પ્રીતિ સેનગુપ્તા

રવિવારની સવાર

સર્વે પત્ર-મિત્રોને સુંદર ઋતુની વધામણી.

મૌન શબ્દ પર વિચાર કરતાં કરતાં થાય, કે આમ જુઓ તો એ શબ્દ કેટલો સહેલો લાગે છે, નહીં?

“કેમ આજે મૌન લઈને બેઠાં છો?”, અથવા “કેમ, આજે સાવ મૌન રાખ્યું છે કે શું?” જેવા કટાક્ષ કરવામાં આ શબ્દ વધારે વપરાતો દેખાય. મૌન એટલે તત્પૂરતો વાણીનો અભાવ કહીએ, તો રોજિંદા જીવનમાં આવી ચુપકીદી કે શાંતતા મોટા ભાગના લોકોને ગભરાવી- ગુંગળાવી મૂકે છે. એમને અવાજ જોઈતો હોય છે, પછી ભલે એ સાંભળતા ના હોય. એટલે કે જેને ‘ white noise’ કહે છે તે.

વ્હાઇટ નૉઇઝ – કૃત્રિમ અવાજ, ઇચ્છાપૂર્વક પશ્ચાદ્ભૂમાં હાજર રખાતો just some sound. એમ તો એ કર્ણપ્રિય રવ હોઈ શકે છે, ને મધુર ધ્વનિ પણ હોઈ શકે છે. એ સતત ચાલુ રહે છે, ને એની હાજરી લોકોને એકલાં નહીં હોવાની ધરપત આપે છે. એ બધું અર્થહીન ને ઉપરછલ્લું હોય તો વાંધો નહીં, પણ હોવું જોઈએ તે નક્કી. “સાવ શાંત હોય તો જગ્યા ભેંકાર લાગે, ભઈ”; ને “કોઈ વાત કરનારું ના હોય તો સાવ કંટાળી જવાય, હોં”- જેવા ઉદ્ગારો આપણે ક્યાં નથી સાંભળ્યા?

તો ‘મૌન’ શબ્દ શું કેવળ શબ્દોની, વાણીની, અવાજની ગેરહાજરી જ સૂચવે છે? એ શબ્દમાં શું કશાની, કશા તત્ત્વની હાજરી છે જ નહીં?

હું એમાં રહિતતા નહીં, પણ સભરતા જોઉં છું. મૌન શબ્દને હું વ્યાપક રીતે જોવા પ્રેરાઉં છું. મૌન એટલે સ્વ-સ્થ હોવું, એમ સમજું છું. સ્વમાં, નિજમાં સ્થિર હોવું તે, એટલે કે જાતની સમજણ તરફ જવું તે, ચિત્તના ઊંડાણને કેળવતાં જવું તે. અહીં મૌન શબ્દને ધ્યાનની પ્રક્રિયાની સાથે સાંકળી શકાય. લૌકિકમાંથી કંઈક અ-લૌકિક તરફની ગતિ, કે વ્યક્તિગતતામાંથી નીકળી જઈને વૈશ્વિકતા તરફની મતિ.

‘મૌન’ એટલે જો ‘નિઃશબ્દતા’ ગણીએ તો પણ એમાં અર્થનું ઊંડાણ પામી શકાય છે. મૌન દરમ્યાન ચૈતસિક પ્રવૃત્તિ શક્ય બને છે. એ પ્રવૃત્તિ જો, અને જ્યારે, શબ્દથી છૂટી જાય તો, અને ત્યારે, ધ્યાન સંપૂર્ણ બને છે, અને પછી જ્ઞાન લાધી શકે છે.

અમેરિકામાં જન્મેલા, ને પછી બ્રિટિશ નાગરિક બનેલા વિખ્યાત કવિ ટિ. એસ. એલિયટ એક કાવ્યમાં કહે છે, કે I said to my soul, be still. ને છેલ્લે લખે છે, — so the darkness shall be the light, and the stillness the dancing. પહેલાં સ્થિરતા મેળવો, ને પછી ઉત્ફુલ્લતા પામો. એવું કંઈક. એમનું કલ્પન કેટલું બધું હિન્દુ અધ્યાત્મ-વિચાર જેવું, લાગે છે.

જોકે ‘મૌનનું મંદિર’ અને ‘વિપશ્યના’ જેવા, પ્રયોગો જરા અઘરા ગણાય. એમાં આઠ-આઠ દસ-દસ દિવસ સુધી શબ્દરહિત, વાણીરહિત થઈને ફક્ત સ્વની સાથે વસવાનું હોય છે. સાવ મૂક આધ્યાત્મિકતાનું આ ઘણું દુષ્કર કહી શકાય તેવું સ્વરૂપ લાગે છે.

દેહને અને મનને આવું વધારે પડતું કષ્ટ આપ્યા વગર પણ મૌનને મેં ઘણા પ્રમાણમાં અનુભવ્યું છે. હું તો કહીશ કે હું મૌનને માણતી રહી છું. મેળામાં એકલું લાગવાની વાત ગુજરાતી કવિતા કરતી હોય છે, પણ એકલાં હોઈએ ત્યારે અનહદ આનંદની પ્રતીતિની વાત મેં કરી છે. દા.ત. “મને મારગ પર દૂર સુધી ચાલવા દેજો, મને એકલાંયે આનંદે મ્હાલવા દેજો –”.

રાજુલબહેન ! કૉર્નવૉલ પ્રાંત અને ત્યાંનું પૅન્ઝાન્સ ગામ મારાં અતિપ્રિય સ્થાનો છે. ગાઢ ધુમ્મસ ત્યાંની મોડી બપોરની રોજિંદી બીના છે. એક વાર એ મારી પાછળ પડવા લાગેલું. મારે તો એ અંચળો ઓઢવાની ઇચ્છાની સાથેસાથે, સુરક્ષિત રહેવા વિષે ‘પ્લાન બી’નો વિચાર પણ કરવો પડેલો. મોડીમોડી પણ બસ આવેલી, ને ત્યારે એ આશ્લેષ-મુક્તિ બાબતે જીવ બળ્યો હતો પણ ખરો.

પ્રવાસ-સ્થાનો પાસેથી મળેલાં ઊંડાં મૌન-આનંદનાં ઘણાંયે સ્મરણ છે, પણ એ સિવાયના એક અસાધારણ પ્રસંગનો ઉલ્લેખ કરું : ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયૉર્કમાં આપણા પ્રખર વિચારક કૃષ્ણમૂર્તિ પધારેલા. શહેરના ખૂબ મોટા કાર્નેગી હૉલના વિશાળ સ્ટેજ પર હતી ફક્ત એક નાની ખુરશી. સમય થતાં, કૃષ્ણમૂર્તિ એકદમ ચૂપચાપ આવીને બિરાજ્યા. બિલકુલ હાલ્યા-ચાલ્યા વગર આખું વ્યાખ્યાન આપ્યું, ને પછી એ જ રીતે, ચૂપચાપ અંદર ચાલ્યા ગયા. ખીચોખીચ બેઠેલા પ્રેક્ષકોમાંથી કોઈની દેન ન હતી કે તાળી પાડે ?!

સ્વના ઊંડાણનું, ખાલીપણાની સભરતાનું, મૌનની અસાધારણતાનું હંમેશાં યાદગાર એવું આ સંસ્મરણ છે.

—- પ્રીતિ સેનગુપ્તા

January 20, 2024 at 3:23 pm

સંસારસંન્યાસ-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા- ‘એક ઓર વાપસી’ પર આધારિત ભાવાનુવાદ

– સંસારસંન્યાસ-

લાંબા સમય પછી નિવૃત્તિ બાદ ગજાધર બાબુને ઘેર આવેલા જોઈને શકુંતલાદેવી તો ભારે ખુશ. હાશ, હવે પતિની પસંદગીનું ખાવાનું બનાવીને એ એમને ખવડાવી શકશે. ખૂબ સેવા કરશે. લાંબા અરસા પછી પતિના સાનિધ્યમાં સમય પસાર કરવાનો શકુંતલાના મનનો હરખ એના ચહેરા પર છલકાતો હતો.

૨૫ વર્ષથી એ પતિથી દૂર રહી. ગજાધર બાબુની નોકરી જ એવી હતી કે દર ત્રણ વર્ષે એમની ટ્રાન્સફર કોઈ દૂરદૂર શહેરોમાં થતી. સંતાનોને દર વખતે નવી જગ્યા, નવી સ્કૂલ, અલગ વાતાવરણમાં અગવડ ન પડે અને એમના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એટલે શકુંતલા પિયર હતું એ શહેરમાં સંતાનો સાથે રહી. ઘર સંભાળ્યું, સંતાનોના ઉછેર અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપતી રહી.

સમય જતા મોટા દીકરાનું લગ્ન થતાં પુત્રવધૂ આવી. દીકરીને પણ ધામધૂમથી પરણાવી. નાના દીકરાને પરણાવવાનો સમય પણ નજીક આવતો ગયો. સઘળી જવાબદારી શકુંતલાએ એકલા હાથે પાર પાડી. મનમાં સતત આશાનો એક દીપ લઈને એ આ બધું કરતી રહી કે પતિ નિવૃત્ત થઈને ઘેર આવશે ત્યારે ઘર-પરિવારના સઘળા ભારથી મુક્ત થઈને સંપૂર્ણ સમય પતિ સાથે, પતિ માટે જ ફાળવશે. ઉત્તરાર્ધનો સોનેરી સમય પતિ સાથે ગાળશે, પતિ સાથે ભરપૂર જીવશે. આટલા વર્ષોના વિયોગને એ ઉત્સવમાં બદલી નાખશે.

છેલ્લા પાંચ મહિનાથી પુત્રવધૂને ઘરકામમાં કેળવવા માંડી હતી જેથી પોતે ઘરકામથી ફારેગ થાય તો પુત્રવધૂ સરળતાથી એ જવાબદારી સંભાળી શકે. આટલા વર્ષોથી પોતે તો પરિવાર સાથે રહી છે, પણ પતિ તો સાવ એકલા જ રહ્યા છે. પોતે પતિની એકલતાને, વર્ષોના સૂનકારને સુંવાળા સહચારથી ભરી દેશે.

શકુંતલાદેવીનું સપનું સાકાર થવાનો દિવસ આવ્યો. ગજાધર બાબુ ઘેર આવ્યા, પણ આ શું?

શકુંતલાદેવીને એ વાતનું આશ્ચર્ય થતું કે આટલા વર્ષે પત્ની સાથે રહેવાનો સમય આવ્યો ત્યારે પતિ મહાશયમાં કેમ જરાય ઉમળકો વર્તાતો નથી? શકુંતલાદેવી પાસે બેઠા હોય તો પણ પતિદેવ તો મોબાઇલમાં જ વ્યસ્ત. બાજુમાં બેઠેલી પત્ની તરફ નજર માંડવાના બદલે. પત્નીની વાતો સાંભળવાના બદલે એમનું ધ્યાન સતત મોબાઇલમાં જ રહેતું. હાથમાં ફોન અને ફોન પર ખટર પટર, પટર ખટર. શકુંતલા પાસે બેસતી તો ગજાધર બાબુ અસહજ બની જતા.

આટલા વર્ષો એકલા રહ્યા પછી ગજાધરે WhatsApp, Twitter, Facebook, Instagram જેવા social media સાથે દોસ્તી કરી લીધી હતી. ફેસબુક તો જાણે એમની ઓળખ બની ગયું હતું. અવારનવાર ફેસબુક પર પોતાની પોસ્ટ શેર કરે રાખતા. મળ્યા ન હોય એવા લોકો સાથે વાતચીત અને વાહવાહીમાં સમય પસાર કરતા.

એક શકુંતલાદેવી હતાં જેમણે ચાતકની જેમ પતિની રાહ જોઈ હતી. જીવનભરની કથા, વ્યથા પતિને જણાવવી હતી. પતિ એકલા રહેતા હતા એટલે એમને કોઈ જાતનો ઉચાટ, કોઈ દ્વિધા કે અવઢવ ઊભી ન થાય એટલે સતત સંજોગો સામે એ ઝઝૂમતી રહી. આ પચીસ વર્ષ કેવી રીતે પસાર કર્યાં છતાં એનો અણસારો સુદ્ધાં પતિ સુધી પહોંચવા નહોતો દીધો.

શકુંતલાદેવી સરસ તૈયાર થતી, પણ પતિદેવને ફેસબુકની સુંદરીઓને જોવા આડે એક મિનિટની ફુરસદ જ ક્યાં હોય કે પત્ની સામે નજર માંડે? હવે તો સ્થિતિ એવી આવતી કે, શકુંતલાદેવી કંઈક કહેતા હોય તો પણ ગજાધરબાબુનું ચિત્ત એમનાં ‘બુદ્ધુ બોક્સ’- ‘Idiot Box’માં જ હોય. શકુંતલાદેવીએ ક્યારે, શું કહ્યું એ હવામાં જ જતું. બંનેના દિવસ-રાત પણ અલગ. શકુંતલાદેવી વહેલા સૂઈ જાય, પતિદેવ મોડા સુધી મોબાઇલમાં રચ્યાપચ્યા હોય. શકુંતલાદેવી સવારે વહેલા ઊઠે, પતિદેવ મોડી સવાર સુધી ઊંઘતા હોય.

કેટલીય વાર શકુંતલાદેવીને લાગતું કે પતિદેવ કોઈની સાથે વાત કરી રહ્યા છે, પણ એમને જોઈને ચૂપ થઈ જાય છે.

આ એ જ પતિ હતા જે કહેતા કે, “શકુ, તારા વગર રહેવું મારા માટે મોતથી બદતર દશા જેવું છે.” અને આજે પચીસ વર્ષે મળેલા પતિદેવ આટલા બદલાઈ ગયા?

હાય રે, આટલા માટે જુદાગરો વેઠ્યો હતો?

પતિદેવે અચાનક એક દિવસ શકુંતલાદેવીને જાણ કરી કે, સરકારનો રિટાયર્ડ લોકોને નોકરી પર રાખવાનો પ્રસ્તાવ એમણે મંજૂર કરી લીધો છે અને હવે પોતે નવી નોકરીવાળા નવા શહેરમાં જશે. શકુંતલાદેવીએ રાજી થઈને પતિ સાથે જવાની તૈયારી આદરી.

પણ, ગજાધરબાબુએ એમના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતાં કહ્યું, “ એમને ક્યાં ક્યાં જવું પડશે એ નિશ્ચિત નથી. વળી અહીં પૌત્ર-પૌત્રીઓ, પરિવારને શકુંતલાદેવીની જરૂર વધારે છે. પોતે તો પોતાની વ્યવસ્થા કરી લેશે.”

“અરે ભગવાન, હવે પેન્શનની પૂરતી રકમ મળે છે તો નવી નોકરીની જરૂર છે જ ક્યાં? જીવનના આ પડાવ પર સાથે રહેવાનો સમય મળ્યો છે તો માણી લો ને?” પત્નીએ અકળામણ ઠાલવી.

ગજાધરબાબુ પત્નીને કેવી રીતે સમજાવે કે, “હવે એમને એકલા રહેવાનું માફક આવી ગયું છે. WhatsApp, Twitter, Facebook, Instagram જ એમની દુનિયા છે અને એમાં જ મસ્ત રહેવાનું ગમે છે. પત્નીની સાથે રહેવાનું, પત્નીના સવાલોના જવાબ આપવાનું નથી ગમતું. હવે તો એકાકી જીવનમાં જ મસ્ત અને વ્યસ્ત રહેવું છે.”

અને ગજાધરબાબુએ ફરી પોતાનો સામાન સમેટવા માંડ્યો. શકુંતલાદેવી ફરી રસોડું સંભાળવા તરફ વળ્યાં.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

January 18, 2024 at 3:18 pm

પત્રાવળી- ૨૮, અલકેશ પટેલ- ન્યૂઝ ઓફ ગાંધીનગર, જન ફરિયાદમાં પ્રસિદ્ધ પત્રોત્સવ શ્રેણી.

પત્રમિત્રો,

પત્રાવળીની શબ્દયાત્રામાં અત્યાર સુધી હું ‘પ્રવાસી’ હતોઆજે “સહયાત્રી” બન્યો. પ્રવાસી તરીકે મુગ્ધ બની વાંચતો હતો, હવે સહયાત્રી તરીકે શબ્દમાં શ્રદ્ધા ભળી. ‘પત્રાવલિ’ યાત્રારથનાં ચાર પૈડાં પૈકી દેવિકાબહેને પ્રારંભમાં શબ્દને અહમ્ થી સોહમ્યાત્રા ગણાવ્યો છે. કેટલું બધું આવી જાય છે બંનેની વચ્ચે ?!

પણ એક મિનિટ, શબ્દ એટલે શુંશબ્દની પોતાની કોઈ ભાષા ખરીશું બોલાય, લખાય અને વંચાય શબ્દ? મને તો લાગે છે શબ્દ એક એવું ‘નિરાકાર’ તત્ત્વ છે જે દરેક આકાર અને સ્વરૂપમાં આપણી સામે આવે છે. શબ્દ આંખના પલકારામાં હોય છે. શબ્દ હોઠ અને ચહેરાના હલનચલન દ્વારા વ્યક્ત થાય છે. શબ્દ તો સ્પર્શ દ્વારા પણ વ્યક્તઅભિવ્યક્ત અને કન્વે (convey) કરી શકાય છે. સાંભળી અને બોલી નહીં શકનાર દિવ્યાંગ માટે જે કંઈ દેખાય છે શબ્દો છે. તો જોઈ નહીં શકનાર દિવ્યાંગ સાંભળીને અથવા સ્પર્શ કરીને શબ્દને અનુભવે છે.

અરે, નવજાત બાળક માટે માતાના સ્પર્શમાં રહેલી શબ્દની શક્તિને કેવી રીતે મુલવીશુંઅને નવજાતને સુવડાવવા માટે હાલરડું ગાતી માતા પોતે તો શબ્દનો સહારો લે છે, પણ ઘોડિયામાં હિંચતા બાળક માટે શબ્દોનું કોઈ મહત્ત્વ છે ખરુંના, તો માતાના અવાજ અને હાલરડાંના લયને સાંભળતાં સાંભળતાં સૂઈ જાય છે ને શબ્દમાં યુદ્ધની ક્ષમતા છે તો શબ્દમાં શાંતિની અસાધારણ તાકાત પણ છે.

કુદરતી વાતાવરણમાં રહેતાં પશુપક્ષીપ્રાણી તમને શબ્દ વિના આનંદ અને ડરની લાગણી કરાવે છે ને ! આંગણામાં રમતી ખિસકોલી કે પતંગિયાને તમને આનંદ આપવા માટે શબ્દની ક્યાં જરૂર પડે છેતો એકાએક સામે આવી જતા વંદો, ગરોળી કે પછી સાપ કોઈ શબ્દ વિના  આપણને ડરની અનુભૂતિ નથી કરાવતાં વહેતા ઝરણાંના ખળખળમાં કોઈ શબ્દ નથી, પણ તેમાંથી ઊઠતા ધ્વનિમાંથી થતી શબ્દરૂપી અનુભૂતિ આપણી પોતાની છે. દરિયાના ઘૂઘવાટમાં કોઈ શબ્દ નથી, પણ ઘૂઘવાટનો અનુભવ આપણામાં શબ્દરૂપ લે છે. ઈશ્વર સાથેના સંવાદમાં ભાષા અને શબ્દનાં બંધન માણસને ક્યાં નડ્યાં છે એક ગુજરાતી ભાવિક ગુજરાતી ભાષામાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે તો દક્ષિણ ભારતીય ભાવિકો વેંકટેશ્વરની સ્તુતિ તેલુગુ, કન્નડ કે તમિળમાં કરે છે. શ્રીકૃષ્ણના બંને સ્વરૂપ કઈ ભાષાના કયા શબ્દ સમજે છે કોઈને ખબર છે ખરીછતાં, આપણને સૌને વિશ્વાસ છે કે આપણી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે છે, પહોંચશે. અહીં “પ્રાર્થના”  ‘ભાવ’ છે અને  “ભાવ”   ‘શબ્દ’ છે.

શબ્દોની તાકાત, તેની નબળાઈ અને તેની મજા બધું કહેવતોમાં સૌથી શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય છે. આપણી પાસે એવા એવા શબ્દો હોય છે જેના ઉપયોગ અને તેની અર્થછાયામાં ઊંડા ઉતરવામાં આવે તો એક સાવ નવી દુનિયા જોવા મળે. જેમ કે દિશા. શબ્દ વાંચતાં કે સાંભળતાં જે અર્થ આપણા મનમાં આવે તે સિવાય પણ કેટકેટલા અર્થ તેમાં સમાયેલા છેએવી રીતે ઊંડાણ અને ઊંચાઈ ! જેનો અનુભવ કરવા માટે તમારે શબ્દોની જરૂર છે ખરી?

શબ્દ બ્રહ્મ છે એવું આપણે સાંભળ્યું છે. તો પછી અર્થ શો છેઅર્થ સાપેક્ષ છે. હું જે બોલું છું અથવા લખું છું તે બરાબર અર્થમાં તમે નથી સમજતા તો તેના બે અર્થ છેએક, હું જે બોલું કે લખું એવું ખરેખર કહેવા માગતો નથીઅથવા બે, તમે તેને તમારી માન્યતા મુજબ સાંભળવા કે સમજવા માગો છો અને સંદર્ભમાં અર્થ સાપેક્ષ છે.

પત્રાવલિની શ્રેણીએ શબ્દ વિશે આટલું બધું વિચારવાની તક આપી પ્રયાસની સૌથી મોટી સફળતા ગણાય. મને તો લાગે છે કે શ્રેણીના પત્રોનું સંપાદન કરીને પુસ્તક તૈયાર કરવામાં આવશે તો ગુજરાતી ભાષા, સાહિત્ય અને શબ્દ વિશે એક અમૂલ્ય ગ્રંથ તૈયાર થશે. શબ્દને માતાની જેમ લાડ લડાવવામાં આવે, પિતાની જેમ શિસ્તમાં રાખવામાં આવે તો તેમાંથી કેવો ભવ્ય પરિવાર તૈયાર થાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પત્રાવળી છે, એવું કહેવામાં અતિશયોક્તિ મને તો નથી લાગતી.

સૌને  શાબ્દિક વંદન..

અલકેશ પટેલ

Email: alkesh.keshav@gmail.com

January 16, 2024 at 2:48 pm

‘મુખવટો’-ગરવી ગુજરાત (લંડન)માં પ્રસિદ્ધ દાશરથિ ભૂયાં લિખિત, ડૉ. ભગવાન ત્રિપાઠી અનુવાદિત ઉડિયા વાર્તાને આધારિત ભાવાનુવાદઃ

“અમે છીએ એવાં ભાગ્યશાળી સંતાન,

કોઈ ન હોઈ શકે અમારાથી મહાન,

રવિ કિરણોથી ઝળહળ, નીલ ગગન સુધી અમારી ઉડાન.”

પહેલી વાર વિમાનમાં લંડન જવાના અનેરા આનંદ અને ઉત્સાહ સાથે બાળપણના આ ગીતને યાદ કરીને સુદામ ભટ્ટ ખુદને ભાગ્યશાળી માનીને ખુશી અનુભવી રહ્યા. દિવસના ઉજાસમાં વાદળોની ઉપર ઊડતું વિમાન, રાતના અંધકારમાં તારામંડળની જેમ ઝગમગતો પ્રકાશ જોઈને સુદામ ભટ્ટ રોમાંચિત થઈ ઊઠ્યા.

વિમાનની તેજ ગતિની સાથે એટલી જ તેજ ગતિથી મન ગામ તરફ ધસી રહ્યું હતું. ગામની હાઇસ્કૂલના સન્માનીય શિક્ષક સુદામબાબુ હાલમાં નિવૃત્ત થયા. ગામના મોટાભાગના વૈશ્ય, ખેડૂત અને શુદ્ર શ્રેણીના અભણ લોકોની વચ્ચે એક માત્ર બ્રાહ્મણ પરિવાર એટલે અમુક લોકો તો જાતિભેદના લીધે એમની પાસે આવતા ડરતા. શિક્ષક હોવાની સાથે કર્મકાંડમાં પારંગતતાના લીધે એ વિવાહ, ગૃહપ્રવેશ ઉપરાંત શ્રાદ્ધ પણ કરાવતા એથી સૌ એમને ગોસાંઈ મહાપ્રભુના નામથી બોલાવતા.

એમના દીકરા તપનને ઉચ્ચ શિક્ષણના લીધે ચેન્નઈની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી. કંપનીએ એને પાંચ વર્ષ માટે લંડન મોકલ્યો.

સુદામબાબુ નોકરીમાંથી નિવૃત્ત થાય એ પહેલાં એમની પત્નીનું અવસાન થવાના લીધે સુદામબાબુ એકલા થઈ ગયા. તપને જીદ કરીને એમને લંડન બોલાવ્યા. સુદામબાબુ રૂઢિચુસ્ત હોવાના લીધે ખાવા-પીવાની સમસ્યા થશે એવી ખબર હતી. આ સમસ્યાને લીધે એમને લંડન જવાની જરાય ઇચ્છા નહોતી, પણ તપનનું ઘણું સમજાવ્યા બાદ રાજી થયા.  

તપનના પાંચમા માળે આવેલા અપાર્ટમેન્ટના ઝરુખામાં ઊભા રહીને જે લંડન દેખાયું એમાં ભલે વતનની માટીની સુગંધ નહોતી, પણ મન પ્રસન્ન થઈ જાય એવો મનોરમ્ય નઝારો તો હતો જ. સુદામબાબુ ખુશ થઈ ગયા. આકાશની લાલિમા તો જાણે કોઈ સુંદરીની માથે પૂરેલા સિંદૂર જેવી ભાસી. ગગનચુંબી મકાનોની નીચે સડકો પર દોડતી ગાડીઓ, બસો, પગપાળા કે સાઇકલ પર  જતા લોકો, દૂરથી દેખાતી રમકડાં જેવી મેટ્રો ટ્રેનો જોઈને સુદામબાબુ તો ભારે અચંબિત.

“બાબુજી, પહેલાંનું થોડું કામ બાકી છે. મારે ઑફિસે વહેલા જવાનું છે. હું ઑફિસની કેન્ટિનમાં જમી લઈશ. આજે તમારું લંચ ઑનલાઇન ઓર્ડર કરી દીધું છે. કાલથી જમવાનું ઘેર બનાવીશું.” કહીને તપન તૈયાર થઈને ઑફિસે જવા નીકળ્યો.

જોકે સુદામબાબુએ બહારનું ખાવા કરતા ફળ ખાવાનું પસંદ કર્યું. લિટલ ઈંડિયા તરીકે ઓળખાતા સાઉથાલ વિસ્તારમાં તપન રહેતો. સાંજ પડે સુદામબાબુ ચાલવા નીકળતા. રસ્તાની બંને બાજુની હોટલ, સ્ટોર, દુકાન અને રેસ્ટોરાંનાં નામ પણ ભારતીય હતાં.

એક દિવસે ‘મહારાજા’ નામની રેસ્ટોંરાની બહાર બેસીને વાતો કરતી થોડી પ્રૌઢ વ્યક્તિઓને જોઈને સુદામબાબુ અટકી ગયા. દેખાવે ભારતીય લાગતા આ સૌ હિંદી મિશ્રિત ઉર્દૂમાં વાત કરતા હતા. એ લોકોની વાતચીતમાં સુદામબાબુને રસ પડતા ત્યાં બેસવાનું મન થયું. એટલામાં બેઠેલી વ્યક્તિઓમાંથી કોઈએ રેસ્ટોરાંના માલિક ભટ્ટબાબુને ચાનો ઓર્ડર આપવા બૂમ મારી. 

રેસ્ટોરાંના માલિકનું કુલનામ ભટ્ટ નામ સાંભળીને આજ સુધી બહારનું પાણી પીવા સુદ્ધાંના વિરોધી સુદામબાબુએ ખુશ થઈને ચાનો ઓર્ડર આપ્યો.

એ દિવસથી રોજ સાંજે ‘મહારાજા’ હોટલમાં ચા પીવાનો, રાત્રે નવ વાગ્યે તપન આવે ત્યાં સુધી સૌની સાથે બેસવાનો સુદામબાબુનો ક્રમ બની ગયો.

અનાયાસે એક દિવસ કુલનામ ભટ્ટ સાથે સુદામબાબુને વાત કરવાની તક મળી. સુદામબાબુએ પોતાની ઓળખ આપતા કુલનામ ભટ્ટની સાથે વાત માંડી. કુલનામ ભટ્ટના પિતા પણ ભારતથી આવ્યા હતા. રોજની મુલાકાતના લીધે બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને સુદામબાબુ એ પૌઢ વ્યક્તિઓના ગ્રુપમાં પણ ભળી ગયા. રવિવાર કે રજાના દિવસોમાં બંધુ-ભોજનમાં સુદામબાબુને આમંત્રણ મળવા માંડ્યા.

જ્યારે જ્યારે સુદામબાબુ બહાર ફરતા ત્યારે નાતિ-જાતિના ભેદ વગર મળતા, ભળતા ભારતીય યુવાન-યુવતીઓને જોઈને એમના રૂઢિવાદી માનસને થોડો આંચકો લાગતો.

એક સાંજે ભટ્ટબાબુને કુલનામ ભટ્ટના ઘેર જમવાનું આમંત્રણ મળ્યું. ‘અતિથિ દેવો ભવઃ’માં માનતા કુલનામ ભટ્ટના ઘેર સુદામબાબુનું ઉષ્માભર્યું સ્વાગત થયું. સરસ મઝાનું ઘર, ઘરમાં મુમતાઝ- શાહજહાં, તાજમહાલ જેવી તસવીરો જોઈને સુદામબાબુ રાજી થયા કે, વાહ, ધન્ય છે આ લોકો જે ભારતનો ઇતિહાસ પરદેશ સુધી લઈ જાય છે.

ઔપચારિક વાતોથી શરૂ થઈને બંનેના પરિવાર સુધીની અંગત વાતો થતી રહી.

કુલનામ ભટ્ટના પિતા મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ અને બાલિસ્તાનના નિવાસી હતા. વિભાજન સમયે કોઈ અંગ્રેજની મદદથી ઈંગ્લેન્ડ આવ્યા હતા. ઘરઘરાઉ કામ કરતા કરતા  હોટલના માલિક બન્યા. પિતાજીના મૃત્યુ બાદ હવે કુલનામબાબુ હોટલ સંભાળે છે, વગેરે વગેરે..

“તો પછી હોટલનું નામ મહારાજા કેમ?” સુદામબાબુએ પૂછી જ લીધું.

વાત જાણે એમ છે કે કહીને કુલનામ ભટ્ટે વાત માંડી.

“અહીં બહોળી સંખ્યામાં ભારતીયો છે વળી વિશ્વભરમાં પાકિસ્તાનીઓની તુલનામાં વિશાળ સંખ્યામાં ભારતીય રહેવાસી અને પ્રવાસીઓ છે. ભારતીયો વિદેશ આવીને ભારતીય રેસ્ટોરાંનું ભારતીય ખાણું જ પસંદ કરે છે એટલે ભારતીયોને આકર્ષિત કરવા પિતાજીએ ‘મહારાજા’ નામ રાખ્યું.

“વર્તમાનમાં અને ખાસ કરીને ૯/ ૧૧ ના ટ્વિન-ટાવર પરના આતંકી હુમલાના લીધે ઈંગ્લેન્ડ, અમેરિકા, યુરોપના લોકો પાકિસ્તાનીઓ સાથે વ્યવહાર રાખવાનું પસંદ નથી કરતા. એમની નફરત અને થોડા ડરને લીધે અનેક મુસ્લિમોની જેમ હું પણ મારો અસલી પરિચય છુપાવીને ભારતીય તરીકે ઓળખાવાનું પસંદ કરું છું.

“હોટલ પર સદંતર ભારતીય પોષાક અને પરંપરા સાચવું છું,પણ મારું ખરું નામ મકબૂલ ભટ્ટ છે. અમે કઈ જાતિના છીએ એની જાણ નથી, પણ અમે ઈસ્લામ ધર્મનું પાલન કરીએ છીએ.”

કુલનામ ભટ્ટની વાતથી આંચકો ખાઈ ગયેલા સુદામ ભટ્ટના પેટમાં વમળ ચઢ્યાં. જે કંઈ ખાધું એ હમણાં જ બહાર નીકળી જશે એવા ડરથી એ ઓડકાર પર ઓડકાર ખાવા માંડ્યા. હવે અહીં એક પળ રોકાવાની ઇચ્છા મરી પરવારી. છતાં, ઘરની બહાર નીકળવામાં એમને વિવેક આડો આવતો હતો.

સુદામ ભટ્ટના મનની સ્થિતિથી અજાણ મકબૂલ ભટ્ટ વાત આગળ વધારતા બોલ્યા,

“સત્તરમી સદીમાં પશ્ચિમ ભારત પાકિસ્તાન ઈસ્લામી રાજ્યમાં પરિવર્તિત થઈ ગયું, પણ હિંદુ-મુસ્લિમનાં કુલનામમાં સમાનતા રહી ગઈ. કેટલાક કાશ્મીરી ભટ્ટે ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો, પણ એ સૌના પૂર્વજ હિંદુ હતા. કેટલાક પાકિસ્તાની કે બાંગ્લાદેશીઓએ વિદેશ આવીને ભારતીયતા ન છોડી.

“હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતનો ત્રિરંગો ફરકાવીને પોતાની જાન બચાવી એમ અમે સૌએ પણ સલામતી માટે ભારતીય મુખવટો પહેરી રાખ્યો છે.”

હવે સુદામબાબુના મનમાં શીત યુદ્ધ શરૂ થયું. ખુદની સમીક્ષા કરતા કરતા એક નિષ્કર્ષ પર પહોંચ્યા કે, ખરેખર કોણે મુખવટો પહેર્યો છે અને કોનો મુખવટો ઊતરી ગયો, એમનો કે મકબૂલ ભટ્ટનો? પોતે કરેલા પ્રશ્નથી મકબૂલ ભટ્ટે પહેરેલો ભારતીય મુખવટો ઊતરી ગયો છે કે વાસ્તવમાં પોતે જાતિ-ધર્મના નામે પહેરેલો અહંકારનો મુખવટો મકબૂલ ભટ્ટની વાતથી ઊતરી ગયો?

મહેમાનગતિ માટે આભાર માનીને સુદામબાબુ નીકળ્યા ત્યારે વાદળોની આડશ ખસી જતા પૂર્ણરૂપે ચમકતા ચંદ્રની જેમ એમનો ચહેરો પણ ચમકી રહ્યો. સાપના શરીર પરથી કાંચળી ઊતરે એમ એમના વિચારોની શુદ્રતાનું આવરણ ઊતરી ગયું.

ગામમાં મુઠ્ઠીભર માનવીઓ વચ્ચે રહીને કૂવામાંના દેડકાની જેમ સંકુચિત વિચારોમાં રાચતા હતા એમાંથી જાતને વિશ્વ-માનવરૂપે જોતા થયા.

ભલે વિશ્વભરમાં ભારતીયતાનો મુખવટો પહેરીને ફરતા લોકો પોતાનો મુખવટો ઉતારે કે નહીં, પણ આજે સુદામબાબુ અને મકબૂલ ભટ્ટના મુખવટા તો ઊતરી જ ગયા હતા.

અસ્તુ 

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

January 11, 2024 at 2:46 pm

પત્રાવળી- ૨૭, ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી

પત્રાવળી- ૨૭,

પત્રસાથીઓ,

દેવિકાબેન, આજે આ મૌનના મહિમાની વાત કરીને તમે ઘણી બધી બોલકી અભિવ્યક્તિ કરતાંય મૌનને વધુ વજનદાર બનાવી દીધો. તમારી વાત સાથે સંમત થવાનું એટલે મન થાય છે કે ક્યારેક એવું બનતું હોય છે કે શબ્દો કરતાંય શાંતિ વધુ અર્થપૂર્ણ બની જાય. આપણી નજીકની વ્યક્તિનો બોલ્યા વગર માત્ર હાથ પકડીને બેસવાથી પણ આપણા મનની વાત- લાગણીઓ એના મન સુધી પહોંચી જતી હોય છે. મૌન પ્રાર્થનાનો મહાન ચૈતન્ય સાથેનો સંબંધ તો કેવો અદ્ભૂત છે એ તો અનુભવે જ સમજાય. એ અનુભવ પણ મૌન રહીને જ માણવો પડે. એને વ્યક્ત કરવા જઈએ તો એના માટે શબ્દો પણ ઓછા જ પડે.

બાળક નાનું હોય ત્યારે એ કઈ ભાષા સમજે છે ? તેમ છતાં મા ગર્ભધારણ કરે ત્યારથી માંડીને એ સમજતું થાય ત્યાં સુધી મા માત્ર સ્પર્શથી પણ બાળકને પોતાના હૂંફનો, હેતનો અનુભવ કરાવી શકે છે ને ? બાળકનું પણ પોતાના મનનું- વિચારોનું આગવું વિશ્વ હોય છે. ન બોલીને પણ એ પોતાના ગમા-અણગમા દર્શાવી જ શકે છે ને?

આજે એક વાત યાદ આવે છેઃ એક દિવસ એક બાળકની મા એને સુવડાવવા સતત પ્રયત્ન કરી રહી હતી. કોણ જાણે કેમ પણ મા પાસે તરત ઊંઘી જતું એ બાળક એ દિવસે સૂવાનું નામ નહોતું લેતું. કારણ ? માને તો નહોતું જ સમજાતું પણ માના આ સતત આયાસો અને અકળામણ જોયા પછી તેની માએ એટલે કે બાળકની ઓછું ભણેલી પણ વધુ ગણેલી નાનીએ કહ્યું.. “ એ નહીં સૂવે કારણ કે એને ખબર છે કે એને ઊંઘાડીને તને બહાર જવાની ઉતાવળ છે. જે કામ તું રોજે અત્યંત શાંતિથી અને વહાલથી કરે છે એ કામ આજે તું પણ ઉતાવળી થઈને, ખૂબ રઘવાટથી કરી રહી છો. તારી ઉતાવળ- તારો રઘવાટ એને પહોંચે છે. ઊંઘાડવા માટે જે શાંતિ-સ્થિરતા તારામાં જોઈએ એ આજે અનુભવતું નથી માટે એ નહીં ઊંઘે.”

ટકોરો સમજી ગયેલી તેજીએ એના મનમાંથી બહાર જવાનો વિચાર ધકેલી દીધો અને એ પોતે શાંતિથી બાળક સાથે સૂઈ ગઈ અને લો….બાળક પણ થોડીવારમાં શાંતિથી પોઢી ગયું. છે ને જરા અચરજ લાગે એવી વાત ? પણ દેવિકાબહેન, એને હું તમારી વાતના અનુસંધાનમાં જ લઉં તો એક વાત તરત સમજાય કે સ્પર્શમાં પણ કશું કહી જવાની ક્ષમતા હશે જ. સ્પર્શમાં પણ સંવેદના હશે જ એટલે માત્ર શબ્દો જ નહીં મૌનની જેમ સ્પર્શ પણ ઘણું કહી જાય છે ને?

તમે સંવાદની વાત કરો છો ત્યારે યાદ આવે છે લગભગ સવાસો વર્ષ જૂનો ભારતીય ચિત્રપટનો ઈતિહાસ. લગભગ સવાસો વર્ષથી ફિલ્મો તો બનતી જ હતી પરંતુ સૌથી પહેલું બોલપટ એટલે કે બોલતું મૂવી ૧૯૩૧માં બન્યું . ત્યાર પહેલા જે ફિલ્મો રજૂ થઈ એમાં ક્યાં સંવાદો હતા? સંવાદો વગર પણ સફળ ફિલ્મો બનતી જ હતી ને ? એ ઘણી બધી સફળ ફિલ્મોની વાત સાથે આજે એક દંતકથા સમાન નામ મનમાં યાદ આવી જ ગયું. ચાર્લી ચેપ્લિનઃ આ નામથી કોણ અજાણ હશે? એક પણ સંવાદ વગર માત્ર ચાર્લી ચેપ્લિનની રમૂજી હરકતોથી જે હાસ્ય નિષ્પન્ન થયું એ આજની તારીખે પણ લોકો માણે છે. અને એટલે જ ચિત્રપટના ઈતિહાસમાં ચાર્લી ચેપ્લિનનું નામ આજે પણ અમર છે ને ?

આપણા શબ્દો જ નહીં પણ જો શાંત ચિત્તે બેઠા હોઈએ તો આપણી આસપાસનું વાતાવરણ પણ આપણને કશુંક કહી જતું હોય એવું નથી બનતું? સરરર..વહી જતા પવનના લીધે પાંદડાનો સરસરાટ, ક્યાંક ધીમેથી ચહેકતું પંખી. એને કયા શબ્દોની જરૂર છે?

આવા આપણી આસપાસના વાતાવરણની વાત કરું છું, ત્યારે યાદ આવે છે મને લંડનથી લગભગ ૩૫૦ માઇલના અંતરે આવેલા કોનવોલના ‘લેન્ડસ એન્ડ’ની મુલાકાત. યુ.કે.ની પશ્ચિમ-દક્ષિણની ધરતીનો આ છેડો.. હવે અમે ત્યાં પહોંચ્યાં ત્યારે વાતાવરણે અચાનક પલટો લીધો. સૂર્યના ઉજાસ પર ધુમ્મસનું ગાઢું આવરણ આવી ગયું. સાગર કિનારે ઊભા છીએ કે ધુમ્મસના દરિયા વચ્ચે લહેરાઈ રહ્યાં છીએ એ ભેદ પણ કળવો મુશ્કેલ હતો. સાગરનો ઘુઘવાટ, હવાના સુસવાટા, ખડકો સાથે અફળાતાં મોજાંનો એકધારો અવાજ, પવનની થપાટોના અજબ સંમિશ્રણ વચ્ચે ઊભેલાં અમે. એ સમયે એવી અનુભૂતિ થતી હતી કે બસ અહીં આપણે તો કોઈએ કશું કહેવા-સાંભળવાનું છે જ નહીં માત્ર ચૂપચાપ આ પળ માણવાની છે. એક એ સમયે ખમોશીનું ગીત યાદ આવી ગયું ….. “સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મહેસૂસ કરો….” બીજા દિવસની સવારે ફરી ત્યાં ગયાં તો સાવ ખુલ્લા નિરભ્ર આકાશ વચ્ચે લહેરાતો એ આટલાંટિક સાગર, નિલવર્ણા આકાશથી સહેજ વધુ ઘેરા પાણીની વચ્ચેની દીવાદાંડી, ઘોડાઓને ચરવાનું મેદાન, ખડકો સાથે અફળાતાં મોજાંનો એકધારો અવાજ. બંને સમયના અલગ વાતાવરણની વચ્ચે રહીને અનુભવેલી એ પળો….

શું કહો છો પ્રીતિબેન ? તમે તો આવી અનેક અદ્ભૂત જગ્યાની મુલાકાત લીધેલી છે. તમે પણ આવી અનેક ક્ષણને માણી જ હશે ને?

રાજુલ કૌશિક-

January 7, 2024 at 10:37 am

-માટીપગો-વિશ્વકોશે વિસ્તારેલ, પૂજ્ય ધીરુબહેનના સ્વપ્ન એવા સાહિત્ય, જ્ઞાન અને કળાના ત્રિમાસિક ‘વિશ્વા’માં પ્રસિદ્ધ વાર્તા

‘ માટીપગો’

“રમલી ઓ રમલી, દોડજે તો જરા….. હાંભળ્યું કે, ન્યાં…આખેઆખું બિલ્ડિંગ કડડભૂસ થ્યું છ….. કેટલાય કડિયા, મજૂરો હેઠળ દબાઈ મૂવા છે….. તારો હીરિયો ન્યાં જ હતો ને?”

મેનાનો શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો, ટુકડે ટુકડે એણે જે માહિતી આપી એ સાંભળીને રમલી એટલે કે રમાએ નિરાંતનો શ્વાસ લીધો. “હાશ, બલા ટળી.”

“આ તું હુ બોલ’સ..ભાન છે તને? તારું હેવાતણ નંદવાયું ને તું આમ ક્યાં ઘેલા કાઢ છ?”

“હેવાન જેવા મરદથી હેવાતણ હોય તો ભલે એ નંદવાતું. કાલ મરતો હોય તો આજ કેમ ના મરે. લોહી પીતો તો બંધ થાય, માટીપગો. હાડમાં જોમ નથ ને હાડમાંસ ચૂંથવાનું છોડતો નથ. બાવડામાં તાકાત તો છે નહીં અને બૈયર પર શૂરો થાય છે તે…જાન છૂટી મારી.” હીરિયા સામેનો હાડોહાડ પ્રસરેલો રોષ, નફરત થૂંકતી હોય એમ થૂ કરીને ઓરડીનાં ખૂણાની ચોકડીમાં મોંમાં ભરેલા પાણીના કોગળાની પીચકારી મારી.

મેના ઘડીક રમલી સામે જોઈ રહી કે, આ સમાચારના આઘાતથી એનું ભુવન તો નથી ફર્યું ને?

“જેવો હતો માથે છત્તર તો હતું ને રમલી.”

“છત્તર, કેવું છત્તર..બોલ મા અને અને મને બોલાય મા.. બાંધી મુઠ્ઠી લાખની.”

શહેર બહારના નેશનલ હાઇવે પર બનતી પંચતારક હોટલની પાસે કડિયા મજૂરની કામચલાઉ વસાહતમાં રહેતાં અનેકમાંના બે એટલે આ રમલી અને હીરિયો. લગ્નને દસેક વર્ષ પછી પણ રમાનો ખોળો ખાલી હતો, જેનો દોષ હીરિયો રમાને દેતો.

“આ તારી કૂખ છે કે વાંઝણી ધરા, ગમે એટલું પાણી વરસે તોય કોળતી નથ. આમ ને આમ આ વરહ ખાલી ગયું ને તો તારા માથે બીજી લાવીને બેહાડતા વાર નહીં લાગે, કહી લાખ્યું હા..”

તોર તો હીરાનો એટલો હતો કે, જાણે બીજી એની રાહ જોઈને જ બેઠી હોય. રમલી નિશ્ચિંત હતી. એને ખબર હતી કે આ બોલવામાં શૂરા હીરામાં જ હીર જ નહોતું, નહીંતર પોતાના માથે આમ વાંઝણીનું ટીલું ના ચોંટ્યું હોત.

“હત..સાલા..નપાણિયા” કહીને એ હીરાને તુચ્છકારતી હોય એમ બાજુમાં થૂંકી દેતી.

આખા દા’ડાની મજૂરી પછી રસ્તામાં આવતી નાની ખોલકી જેવી સબ્જીમંડીમાંથી રીંગણાં, બટાકા જેવું સસ્તું હોય એવું શાક લઈને રમા ઘેર આવતી. ત્રણ હીરાનાં અને બે પોતાનું એક, એમ પાંચ રોટલા ઘડી નાખતી. ડુંગળી તો ક્યાં પરવડે એટલે રોટલા-શાકની સાથે લીલાં મરચાં અને ચપટી મીઠું અને છાસ, બસ આટલી જાહોજલાલી હતી.

હીરિયો થોડો મોડો આવતો. ક્યાંકથી સસ્તામાં મળેલી પોટલી ઠઠાડીને આવતો એ દા’ડે તો એનો મિજાજ બાર ખાંડીનો રહેતો. લૂસ લૂસ રોટલા ખાઈને સીધો રમલી પર……અને ઘડીક વારમાં તો નસકોરાં બોલાવતો ઘોંટી જતો. રમલીય એનાથી કંટાળી’તી. ક્યારેક તો એને હડસેલીને ઊભી થઈ જતી. આમ થોડા દા’ડા જતા. રમલી તરફથી સારા સમાચારની આશા ઠગારી નિવડતી એટલે પાછા એનાં તેવર ફેરવાઈ જતા. પોતાનું શૂર પૂરવાર કરવા ધોલધપાટથી શરૂ કરીને રમલીને ધીબેડી નાખવામાં જરાય પાછો નહોતો પડતો.

રમલીને ક્યારેક તો એવો ક્રોધ ચઢતો કે પોતે જ હીરિયાને ધીબેડી નાખે પણ સાવ નંખાઈ ગયેલાં, કંતાઈ ગયેલાં શરીરમાં એટલું જોમ ક્યાંથી લાવે?

હીરિયાના તેવર અને ત્રાસથી રમલી થાકી હતી. આજે મેનાએ આવીને સમાચાર આપ્યા ત્યારે બાપ બનવાની હીરિયો રાહ જોતો એનાથીય વધુ સારા સમાચાર મળ્યા હોય એમ હાશ થઈ.

“ક્યારે આ કાશ ટળે ને પોતાને હાશ થાય” એવી માનતા ફળી હોય એમ ઝૂંપડીનાં ગોખલામાં મૂકેલા માટીનાં દેવની સામે જોઈ લીધું.

“હેંડ હવે ઊભી થા, ક્યાં લગણ આમ બુતની પેઠે બેહી રહીશ? સૌ ન્યાં ટોળે વળ્યાં છે. અસ્પતાલની ગાડીઓ આઈ છે. મૂએલાંઓને એક બાજુ ખસેડીને જેનામાં જીવ છે એને અસ્પતાલ ભેગા કરે છે.” કહીને મેનાએ રમલીનો હાથ ખેંચીને ઊભી કરવા માંડી.

મેનાની હારે રમલી હોનારતની જગ્યાએ પહોંચી ત્યાં હજી અંધાધૂંધી ફેલાયેલી હતી. ડમરીની જેમ ધૂળનાં ગોટેગોટા ઉડતા હતા. કોણ ક્યાં દટાયું છે એની ભાળ પછી પહેલાં તો જીવતાં કે મરેલાં જે દેખાયા એને નોખાં તારવીને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી ચાલતી હતી. ચારેકોરથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની સાયરનો વચ્ચેય લોકોની બૂમાબૂમ અને રોકકળ સંભળાતી હતી.

રમલીને આ કશાથી કોઈ ફેર પડતો ના હોય એમ દેખીતી સ્થિતપ્રજ્ઞની જેમ એક કોરે જઈને ઊભી પણ, સાવ એવુંય નહોતું. અંદરખાને તો દેવને પ્રાર્થના કરતી હતી, “બાપજી, હીરિયાને મૂએલો ભાળશ તો મારી ચૂડી નહીં નારિયેળ ફોડીશ.”

સાંજથી મોડી રાત સુધી આ કામ ચાલ્યું. હજુ ક્યાંક રોડાં, મટોડાં, કાટમાળની નીચેથી રહી રહીને દબાયેલી ચીસો સંભળાતી હતી. બીજા દિવસે સવારે હોસ્પિટલમાં ભરતી કરેલાં ઘાયલોની અને મડદાંઘરમાંથી મૃતદેહની ઓળખ પ્રમાણે સોંપણી ચાલી. એક રમાને છોડીને સૌએ હોસ્પિટલમાં અને હોસ્પિટલમાંથી ન મળ્યાં એમને શોધવા મડદાંઘર સુધી દોડધામ કરી મૂકી. ઘાયલોમાં પોતાના સ્વજનને ભાળીને ઘણાંને હાંશ થઈ. ભલે હાથ કે પગ ભાંગ્યા પણ પોતાનું જણ જીવિત તો છે બાકી સર સલામત તો પઘડિયાં બહોતની જેમ પછીનું તો થઈ પડશે કે જોઈ લેવાશે.

હોસ્પિટલ કે મડદાંઘરમાંથી જે ન મળ્યાં એમનાં નામ લાપતાની યાદીમાં મૂકાયાં.

એ પછી તો ઘણી કામગીરી હાથ ધરવામાં આવી. ઘટના થવા પાછળનું કારણ શોધવા ઇન્ક્વાયરી- તપાસપંચ જેવું નિમાયું. જ્યાં સુધી એનો ઉકેલ ન આવે ત્યાં સુધી આગળના બાંધકામ પર કોર્ટે સ્ટે મૂકી દીધો. બિલ્ડર તરફથી રાહતફંડની જાહેરાત થઈ.

હીરિયાનું નામ લાપતામાં હતું એની જાણ મેનાએ રમાને કરી. કાટમાળ ખદેડવાની કામગીરી હજુ કેટલા દિવસ ચાલશે એ નિશ્ચિત નહોતું પણ, હવે રમા ત્યાં કાટમાળ ખદેડાતો હતો ત્યાં એક આંટો જરૂર મારતી, રખેને હીરિયો ક્યાંક જીવિત નીકળ્યો તો બાકીનું આયખુ ઝેર થઈને રહેશે.

બીજા દિવસની સવારે મેનાએ રમલીને જાણ કરી કે, મોટાભાગે હીરિયા જેવો દેખાતો આદમી કાટમાળ નીચેથી મળ્યો છે. સટાક દેતાંની સાથે એ ઊભી થઈને દોડી.

મોટા પત્થર નીચે દબાયેલા જમણા હાથ વગરના હીરિયાના પગ પણ ખાસ્સા છૂંદાઈ ગયા હતા. ચહેરા પર ધૂળમાટીના થરના લીધે ચહેરોય સાફ કર્યા વગર ઓળખાય એવો નહોતો પણ, હીરિયાએ એ દા’ડે પહેરેલાં કપડાં અને ખાસ તો ડાબા હાથે ત્રોફાવેલાં એનાં નામથી એની ઓળખ કરી શકાઈ.

એક કોરાણે મૂકેલાં એનાં શરીરને જોઈને રમલી ઘડીક માટે ડઘાઈ ગઈ. હીરિયાના શ્વાસ પૂરા થઈ ગયા હતા. હાથ-પગ તો ભગવાને જ ભાંગી નાખ્યા હતા એ જોઈને શરીરમાંથી જોમ ઓસરી ગયું હોય એમ એક કોરાણે બેસીને રમલીએ ઠૂંઠવો મેલ્યો.

“ઓ માડી રે…”

વળી પાછું જોમ ચઢ્યું હોય એમ લવરીએ ચઢી,

“હાચું કહું’સું મેના.. ગ્યો મારો જલમજલમનો વેરી..મારા માથેથી બલા ટળી.. ભલું થયું ભાંગી જંજાળ, હવે હખે ભજીસ રામગોપાલ. મેના, એ માટીપગો હીરિયો આ જ લાગનો હતો…. જ્યાં કણે મારી પર હાથ ઉપાડતો, થાતું કે મૂઆના હાથ કપાઈ જાય તો હારું, જે દિ લાતોએ મને મારતો તે દિ થાતું કે, આના ટાંટિયા તોડી નાખું…. તે ઠેઠ આજે ગોખમાં બેહારેલા માટીના દેવે મારું દઃખ હાંભર્યું ને એ માટીપગો માટીભેળો થ્યો. મૂઓ નપાણિયો પાણી માંગવાય ના રયો’ને? એ જ લાગનો હતો.” કહીને હીરિયાને ત્યાં જ પડતો મેલીને રમલીએ ઘર ભણી ચાલવા માંડ્યું.

અસ્તુ.

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

December 29, 2023 at 10:53 am

‘મનનો માણીગર’- ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ પ્રતિભા રાય લિખીત રાજેન્દ્ર પ્રસાદ મિશ્ર વાર્તાને આધારિત ભાવાનુવાદ.

પતિ- પત્ની વચ્ચે પત્થરની લકિર સમો અભેદ પ્રેમ.

ક્યારેય પિસ્તાળીસ વર્ષના મધુર દાંપત્યજીવનમાં બોલાચાલી નહીં. હંમેશાં આનંદ-ઉલ્લાસ, મોજ-મસ્તીમાં એમના દિવસો જાય. નિર્મલનો અવાજ કમલા પર ક્યારેય ઊંચો થયો હોય એવું બન્યું નથી. ચીઢ, ગુસ્સો, ઘાંટાઘાંટ તો જાણે એમના સંસારમાં અમાસનો ચંદ્ર જેવી અશક્ય ઘટના. હા, ક્યારેક બનાવટી ગુસ્સો કરે પણ એમાંય ભરપૂર પ્રેમ છલકાતો હોય.

કમલા તો સાક્ષાત લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી, સીતા, સાવિત્રી, દમયંતીનું સ્વરૂપ. રૂપ, ગુણ, સહનશીલતા, અતિથિ સત્કાર, પતિ-ભક્તિ, પ્રેમ-સ્નેહ જેની પત્નીમાં હોય એ પતિ સદ્નસીબ. નિર્મલ આવો સદ્નસીબ પતિ હતો.

ક્યારેક નિર્મલ અતિ પ્રેમાવેશમાં આવીને કમલાને કહેતો, “અરે ભાઈ, નારીનું જીવન તને મળ્યું છે છતાં ગુસ્સો, અહંકાર, અભિમાન, ઈર્ષા, રાગ-દ્વેષથી આટલી મુક્ત કેવી રીતે રહી શકે છે?”

ગોરજ ટાણે છવાયેલો આકાશી રંગ કમલાના ચહેરા પર ઉતરી આવતો.

“મારે તો જીવવું-મરવું બંને તમારી જ સાથે છે તો પછી ગુસ્સો કેવો ને વાત કેવી! ઈર્ષા કે વાદ-વિવાદ પણ શા માટે?”

હા, મરવાની વાત પર પતિ-પત્ની વચ્ચે જરૂર વિવાદ થઈ હતો. કોણ પહેલાં મરે અને કોણ પછી એ અંગે બેમાંથી એકે સમાધાન કરવા તૈયાર નહોતાં. બંનેને એકબીજા વગર જીવવાનું મંજૂર નહોતું. પતિના મૃત્યુની વાતથી પત્ની જે વ્યથા અનુભવતી એ જોઈને નિર્મલ નમતું જોખતો.

“ભલે, તને વિદાય કરતાં મને ગમે એટલું દુઃખ થાય એ હું સહન કરી લઈશ. તારાં વિના જીવવું કેટલુંય અકારું હશે એ જીરવી લઈશ, પણ જીવતેજીવે તે મને દુઃખ નથી આપ્યું તો પહેલાં મરીને તને વિધવાનું દુઃખ નહીં આપું.

સધવા મૃત્યુની કલ્પનાથી કમલાની આંખમાં આનંદમિશ્રિત આંસુ ધસી આવતાં સાથે પતિની એકલતા, અસહાયતાનો વિચારથીય કમલાને પીડા થઈ આવતી.

“હું નહીં હોઉં પછી કોણ તમારી સંભાળ લેશે?”

“સારું તો એવું કરીશું, આપણે બંને એક સાથે એક ચિતામાં પોઢીશું. એકમેકને યાદ કરવાની ચિંતા નહીં.” નિર્મલ આશ્વાસન આપતો. બંને જણાં પોતાની બાળકો જેવી હરકતથી હસી પડતાં, જાણે યમરાજા એમનું કહ્યું માનીને બંનેને એક સાથે બાંધીને ના લઈ જવાના હોય!

જેમજેમ ઉંમર વધતી ગઈ એમ બંને જણાંએ મરવાની વાત કરવાનું છોડી દીધું. પણ, બંનેનાં મનની અંદર કોઈ એકલું પડી જશે એ વાતનો સતત ભય રહેતો. સંતાનો મોટાં થવા છતાં બંનેના પ્રેમમાં ન કોઈ અંતરાય ઊભો થયો કે ના કોઈ સાંસારિક વૈરાગ્ય.

કમલા કહેતી કે, “પતિ-પત્નીના પ્રેમમાં યુવાની કે બુઢાપાની સીમાઓમાં ક્યાં બંધાય છે? શારીરિક સંબંધથી વધીને આત્માનોય સંબંધ હોય કે નહીં? જીવનનો હવે જેટલો સમય બાકી છે ત્યાં સુધી તો હું એમની સંભાળ લઈશ.”

અને એવું જ બન્યું. કમલા મૃત્યુશૈયા પર હતી ત્યારે એને દીકરા-દીકરીઓ કે પોતરાંઓની કરતાં પતિની ચિંતા અધિક હતી.

એક બાજુ અનુભવી મન કહેતું કે, તું નાહક ચિંતા કરે છે. સમય જતા આ શોક ઓછો થઈ જશે. સમયની સાથે દિવસ-રાત બદલાય, ઋતુઓ બદલાય છે એમ નિર્મલનું દુઃખ, શોક થાળે પડશે ને અન્ય માનવીની જેમ સહજ જીવન જીવવા માંડશે, પણ દિલ એ વાત માનવા કેમેય તૈયાર નહોતું થતું.

એને મરવા કરતાં પોતાના ગયા પછી પતિનું શું થશે એની પરવા વધુ હતી. પોતાનો અભાવ ન સાલે એ માટે દીકરા-દીકરીઓને, પુત્રવધૂને પતિની સંભાળ રાખવાની અંતિમ ક્ષણો સુધી સતત ભલામણ કરતી રહી.

કમલાનું અવસાન થયું. નિર્મલને છોડીને સઘળું થાળે પડવા માંડ્યું, સવારથી માંડીને આખો દિવસ કમલાના નામનો એનો જાપ ચાલુ રહેતો. કમલા ખાવાનું બનાવવાથી માંડીને પીરસવા સુધી, પગ દબાવી આપવાથી માંડીને પથારી કરવા સુધી કેવી રીતે કામ કરતી એ રટણ ચાલું રહેતું. નિર્મલનું મન રાજી રહે એ માટે ઘરમાં સૌ કમલાની જેમ કામ કરવા કોશિશ કરતાં.

કમલાના હાથનો જાદુ તો અન્યના હાથમાં ક્યાંથી આવે? દરેક બાબતમાં, દરેક કામમાં કમલાની તુલનાથી પુત્રવધૂ પણ પાછી પડતી. સમય જતા નિર્મલનું ખાવા-પીવાનું, ઊંઘવાનું ઓછું થતું ગયું. કમલાએ પાથરેલી પથારીમાં જેવી ઊંઘ આવતી એવી હવે ક્યાં આવવાની?

આખો દિવસ કમલાની ચૂડીઓ, ચશ્મા, સિંદૂર, સાડીઓને સ્પર્શીને એ ભૌતિક ચીજોમાં કમલાનું અસ્તિત્વ અનુભવતા.

કમલા વિના એ મૃત્યુ જેવી યાતના અનુભવતો એથી પરિવારને વિશેષ યાતના થતી. એનું મન બીજે વાળવાના અનેક પ્રયાસો પછીય એ વળીવળીને કમલાની વાતોનો તંતુ પકડી રાખતો.

કોઈની ક્યાં સુધી ધીરજ રહે?

નિર્મલનો કમલા પ્રત્યેનો અપાર પ્રેમ જ અભિશાપ બનતો ચાલ્યો. કમલાના અવસાનને ત્રણ મહિના પસાર થઈ ગયા, પણ કમલા મૈયર ગઈ હોય અને ગમે ત્યારે પાછી આવશે એવી રીતે નિર્મલ એની ચીજ-વસ્તુઓને સાચવ્યા કરતો. કરકસરમાં માનતી કમલાએ ક્યારેય નિરર્થક ખર્ચો કર્યો નહોતો કે ક્યારેય નિર્મલ પાસે વધારાના રૂપિયા માંગ્યા નહોતા છતાં સંસાર સરસ રીતે ચાલતો. કેવી રીતે ચલાવતી હશે એ નિર્મલ માટે હંમેશનું આશ્ચર્ય હતું.

એક દિવસ કમલાના કબાટમાંથી એક થેલી મળી. થેલીમાં રૂપિયાની સાથે એક કાગળ હતો. કાગળમાં લખ્યું હતું, ‘તમારો સ્વભાવ જાણું છું. જરૂર પડે કોઈની પાસે પાંચ રૂપિયાય નહીં માંગો એટલા માટે હંમેશાં મારા માટેના ખર્ચમાંથી બચાવીને તમારા માટે મૂકતી જાઉં છું. થેલીના રૂપિયા જોઈને પુત્ર-પુત્રવધૂ સ્તબ્ધ. આટલા રૂપિયા એકઠા કરવામાં માએ જીવનભર શેનો ત્યાગ નહીં કર્યો હોય!

એ પછી તો નિર્મલને કમલાની ડાયરી મળી જેમાં કમલાએ લગ્નથી માંડીને ઘણી બાબતોનો નિર્ભિકતાથી ઉલ્લેખ કર્યો હતો. સંતાનોના જન્મ લાલનપાલન,પોતરાંઓના જન્મ, દાંપત્યજીવની સુખદ-દુઃખદ ઘટનાઓ એણે આલેખી હતી. એમાં કેટલીય એવી હતી જેની નિર્મલને આજ સુધી જાણ નહોતી કે નહોતી કમલાએ જાણ થવા દીધી. અનેક પારિવારિક સમસ્યાઓ જેનાથી એક પિતા તરીકે નિર્મલના હૃદયને ઠેસ પહોંચશે એ જાણીને ભલે કમલા એ આગની આંચમાં શેકાતી રહી પણ પતિ સુધી પહોંચાડવાના બદલે એણે પોતાના પાલવમાં સમેટી રાખી હતી.

કમલા માનતી કે, સંસારમાં આર્થિક જવાબદારીઓ પુરુષો સંભાળતા હોય ત્યારે પત્નીઓ મહત્વની કોઈ જવાબદારીઓમાં સહાયરૂપ થઈ શકતી નથી. હું પણ આર્થિક સંકટમાં સહાયરૂપ ન થઈ શકતી હોઉં તો મારા પતિને સંસારની હૈયા બળતરાથી તો દૂર રાખી શકું ને?

કમલાની ડાયરીનાં લખાણથી તો એ પતિને સમર્પિત આદર્શ નારી જ નહીં, સૌને દેવી જેવી પૂજ્ય લાગી.

નિર્મલને એવું લાગતું કે, ખરેખર એ આવી પત્નીને લાયક પતિ હતો ખરો? આ વિચારે એનો શોક વધુ ઘેરો બન્યો. હવે નિર્મલે કમલાની વાતોનું રટણ છોડીને ભાગવત-ગીતાની જેમ એ ડાયરી વાંચવા માંડી.

અંતે ડાયરીનું અંતિમ પાનું આવ્યું જે કમલાએ મૃત્યુના થોડા દિવસ પહેલાં લખ્યું હતું. એ વાંચીને નિર્મલના વિચારો, વાણી,વર્તન,વ્યવહારથી માંડીને વ્યક્તિત્વ સુદ્ધાં બદલાઈ ગયું. આજ સુધી જણસની જેમ સાચવેલી કમલાની તમામ ચીજો તોડી-ફોડીને ફેંકવા માંડી. અરે, કમલાના ફોટા સુદ્ધાં ફાડી નાખ્યા.

“આ મોહ,માયા, પતિ-પત્નીનો પ્રેમ સઘળું બાહ્ય દેખાડો છે. હું એક મૂર્ખની જેમ કમલાની યાદમાં મારું જીવન વેડફી રહ્યો હતો. એકલો આવ્યો હતો અને એકલો જઈશ.

“કમલા, મારી સાથે તેં આખું જીવન માત્ર નાટક કર્યું અને મેં સાચું માની લીધું. નફરત છે મને તારા માટે…..આજથી તું મારા માટે સાચે જ મરી પરવારી.

“જે મરી ગયું એની પાછળ શોક શું કામ કરવાનો? હવે જીવનમાં શોકના બદલે આનંદ માણીશ. તારી છાયાથી મુક્ત સ્વતંત્ર માણસ બનીને જીવીશ.”

સાચે જ નિર્મલ ખૂબ પ્રફુલ્લિત બની ગયો. આજ સુધી શોકગ્રસ્ત નિર્મલમાં અચાનક ફરકથી સૌને આશ્ચર્ય અને સાથે ચિંતા થઈ.

સૌએ ડાયરીનું અંતિમ પાનું વાંચ્યું જેમાં લખ્યું હતું, “ મારા પતિ જેવો સરળ, નિર્મોહી માણસ મળવો મુશ્કેલ છે, પણ આવતા ભવમાં હું એ મને પતિ નહીં પુત્રરૂપેમાં મળે એમ ઇચ્છું છું. જીવનભર મેં એમને સંતાન જેવો સ્નેહ આપ્યો જેનાથી એ સંતુષ્ટ હતા. એમની પાસે દુનિયાભરનું સુખ મને મળ્યું છે છતાં મારું મન એક વાતે વ્યથિત રહ્યું કે, એ સંપૂર્ણ હોવા છતાં મારી કલ્પનાના પુરુષ નહોતા. મારા મનના માણીગર નહોતા.”

અસ્તુ

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

December 24, 2023 at 9:16 am

-નવા ઘરમાં નવલી દિવાળી-( રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા)

ત્રણ ત્રણ વાર્તા લેખન :રાજુલ કૌશિક અમારાં નવા ઘરની સજાવટમાં અમે લાગેલાં હતાં. છેવટે પૂરું થયું અને શ્રાવણી પૂનમે સારા ચોઘડિયાંમાં અમે ગૃહપ્રવેશ કર્યો. જો કે ગૃહપ્રવેશ કર્યા પછી પણ નાની-મોટી સાજસજાવટ તો છેક દિવાળીના આગલા દિવસ સુધી ચાલી.

આમ તો અમે બંને જણ ભારે હોંશીલા. જરા અમસ્તો ડિઝાઇનર ટચ આપીને ઘરનો એક એક ખૂણો, દરેક દીવાલ વધુ દીપી ઊઠે એવું કરવામાં જરાય કચાશ નહોતી છોડી.

અંતે સાચે જ આંખ ઠરે એવું, મનને અને મહેમાનોનેય ગમતું ઘર તૈયાર થયું.

ચા…લો, જંગ જીત્યા.

ક્યાં ખબર હતી કે ખરો જંગ તો હવે, રોજેરોજ ખેલાવાનો છે?

ન બ્યૂગલ, ન રણભેરી, ન જંગનું એલાન ને સીધા જ જંગના શ્રીગણેશ મંડાયા.

સવારે ઊઠીને રૂમની બહાર નીકળ્યો જ ને,

“અરે, અરે, અરે… જરા નીચે જોઈને તો પગ માંડો. હમણાં જ ઘરમાં કચરાં-પોતાં થયાં અને આ તમારાં પગલાં મંડાયા.”

હું તો ગની દહીંવાલાની રચના…

“તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે” ના કેફમાં હતો.

એનાં બદલે ….

‘મારાં પગલાં મંડાયા ને, પડોશી સુદ્ધાંને ખબર થૈ ગઈ’ જેવો ઘાટ થાય એટલી મોટેથી શ્રીમતીજીએ બૂમ મારી.

હજુ તો શરીરમાંથી આટલા દિવસોના કામનો થાક, મનમાંથી જે ‘જોઈતું’તું’ એ પામ્યાનો કેફ અકબંધ હતો ત્યાં પગ પાસે ફટાકડો ફૂટ્યો હોય એમ બે ડગલાં હું પાછો પડ્યો. દિવાળીના ફટાકડા તો બહાર જ ફૂટે ને? તો, ઘરમાં ક્યાંથી, કોણે બોંબ સળગાવ્યો? કે પછી, હમાસ-ઈઝરાયલ વચ્ચે થતાં બોંબમારામાંથી એક અહીં આવીને ફૂટ્યો કે શું?

અર્ધનિદ્રામાં ઘેરાયેલી આંખો ફટાક કરતાં ખૂલી ગઈ.

ના, હતો તો હું મારા સાવ નવા નક્કોર ઘરમાં જ. હવે મારે પગ જમીનના બદલે માથે મૂકીને ચાલવું પડશે કે શું એ ભયથી હું ત્યાંને ત્યાંજ સ્થિર થઈને ઊભો રહ્યો.

અને પછી તો ડગલેને પગલે આ રામાયણ, ના રામાયણ નહીં જાણે મહાભારતનાં મંડાણ મંડાયાં …

ભૂલથીય જો કોઈ દીવાલ પર હાથ લાગી જાય તો,

“હે ભગવાન, હાથ ધોઈને દીવાલને અડતા હો તો? હજુ તો દીવાલોનો રંગ તાજો છે ને તમે થાપા દીધાં.”

બોલવા જતો’ જ તો કે,

“શ્રીમતીજી, તમે અમને પરણીને આવ્યાં ત્યારે જૂના ઘરમાં ( જોકે ત્યારે તો એ નવું હતું ત્યાં) થાપા દીધાં’તાં તો કેટલા હોંશે હોંશે અમે ક્યાંય સુધી સાચવ્યાં? અને હવે અમારાં થાપાની આટલી જ કિંમત?”

પણ, ના બોલાયું…..

અને પછી તો મહાભારતના એપિસોડની જેમ ઘરમાં રોજેરોજ સવારે, બપોરે અને સાંજે નવા નવા એપિસોડ….

“આજે લાલો નથી આવવાનો તો જમીને વાસણ હું કરીશ. તમે રસોડાનું પ્લેટફોર્મ અને ડાઇનિંગ ટેબલ સાફ કરી દેજો.”

“જો હુકમ મેરે આકા” કહીને કામે વળગ્યો.

કામ પૂરું થયું. સવારે કરેલી ભૂલ યાદ હતી એટલે સાબુથી બે વાર હાથ ધોઈને પાછો વળ્યો ત્યાં તો શ્રીમતીજી આંખ સામે સિરપાવરૂપે ટેબલ સાફ કરવાનો નેપ્કિન ધરીને ઊભા રહ્યાં.

“આ શું, હજુ તો કાલે જ નવો નેપ્કિન લઈ આવી છું ને એટલી વારમાં આટલો ગંદો કેવી રીતે થયો?”

આંખ સામે લાલ કપડું જોઈને આખલો ભડકે એમ હું ભડક્યો.

હવે શું સમજાવવું શ્રીમતીજીને? આ કંઈ નાહ્યાં પછી શરીર લૂછવાની વાત છે? રસોઈ પછી પ્લેટફોર્મ અને જમ્યા પછી ડાઇનિંગ ટેબલ સાફ કર્યું છે.

પણ, ના બોલાયું.

ડાઇનિંગરૂમની બારીમાંથી મંદિર દેખાતું હતું ત્યાં નજરથી જ પ્રભુને પ્રાર્થના કરી લીધી,

“હે પ્રભો, હવે તો તું જ મારો તારણહાર.”

“વત્સ, શક્ય હોય એટલા પ્રયાસ કરીશ, બાકી મારા હાલ પણ તારાથી ખાસ જુદા નથી.” પ્રભુએ ઘંટ વગાડીને સધિયારો આપ્યો.

ચાલો ઠાલું તો ઠાલું આશ્વાસન તો મળ્યું.

સવારમાંથી સાંજ અને સાંજમાંથી રાત ઢળવા આવી. નિરાંતવા જીવે હું શયનકક્ષ તરફ વળ્યો, પથારીમાં જરા ઢળ્યો જ ને,

“અરેરે, પાછો ધબડકો વાળ્યો?”

આખા દિવસના શ્રમ પછી પાછો સૂવા ટાણે વળી શું ધબડકો વાળ્યો હશે?

“આ…આ…આ.. જુઓ. હજુ હમણાં તો પથારીની ચાદર બદલી છે ને પાછા ડાઘા પાડ્યાં. પથારીમાં પડો એ પહેલાં પગ ધોઈ લેતા હો તો?”

બોલવા જતો જ હતો કે,

“ઓહોહો, તમે પરણીને આવ્યાં ત્યારે ઘરમાં કંકુપગલાં પાડ્યાં’તા ત્યારે હોંશે હોંશે અમે એનું જતન કર્યું હતું તે ભૂલી ગયાં? હરિયો કચરા-પોતાં કરવા આવે ત્યારે એ પગલાં ભૂંસાઈ ના જાય એનાં માટે બધાં કામ પડતાં મૂકીને અમે કેટલી ચોકી કરી છે એ ભૂલી ગયાં?”

પણ, ના બોલાયું.

બાથરૂમાં જઈ પગ ધોઈને પાછો આવ્યો ત્યાં સુધીમાં તો પથારીમાં મારા પગ મૂકવાની જગ્યાએ બીજી જૂની ચાદર ખોસાઈ ગઈ હતી.

હશે. હવે એમ તો એમ. શ્રીમતીજીને ગમ્યું તે સાચું.

શ્રીમતીજીને ગમે એવું શું કરું એના વિચારોમાં માંડ આંખ મળી ને પ્રભો પ્રગટ થયા.

“વત્સ, તારો આખો દિવસ કેવો ગયો એ મારી સગ્ગી આંખે જોયું છે. રોજની આવી રામાયણથી ત્રાસીને, વૈકુંઠથી નાસીને ભક્તોએ બાંધેલા ધામમાં હું તો આવીને વસી ગયો. મારે અહીં લીલાલહેર છે, પણ તારે તો તારા ઘરમાં રહે જ છૂટકો છે. મારી પાસે એક ઉપાય છે.” કહીને શ્રીમતીજી સાંભળી ના જાય એમ પ્રભોએ મારા કાનમાં એક ઉપાય સૂચવ્યો.

સાંભળીને હું ધન્ય ધન્ય…

બીજા જ દિવસે ડિસ્પોઝેબલ નેપ્કિન, ગ્લવ્સ ને જૂતાં સુધ્ધાં મંગાવી લીધાં.

હવે તો એ મઝાના જલસા જ જલસા.

શ્રીમતીજીનો નવો નેપ્કિન કે દીવાલ બગડશે એની ચિંતા નહીં. ડિસ્પોઝેબલ ગ્લવ્સ પહેરીને ડિસ્પોઝેબલ નેપ્કિનથી સઘળું સાફ….કામ પૂરું કે તરત એ બંને જાય ટ્રેશમાં.

ડિસ્પોઝેબલ જૂતાંને લીધે માથે પગ મૂકીને ચાલવાની ચિંતા ટળી ગઈ ને વળી એ જૂતાં કાઢીને જ પથારીમાં પગ મૂકવાના લીધે નવી ચાદર પર ડાઘા પડવાનો ડર નહીં..

“વાહ પ્રભો, લાગે છે કે એકાદ વાર અમેરિકાનો આંટો તમે મારી આવ્યા હશો.”

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

December 16, 2023 at 3:03 pm

‘હું શોધું છું મારું નામ’- ગરવી ગુજરાત( લંડન)માં પ્રસિદ્ધ સત્યવતીની વાર્તા પર આધારિત ભાવાનુવાદ.

(ગૃહિણીકર્તવ્ય નિભાવવામાં પોતાના અસ્તિત્વ સમા નામનેય વિસારે પાડી દેતી એક યુવતીની આ કથા છે. કદાચ આ એક નહીં આવી અનેક ગૃહિણી હોઈ શકે.)

‘હું શોધું છું મારું નામ’

ગૃહિણી બની એ પહેલાં એ એક સુશિક્ષિત, ચપળ, ચતુર, દક્ષ હોવાની સાથે લાવણ્યમયી યુવતી હતી.

એક યુવકે એ યુવતીનું સૌંદર્ય, બુદ્ધિમત્તા અને પિતા તરફથી મળનારું દહેજ જોઈને એને પસંદ કરી લીધી. અગ્નિની સાક્ષીએ એ યુવકે પહેરાવેલું મંગળસૂત્ર ધારણ કરીને યુવતી ગૃહિણી બનીને પતિગૃહે પધારી.

“જો મારી લાડલી, આ હવે તારું ઘર છે.” પતિએ કહ્યું.

પત્નીએ કમર કસીને ઘરને અત્યંત કુશળતાથી લીપી ગૂંપીને રંગોળીથી સુશોભિત કર્યું.

“અરે વાહ! ગૃહસુશોભન અને રંગોળીમાં જ તારી કુશળતાનો પરિચય થઈ ગયો. શાબાશ, કીપ ઇટ અપ.” અંગ્રેજીમાં ફરી એકવાર પ્રસંશા કરી પત્નીનો ખભો થાબડ્યો.

પત્ની પોરસાઈ. જાણે જીવનનું એક માત્ર કર્મ કે ધર્મ હોય એમ લીંપણ ગૂંપણ, ઘરસજાવટ, રંગબેરંગી રંગોળીથી ઘર સજાવતી રહી. ઘર, વર અને બાળકોની પાછળ એણે પોતાના અસ્તિત્વને વિસારે પાડી દીધું!

વર્ષોનાં વહાણાં વીતતાં ગયાં. અચાનક એક દિવસ એ ચમકી. અરે, મારું નામ? મારું નામ શું હશે?

હાથમાં પકડેલો સામાન જમીન પર પટકીને એ બારી પાસે જઈ ઊભી. બારીની સામેના મકાન પર શ્રીમતી એમ. સુહાસિની, એમ.એ.પી.એચ.ડી, પ્રિન્સિપલને (એક્સ) કૉલેજ ના નામની ‘નેમપ્લેટ’ જોઈ.

‘અરે હા, મારું કોઈ એક નામ તો હશે ને? ખરી મુસીબત થઈ! હસતાં-રમતાં ઘરને સજાવવામાં નામ જ ભૂલી જવાયું એ વિચારે એનું મન બેચેન થઈ ગયું. જેમતેમ કરીને દિવસ પૂરો કરવા મથતી રહી. એટલામાં કામવાળી આવી. એને પોતાનું નામ પૂછ્યું.

“આ તે કેવી વાત, માલિકોના નામથી અમને શું મતલબ? અમારા માટે તો તમે શેઠાણી છો એટલું જ બસ. બહુ બહુ તો સફેદ ઘરવાળી શેઠાણીથી અમે તમને ઓળખીએ.” કામવાળીએ જવાબ આપ્યો.

“હંમ્મ, વાત તો સાચી. એને બિચારીને ક્યાંથી ખબર હોય?”

બપોરે છોકરાઓ સ્કૂલેથી આવ્યા.

“છોકરાઓ, મારું નામ શું છે એ તો કહો જરા?” છોકરાઓને તો ખબર જ હોય ને વિચારીને પૂછ્યું

“મા, તારું નામ ‘મા’ તો છે. અમે સમજણાં થયાં ત્યારથી તને ‘મા’ જ કહીએ છીએ અને તેં પણ ક્યારેય તેં તારું નામ કહ્યું છે? હા, પિતાજીના નામથી ટપાલ આવે છે એટલે એમનું નામ ખબર છે. તારા નામથી તો ટપાલેય ક્યાં આવે છે?”

વાત તો સાચી છે. મને કોણ ટપાલ લખે છે? માબાપુ મહિનામાં એકાદ ફોન કરી લે છે. બહેનો પણ એમનામાં જ વ્યસ્ત છે. ક્યારેક પ્રસંગોપાત મળવાનું થઈ જાય ત્યારે ભાતભાતની વાત થાય પણ નામથી ક્યારેય કોઈએ બોલાવી હોય એવું યાદ નથી.

પડોશમાં રહેતી મહિલાઓને પૂછ્યું.

“આપણે ક્યાં એકબીજાનું નામ પૂછ્યું જ છે? ક્યારેક કોઈની સાથે વાત થાય તો સફેદ મકાનવાળાં કે દવાની કંપનીના મેનેજરના પત્ની કહીને ઓળખાણ આપીએ, બસ.”

હવે પતિના શરણે જવું પડશે. એમને તો મારું નામ ખબર હશે. રાત્રે પતિને પૂછ્યું.

“એવું તે શું થયું કે, આજે આમ અચાનક નામ પૂછવું પડ્યું? પરણ્યાં ત્યારથી તને ‘ઓયે કે સાંભળે છે’ કહીને બોલાવાની ટેવ પડી છે અને તેં પણ ક્યારેય એવું ના કહ્યું કે, મારું નામ નથી તે મને આવી રીતે બોલાવો છો? હવે તો મને પણ તારું નામ યાદ નથી.. લોકો પણ તને મીસીસ મૂર્તિ કહે છે, બરાબર?”

“મને મીસીસ મૂર્તિ નહીં મારું અસલી નામ જોઈએ છે.”

“આમાં હેરાન થવાની જરૂર નથી. કોઈ પણ નામ રાખી લે. વાત પૂરી.” પતિએ સલાહ આપી.

“વાહ! તમારું નામ સત્યનારાયણ મૂર્તિ છે અને તમને કોઈ શીવશંકર કે સુંદરરાવ નામ રાખવાનું કહેશે તો તમે રાખશો?”

“તું પણ ગજબ છું. ભણેલી છું. તારા સર્ટિફિકેટ પર જોઈ લે ને? આટલી સામાન્ય સમજ ન હોય તો કેમ ચાલે?”

ગૃહિણીએ સર્ટિફિકેટ શોધવામાં કબાટ ઉપરતળે કરી નાખ્યું. સર્ટિફિકેટ ના મળ્યું તે ના જ મળ્યું. યાદ આવ્યું કે એ સર્ટિફિકેટ લાવી જ નહોતી. કંઈ નહીં પિતાજીના ઘેર જઈને શોધી લાવીશ.

“તું જઈશ તો અમારું, ઘરનું, ઘરની સાફસૂફીનું ધ્યાન કોણ રાખશે?” પતિએ પૂછ્યું.

“વાત તો સાચી. સૌને પોતપોતાનું કામ હોય એમ એ કામ મારું. બે દિવસ તમને અગવડ પડશે, પણ હવે નામ જાણ્યા વગર મને ચેન નહીં પડે.”

ગૃહિણીને અચાનક આવેલી જોઈને માબાપુ રાજી. આવવાનું કારણ જાણ્યું.

“મા, હું કોણ?”

“તું અમારી મોટી દીકરી. બી.એ.ભણાવી, પચાસ હજારનું દહેજ આપીને પરણાવી. હવે તો તું બે બાળકોની મા…..

“મારે મારો ઇતિહાસ નહીં મારું સર્ટિફિકેટ પર લખેલું નામ જાણવું છે.”

સર્ટિફિકેટ ક્યાંક જૂના કાગળો, ફાઇલોમાં મુકાયું હોવાની શક્યતા જણાવી. ગૃહિણીએ આખું માળિયું ફંફોસી લીધું.

બીજા દિવસે પણ શોધવામાં નિષ્ફળતા રહી. ગૃહિણીને મન થયું કે, એ આજુબાજુમાં સૌને બૂમો મારી મારીને એનું નામ પૂછે.

અંતે એક સ્કૂલની સખી મળી જેણે એને શારદા કહીને બોલાવી. જાણે ભૂખ-તરસથી મરણાસન્ને પહોંચેલી વ્યક્તિને બે બુંદ પાણીથી જીવનદાન મળે એમ શારદાને જીવનદાન મળ્યું.

“તું એ જ શારદા છો ને જે દસમા ધોરણમાં પ્રથમ આવી હતી? કૉલેજની સંગીતસ્પર્ધામાં પણ પ્રથમ આવી હતી? સુંદર ચિત્રો બનાવતી? આપણે દસ જણાં હતાં. અમે સૌ એકબીજાને મળતાં રહ્યાં. કોણ જાણે તું કયા અજ્ઞાતવાસમાં ચાલી ગઈ?” સખીએ પ્રશ્નોની ઝડી વરસાવી.

“હા પ્રમીલા, હું એ જ શારદા છું. તેં કહ્યું ત્યાં સુધી મને યાદ નહોતું આવતું. મારા દિમાગમાં તો ઘર, ઘરની સાફસફાઈ, સુશોભન સિવાય કંઈ આવતું જ નહોતું.”

શારદાએ ઘરના માળિયે પડેલા સામાનમાંથી શોધી શોધીને પોતાનું સર્ટિફિકેટ, પોતે બનાવેલાં ચિત્રો, જૂનાં આલબમ, સ્કૂલ-કૉલેજમાં જીતેલા પુરસ્કારો એકઠા કર્યા.

ખુશ થઈને ઘેર આવી.

“આ જો, તું નહોતી તો ઘર સરાઈ બની ગયું. હાશ, હવે તું આવી હવે ઘરમાં તહેવાર જેવું લાગશે.” આવતાં વેંત પતિએ પોંખી.

“એ બધું તો ઠીક છે, પણ હવે તમે મને ‘ ઓયે કે સાંભળે છે’ કહીને નહીં શારદા કહીને બોલાવજો” કહીને ખુશહાલ મિજાજ શારદા ગીત ગણગણતી, નિરાંતે સોફા પર ગોઠવાઈ.

આજે એને પોતાની ઓળખ મળી હતી.

અનુવાદઃ જે. એલ રેડ્ડી.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

December 15, 2023 at 2:50 pm

પત્રાવળી-૨૩ ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી. .

રવિવારની સવાર

કેમ છો, મિત્રો?


“પત્રાવલિ”ના સાપ્તાહિક વહેણમાં કલ્પનોનો પ્રવાહ કેવો પુષ્ટ થયો છે, નહીં? નાનપણના અનુભવો અને સંદર્ભોથી થયેલી શરૂઆત પછી, હવે જાણે પ્રગલ્ભ ચેતનાના સ્તરે આપણા વિચારો વહી રહ્યા છે. લાગે છે ને, કે દરેક પત્રમાં કલ્પનની મૌલિકતા છતી થતી રહી છે?  

છેક રોહિતભાઈના પત્રમાંના ‘કાળ’ શબ્દનો એક વધારે સંદર્ભ યાદ આવે છે – 

           કાળ-વૈશાખી”. બંગાળમાં વપરાતો આ શબ્દ-પ્રયોગ છેતેથી ઉચ્ચાર થાય છે કાલ-બોઇશાખી”. વૈશાખ મહિનામાં નવું વર્ષ શરૂ થાય અને સાથે ખૂબ વરસાદ પણ આવે, અને પ્રચંડ ગાજવીજને લીધે એ જાણે ભયાનક ને વિકરાળ બને. એકદમ અસરકારક નથી લાગતા આ શબ્દો?

વાચકોએ લખેલા પત્રો પરથી તો જણાઈ જ આવે છેકે કેટલો રસ લીધો છે આ શ્રેણી માટે. દેવિકાબહેને આખી બારાખડીના દરેક અક્ષર પર લખેલાં કાવ્યોનાં ઉલ્લેખ અને ઉદાહરણ દ્વારા એક ચમત્કૃત મૌલિકતા દર્શાવી દીધી ને રાજુલબહેને શબ્દો કેવી રીતે ભાષાને અલંકૃત કરે છેતેનાં કાવ્યમય અવતરણ મૂકીને જાણે આપણાં સંવેદનોને જગવી દીધાં. 

કૃષ્ણકાંત ઉનડકટનું લખાણ તો ખૂબ વજનદાર છેઅને હાથ-વણાટના પોત જેવું ઘટ્ટ છે. પહેલી નજરે કદાચ એનું સ્વરૂપ લેખનું લાગેપણ એને ધ્યાનથી અને ધીરજથી વાંચીએ ત્યારે દેખાય છે કે આમ તો શરૂઆતથી જ એમણે વાચકોને ઉદ્દેશ્યા છે અને છેલ્લે શબ્દો દ્વારા જ વાચકો સુધી પહોંચાય છેતેમ પણ કહ્યું છે. 

ઉપરાંતશબ્દોના મહિમા અને શબ્દોના મહત્ત્વ પ્રત્યે દરેક જણે સભાન રહેવું જોઈએતે એમણે બહુ કાવ્યમય ભાષામાં દર્શાવ્યું છે. શબ્દોને હું પૂજાની સામગ્રીની જેમ વાપરું છું”, જેવી એમની ઉક્તિ એમના અંગત ઊંડાણ સુધી આપણને લઈ જાય છે.

આ સાહિત્યિક રજુઆત પછી જુગલકિશોરભાઈનો પત્ર શબ્દનું જુદું જ પાસું નથી ખોલી આપતોએમણે તો કથનરીતિની સાવ આગવી યુક્તિ વાપરી છે. પત્રને આરંભે અને અંતેબહુ જ મીઠી લાગે તેવી તળપદી બોલી છે. એ શબ્દોના રૂપે તો જીવની અંદર અને હોઠની ઉપર હરખ આણી દીધો! વચમાં છે સુષ્ઠુ ભાષા ને એમાં યે પાછી છે લગ્નગીતોની મીઠાશ. 

એમણે એક લોકગીતનાં ચાર વાક્ય મૂક્યાંતો તે પરથી મનેય એવું એક લોકગીત યાદ આવી ગયું:
      “
હરિ હરિ તી વનનો મોરલોગિરધારી રેરાણી રાધા ડુંગે રમે ઢેલજીવન-વારિ રે,
       
મોટાં મોટાં માધવપર ગામડાંગિરધારી રેમોટાં મોટાં માધવરાયનાં નામજીવન-વારિ રે.” 
કોઈ મલકના આદિવાસીઓના આ ગીતનો ઢાળઅને એના પર થતા નાચના ઠમકા હજી યાદ છેછતાં જુભાઈની જેમ જજરાક જીવ બળેકે અરેએ સમય તો ગયો ક્યાંયે દૂરે.

સમયનું સ્વરૂપ તો એવું બદલાઈ ગયું છેકે હવે બધાંની પાસેથી “બિલકુલ ટાઈમ નથી મળતો” જેવા શબ્દો જ સાંભળવા મળ્યા કરે છે. જરા પણ ગંભીર કે અર્થસભર બાબત માટે હવે ક્યાંયે ધીરજ નથી હોતી. તમે શું માનો છોમિત્રો

હું તો માનું છુંકે આ દરેક પત્રના વાંચનની પ્રક્રિયા પણ એવી જ સક્રીય હોવી જોઈએ જેટલી એ લખવામાં નિરૂપાઈ હોય છે. એક જગ્યાએ બેસીનેલખાણ પર પૂરતું ધ્યાન આપીનેવાંચવાની પ્રવૃત્તિ કરનારાં હવે જૂનવાણી લાગતાં હશે કે શું

                                               —-  
પ્રીતિ  સેનગુપ્તા   

 Email: preetynyc@gmail.com  

December 11, 2023 at 4:17 pm

‘રજનીગંધા’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ એસ.કે. પોટ્ટેક્કાટ લિખીત વાર્તાનો ભાવાનુવાદ.

-રજનીગંધા-

રજનીગંધા, રાતની રાણી, કેટલું સરસ નામ અને એવી જ મઝાની એનાં ફૂલોની સુગંધ. રાત પડે, અંધકાર ઘેરાય અને એનાં ફૂલોની રેલાઈ આવતી સુગંધથી મન આનંદસાગરમાં લહેરાય. ખૂબ ગમે છે આ રજનીગંધાના ફૂલોની સુગંધ.

છતાં, રજનીગંધાનો છોડ રોપવાની અનુમતિ ક્યારેય આપી નથી. એની પાછળ એક એવી સ્મૃતિ જડાયેલી છે કે….શું કહું?

સત્તર વર્ષની ઉંમરે કૉલેજમાં ભણતા યુવાનનું જીવન કેવું હોય? અંગ્રેજો સોળ વર્ષની ઉંમરને ‘સ્વીટ સિક્સટીન’ કહે છે. સોળ વર્ષે બહેકતી યુવાનીમાં કેટલાય લોકો પ્રેમમાં આંધળુકિયા કરી ઊંધેકાંધ પછડાતા હોય છે. સુંદર યુવતી જોઈ નથી કે અત્યંત ભાવુક બની વાસ્તવિકતાથી દૂર સપનાંની દુનિયામાં ખોવાઈ જાય. માથે કવિતા લખવાનું ભૂત સવાર થાય.

પુસ્તકમાં આલેખાતો પ્રેમ આદર્શ લાગે. કેટલીય યુવતીઓના સૌંદર્ય, ચારિત્ર્ય પારખ્યા પછી અંતે માલતી પર મારી પસંદગી ઢળી. માલતી સુંદર હતી. ચાંદનીની જેમ ચમકતો ચહેરો, નશીલી આંખો, નાજુક પૂતળી જેવી કાયા, હંસલી જેવી ચાલ, પણ અવાજમાં ગજબનો રોફ. માલતીનો આ રોફ મને સૌથી વધુ આકર્ષી ગયો.

માલતીને આવતી જોવા હું બહાર વરંડામાં જઈને ઊભો રહેતો, કાશ મારી આ ઉપાસના માલતી સુધી પહોંચતી હોત! પણ, નહોતી પહોંચતી. હું ઘણી વાર વિચારતો કે માલતી પ્રત્યેના મારા પ્રેમમાં ખરેખર સાવ નિર્દોષતા, પવિત્રતા હતી ખરી? ખરેખર એને ઉપાસના કેવી રીતે કહી શકાય કારણ કે કેટલીય વાર વૃક્ષ સાથે વેલી વીંટળાય એમ માલતી મને વીંટળાઈને ઊભી હોય એવી કલ્પના થઈ જતી.

માલતી અમારા ઘરથી થોડે જ દૂર ઊંચી દીવાલવાળા મહેલ જેવા ઘરમાં રહેતી હતી. એના પિતા સાથે મારે સાધારણ પરિચય હતો. કદાચ માલતી પણ મને ઓળખતી હશે.

રાત્રે જમીને બહાર નીકળતો ત્યારે પગ અનાયાસે માલતીની ઘર તરફ જ વળતા. એના ઘરના ઝાંપા પાસે રજનીગંધાનો છોડ હતો. એ છોડ પાસે સંતાઈને બેસુ તો માલતી એના રૂમમાં આરામથી વાંચતી બેઠેલી દેખાય ખરી. હું એમ જ કરતો. ટેબલ પર મૂકેલા લેમ્પના અજવાળામાં માલતીના ચહેરા પરના ભાવ જોઈ શકતો. મોડી રાત સુધી ઊંઘ આવી જાય ત્યાં સુધી એ વાંચ્યા કરતી. ઝોકે ચઢેલી માલતીનું માથું ટેબલ પર અફળાતું તો એ પરાણે આંખો ફાડીને જાગવા મથતી.

મને મન થતું કે બૂમ મારીને એને કહું, બસ કર હવે. પણ, એ તો આંખો ચોળતી ફરી વાંચવા લાગતી. રજનીગંધાની સુગંધથી મન તર થઈ જતું છતાં શ્વાસ રોકીને હું એને જોયા કરતો. એ સુવાસિત વાતાવરણ સ્વર્ગના નંદનવન જેવું લાગતું અને માલતી મારી સ્વપ્નપરી.

ક્યારેક એ ‘મંજરી’ છંદમાં કવિતા ગાતી. એનો અવાજ સુરીલો હતો. એના કંઠની માધુરી સૌને રસવિભોર કરી દે એવી હતી.

લગાતાર ત્રણ મહિના સુધી રોજ રાત્રે એક એક કલાક સંતાઈને એને જોયા કરી છે. વરસાદના દિવસો શરૂ થયા. મારા માટે વરસાદ નહીં વિપદાના દિવસો શરૂ થયા. જ્યારે ખૂબ વરસાદ હોય ત્યારે એ બારી બંધ કરી દેતી. જાણે મારા હૃદયના બારણાં બંધ થઈ જતાં.

એક દિવસ માલતીના પિતાને એમના બાગના તમામ જૂના ફૂલઝાડ અને દીવાલની આસપાસ ફૂટી નીકળેલાં ઝાડની સફાઈ કરાવવી છે એવું કહેતા સાંભળ્યા અને મારું હૃદય ધબકાર ચૂકી ગયું.

ઓહ, હવે હું મારી માલતીને કેવી રીતે જોઈશ? મારું નંદનવન બચાવવાના એકમાત્ર ઉપાય તરીકે મારા હૃદયના ભાવ ઠલવતો એક પત્ર માલતીને લખ્યો. એમાં ત્રણ ત્રણ મહિનાથી રજનીગંધાના છોડ પાસે બેસીને કેવી રીતે હું એની ઉપાસના કરતો એ પણ લખ્યું. રજનીગંધાના છોડને બચાવી લેવા વિંનતી કરી. ‘વ્હાઇટ ઓફ વેલ્સ’ના છોડની ડાળી માંગવાના બહાને માલતીને પત્ર આપવા નીકળ્યો.

પહોંચ્યો ત્યારે ત્યાં હો-હલ્લા મચી હતી. દસેક માણસો એકઠા થઈને એક લાંબા કાળા નાગને લાઠીથી મારવા મચ્યા હતા.

આટલા સમયથી કોઈનુંય ધ્યાન નહોતું પડ્યું કે, રજનીગંધાના છોડની આડમાં એનું નિવાસસ્થાન હતું. જ્યારે છોડ કાપ્યો ત્યારે એ ફુંફાડા મારતો નીકળ્યો.

મારા હોશ ઊડી ગયા. કલેજું થરથર કાંપવા માંડ્યું. જીવ તાળવે ચોંટ્યો. હવે એક ક્ષણ મારાથી ત્યાં ટકાય એમ નહોતું. આટલા સમયથી જ્યાં બેસીને હું માલતીને જોતો ત્યાં મારી નજીક જ એ ભયંકર નાગ રહેતો હતો!

કોશિશ કરવા છતાં એ વાત હું ભૂલી શકતો નહોતો. એવું લાગતું કે ફેણ ચઢાવીને એ કાળો નાગ મારી પીઠ પાછળ બેઠો છે.

એ રાત્રે મને સખત તાવ ચઢ્યો. સપનામાંય સઘળે નાગ દેખાતો. પલંગ પર, મારી છાતી પર, દરવાજા પર, છત પર લટકતો નાગ જોઈને ઊંઘમાં બૂમ પાડતો, “નાગ નાગ.”

ઘરના સૌ લાઠી લઈને દોડી આવતા.

સપનામાં માલતી નાગકન્યા જેવી લાગતી. એનો ચહેરો જોવો ગમતો પણ એનો નાગકન્યા જેવો દેહ જોઈને છળી જતો.

એક મહિના સુધી તાવમાં તપતો રહ્યો. માંડ થોડું સારું થયું અને માલતીના ઘર તરફ નીકળ્યો ત્યારે જાણ થઈ કે એ લોકો ઘર વેચવા મૂકીને કન્નૂર ચાલ્યા ગયા છે. ઘણાં લાંબા સમય પછી જાણ થઈ કે માલતીના લગ્ન થઈ ગયા અને બે બાળકો છે.

હજુ ક્યાંકથી રજનીગંધાની સુગંધ આવે ત્યારે મારી સત્તર વર્ષની ઉંમરનો ઘેલછાભર્યો પ્રેમ યાદ આવે છે. સાથે ઊંઘરેટી આંખે પુસ્તક વાંચતી માલતીનો ચહેરો અને ફેણ ઊઠાવીને બેઠેલો કાળો નાગ યાદ આવે છે.

આજ સુધી ક્યારેય મારા બાગમાં રજનીગંધાનો છોડ રોપવા દીધો નથી.

બસ, આટલી છે સોળ વર્ષે ઊંધેકાંધ પ્રેમમાં પડેલા યુવકની વાત.

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

December 8, 2023 at 2:39 pm

પત્રાવળી- ૨૨,ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.

રવિવારની સવાર…

સ્નેહી બહેનો,

એતાન શ્રી ગામ અમદાવાદ મધ્યેથી લિખિતંગ જુભાઈનાં સ્નેહવંદન પહોંચે.

અહીં સુવાણ્ય છે. તમે સઉ સુખી સાજાંનરવ્યાં હશો. તમારાં સઉની ટપાલું વાંચીને ઘણું જાણવાકારવવાનું થાય છે. ખુશીસમાચાર તો સૌ લખે પણ આમ ગન્યાન વારતાયુંય થાતી રહે તો મજો પડે. જીવ્યાં કરતાં જોયું ભલું ને જોયા કરતાં જાણ્યું ભલું….ભલું થાજો તમ સંધાયનું કે આ રાગે ચડ્યા, ને બધાંને ઈનો લાભેય થ્યો.

તમારી ટપાલોમાં મેં જોયું કે અક્ષર અને શબદનો ભાતભાતનો વપરાશ કેવો હોય છે તે તમે લખ્યું હતું. બોલચાલની હારોહાર્ય કેહવત, ગીત, વારતા વગેરેમાં શબદોનો કેવો કેવો ઉપયોગ થાય છે! તે બધું વાંચીને મેં આપણા જુગલકિશોરને વાત કરી તો એમણે મને એક ચિઠ્ઠી લખીને મોકલેલી ! એમાં એમણે લગનગાળો હાલે છે એટલે લગનગીતોની વાતું લખીને તમારી સઉની વાતને જ આગળ ધકેલી લાગે છે ! જુઓ, એમની ચિઠ્ઠી જ આખી ને આખી અહીં ઠબકારી દઉં છું….તમે સઉ જાતે જ એને વાંચો બીજું સું ?!

“શબ્દ બે સ્વરૂપે આપણી સમક્ષ હોય છે :

આંખેથી દેખાતો (એટલે કે વંચાતો શબ્દ) અને કાનેથી સંભળાતો શબ્દ. (‘શબ્દ’નો એક અર્થ ‘ધ્વનિ’ પણ થાય છે !)

લખાયેલો શબ્દ તો આપણા વ્યવહારોમાં રોજિંદી બાબત છે અને બોલાતા શબ્દરૂપે તો તે શ્વાસોસ્છવાસ જેટલો ક્ષણેક્ષણનો હોય છે !

વ્યક્તિગત રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિને શબ્દ સાંભળવા માટે કાન ફક્ત બે જ હોય છે પણ ધ્વનિનો ધસારો તો ચારે દિશાથી અને ભાતભાતનાં માધ્યમોથી થતો રહે છે. “લોકોનાં મોં બંધ કરી શકાતાં નથી” એ જ રીતે અવાજને ફેલાવનારાં વાજિંત્રો અને અનેકાનેક અવાજ ઓકતાં ઉપકરણોને પણ અટકાવી શકાતાં નથી. મ્યુઝિક તરીકે ઓળખાતા ‘અર્થ રહિત’ અવાજોને બાદ કરીએ તો સંગીતનો સાથ લઈને ‘સાર્થશબ્દો’ આપણા કાનોમાં સતત પ્રવેશતા હોય છે.

સંગીતનો સાથ લઈને આપણને મળતા શબ્દોની વાતે, લગ્નની ચાલી રહેલી આ ઋતુમાં લગ્નગીતો ન સાંભરે તો જ નવાઈ ! લગ્નગીતો લગ્નપ્રસંગનો વૈભવ હતો એક જમાનામાં ! આ ગીતો પાછાં અર્થસભર હતાં. લગ્નગીતો એટલે લગ્નપ્રસંગની શોભા અને શિખામણ !!

૬૫ વરસ પહેલાં અમે લોકો દસેક વરસનાં હઈશું. લગ્નપ્રસંગે ક્યાંય જવાનું થાય એટલે નવાં કપડાં, સારુંસારું ખાવાનું, આઘેઆઘેનાં સગાંઓનેય ઓળખવાનું, નવા ગામ કે શહેરને જોવાજાણવાનું, દોડાદોડી ને ધમાચકડી વચ્ચે કાનોમાં સતત પ્રવેશતાં રહેતાં લગ્નગીતોની મધુરી સુરાવલિઓ !!

ઉપરોક્ત છ–સાત બાબતોમાંની છેલ્લે મુકાયેલી બાબત – પેલી મધુર સુરાવલિઓ આજે પણ ભુલાતી નથી ! આજના જમાનામાં લગ્નો ઉત્સાહ અને ઉલ્લાસનો અતિરેક હોય તેવું લાગ્યાં કરે છે. વ્યવહારો–ખાણીપીણી–વૈભવ–પ્રદર્શનો–ધ્વનિવિસ્ફોટ જેવાં ડીજેના ઘોંઘાટ વચ્ચે “લગ્નવિધિ” તો જાણે કે સંકોચાઈને ખસિયાણી જ રહેતી જણાય છે.

જૂના સમયમાં શાસ્ત્રીયવિધિ, વહેવારો, સંબંધો વગેરેની જોડાજોડ જેમનું સ્થાન અને માન રહેતું–સચવાતું તે હતાં લગ્નગીતો ! લગ્નમાં એક પણ વિધિ એવી નહોતી કે જેને માટેનું કોઈ ગીત ન હોય !! એકેએક પ્રસંગનાં ગીતો. ભાવસભર, અર્થસભર અને ‘તેલની ધાર જેવો લય’ ધરાવતાં ગીતોને હું એ જમાનાનાં લગ્નોનું અ–નિવાર્ય અને અનભિગ્ન અંગ માનું છું.

વહેલી સવારે, ભળભાંખળું થયું ન થયું હોય તેવે સમયે બહેનો ઢુંગલું વળીને બેઠી હોય; મહેમાનો ઝાઝાં હોય એટલે મોટાભાગની મહિલાઓએ માથે ઓઢ્યું હોય અને ગણેશ પરમેશરના નામથી આરંભીને ઘેનમાં નાખી દે એવા મધુરા સ્વરમાં અને તાલમાં એકસરખા લય સાથે તેઓ પાંચેક ‘પરભાતિયાં’ ગાય ! આ પરભાતિયાં એના અસલ સૂર અને ઢાળમાં કોઈને મળી આવે તો એને આ પત્રો નિમિત્તે મૂકવાં જેવાં છે ! એમાંનું એક તો આજેય રુંવાટાં બેઠાં કરી દે તેવું છે. એ ગીત મનમાં ક્યારેક જાગી જાય છે ત્યારે ૬૫ વર્ષો ક્યાં વયાં જાય છે તે સમજાતું નથી ! લગ્નસ્થળે ક્યાંક ખૂણામાં સૂતેલો હું મને કલ્પીને છાનોમાનો એ હલકભર્યો લય માણી લઉં છું…..(શબ્દોમાં જોકે ક્યાંક ભૂલ હશે….)

“નમો નમો નારાયણ રે,

લેજો લેજો ચારે દેવનાં નામ હર……નમો નમો નારાયણ રે !

દ્વારકામાં રણછોડરાયને સમરિયે રે,

લેજો લેજો ચારે વેદનાં નામ હર………..’

લગ્નગીતો એટલે ફક્ત સંગીત ને લયતાલ માત્ર નહીં; લગ્નગીતો એટલે લગ્નપ્રસંગને શોભાવનારાં અને એકેએક પ્રસંગે કોઈ ને કોઈ શિખામણો ને સંદેશાઓ પ્રસરાવતા અર્થસભર શબ્દો !!

શબ્દનો મહિમા કોઈથી પૂરો ગવાયો છે કે હું કોઈ દાવો કરી શકું ભલા ?! શબ્દનો મહિમા ગાવા માટેની પૂરેપૂરી શબ્દશક્તિ ખુદ સરસ્વતી સિવાય કોની કને હશે ?

– જુગલકિશોર.

December 7, 2023 at 3:02 pm

‘સુગંધનું સરનામું’-ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ વાર્તા.

હું માલવ.

માલવ કોણ??

માલવ કોણ એ મહત્વનું નથી. મહત્વનું છે માલવ શું કરે છે એ.

હા, મને મારા નામ કરતાં કામ વિશે વાત કરવાનું વધુ ગમે છે.

નાનો હતો ત્યારથી ભણવા કરતાં અન્ય પ્રવૃતિમાં વધુ રસ. સાંજ પડે પાસેના બગીચામાં જઈને ઝાડપાન, ચકલી, કાબર, મેના, પોપટ કે પેલી ઝાડ પર આમથી તેમ ચઢીને ઉતરી જતી ખિસકોલીઓની ગતિનાં ચિત્રો દોરવાનું, કવિતાનાં નામે બેચાર લીટી લખવાનું વધુ ગમતું. એમાં એક નવો રસ ઉમેરાયો. બગીચાની માવજત કરતા માળીકાકાને જોવાનું બહુ ગમતું. માળીકાકા પોતાના બાળકને ઉછેરે એવાં વહાલથી બગીચાનાં ફૂલ, છોડનું ધ્યાન રાખતા! ફૂલોની કોમળ પાંદડીઓને એટલી તો નજાકતથી સ્પર્શતા કે એમને જોયા જ કરતો.

માળીકાકા પાસેથી જ તો શીખ્યો કે, ફૂલ-ઝાડમાંય જીવ હોય છે. કોમળતાથી સ્પર્શો તો જાણે હસી પડતાં હોય એમ ખીલી ઊઠે.

હું સાત વર્ષનો હોઈશ ત્યારની આ વાત છે. આજે સત્યાવીસ વર્ષે હું હકથી, વટથી કહી શકું છું કે એ નાનપણમાં શીખેલી વાતને જીવી રહ્યો છું.

સાત વર્ષની ઉંમરે મનમાં રોપાયેલું બીજ આજે ફૂલોની દુકાન બનીને મહોરે છે.

કૉલેજોથી ઘેરાયેલા યુનિવર્સિટી એરિયામાં મારી ‘ફૂલોની દુકાન’ છે. કૉલેજિયનોથી વધારે હોંશીલા ગ્રાહક બીજે ક્યાં મળવાના? બંદાનો આ એરિયામાં શોપ ખોલવાનો આઇડિયા એકદમ જક્કાસ રહ્યો.

હવે બીજા આઇડિયાની વાત કરું?

મારે તો જરા હટકે કરવું હતું એટલે ફલાણાં ફલાણાં ફ્લોરિસ્ટ કે આજકાલ ફ્લાવર શોપનું હોય છે એવું સ્ટાઇલિશ નામ રાખવાના બદલે એકદમ અર્થસભર નામ રાખ્યું- ‘સુગંધનું સરનામું’.

વાત કે વિચાર ખોટો હોય તો બોલો? જ્યાં ફૂલો હોય ત્યાં સુગંધ હોય જ ને?

બસ, આપણો ધંધો તો રાજાના કુંવરની જેમ રાતે ના વધે એટલો દિવસે વધવા માંડ્યો. અરે ભાઈ, આ તો મૂડમાં આવીને જરા મસ્તી કરી લીધી

બાકી માળીકાકાએ કહ્યું હતું કે, “રાત્રે તો આપણી જેમ ફૂલોય આકાશી ચંદરવા હેઠે નિંદર તાણે. માણહ જાતે એને નડવું કે કનડવું ન જોય.” એ બરાબર યાદ રાખ્યું છે. શોપ બંધ કરતાં પહેલાં આકાશી ચંદરવા જેવી ડીમ લાઇટ આખી રાત ચાલુ રાખું છું.

દશેરા, દિવાળી કે અન્ય તહેવારો એટલે આસોપાલવ અને ગલગોટાની મોસમ.

મધર્સ ડે, ફાધર્સ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, વેલેન્ટાઇન્સ ડે કે કોઈની બર્થ ડે એટલે જાતજાતનાં ભાતભાતનાં ગુલાબોની મોસમ. લગ્નની મોસમમાં તો વળી તડાકો. ગુલાબ, ગલગોટાથી માંડીને બધી જાતનાં ફૂલો ખપે.

શોપમાં ગ્રીટિંગ કાર્ડ્સ પણ રાખું. કારણ શું કે, કોઈને શુભેચ્છા કે પ્રેમનો સંદેશો જાતે લખતાં ન આવડે તો એમને કામ આવે.

આમાં પણ સૌની સેવા કરવી છે એવો જ ભાવ રાખીને ફૂલો અને ગ્રીટિંગ કાર્ડના ભાવ મોટાભાગે સૌને પરવડે એવા રાખું છું.

એક દિવસ અજબ કિસ્સો બની ગયો.

હજુ તો સવારે શોપ ખોલીને ફૂલો ગોઠવતો હતો ને કૉલેજિયન કરતા થોડી વધુ વયનો યુવાન પ્રવેશ્યો. કડક સફાઈદાર કપડાં, ચમકતા ચહેરા પર આછી દાઢી, તલવાર કટ મૂછ ને માથે પાઘડી. આજ સુધી જોયેલા છેલબટાઉ કૉલેજિયનો કરતા નખશિખ અલગ દેખાતો એક શીખ બંદો સામે ઊભો હતો.

“સુગંધનું સરનામું! ……નામ તો સરસ છે. તમારી શોપનાં ફૂલોની સુગંધ આ સરનામા સુધી પહોંચાડવાની છે.” કહીને એણે અમનદીપ અરોરા નામનું એડ્રેસ કાર્ડ હાથમાં સરકાવ્યું.

શોપમાં ઊડતી નજર કરી.

“વાહ, સુંદર!

“દર રવિવારે સવારે આ એડ્રેસ પર એક બુકે મોકલી આપવાનો છે. કયા રંગનો એ સવારે ટેક્સ્ટ કરીશ, સાથે એક મેસેજ અને ઓન લાઇન પેમેન્ટ પણ મળી જશે. મેસેજ લખેલું કાર્ડ બુકે સાથે મોકલવાનું ન ભૂલાય એ ખાસ ધ્યાન રાખજો.” કહીને જેટલી ત્વરાથી આવ્યો એટલી ત્વરાથી ચાલ્યો ગયો.

અમનદીપ અરોરા….બસ ફક્ત નામ અને બે મિનિટની ટૂંકી મુલાકાત, પણ મારાં જીવનમાં ક્યારેય ન ભૂલાય એવી એ વ્યક્તિ અને એ મુલાકાત.

રવિવારે સવારે શોપ ખોલતાંની સાથે લાલ અને પીળાં ગુલાબનું કૉમ્બિનેશન લેવું એવો અમનદીપનો મેસેજ આવ્યો. સાથે લખ્યું હતું,

“Dear Param, Out of all my addictions, you are my favorite. Love you.”

અમનદીપે લખ્યું હતું એવો લાલ અને પીળાં ગુલાબનો બુકે તૈયાર કરી, શોપમાંથી સરસ કાર્ડ પર મેસેજ મૂકીને મારા હેલ્પરને અમનદીપે આપેલા એડ્રેસ પર પહોંચાડવા રવાના કર્યો.

વળી બીજો રવિવાર. ગુલાબી ગુલાબનો બુકે અને સાથે સંદેશો…

“Dear Param .. You are the only person I can imagine spending my whole life with.”

અને પછી તો રવિવારની સવાર અને અમનદીપની પસંદગીના ગુલાબનો બુકે સંદેશા સાથે મોકલવાનો શિરસ્તો થઈ ગયો.

ક્યારેક પીચ ગુલાબ સાથે…

“Dear Param, You are like a breath of fresh air in my life otherwise my life would be dull.”

એક રવિવારે પર્પલ ગુલાબના બુકે સાથે મોકલવાનો સંદેશો..

Dear Param, I thank God for every breath I take because I take it thinking of you.

*********

પરમ…

આ પરમ કોણ હશે? અમનની દોસ્ત, પ્રિયા કે પત્ની?

જો પત્ની હોય તો બંને સાથે જ રહેતાં હોય ને! કે પછી, પરમ રિસાઈને અલગ થઈ હશે અને અમનદીપ એને મનાવવાની કોશિશ કરતો હશે? પરમને મોકલાતાં સંદેશાઓ પરથી તો લાગતું કે અમનદીપને પરમ પ્રત્યે પ્રગાઢ પ્રેમ હશે.

મારા મનમાં પરમ વિશે જાણવાનું કુતૂહલ કૂદકા મારવા માંડ્યું.

આવા બીજા બેચાર રવિવાર પસાર થયા. ક્યારેક મારા હેલ્પરને મોકલવાના બદલે પરમને બુકે અને કાર્ડ આપવા જવાની મને ઇચ્છા થતી.

હવે તો દર રવિવારે શોપ પર પહોંચતાની સાથે અમનદીપનો મેસેજ જોવાની ટેવ પડી ગઈ.

પણ, દિવાળીનો દિવસ હતો છતાં એ રવિવારની સવાર ખાલી ગઈ.

દિવાળીની સવારે અમનદીપ ખાસ રંગનાં ગુલાબ અને એથી પણ સુંદર, ભાવભીનો સંદેશો મોકલવાનું કહેશે એવી ધારણા હતી, પણ અગિયાર વાગ્યા સુધી અમનદીપનો મેસેજ ન આવ્યો.

શું થયું હશે? પરમનાં રિસામણાં પૂરાં થઈ ગયાં હશે? જો એવું હોય તો એ મને જણાવે તો ખરો ને કે પછી કે અમનદીપ ભૂલી ગયો હશે?

શું કરું?

અચાનક વિચાર આવ્યો અને ભાગ્યેજ મળતાં બ્લૂ ગુલાબનો બુકે બનાવ્યો. કાર્ડ પર લખ્યું,

“Dear Param, I’m so lucky to have you in my life. I am counting the days/ hours until I can see you again. I’m loving you more each and everyday.”

હેલ્પર સાથે પરમને બુકે મોકલી આપ્યો.

દિવાળીની છેક સાંજે એક ટેક્સ્ટ મેસેજ મળ્યો.

“Thanks, but now no need to send bouquet. We didn’t know that Aman’s life is too short for all the things we have planned for us.” – Mrs.Paramjeet Arora.

સાથે ત્રિરંગામાં સન્માનપૂર્વક લપેટાયેલા અમનદીપની એક તસવીર હતી. આર્મીની વર્દીમાં શોભતા અમનદીપની બીજી તસવીર પર સુખડનો હાર ઝૂલતો હતો. નીચે સફેદ ગુલાબના ફૂલોનો ઢગલો અને ધૂપસળી મૂકેલાં હતાં. ધૂપસળીમાંથી ઉપર તરફ જતી ધૂમ્ર સેર વચ્ચે મને પરમજીતની સુગંધનાં સરનામા જેવા અમનદીપના ચહેરાની ઝલક દેખાતી હતી.

દિવાળીની એ સાંજે ‘સુગંધનું સરનામું’માં પૂર્વ ખૂણે સ્થાપેલી ઈષ્ટદેવની છબી સામે બે દીવા પ્રગટાવી, અમનદીપના આત્માની શાંતિ અને પરમજીતના શેષ જીવનની મંગળકામના માટે પ્રાર્થના કરી ત્યારે પણ નજર સામે અમનદીપનો ચહેરો તરવરતો હતો.

શોપની બારસાખે ટાંગેલું રોશનીનું તોરણ ઉતારવા ગયો ત્યારે દૂર થતી આતશબાજીમાંય અમદીપના ચહેરાની સાથે એવા અનેક અજાણ્યા ચહેરાની ઝાંખી થતી હતી જેમના બુઝાયેલા જીવનદીપ આજ, આવતીકાલ કે દર વર્ષે આવતી દીવાળીનાં પર્વમાં ઘરઘરમાં ઝળહળતી રોશનીનું નિમિત્ત બન્યા હશે!!

વાર્તાલેખનઃરાજુલ કૌશિક

December 1, 2023 at 8:11 am

પત્રાવળી-૨૧, ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.

આલેખન : કૃષ્ણકાંત ઉનડકટ

રવિવારની સવાર…

પ્રિય મિત્રો,

આજે થોડાક શબ્દોથી તમને બધાને મળું છું. હું જે લખું છું તેના પરથી તમે મારા વ્યક્તિત્વનો આછેરો અંદાજ બાંધશો. કોણ કેવા શબ્દો વાપરે છે તેના પરથી તેની ઓળખ નક્કી થતી હોય છે. પોત પ્રકાશતું હોય છે. દાનત છતી થતી હોય છે. ઈરાદા વર્તાતા હોય છે. છેલ્લે તો માણસ જેવો હોય ને એવા જ શબ્દો એના મોઢેથી નીકળતા હોય છે, પેનમાંથી ટપકતા હોય છે અથવા તો કી–બોર્ડની મદદથી સ્ક્રીન પર પડતા હોય છે. શબ્દો માણસની છાપ ક્રિએટ કરે છે. લેખકોનાં લખાણ પરથી વાચકો એક અભિપ્રાય બાંધતા હોય છે, વક્તાના બોલથી શ્રોતાઓ તેને માપતા હોય છે. માત્ર લેખકો કે વક્તાઓનેજ આ લાગુ પડતું નથી. દરેક માણસને સ્પર્શે છે. આપણે કહીએ છીએને કે એની જીભ તો કુહાડા જેવી છે. જીભમાં ધાર કાઢવી કે જીભને સંવેદનાનો સ્પર્શ આપવો એ આપણે કેવા શબ્દો પસંદ કરીએ છીએ અને તેને કેવી રીતે રજૂ કરીએ છીએ તેના પર આધાર રાખે છે. શબ્દો બોલવાના હોય છે, ફેંકવાના નથી હોતા. ઘણા લોકો શબ્દોના છુટ્ટા ઘા કરે છે. શબ્દોને તો તમે જેવો આકાર આપો એવા એ બની જાય. એને તીક્ષ્ણ પણ બનાવી શકો અને તાજગી પણ બક્ષી શકો.

મને ઘણી વાર વિચાર આવે છે કે શબ્દો સામૂહિક છે કે વ્યક્તિગત? મારી રીતે જ તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરું છું. બધા માટે શબ્દો તો આખરે એ જ છે જે શબ્દકોશમાં છે. શબ્દકોશના શબ્દો સામૂહિક છે. જ્યારે તમે તેને વાપરો ત્યારે એ વ્યક્તિગત બની જાય છે. તમારા બની જાય છે. બાયલાઇન એ જ બતાવે છે કે આ શબ્દો આ વ્યક્તિના છે. લખનાર એના માટે જવાબદાર છે. શબ્દોનો અર્થ પણ સમજનાર ઉપર આધાર રાખે છે. હું કહેવા કંઈ માગું અને તમે સમજો કંઈ તો એમાં શબ્દોનો કોઈ વાંક નથી હોતો. કાં તો હું સરખું સમજાવી ન શક્યો અને કાં તો તમે સમજી ન શક્યા. એક સરસ ક્વોટેશન યાદ આવે છે, હું જે લખું કે બોલું એના માટે હું જવાબદાર છું, તમે સમજો એના માટે નહીં. શબ્દો જે મતલબથી કહેવાયા હોય એ જ અર્થથી સમજાય તો ઘણી મુશ્કેલીઓ ઊભી ન થાય. આપણે બચાવ કરવો ન પડે કે મારો કહેવાનો મતલબ એવો ન હતો.

શબ્દોનું સૌંદર્ય જળવાવું જોઈએ. અયોગ્ય રીતે બોલાતા કે લખાતા શબ્દો એ શબ્દોનું અપમાન છે. શબ્દોની ગરિમા જાળવવાનું બધાને નથી આવડતું. આપણે જન્મીએ પછી અમુક સમય બાદ આપણને બોલતા આવડી જાય છે પણ શું બોલવું, કેવું બોલવું, ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એ ઘણી વખત આખી જિંદગી નથી આવડતું. અમુક લોકો લખે તો એવું થાય કે વાંચ્યા જ રાખીએ, બોલે તો એવું થાય કે સાંભળ્યા જ રાખીએ, બાકી તો એવું જ થાય કે આ હવે બંધ થાય તો સારું.

જેને શબ્દો વાપરતા આવડે છે એ સમજુ છે. ભણેલા હોય એ પણ શબ્દોના ઉપયોગમાં થાપ ખાઈ જતા હોય છે. આપણને ખુદને ઘણી વાર એવું થાય છે કે મારે આમ બોલવાની કે લખવાની જરૂર નહતી. હવે ‘સોશિયલ મીડિયા’નો યુગ છે. દરરોજ લખાય છે. લાઇક મળે છે, કમેન્ટ્સ થાય છે અને સરવાળે લખનારો ઓળખાઈ જાય છે. શબ્દોને પણ શણગારી શકાય. શબ્દોનું બ્યુટીપાર્લર દરેકના દિલમાં હોય છે. આપણે શબ્દોને વાપરતા પહેલાં એ તૈયાર છે કે નહીં એ વિચારીએ છીએ? શબ્દોને તેજાબમાં બોળીને વાપરીએ ત્યારે કદાચ શબ્દોને પણ થોડીક બળતરા થતી હશે. એક બાળકની વાત યાદ આવે છે. એની મમ્મી એને રોજ ખિજાતી. કોઈ ને કોઈ બાબતે બેફામ બોલતી. એક વખત દીકરાએ બહુ સલુકાઈથી કહ્યું કે, મમ્મી તું મને ખીજા તેનો વાંધો નથી પણ પ્રેમથી ખીજા ને! આપણે શબ્દોને સારી રીતે વાપરી શકીએ. એના માટે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે હું શબ્દોને સારી રીતે વાપરતો નથી. આપણને તો ખબર જ ક્યાં હોય છે?

હું કંઈ પણ લખતી વખતે એટલું ચોક્કસ વિચારું છું કે હું આ શબ્દો લખવા માટે પ્રામાણિક છું? લેખક પહેલાં તો પોતાની જાત સાથે પ્રામાણિક હોવો જોઈએ. હું મારી સાથે પ્રામાણિક હોઉં તો જ વાચકો સાથે વફાદાર રહી શકું. જો હું પ્રામાણિક ન હોઉં તો શબ્દોના ઉપયોગ પાછળ રહેલો દંભ વર્તાઈ જ જવાનો છે. હૃદયમાંથી નીકળેલા શબ્દો જ હૃદય સુધી પહોંચે, બાકી તો અથડાઈને પાછા આવે. પડઘાની જેમ. પડઘા ક્યાંય પહોંચતા હોતા નથી. લખતી વખતે મારી આંખો થોડીકેય ભીની થાય તો જ વાચકની આંખમાં જરાક ભેજ વર્તાય. શબ્દોને હું પૂજાની સામગ્રીની જેમ વાપરું છું.

એ શબ્દો જ તો છે જે મને તમારા સુધી પહોંચાડે છે. હું તો મારા વાચકો માટે જ લખું છું. વાચકો જ લેખકને લેખક બનાવે છે. હું હંમેશાં કહું છું કે મારા માટે મારા વાચકો સર્વોપરી છે. તમને બધાને શબ્દોના સથવારે મળીને મજા આવી. આપણા શબ્દો અને આપણા સંબંધો સજીવન રહે એ સુંદર જિંદગી માટે જરૂરી છે.

આ પત્ર માટે પ્રેરનાર દેવિકાબેન ધ્રુવનો આભાર. આપ સહુને વંદનસહ શુભકામનાઓ. આવજો.

શબ્દપૂર્વક…

–કૃષ્ણકાંત ઉનડકટ

November 26, 2023 at 3:09 pm

‘વર્ક ફ્રોમ હોમ’- સ્વપ્નિલ શ્રીવાસ્તવ લિખીત વ્યંગકથાનો ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ભાવાનુવાદ.

‘વર્ક ફ્રોમ હોમ’

નમસ્તે, હું ……..

જવા દો મારી ઓળખાણ શું આપું, કારણ કે આ કથા, આ વ્યથા મારા એકલાની નથી. પુરુષપ્રધાન યુગમાં કોવિડકાળથી શરૂ થયેલી ‘વર્ક ફ્રોમ હોમ’ કાર્યપદ્ધતિમાં મજબૂરીથી ગૃહકાર્યનું કૌશલ્ય મેળવવા મથતા મારા જેવા લાખો પુરુષોની વાત છે.

માત્ર ઘરમાંથી આ આગ્રહ કે દબાણ હોત તો સમસ્યા નહોતી, પણ આ સમસ્યા તો સામાજિક કક્ષાએ પહોંચી છે. પડોશીઓ, દોસ્તોથી માંડીને ઑફિસના સહકાર્યકરો સુદ્ધાં પોતાની ગૃહકાર્ય કૌશલ્યની વાતો કરતા થઈ ગયા છે.

કોઈ એક મધ્યવર્ગી માણસ સુધી આ વાત સીમિત રહી હોત તો ઠીક, પણ હવે તો ફિલ્મી સિતારાઓ પણ સોશિયલ મીડિયા પર ઘરમાં રહીને પોતે શું કરે છે એની વિડીયો મૂકતા થઈ ગયા છે એટલે આપણે પણ મજબૂરીથી કરવાં પડતાં કામને પૅશન કહીને પોરસાવાની ફેશન અપનાવે જ છૂટકો.

આમ જોવા જઈએ તો મેગી બનાવવાનો કસબ તો નાનપણથી જ શીખી લીધો હતો ને!

મેગીમાંથી મેક એન્ડ ચીઝ, રીંગણાંમાંથી રૅવિઓલી, વ્યાપારમાંથી મોનૉપોલી, બોમ્બેમાંથી મુંબઈ કહેવાનું ક્યારે શરૂ થયું એ યાદ નથી, પણ એમ.બી.એ કરીને મુંબઈ આવ્યો ત્યારથી દોસ્તો સાથે રહીને ખાવાનું બનાવતા કેવી રીતે શીખ્યો એ યાદ છે. સમય જતાં શાકમાં સ્વાદ અને રોટલીઓનો આકાર ગોળ આવવા માંડ્યો. પણ, હજુ ભીંડાની ચીકાશ અને અળવીથી ગળામાં થતી ખંજવાળ તો કૌતુકના વિષય જ રહ્યા છે અને લાગે છે કે કદાચ હંમેશાં રહેશે.

જ્યારે જ્યાં અટવાતો ત્યારે મમ્મીની યાદ આવી જતી. સમસ્યા કે સમાધાન માટે ‘ફોન અ ફ્રેન્ડ’માં મમ્મીને ફોન કરવામાં જરાય વાર નહોતી લાગતી. એ જેમ જેમ બતાવે એમ એમ કરતો. હા, ઢોળફોડ ઘણી થતી. ઠીક છે, એ સાફ કરતા કેટલી વાર?

સમય જતા લગ્ન પછી એકમાંથી બે, બેમાંથી ત્રણ થયાં. ઘરનો મોરચો શ્રીમતીજીએ સંભાળી લીધો અને ગૃહકાર્યમાંથી છૂટકારો થયો.

લગ્ન પછી તો સૌની જેમ ઑફિસમાં જાણે કેટલુંય કામ કરીને આવ્યો હોઉં એમ, “માણસ આખો દિવસ કામ કરીને આવ્યો હોય, થોડો થાકેલો હોય તો જરા આરામ તો કરવા દો” એવા ડાયલોગ્સ અવારનવાર બોલવા માંડ્યો.

કોઈ પણ સ્ત્રીએ લગ્ન પહેલાં પિતા, લગ્ન પછી પતિને આવું કહેતા સાંભળ્યા જ હશે. ન્યાય કે તટસ્થતાથી વિચારીએ તો સમજાય કે, ખરેખર તો કેટલાય વર્ષોથી સ્ત્રીઓ ઘરનો અને હવે તો બહારનોય ભાર વેઠી રહી છે, પણ આપણે ક્યાં એવું વિચારવા બેસીએ છીએ?

પણ, કોવિડના આ લૉકડાઉનના સમયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ ચલણમાં આવ્યું ત્યારથી ખરાખરીનો ખેલ શરૂ થયો. થોડા સમય પહેલાં ‘વર્ક ફ્રોમ હોમ’ ની સગવડ ધરાવતા લોકોની ઈર્ષ્યા થતી. હવે વાસ્તવિકતા સામે આવી, ‘વર્ક ફ્રોમ હોમ’નો અનુભવ થયો ત્યાર બાદ એ સૌની તકલીફ સમજાઈ.

ભારે ઉત્સાહથી સવારે પ્રોટીન શેક, લેપટોપ અને ટિફિન લઈને ઑફિસ જવાનું, ટી, લંચ કે સ્નેક-બ્રેક સમયે નિરાંતે ટોળટપ્પાંને કામમાં ખપાવી, ઢગલો થાક લઈને ઘેર આવતા ત્યારે લાગતું કે હવે બીજા કોઈ કામ કરવાની તાકાત જ રહી નથી.

‘‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ થયું કે ઑફિસનું આ જ કામ ત્રણ-ચાર કલાકમાં પૂરું, હવે?

ઔપચારિકતા ખાતર શ્રીમતીને પૂછી લીધું, “ઘરના કોઈ કામમાં મદદ કરી શકું તો બતાવજે.”

શ્રીમતીએ બાળકો સંભાળવાની જવાબદારી સોંપી. હજુ થોડી વધુ મદદ કરી શકાશે એવું લાગતાં કામનું કામ છતાં આસાન હોય એવા કામની યાદી બનાવી. જેમ કે, ખાવાનું બનાવવું, કપડાં ધોવાં, કચરા-પોતાં કરવા, વગેરે વગેરે.

ઘણું વિચાર્યાં પછી પોતાં મારવાનું કામ સૌથી સરળ લાગ્યું. લાંબા ડંડા પર કપડું બાંધીને ડોલના પાણીમાં પોતું ભીનું કરીને હૉકીમાં ડ્રિબલ કરીએ એમ એ લઈને ઘરમાં આમતેમ ફેરવવાનું. દેખીતી રીતે આ જરાય મોટું કામ ન લાગ્યું.

બીજા દિવસે સવારમાં ચા-નાસ્તો કરવાની સાથે એલાન કરી દીધું, “આજથી પોતાં કરવાનું કામ મારું.”

શ્રીમતીજીએ સંમતિસૂચક મુંડી હલાવી. સમય થયો એટલે ડોલમાં પાણી ભરીને કામ શરૂ કર્યું જ ને પાછળથી અવાજ આવ્યો, “અરે! પાણીથી તરબતર, આટલું ભીનું પોતું ના કરો ભઈસા’બ.”

ડીમૉનેટાઇઝેશન, ક્વૉરન્ટાઇન, મૉરેટૉરિયમની જેમ આજે આ ‘ભીનું પોતું’ શબ્દ પણ ભારે ભારેખમ લાગ્યો.

વિચાર આવ્યો, “અરે આ નિર્દયી સમાજ! ગરીબ બીચારાં ચીંથરાં જેવા ‘પોતાં’ને પણ ભીનું અને સૂકું જેવી અલગ અલગ કક્ષામાં વહેંચી નાખ્યું?”

મનનું સમાધાન શોધવા અને વધુ સારી રીતે કામ કરી શકાય એ માટે શ્રીમતીજી પાસે વધુ જાણકારી માંગી. શ્રીમતીજીએ કુશળ કૉચની જેમ એકદમ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિકલ જ્ઞાન પીરસ્યું.

પછી તો શ્રીમતીજીએ ભીનાં-સૂકાં પોતાંથી આગળ વધીને ચા,દાળ, છોલે…વગેરે વગેરે કેવી રીતે બનાવવા એનું વ્યવહારુ જ્ઞાન આપવાનીની સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરાવી. અમારી અંદરના અણઘડ પુરુષે ઝીણવટથી ગૃહકાર્ય સમજવા માંડ્યું, એટલે સુધી કે હવે શ્રીમતીજી અમારા જેવી ચા બનાવવાનું અનુકરણ કરે છે ને સખીઓને ગર્વથી આ કહે પણ છે.

તો મહાશય, આટલામાં સમજી જાવ. હજુ સમય છે તમારી જાતને સંપૂર્ણ માની લેવાના બદલે વિદ્યાર્થી બનો અને ગૃહિણી પાસે બે-ચાર ગૃહકાર્ય શીખવામાં શરમ ના કરો નહીંતર શ્રીમતીજી એમની સખીઓ પાસે તમારી આવડતનાં વખાણ કે વર્ણન કેવી રીતે કરશે?

જે રીતે આજકાલ ખ્યાતનામ લોકો આવાં કામનાં ટ્રેન્ડ સ્થાપિત કરવા માંડ્યા છે એ ટ્રેન્ડથી આપણે અલગ છીએ એવું પણ ન લાગવું જોઈએ.

શું કહો છો?

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

November 24, 2023 at 4:07 pm

-હૅપી થેન્ક્સગિવિંગ- એક વિચાર માત્ર

તે પંખી પર પથરો ફેંકતા ફેંકી દીધો..

છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો…

સદી વટાવી ઉપર બીજા વીસેક વર્ષ જેટલો સમય થઈ ગયો આ કાવ્ય રચનાને. આપણે સૌએ અનેકવાર વાંચી છે. ભણવામાં પણ આ કવિતા આવી હશે અને ત્યારે કવિની વેદના-સંવેદના આપણને સ્પર્શી હશે.

પણ કોને ખબર, કેમ પણ આ કવિતાની પંક્તિ લગભગ છેલ્લા કેટલાક દિવસોથી ફરી ફરી મનમાં ઘોળાય છે. જે સમયે એ ઘટના બની એનાથી ઋજુ અને સંવેદનશીલ કવિનું હૃદય કેવુંય કાંપ્યુ હશે ત્યારે એમના મનમાંથી એ પંક્તિઓ સરી હશે!

જાણે -અજાણે થયેલી ભૂલ માટે પણ અનહદ દુઃખ અનુભવતા કવિ કલાપીએ એમની વ્યથા શબ્દોમાં ઢાળી છે જે આજે છેલ્લા બે-ચાર દિવસથી મારા મન પર પણ હાવી થવા માંડી છે.

કવિ કહે છે એમ પથરો ફેંકતા ફેંકાઈ ગયો હતો. એવું નહોતું કે પંખી જીવથી ગયું હતું. એ બચી ગયું હતું પરંતુ કવિને એક વસવસો, ઊંડો અફસોસ મનમાં રહી ગયો હતો કે એ હવે ક્યારેય એમની પાસે નહીં આવે. આ પંક્તિઓમાં વેરાયેલી વેદનાથી આ દિવસોમાં મન હંમેશાં વ્યથિત થઈ જાય છે. જે વાત સાથે કોઈનેય સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી એ વાતથી અત્યારે મનને શા માટે દુઃખની લાગણી થવી જોઈએ એવો વિચાર આવે, સાથે સાથે એની પાછળનું કારણ સમજાય છે.

કારણ છે આ થેન્ક્સગિવિંગ…

અમેરિકા અને કેનેડાનો આ તહેવાર પ્રત્યેક ઘરમાં આજે ઉજવાશે. પૂર્વ હોય કે પશ્ચિમ, વિશ્વભરમાં વસતા માનવોના અંતરમાં એક ઉત્સવપ્રિય જીવ વસતો જ હોય છે. આખા વર્ષ દરમ્યાન એકધારી ઘટમાળથી જરાક શ્વાસ લેવા, જરાક અમસ્તો પોરો લેવા મથતા માનવી માટે દરેક તહેવારો સંજીવનું કામ કરે છે એ વાત તો નક્કી.

આ થેન્ક્સગિવિંગ વળી શું અને કેમ?

થેન્ક્સગિવિંગ મૂળ તહેવાર યુરોપિયનોનો. મૂળે મેસેચ્યૂસેટ્સમાં ઈ.સ. ૧૬૨૦માં દરિયાઈ માર્ગે આવેલા આ યુરોપિયનો પોતાની સાથે લાવ્યા એમના ઉત્સવો. થેન્ક્સગિવિંગ પણ એમાંનો જ એક. આપણા તહેવારોમાં પણ ઈશ્વર તરફની કૃતજ્ઞતાનો ભાવ ભારોભાર રહેલો જ હોય છે. ઈશ્વરે આપણને આપેલી તક માટે, આનંદની ક્ષણો માટે આપણે પણ ઈશ્વરનો આભાર માનવાનું ચૂકતા નથી.

એવી રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ આ ઋતુમાં થતા પાક- નવી ફસલ ઈશ્વરને ધરાવી કૃતજ્ઞતાનો, આભારનો ભાવ વ્યક્ત કરવાની પ્રથાથી થેન્કસગિવિંગ ડે-ની શરૂઆત થઈ. આભાર એક એવો ભાવ છે જેમાં આપણે ઈશ્વરથી માંડીને આપણને મદદરૂપ થતા પ્રત્યેક પરિબળો તરફનો અહોભાવ વ્યક્ત કરીએ છીએ. આ અભિવ્યક્તિ અત્ર તત્ર સર્વત્ર દરેકમાં જોવા મળે છે. ભલેને પછી એ વિશ્વના કોઈપણ છેડાના રહેવાસી હોય.

સાંભળ્યું છે કે, પાશ્ચાત્ય પરંપરા મુજબ થેન્ક્સગિવિંગ ડેની સાંજે ડિનર માટે એકઠા થતા પરિવારના સભ્યો સાથે બેસીને જમતા હોય ત્યારે ભલે દરેક ઘરમાં ડિનરમાં વાનગીવૈવિધ્ય હશે પરંતુ દરેક ઘરમાં એક વાનગી તો મસ્ટ… અને એ છે ટર્કી.

આ નવી ફસલ કે ઈશ્વરના આભાર સુધીની વાત તો સમજાય એવી છે. અરે ! આખા વર્ષ દરમ્યાન અલગઅલગ કે દૂર રહેતા પરિવારના સભ્યો એક સાંજ સાથે ગાળે એ વાત પણ સમજી શકાય એવી છે. પરંતુ મારું અળવીતરું મન અહીંની પરંપરા મુજબ લેવાતા સાંધ્ય ભોજનની આ ખાસમખાસ વાનગી માટે હંમેશાં વિમાસણ અનુભવે છે.

આમ જોવા જઈએ તો પૂજા નિમિત્તે બલિ ચઢાવવાની પ્રથા સદીઓથી શરૂ થઈ છે. થોડા સમય પહેલાં દુર્ગાપૂજા નિમિત્તે કાલિ મંદિરમાં ધરાવાતા ભોગ અંગે પણ સોશિઅલ મીડિયા પર વાત છેડાઈ હતી. હવે આ પ્રથા કહો કે પરંપરા પાછળ કોઈ ધાર્મિક આચાર-વિચાર કે કારણ હશે જ એમ માની લઈને આપણે એની ચર્ચામાં જરાય ઊતરવું નથી. પણ, આ ક્ષણે ઋજુ અને સંવેદનશીલ કવિ અને એમની કવિતાની પંક્તિએ મારા મન પર પૂરેપુરો કબજો લઈ લીધો છે એ હકિકત છે.

અહીં કોઈ પણ સમાજ, ધર્મ કે ધાર્મિક પરંપરા કે એક નવા અભિગમને અનુસરતી વ્યક્તિઓ દ્વારા ઊજવવામાં આવતી પરંપરા અથવા કરવામાં આવતા દરેક વિધિવિધાન પાછળ કોઈને કોઈ ધાર્મિક માન્યતા કે તર્ક હશે એટલે એ અંગે પણ કોઈ ચર્ચા કે દલીલ કરવી નથી.

એટલે આજે તો માત્ર સૌને થેન્ક્સ ગિવિંગની શુભેચ્છા સાથે વિરમું છું.

રાજુલ કૌશિક –

November 23, 2023 at 12:04 pm

પત્રાવળી-૨૦, ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.

-રવિવારની સવાર-

પત્રસ્નેહીઓ,

યાદ આવે છે થોડાં વર્ષો પહેલાં જ્યારે સંદેશાવ્યહવાર માટે માત્ર અને માત્ર પત્રો જ ચલણમાં હતા. દૂરસંચાર જેવાં કોઈ માધ્યમ નહોતાં ત્યારે દેશ-વિદેશ સુધી “પેન-ફ્રેન્ડ” નામથી વાતોનો, એકબીજા સાથે વિચારોના આદાન-પ્રદાનનો વ્યવહાર શરૂ થયો હતો. આજે જ્યારે આપણે સૌ આ પત્રાવલિથી એકબીજાને મળ્યા વગર મળતાં થયાં છીએ ત્યારનો એ “પેન-ફ્રેન્ડ”નો સમય યાદ આવી ગયો.

અને સાથે યાદ આવી ગયો દેવિકાબેને એમના પત્રમાં જેનાં છાંટણાં વેર્યા છે એ કાવ્યસંગ્રહ – ‘શબ્દોના પાલવડે’. એમણે જેને મનનો તરંગ કહ્યો એ કાવ્યસંગ્રહ ખરેખર તો કેટલું મંથન માંગી લે એવો હતો એ વાંચીએ ત્યારે જ સમજાય. એમાં ‘શબ્દાંરંભે અક્ષર એક’ની પ્રત્યેક પદ્યકૃતિમાં દરેક શબ્દ કક્કાના એક જ અક્ષરથી શરૂ થતો હોય ત્યારે એમાં શબ્દો સાથે કેટલો મનોવ્યાપાર કર્યો હશે! એના માટે તો ખ, ઝ કે ટ જેવા અક્ષરપ્રયોગોથી લખાયેલ રચનાઓ વાંચવી જ રહી.

ગયા પત્રમાં, દેવિકાબેને જ્યાંથી એ વાત કે વિચારને વિરામ આપ્યો, એ આ ‘અલંકાર’ કેટલો સોહામણો શબ્દ છે નહીં? જેની સાથે જોડાય એની શોભા વધે. અલંકાર એટલે શણગાર, આભૂષણ, ઘરેણું. સામાન્ય જનથી માંડીને રાજ-રજવાડાં સુધી વિસ્તરેલા આ અલંકારથી તો આપણી આખેઆખી આભા બદલાઈ જાય છે ને? અરે ! આપણે તો કાળા માથાના માનવી અલંકાર ધારણ કરીને રાજી થઈએ જ પણ જેણે માનવીનું સર્જન કર્યું છે એ ઈશ્વરને પણ આપણે અલંકૃત કરવામાં કેટલો રાજીપો અનુભવીએ છીએ !

પણ જેનામાં આંતરિક સૌંદર્ય છે એમને બાહ્ય અલંકારોની ક્યાં જરૂર? એવી વ્યક્તિ તો વાણી, વિચાર અને વર્તનથીય નિખરે. પણ ભાઈ, આપણે તો રહ્યા સૌંદર્યના ઉપાસક, એટલે આપણે તો વાણીને પણ અલંકારોથી સુશોભિત કરવાના.

કહે છે ને કે આપણા મનના વિચારોને વધુ પ્રભાવક બનાવવા, આપણી સંવેદનાઓ કે ઊર્મીઓને વધુ સચોટ કે સબળ રીતે વ્યક્ત કરવા જેનો આધાર લઈએ છીએ એ અલંકાર તો સહિત્યની શોભા છે. જેના થકી આપણે વિચારોને વાણીમાં મૂકી શકીએ છીએ એવા શબ્દોનેય આપણે અલંકારથી શોભાવીએ છીએ ને? મનના વિચારોને વધુ પ્રભાવક બનાવવા , આપણી સંવેદનાઓ કે ઊર્મીઓને વધુ સબળ રીતે રજૂ કરવા જેનો આધાર લઈએ છીએ એ અલંકાર તો પદ્ય અને ગદ્યસાહિત્યની શોભા છે. શોભા વગર તો જાણે બધું અધૂરું.

શબ્દથી જ્યારે વાક્ય કે પંક્તિ વધુ સચોટ બને ત્યારે એને નામ આપ્યું શબ્દાલંકારનું અને વાક્યમાં અર્થનો ઉમેરો થઈ જે વૈભવ વધે એ અર્થાલંકાર. દેવિકાબેને કહ્યું એમ ચાલીસ જેટલા અલંકારો જેમાં હોય એ ભાષાનો ‘વૈભવ’ કે ‘ઠાઠ’ ભારે ન કહેવાય? હવે આ ભાષાનો ‘વૈભવ’ કે ‘ઠાઠ’ શબ્દ વાપરું ત્યારે અર્ધમૂર્છિત લક્ષ્મણમાં ચેતના પ્રગટાવતી સંજીવનીના જાદુ જેવો ચમત્કાર સર્જતા શબ્દો, કશીક ચેતના પ્રગટાવતા શબ્દો માનસ પર ટકોરા દે અને ત્યારે યાદ આવે શ્રી રઈશ મનીઆરની આ રચના…

“ધરાનું કાવ્ય થયું વ્યક્ત એક કૂંપળથી

ગગનની દાદ મળી એક બૂંદ ઝાકળથી….

હવે આ વાત પર તો કવિશ્રીનેય દાદ આપવી રહી. માત્ર બે પંક્તિઓમાં સમાતા શબ્દોથી કેટલી સરસ વાત કહી દીધી? એક નાની અમસ્તી કૂંપળ અને ઝીણકા અમસ્તા ઝાકળના બૂંદે દીધેલી દાદથી આખી સૃષ્ટિ સજીવ કરી દીધી.

“નથી ફિકર કે ધકેલે છે સૂર્ય પાછળથી

મને આ તાપમાં પડછાયો દોરે આગળથી”…

પડછાયોય આપણને દોરે કે સૂર્ય પાછળથી ધકેલે એવી કલ્પનાથી તો પડછાયાનેય સજીવ કરી દીધો.

“સમંદરો તો ઘૂઘવવા છતાંય ત્યાંના ત્યાં

નદી વધે છે લગાતાર મંદ ખળખળથી…..

ચિત્રમાં જેમ રેખાની સાથે રંગ ઉમેરાય અને ચિત્ર સજીવ બની જાય એમ શબ્દોથી વાતાવરણ ચેતનવંતું બની જાય એય શબ્દોનો ચમત્કાર સ્તો. મને તો આ શબ્દોથી સજીવ થતી સૃષ્ટિ જ ખૂબ સ્પર્શી જાય છે.

અને શબ્દોમાં કેવો તે જાદુ છે તે આ શ્રી પ્રિયકાંત મણિયારની રચનાથી અનુભવાય. કુશળ ચિત્રકાર એક લસરકામાં ચિત્રને જીવંત બનાવી દે એવી રીતે જાણે એમના શબ્દોથી ગોકુળ-વૃંદાવન આખી સૃષ્ટિમાં રેલાઈ ગયાં…

“આ નભ ઝૂક્યુ તે કાનજી, ને ચાંદની તે રાધા રે

સરવરજળ તે કાનજી, ને પોયણી તે રાધા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી, ને લહેરી જતી રાધા રે,

આ પર્વત-શિખર તે કાનજી, ને કેડી ચઢે તે રાધા રે,

આટલા સરળ શબ્દોથી પણ જાણે પ્રકૃતિનાં તત્ત્વોને રાધા-કાનજીના સ્નેહનો પાસ લાગ્યો ના હોય એવું અદ્ભૂત વાતાવરણ સર્જી દીધુ. આકાશથી ધરતી સુધી નજર માંડીએ ત્યાં સુધીનાં તત્ત્વોને કાનજી-રાધાના સ્વરૂપે મઢી દીધાં છે. સરવરજળને કાનજી કહે ત્યારે એના નીલવર્ણા પાણી પર ખીલેલી પોયણી આપોઆપ રાધાસ્વરૂપ ધારણ કરી લે. ખીલેલો બાગ જો કાનજી હોય તો એમાં વણદેખી પણ તનને સ્પર્શી જતી, મનથી અનુભવાતી લહેરખી તો રાધા જ હોય ને! આગળ વધીને જ્યારે કેશ અને સેંથી સ્વરૂપે સૌભાગ્ય જોડાય કે કાનજી-રાધાને લોચન અને નજરુંમાં ઢાળી દેવાય ત્યારે તો સૃષ્ટિની સાથે દુન્યવી તત્ત્વો જોડાઈ જતાં લાગે. કવિ જ્યારે દીપમાં કાનજીનું પ્રાગટ્ય જુએ અને આરતીમાં રાધાને કલ્પે ત્યારે તો મને દરેક ઝગમગતાં દીપ અને આરતીમાં રાધા-કૃષ્ણ જેવો એક અદ્વૈતભાવ જ અનુભવાયો છે.

આ જ તો છે શબ્દોથી સર્જાતી એક અર્થપૂર્ણ સૃષ્ટિ. કોઈ નિપુણ જાદુગર સ્ટેજ પર પલક ઝપકાવતાંની સાથે કંઈ કેટલાંય ફૂલો ખીલવે તેમ શબ્દો પણ નજર સામે આખું ગુલશન ઊભું કરી દે. મને તો આ શબ્દોથી સજીવ થતી સૃષ્ટિ સાચે જ ખૂબ સ્પર્શી જાય છે. મિત્રો,આપ સૌને કેવું લાગે છે? જણાવશો ને?

રાજુલ કૌશિક

November 19, 2023 at 2:04 pm

‘શું કહેવું ?’-રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા

‘શું કહેવું ?

“Doctor. Here is a blank cheque. Feel the amount of your consultation fee please.”

“It’s already paid young man. Now no more discussion. Ok?”

‘કભી ખુશી કભી ગમ’ ના યશવર્ધનની જેમ ‘એક બાર કેહ દીયા સો કેહ દીયા’ જેવા ક્યારેય ન બદલી શકાય એવા ફરમાની અવાજે ડૉક્ટર છાબરા બોલ્યા. જો કે ચહેરા પર અમિતાભ જેવી મક્કમતા નહીં મલકાટ હતો.

અને ઉંમર પણ કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર છાબરાની કંઈ ‘કભી ખુશી કભી ગમ’ના યશવર્ધન જેટલી નહોતી. માંડ પસાચ-પંચાવને પહોંચેલા ડૉક્ટર છાબરાના કન્સલ્ટેશનરૂમમાં સૌરવ એની મમ્મીને ‘ફૉલો અપ ચેકિંગ’ માટે લઈને આવ્યો હતો. આ બીજી વારનું ચેકિંગ હતું.

અમેરિકા આવ્યાને માંડ ચાર મહિના થયા હશે અને સૌરવની મમ્મીને હાર્ટ અટૅક આવ્યો. હોસ્પિટલ લઈ જવા નાઇન વન વન બોલાવી. ઍબ્યુલન્સ આવતાં જ મમ્મી માટે ઑક્સિજનથી માંડીને પ્રાથમિક ટ્રીટમેન્ટ શરૂ કરી ઍબ્યુલન્સે હોસ્પિટલ તરફ ગતિ પકડી. રાતનો સમય હતો એટલે સતત ભાગતા રહેતા ન્યૂ યોર્કનો ટ્રાફિક થોડો ઓછો તો થયો હતો છતાં થીજી ગયેલી એ રાતના અંધકારને ચિરતી ઍમ્બ્યુલન્સને હોસ્પિટલ પહોંચતા પંદર મિનિટ તો લાગી જ. હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી મમ્મીના ધીમા પડતાં જતાં ધબકારાની સામે સૌરવના હૃદયના ધબકારાનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો હતો. હોસ્પિટલ પહોંચતાની સાથે આઇ.સી.યુ.માં મમ્મીની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ.

ત્રણેક દિવસે મમ્મી ચિંતાજનક સ્થિતિમાંથી બહાર આવી. ચોથા દિવસની સવારે મમ્મીને રિકવરી રૂમમાં જોઈને સૌએ નિરાંતનો શ્વાસ લીધો.

એ રાતથી માંડીને મમ્મીને હોસ્પિટલમાંથી રજા મળી ત્યાં સુધી ડૉક્ટર છાબરાનો એ કેસ હતો. હાસ્તો વળી, હોસ્પિટલમાં તો મમ્મી એક કેસ જ હતી પણ ડૉક્ટરે એને કેસની જેમ ટ્રીટ નહોતી કરી.

*****

આ ક્ષણે ડૉક્ટર છાબરાના પ્રાઇવેટ કન્સલ્ટિંગરૂમમાં ડૉક્ટર અને સૌરવ વચ્ચે હજુ ચર્ચા ચાલતી હતી.

“ડૉક્ટર, યૉર લૉસ વિલ બી માય ગેઇન. હું વીસ વર્ષથી આ દેશમાં રહું છું. ઇન્સ્યોરન્સ હોવા છતાં ટ્રીટમેન્ટ કેવી અને કેટલી ભારે પડે છે એ હું જાણું છું.” સૌરવે કહ્યું.

“યંગ મેન, હું લૉસનો સોદો કરું એવું તને લાગે છે? તું વીસ વર્ષથી આ દેશમાં આવ્યો.. હું ભણવા આવ્યો ત્યારથી આ દેશમાં છું. તને તો ખબર જ હશે કે, Nothing is free in USA. મેં મારો ચાર્જ લઈ લીધો છે. પ્લીઝ હવે આ અંગે આપણે કોઈ ચર્ચા નહીં કરીએ.” અને મમ્મી તરફ જોતા ડૉક્ટર છાબરાએ ચહેરા પર મોહક સ્મિત પાથરી વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું.

મમ્મીને સમજણ નહોતી પડતી કે આ મોહક સ્મિત સામે શું પ્રતિભાવ આપવો.

**********

વાત જરા અટપટી લાગે એવી છે નહીં? તો પછી માંડીને જ વાત કરવી પડશે.

વાત છે આશરે આઠેક વર્ષ પહેલાંની. મમ્મીની એટલે કે અનસુયા અમીનની. મમ્મીને એટેક આવ્યો. કટોકટીભર્યા એ ત્રણ દિવસ પછી મમ્મીને આઇ.સી.યુ.માંથી ‘રિકવરી’ રૂમમાં ખસેડવામાં આવી ત્યારે એમની પાસે સૌરવ, એની પત્ની સોનાલી કે અમે બંને બહેનોમાંથી કોઈક તો મમ્મી સાથે હોય જ. અમેરિકન ડૉક્ટર કે નર્સ માટે આ જરા અચરજની વાત હતી.

અને એટલું જ અચરજ મિસિસ સ્મિથને જોઈને અમને થતું.

મમ્મીને રાખવામાં આવી એ બે જણ માટેના રિકવરી રૂમમાં મિસિસ સ્મિથ પણ હતાં. લાંબા સમયથી લ્યુકેમિયાને લીધે સારવાર લઈ રહેલાં મિસિસ સ્મિથનાં જીવનના ગણ્યાંગાંઠ્યા દિવસો બાકી હતા. શરીરની પીડા ઓછી થાય એ માટે મોર્ફિનની અસર હેઠળ હતાં.

મિસિસ સ્મિથના અંતિમ દિવસોમાં પણ માત્ર શનિવાર કે રવિવાર સિવાય ભાગ્યેજ પરિવારજનો મુલાકાતે આવતા.

હા ભાઈ, એ જ તો પાશ્ચાત્ય પ્રણાલી છે.

અમેરિકા આવ્યા પછી શિસ્તબદ્ધ બાળઉછેર માટેની બે વાત અનેકવાર સાંભળી છે.

‘બાળક છ થી આઠ માસનું થાય એટલે એને અલગ રૂમમાં સુવડાવવાનું અને બાળક જમતું થાય એટલે પ્લેટમાં ખાવાનું મૂકીને એને ૨૦ મિનિટ આપવાની. ૨૦ મિનિટમાં ન જમી લે તો પ્લેટ લઈ લેવાની અને ત્યારબાદ બાળક માંગે તો પણ એને ખાવાનું નહીં જ આપવાનું.’

જ્યારે મમ્મીએ અમને અલગ રૂમમાં નહીં હૈયે વળગાડીને સુવડાવ્યાં હતાં. અમારા ઉછેર પાછળ વીસ મિનિટ નહીં વીસ વીસ કલાક ફાળવ્યા હતાં. મિસિસ સ્મિથના વીસ મિનિટ અને મમ્મીના વીસ કલાકના ઉછેર પાછળનો ફરક અહીં આ રિકવરી રૂમમાં જોઈ શકાતો હતો.

મનોમન મિસિસ સ્મિથ અને મમ્મી વચ્ચે, મિસિસ સ્મિથની એકલતા અને મમ્મી સાથે સતત કોઈની હાજરી વચ્ચે, શિસ્તબદ્ધ અને સ્નેહબદ્ધ ઉછેર વચ્ચે, ઔપચારિકતા અને આત્મિયતા વચ્ચે સરખામણી થઈ જતી.

અંતે એ દિવસ આવ્યો જ્યારે મિસિસ સ્મિથના શેષ ગણ્યાંગાંઠ્યા કલાકોની એમના પરિવારને જાણ કરવામાં આવી. સાંજે એમનો દીકરો, દીકરી અને પોતરાંઓ આવ્યાં. થોડો સમય પસાર કરીને નીકળ્યાં ત્યારે મિસિસ સ્મિથે મુલાકાત લેવા માટે એ સૌનો આભાર માન્યો.

આનાથી વધુ વસમી વેળા કઈ હશે? આજે પણ યાદ આવે છે અને ડૂમો ભરાઈ આવે છે. વિચાર આવે છે કે, એ સમયે એમનાંય દિલમાં ડૂમો બાઝ્યો તો હશે જ?

અડધી રાત્રે મિસિસ સ્મિથે ચિરવિદાય લીધી. બીજી સવારે એમની ખાલી જગ્યાએ મિસિસ લિન્ડાને દાખલ કરવામાં આવ્યાં. લિન્ડા સાથે એમનો દીકરો હતો. હોસ્પિટલની ઔપચારિકતા પૂરી કરીને દીકરાએ જતી વેળાને લિન્ડાને કહ્યું,

“Take care of yourself Mom”

“Sure I will. Thanks for coming and helping me to complete all these hospital formalities.”

આ પણ શિસ્તબદ્ધ ઉછેરથી કેળવાયેલો સંબંધ જ ને?

*****

મમ્મી લગભગ સાતેક દિવસ રિકવરી રૂમમાં રહી ત્યાં સુધી એના ચેકઅપ માટે ડૉક્ટર છાબરા આવતા. પંજાબી ડૉક્ટર ભારતીય પરિવારના સ્નેહસંબંધથી અજાણ હોય?

મઝાની વાત તો એ બની કે, એમના પત્ની અમદાવાદના હોવાના લીધે ડૉક્ટર છાબરાએ મમ્મી પર જમાઈ જેવો હક જમાવી દીધો. મમ્મીને જોવા આવે ત્યારે મમ્મી સાથે, અમારી સાથે નિરાંતે વાતો કરતા. મમ્મી ડૉક્ટર છે એવું જાણ્યું પછી મમ્મીના સ્વાસ્થ્ય અંગે મમ્મી સાથે ‘મેડિકલ ટર્મ્સ’માં ચર્ચા કરવા માંડ્યા.

સાત દિવસના અંતે મમ્મીને રજા આપવામાં આવી ત્યારે ડૉક્ટર છાબરા મળવા આવ્યા. અમારાં સૌની સાથે ઊભા રહીને ‘ફેમિલી ફોટો’ લેવડાવ્યો.

મમ્મીને હોસ્પિટલમાં ઍડમિટ કરી ત્યારથી હોસ્પિટલમાંથી રજા મળી ત્યાં સુધીનો ઍમ્બ્યુલન્સ ચાર્જ, ટ્રીટમેન્ટથી માંડીને અલગઅલગ ટેસ્ટ, રૂમચાર્જ, ડૉક્ટર્સ વિઝિટ ફી એ બધું ત્યારે જ ચૂકવાઈ ગયું હતું. હવે દર મહિને ‘ફૉલો અપ ચેકિંગ’ માટે અપૉઇન્ટમેન્ટ લેવાની હતી ત્યારે મમ્મીને હોસ્પિટલ લઈ આવવાના બદલે એમની ઑફિસે લઈ જવાનો આગ્રહ રાખ્યો જેથી હોસ્પિટલની ઔપચારિકતામાં મમ્મીને અટવાવું ન પડે.

શું કહેવું આને!

ડૉક્ટર છાબરા પણ અમેરિકન સિટિઝન જ હતા પણ મૂળ અને કુળ બંને ભારતીય.

ડૉક્ટર છાબરાનો ઉછેર પણ શિસ્ત નહીં સ્નેહથી જ થયો હશે ને?

સત્ય ઘટના પર આધારિત

વાર્તા લેખન :રાજુલ કૌશિક

November 17, 2023 at 2:03 pm

-વિજય શાહ-‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત પ્રતિભા પરિચય

એક સમય હતો જ્યારે લેખકો, કવિઓને પોતાનું મૌલિક સર્જન પુસ્તકરૂપે પ્રકાશિત થાય એમાં જ એમનાં સર્જનની સાર્થકતા લાગતી. સમય જતા અદ્યતન ટેક્નૉલોજિની હરણફાળથી વિશ્વભરમાં દરેક ક્ષેત્રમાં જાણે ક્રાંતિ આવી. કલમના બદલે કમ્પ્યૂટરનાં કી-બૉર્ડ આવ્યાં. લાંબા અરસા સુધી માત્ર પુસ્તકરૂપે પોતાનું સર્જન પ્રકાશિત કરતાં સર્જકોનું લખાણ બ્લોગ સ્વરૂપે સચવાવા માંડ્યું.

૨૦૦૨ માં ઇન્ટરનેટમાં ગુજરાતી બ્લોગ્સના પગરણ થયા ત્યારે હ્યુસ્ટન નિવાસી વિજયભાઈ શાહે અનેક સર્જકોનો સંપર્ક કરીને બ્લોગ માધ્યમે લખાણો મૂકવા અને સાચવવાની સમજ આપી. નેટ માધ્યમે ગુજરાતી લખાણની શરૂઆત થઈ ચૂકી હતી, પણ ૨૦૦૬ સુધીમાં આ બ્લોગ્સ યુનિકોડમાં ન હોવાના લીધે ગુજરાતી લખવાનું એટલું સરળ નહોતું ત્યારે પણ વિજયભાઈ શાહ સૌ સર્જકોને ગુજરાતી બ્લોગ્સ બનાવવાની સતત પ્રેરણા આપતા રહ્યા.

ગુજરાતી બ્લોગ્સની સંખ્યા વધતા વાચકોને કયા બ્લોગમાં શું છે અને એને કેવી રીતે શોધવું એવી મુશ્કેલી નડી. વિજયભાઈએ થોડા મિત્રોની મદદથી એક એવો બ્લોગ બનાવ્યો કે જેમાં બ્લોગની લિંક, બ્લોગ સંપાદકનું નામ અને બ્લોગની માહિતીનો સમાવેશ કર્યો.

કોણ છે આ વિજયભાઈ?

તો ચાલો મળીએ એ વિજયભાઈ શાહને જે અનેક સર્જકોના બ્લોગ નિર્માણના નિમિત્ત બન્યા.

આજે વાત કરીએ એ વિજયભાઈ શાહની જેમનો જન્મ ૧૯૫૨માં ભરુચના એક મધ્યવર્ગી કુટુંબમાં થયો. પિતાની સરકારી નોકરી હોવાથી સમયાંતરે થતી બદલીના લીધે એમનું શાળા, કૉલેજનું શિક્ષણ અનેક શહેરોમાં થયું.

૧૯૭૫ માં એમ.એસ.સી.માઇક્રોબાયૉલૉજિમાં અભ્યાસ પૂરો કરીને ૧૯૭૫માં તેમણે સારાભાઈ કેમિકલ્સમાં નોકરી શરૂ કરી. બે વર્ષનાં અંતે વિજ્ઞાનના આ અનુસ્નાતકે નોકરી છોડીને મુંબઈમાં શેરબ્રોકરનું કામ શરૂ કર્યું.

વિજ્ઞાનના વિદ્યાર્થી એવા વિજયભાઈનો અભ્યાસ અલગ વિષયમાં, મન શેરબજારમાં પણ મૂળ માંહ્યલો તો સાહિત્યનો હતો. વિજ્ઞાન, શેરબજાર અને સાહિત્યનો ત્રિવેણી સંગમ થાય તે પહેલાં ૧૨ વર્ષની ઉંમરથી વિજયભાઈની સાહિત્ય સર્જનયાત્રા શરૂ થઈ ચૂકી હતી.

પ્રથમ ચરણે ૧૯૬૪માં તેમની બાળવાર્તા ‘જાદુઈ વાડકો’ નૂતન ગુજરાતમાં છપાઈ. ૧૯૭૨માં વીસ વર્ષની વયે આકાશવાણીના ‘યુવાવાણી’ કાર્યક્રમમાં ભાગ લીધો. ૧૯૭૭માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હું એટલે તમે’ પ્રસિદ્ધ થયો.

૧૯૮૧માં તેમણે લખેલું નાટક દૂરદર્શનમાં પ્રસારિત થયું. બસ, પછી તો દૈનિકો અને સામયિકો માટે કૉલમની સાથે નવલિકા, નવલકથા લખતા રહ્યા.

૧૯૯૬માં વિજયભાઈ તેમના ઉજ્જ્વળ ભાવિ માટે સહકુટુંબ અમેરિકાના હ્યુસ્ટનમાં આવીને વસ્યા. જોકે આ નિર્ણય લેતાં પહેલાં ઘણો માનસિક સંઘર્ષ વેઠ્યો કારણ કે, વયોવૃદ્ધ પિતાને ભારતમાં મૂકીને અમેરિકા આવવા એમનું મન માનતું નહોતું. અંતે પિતાના આગ્રહ પાસે નમતું જોખવું પડ્યું. અમેરિકા આવીને વસ્યા પછી પણ પિતાથી દૂર રહ્યાનો વસવસો મનને કોરતો રહ્યો. એના પરિપાક સ્વરૂપે વિદેશ વસવાટ કરતા પુત્ર અને વતનમાં વસતા પિતા વચ્ચે શરૂ થઈ પત્રશ્રેણી- ‘ટહુકા એકાંતના ઓરડેથી.”

વિજયભાઈએ પોતાની સર્જનયાત્રા પૂરતા સીમિત રહેવાના બદલે અન્ય સર્જકોને સાથે રાખીને ‘સહિયારું સર્જન’ નામની ખાસ નોંધપાત્ર પ્રવૃત્તિ આદરી. ‘સહિયારું સર્જન’માં અનેક લેખકો મળીને એક જ નવલકથા લખે એવા આ નવા અભિગમને અત્યંત આવકાર મળ્યો.

નવલકથાની નિશ્ચિત રૂપરેખાને આધારે એક લેખક પ્રકરણ લખે. જ્યાં એ પ્રકરણ પૂરું થાય ત્યાંથી અન્ય લેખક એ વાર્તા આગળ વધારે. દરેક પ્રકરણના લેખકો અલગ, એમના વિચારો અલગ. અભિવ્યક્તિ અલગ તેમ છતાં ક્યાંય ન દેખાય રેણ કે સાંધો.

ત્યારબાદ જ્યારે ભગવદ્ગોમંડલ ઓનલાઇન મુકાયું ત્યારે અનેક બ્લોગર મિત્રોને વિજયભાઈએ અજાણ્યા અને અઘરા શબ્દો શોધવાની હાકલ કરી. અંગ્રેજી ભાષાના પાયાના ‘સ્પેલ બી’ ચેક જેવા પ્રકારને ‘ગુજરાતી શબ્દસ્પર્ધા’ નામથી શરૂ કર્યો. આ નવતર પ્રયોગમાં વિજયભાઈને વિશાલ મોણપરા, કાંતિભાઈ કરસલિયા અને હીનાબહેન પારેખ જેવા બ્લોગમિત્રોનો સાથ મળ્યો.

અમેરિકા આવીને વિજયભાઈએ શેરબજારનું લાઇસન્સ લઈને કામ શરૂ કરી દીધું, પણ આગળ કહ્યું એમ એ સાહિત્યરસિક જીવે સાહિત્યરસિકોનો સાથ શોધી કાઢ્યો અને એમની સાથે ૧૯૯૬ થી સાહિત્યિક પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા.

વિજયભાઈની ખાસ નોંધ લેવી જેવી વાત તો એ છે કે ‘ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન’માં તેના માસિક ‘દર્પણ’ નું ૧૯૯૭ થી ૨૦૦૨ સુધી સંપાદન કર્યું. એ જ સમય દરમ્યાન સર્જકમિત્રો સાથે મળીને ‘ગુજરાતી સાહિત્ય સરિતા’નો આરંભ કર્યો.

હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’માં શેર અંતાક્ષરી, ગુજરાતી શબ્દસ્પર્ધાની શરૂઆત કરાવી. ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ની પ્રગતિને લઈને વિજયભાઈનો ઉત્સાહ અનન્ય હતો. ૨૦૦૮માં ન્યૂ જર્સીના ‘ચલો ગુજરાત’ કાર્યક્રમમાં હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ને લઈ ગયા.

‘ગુજરાતી સાહિત્ય સરિતાની’ પ્રવૃત્તિની સમાંતર વિજયભાઈની સાહિત્ય સર્જનયાત્રા પણ અવિરત રહી.

ગુજરાતદર્પણ-(ન્યૂ જર્સી), ગુજરાત ન્યૂઝલાઇન-(કેનેડા) જેવા અનેક અખબારમાં વિજયભાઈના લેખ, વાર્તાઓ પ્રકાશિત થતાં. તદુપરાંત માતૃભારતી, સ્ટોરીમિરર, અક્ષરનાદ સાથે પણ એ જોડાયેલા રહ્યા. પિતા-પુત્રની પત્રશ્રેણી ‘ટહુકા એકાંતના ઓરડેથી’ નું નાટ્ય રૂપાંતર થયું.

વિજય શાહના ખૂબ જાણીતા ત્રણ બ્લોગ્સના નામ છે, વિજયનું ચિંતન જગત. ગુજરાતી સાહિત્ય સરિતા અને સહિયારું સર્જન-ગદ્ય.

વિદેશ સ્થાયી થવામાં વિજયભાઈને જે સમસ્યાઓ નડી હશે એને અનુલક્ષીને એમણે ‘વસવાટ વિદેશે’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં અમેરિકા આવતા લોકોને નડતી તકલીફો અને નિરાકરણ અંગે સવિસ્તાર માહિતી આપી છે. પહેલીવાર અભ્યાસ માટે અમેરિકા આવતા વિદ્યાર્થીઓ અને પરિવાર સાથે કાયમી વસવાટ માટે આવતા માબાપ બંનેને આ પુસ્તક એક સરખું ઉપયોગી નિવડે.

‘મન કેળવો તો સુખ’ પુસ્તકમાં એમણે હકારાત્મક જીવન જીવવાનો કક્કો શીખવ્યો. એક જ વાક્યમાં કહેવું હોય તો- Think positive.. આ પુસ્તકમાં વિજયભાઈનું કહેવું છે કે, ‘સારું વિચારો, દુ;ખનો અહેસાસ આપોઆપ ઓછો થઈ જશે.”

‘નિવૃત્તિની પ્રવૃત્તિ’ પુસ્તકમાં એમણે જીવનના આખરી પડાવ પર આવી પહોંચેલા વડીલોને સમજાવ્યું કે ઘડપણ શાપ નથી, પણ અનેક સોનેરી તકોથી ભરેલો જીવવનો એક તબક્કો છે. એને માણો. એનો સદુપયોગ કરો. પોતે આનંદ માણો અને અન્યને પણ આનંદ આપો. આ પુસ્તકમાં સૌથી મહત્વની વાત સમજાવી છે કે, નિવૃત્તિ સમયમાં વ્યક્તિને પ્રવૃત્ત રહેવા પૂરતું આર્થિક સ્વાવલંબન હોવું જરૂરી છે. અર્થાત, “When there is silver in your hair, there should be sufficient gold in your purse.”

વર્ષો સુધી હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનું સંચાલન બળ એટલે વિજયભાઈ શાહ. વિજયભાઈ અને અન્ય સાહિત્યરસિક મિત્રોએ સાથે મળીને ‘સંવર્ધન માતૃભાષાનું’ નામથી એક દળદાર પુસ્તક તૈયાર કરવાનું આયોજન કર્યું.

‘સંવર્ધન માતૃભાષાનું’ ની ગિનિઝ બુક રેકૉર્ડ ખાતે ૧૨,૨૦૦ પાનાનાં THICKEST પુસ્તક તરીકે નોંધ લેવામાં આવી.

વિજયભાઈ શાહ વિશે કેટલીય જાણીતી અને અજાણી વાતો છે, જેના વિશે ઉલ્લેખ કરવામાં આવે તો પાનાંઓ ભરાય, પરંતુ વ્યક્તિ તરીકે ઉમદા એવા વિજયભાઈ માટે જો પૂછવામાં આવે તો સર્વાનુમતે એક વાત ચોક્કસ કહેવાશે કે, વિજયભાઈ એટલે નિસ્વાર્થ ભાવે ભાષા-સેવાનો ભેખ લઈ બેઠેલ મિતભાષી વ્યક્તિ. નિત નવી વ્યક્તિને મળવા ઉત્સુક એટલે વિજય શાહ.

શ્રી વિજયભાઈને મળવાનું થયું છે એનો ખરેખર આનંદ છે અને એ આનંદની અભિવ્યક્તિ આજે અહીં શબ્દોના સમર્થનરૂપે રજૂ કરી છે.

‘વિજયનું ચિંતન જગત’- https://vijayshah.wordpress.com/ બ્લોગ પર અંતરના ઓજસ, આંસુડે ચિતર્યા ગગન, અમે પત્થરના મોર, જેવી નવલકથાઓ તેમજ વિવિધ લખાણ ઉપલબ્ધ છે.

માહિતી સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિભા પરિચયઃ રાજુલ કૌશિક

November 16, 2023 at 12:44 pm

‘દિવાળી પ્રકાશનું પર્વ ’-કેનેડામાં નંબર ૧-ગુજરાત ન્યૂઝલાઈનમાં પ્રસિદ્ધ લેખ.

‘દિવાળી પ્રકાશનું પર્વ ’

આખા વર્ષ દરમ્યાન આવતા આપણા દરેક તહેવારોનું મહાત્મ્ય અને ઉજવણી અલગ અને એની સાથે જોડાયેલા સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક અને પર્યાવરણને લગતાં કારણો પણ અલગ. છતાં દરેક તહેવારોમાં અનુભવાતો આનંદ તો એક સરખો જ. વર્ષના જુદાજુદા સમયે, જુદીજુદી મોસમમાં આવતા આ તહેવારો આપણને રિચાર્જ તો કરી જ દે છે.

‘દિવાળી’ શબ્દની સાથે મનમાં, હ્રદયમાં જે લાગણી ઉમટે એ આપણી સમજ સાથે જોડાયેલી છે. હિંદુ ધર્મની સનાતન ભાવના સાથે જોડાયેલો દિવાળીનો દિવસ એટલે વર્ષનો અંતિમ દિવસ. અહીં અંતિમ એટલે જે પસાર થઈ ગયું છે, જે વીતી ગયું છે એને દબદબાભેર વિદાય આપીને એક નવી સવાર, ઉજ્જ્વળ ભાવિને આવકારવાની ભાવનાનો સંદેશ એટલે દિવાળી અને એટલે જ તો આ અંતિમ દિવસની વિદાયને આપણે દીવા પ્રગટાવીને ઉજવીએ છીએ. એનો અર્થ એ કે જે આથમી રહ્યું છે, જે અસ્ત થઈ રહ્યું છે એનાથી વિશેષ કંઈક આવવાનું છે. જે વિશેષ આવવાનું છે એને તો ઉમંગ સહિત આવકારવાનું છે. નવા વર્ષના ઊગતા પ્રભાતની સાથે જીવનમાં આવતી એક નવી શરૂઆતને વધાવવાનો તહેવાર એટલે દિવાળી.

દિવાળી, દીપોત્સવી, દીપાવલી….

કેટકેટલાં નામ! એનાં શાબ્દિક અર્થ અનેક પણ અંતે તો વાત એક. ઘરમાં, જીવનમાં ઉમંગ અને રોશની લાવતો તહેવાર એટલે દિવાળી.

દીપોત્સવી એટલે જેમાં દીવાઓની શોભા કરવામાં આવે છે એ આસો વદ અમાસનો ઉત્સવદિન.

દીપાવલી એટલે દીવાઓની હાર. દીપાવલી શબ્દ ખૂબ અર્થપૂર્ણ છે. એક નહીં અનેક દીપની હાર. એક નાનકડો દીપ અંધકારભર્યા ઓરડામાં ઉજાસ રેલાવે તો દીપકની હારમાળાથી કેટલો ઉજાસ રેલાય?

આ દીપ તો ઉજાસનું એક નાનકડું પ્રતીક છે. સદ્બુદ્ધિ અને સાચી સમજણનાં દીપથી મનમાં ઊંડે ઊંડે ધરબાયેલી દુર્બુદ્ધિ, દુર્વૃત્તિ દૂર કરી આત્મજ્યોતિ પ્રગટાવવાની પ્રેરણા આપતું પ્રતીક છે. ઈશ્વરને આપણે જોઈ નથી શકતાં પણ દીવો પ્રગટાવીને એને નમન કરીએ છીએ. દીવો ઈશ્વરના ચૈતન્ય સ્વરૂપનું પ્રતીક છે. દીવાઓની હારમાળા આત્માને અજવાળતા પરમ ઉજાસનું પ્રતીક.

દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ અને અંતિમ રાત. અમાસની રાત એટલે અંધકાર-તમસની રાત. આપણે તો એનેય દીવા પ્રગટાવીને રોશન કરવાવાળાં. પસાર થઈ ગયેલા સમયની સારી સ્મૃતિઓ મનમાં સાચવીને આવનાર વર્ષને આવકારવાવાળાં. ઘરમાં જાળાં સાફ કરીને કોઈ એક ખૂણામાં કંદીલ લટકાવીએ છીએ. એ રંગબેરંગી કંદીલમાંથી રેલાતો અંદરનો ઉજાસ અને કંદીલના રંગો એકમેકમાં ભળીને કેવી સુંદર આભા ઊભી કરે છે!

આપણે પણ મનમાં બંધાયેલી ગ્રંથીઓના જાળા સાફ કરીને ત્યાં એક એવું કંદિલ લટકાવીને એમાં દીપક પ્રગટાવીએ જે આપણી સાથે અન્યના જીવનમાં પણ ઉમંગ અને રોશની ફેલાવે.

વાત અહીં પ્રગટાવવાની છે. સળગાવવાની નહીં. દીવો પ્રગટાવીએ છીએ. દીવાનો પ્રકાશ અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે, એ આપણી એક સાદી સમજ છે. જરા વિસ્તૃત રીતે વિચારીએ તો અંધકાર ક્યાં એક સ્વરૂપે છે?

કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અજ્ઞાન, અહંકાર મનને અસમંજસમાં મૂકી દે, આત્માના ઓજસ, ચિત્તના ચૈતન્યને હણે, સત્યના રસ્તેથી ચલિત કરે એવી વિચારશૂન્યતા પણ અંધકાર સમાન જ ને?

દિવાળી તેજ અને પ્રકાશનું પ્રતીક છે. બાહ્ય પ્રકાશ આપણને દિવામાંથી પ્રાપ્ત થાય છે. દીવો માત્ર અજવાળું આપતો દીવો નથી. અંધકાર પર પ્રકાશના, અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતિક પણ છે.

એવું કહેવાતું આવ્યું છે કે

“પૂનમ અજવાળી છે અને અમાસ કાળી છે.

છતાં પૂનમે હોળી છે અને અમાસે દિવાળી છે.”

તો આવી અમાસે આવતી દિવાળીને આશાના અનોખા દીપથી અજવાળીએ.

અંધકારમાંથી અજવાસ તરફ લઈ જતા દિવાળીના આ શુભ અવસર પર સૌ માટે એક પ્રાર્થના…..

‘શુભમં કરોતિ કલ્યાણં, આરોગ્યં ધનસંપદાં

શત્રુબુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતે….’

સૌના મન, હૃદયને સાચી દિશા સાંપડે એ જ નવલું વર્ષ.

રાજુલ કૌશિક

November 13, 2023 at 7:46 am

પત્રાવળી-૧૯, ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી

પ્રિય પત્રયાત્રીઓ,

મારા છેલ્લા પત્ર પછી તો ઓહોહો…પત્રોનો વરસાદ વરસ્યો અને સમય તો વહેતો ચાલ્યો.

‘ખાયણાં’ શબ્દથી શરૂ થયેલી વાતમાં રાજુલબહેને, ફટાણાં અને લગ્નગીતોનો સ-રસ માહોલ સર્જી દીધો અને જુગલભાઈએ ઝાડના પાનની જેમ મર્મરતા આપણા પત્રોને દૈનિક વાસરિકા અને દૈનંદિનીના શબ્દ-ઢાળે વાળ્યા! તેમના આ વસંતે કોળેલા, નવપલ્લવિત વૃક્ષની કલ્પનામાં વળી પ્રીતિબહેને એકથી વધુ શબ્દવિષયનાં શોભંતા પાન ખીલવ્યાં!

મિત્રો, સાચું કહેજો હોં! ‘કુત્તે કુમાર’ વાંચીને કેટલું હસ્યાં? પણ કહું, મને તો વધુ મઝા આવી ગઈ વર્ણાનુપ્રાસ અલંકારની.લય,પ્રાસ,અલંકાર તો મારા શ્વાસ-પ્રાણ. નાનપણથી જ મને પદ્યમાં બોલવું ગમે. ઘણીવાર તો વાતો પણ ગાવાની રીતે કરતી! અને એ રીતે ડાયરીઓ પણ ખૂબ જ લખતી. કેટલીક તો હજી આજે પણ મારી પાસે સાચવીને રાખી છે. મારા દાદીમા તો વળી ‘મૂઈ ગાંડી છે’ કહી મને ટપલી મારીને પછી ગમતું હસતાં..

દાદીમાના સ્મરણ સાથે, એ સમય અને રોહિતભાઈના ‘કાલ’ તથા ‘કાળ’ શબ્દનું સંધાન થયું. તેમની આ શબ્દની વિવિધ અર્થચ્છાયાઓની ખૂબ સરળ ભાષામાં થયેલ વાતો, કેટલી ગહન અને ઊંચી છે! શબ્દની આવી કમાલ, કલમની સાથે સાથે વિચારોને પણ ઓપ આપવાનું કામ કરે છે અને એ રીતે અંતરને મહેકાવે છે એમ નથી લાગતું?

આજે વર્ણાનુપ્રાસ અને અલંકારની જ વાત સવારથી મગજમાં ઘમ્મર ઘમ્મર ઘૂમરાયા કરે છે. તેથી એ વિશે જ લખું. થોડાં વર્ષો પૂર્વે મનમાં એક તરંગ જાગ્યો અને વર્ણાનુપ્રાસમાં ‘ક’થીજ્ઞ’ સુધી લખવાની ઘેલછા ઊપડી. કેટલાક નમૂના ટાંકું જેમાં દરેક શબ્દ એક જ અક્ષરથી શરુ થાય છે. જેમ કે,

ઝરૂખેથી ઝૂકી ઝરણા ઝૂમે,

ઝૂમક ઝૂમક ઝાંઝર ઝૂમે,

ઝરમર ઝરમર ઝીણી ઝીણી

ઝંખના ઝાકળભીની ઝૂલે.

પહેરી પાયલ પનઘટ પર,

પનિહારી પલકે પાંપણ પલપલ,

પાથરી પાનેતરનો પાલવ,

પહોરે પોકારે પ્રીતમ પ્રીતમ…

કોમળ કોમળ કરમાં કંગન,

કંચન કેરાં કસબી કંકણ,

કંઠે કરતી કોકિલ કૂજન,

કુંવારીકાના કાળજે કુંદન.

અને આ રીતે તો દરેક અક્ષર પર લખ્યું. તમને થશે કે ‘ણ’, ‘ળ’, ‘ક્ષ ‘, ‘જ્ઞ’ અને ‘ખ’ જેવા અક્ષરો પર તો કેવી રીતે લખાય? પણ મિત્રો, શબ્દો પર ખૂબ, કઠણ, માનસિક વ્યાયામ/કસરત કરીને પણ મારો ઘેલો તરંગ પાર પાડ્યો. અલબત્ત, ણ અને ળ જેવા અઘરા અક્ષરો માટે એક જુદો, નવો અભિકોણ અપનાવ્યો. ક્યારેક એની પણ રસપ્રદ વાત કરીશું.

હા, તો ઉપરનાં ઉદાહરણો તો એક જ વર્ણથી શરુ થતા શબ્દની વાત હતી. પણ અલંકારો તો મારા અભ્યાસ પ્રમાણે ૪૦ જેટલા છે જેમાં મુખ્યત્ત્વે શબ્દાલંકાર અને અર્થાલંકાર એમ બે વિભાગમાં વહેંચાયેલ છે. એક સરખા ધ્વનિ/નાદ ઉત્પન્ન કરતા,સંભળાતા શબ્દોનો પણ એક અલગ અલંકાર. ખરું કે નહિ?

ઉદાહરણ તરીકેઃઃ

ઘનન ઘનન ગરજત નભમંડળ,

કરત ક્યાંક કલરવ ખગ તરુવર.

છલ છલ છલકત જલ સરવર પર,

નાચત મંગલ મયૂર મનોહર.

પલપલ શબદ લખત મનભાવન,

ઝરત પ્રીત મન કરત પાવન.

મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,

ઝૂલત ઝૂમત શતદલ મધુવન પર.

આ શબ્દો વાંચતા વાંચતા જ ગવાતા લાગે. તમે જોશો કે આમાં મોટાભાગના શબ્દો કાનામાત્ર વગરના છે, એકસરખો ધ્વનિ સંભળાય છે અને અનાયાસે જ તેમાં વ્રજ ભાષાની છાંટ/ઝલક પણ વર્તાય છે ને?

અરે, આ ધ્વનિના પણ કેટકેટલા પ્રકારો? વાદળનો ગડગડાટ, વીજળીનો કડકડાટ, ઝાંઝરનો ઝણકાર, કંકણનો ખણખણાટ, ઘંટડીનો રણકાર, વાસણોનો ખખડાટ, પાંદડાનો સળવળાટ, પવનનો સૂસવાટ વગેરે વગેરે. અંગ્રેજીમાં એને onomatopoeia કહેવાય છે. એ જ રીતે અબોલ પશુ-પંખીના તો આવા અગણિત અવાજ ! વિચાર કરો કે ગાય,કૂતરા,બિલાડી,બકરી,વાઘ, સિંહ,કે પછી કબૂતર, પોપટ, મેના, કોયલ.ચકલી, મોર વગેરેના પણ કેવા જાતજાતના અવાજો!! અને આ અવાજોને પણ પાછા આપણે શબ્દોમાં ઢાળીએ છીએ. ખરેખર, ખૂબ રસપ્રદ વિષય છે એમ નથી લાગતું શું?

તો મિત્રો, આ છે શબ્દોની સાથે સાથે અવાજોનો પણ અવનવો આનંદ. પ્રીતિબેનની વાત સાથે બિલકુલ સંમત કે, જૂના હોય કે નવા, બોલચાલના હોય કે કાવ્ય-પંક્તિમાંના, તળપદા હોય કે સંસ્કૃત, વર્ણસંકર હોય કે સાહિત્યના – શબ્દોનું કામ આ છે: રસપ્રદ રીતે, અસરકારક રીતે, પોતપોતાની રીતે, અલંકૃત થઈને ઉપસ્થિત થવાનું.

તો આજે આટલેથી અટકું. સૌ કુશળ-મંગળ ને?

દેવિકા ધ્રુવ

November 13, 2023 at 7:41 am

પત્રાવળી- ૧૮,ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી

. પત્રાવળી- ૧૮-

( વાચક-મિત્રો )

પ્રજ્ઞા જુ.વ્યાસ, ડો. ઈન્દુબહેન શાહ,પ્રવીણા કડકિયા

સાહિત્ય જગતના આદરણીય અને https://niravrave.wordpress.com પર પ્રકાશ પાથરતાં શ્રીમતી પ્રજ્ઞાબહેન વ્યાસ લખે છેઃ

મિત્રો, ડાયરીનો સરસ તરજુમો ‘સ્મરણમંજૂષા’ અને ‘વાસરિકા’ કાકાસાહેબ કાલેલકરે કર્યો હતો, એમાં પણ શૈલી અને વાચનક્ષમતા હોવાં અનિવાર્ય છે. ‘કલાપીના પત્રો’ કે કાકાસાહેબના લલિત નિબંધોમાં વાસરિકાનાં ઘણાં લક્ષણો જોવા મળે છે..

મહાદેવભાઈ અને ‘કેપ્ટન જેમ્સ મેકમર્ડોની ડાયરી તો દસ્તાવેજ મનાય છે.

આપણને રોજનાં ઘણા વિચારો આવતા હોય છે. એમ થાય કે આ અત્યારે નહિ પછી ક્યારેક નોંધી લેશું. પણ એ દિવસ આવતો નથી, તેને પત્ર દ્વારા ડૉ. છત્રારાની જેમ વિચારોનાં ઝરણાંમાં વહેતાં કરીએ કે પત્રયાત્રા કરાવીએ. આપણા બ્લોગર મા. નીલમ દોશીએ સ-રસ પત્ર યાત્રા કરાવી છે. તેઓ કહે છે – “પત્રોનું આ જ તો મહત્વ છે. એક વાર લખાયેલા શબ્દો તમને અનેકવાર ખુશી આપી શકે..તમે એમાં એકવાર નહીં અનેકવાર ભીંજાઈ શકો..’

એક બીજી વાત. અમારા પ્રેમાળ આદિવાસીઓની આદિભાષાની મઝા માણીએ. છોકરો તેનાં પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો, પછી “પિયાણ” નક્કી કરવામાં આવે છે. અમારો આ પિયાણ સગાઈ કરતા પ્રેમાળ લાગે તેવા પોહોતિયો વાલના છોડોને પાપડી બેસે તે ઉત્સવની અનુભૂતિ કરાવે અને “ઉબાડિયાં” બોલતા જ સ્વાદ-સુગંધની લહેજત આવે છે. છાગ પાડવી તે સર્વશક્તિમાનનો ભાગ આપવો પછી તાડીની પણ જે પ્રેમથી છાગ પાડે તે અભિવ્યક્તી બીજા શબ્દથી ન આવે અને છાપતિલક કરવાની વાત આદિકાળથી આવે. ત્યારબાદ અમીર ખુશરોની રચના-‘ છાપતિલક સબ છીની રે મોં સે નૈનાં મિલાકે ’આમાં છાપ એ મુસ્લિમના કપાળની છાપ અને હિન્દુઓના તિલક તરીકે શબ્દ પ્રયોજાયો.

પ્રજ્ઞા જુ.વ્યાસ

****************************************

‘ શબ્દસુધા’ અને ‘શબ્દ સથવારે’ માં અનુભૂતિઓને વ્યક્ત કરતાં રહેતાં ડો. ઈન્દુબહેન શાહ લખે છેઃ

પત્રસાથીઓ, શબ્દ કહ્યાગરો તો ખરો જ, તેને શબદ કહો કે શબ્દ કહો, બોલ કહો કે વેણ કહો, કોઈ ફરિયાદ નહીં. આપ સહુ પત્રાવળીના સર્જકો કેવા સુંદર ભાતીગળ શબ્દોથી પત્રાવળીને સજાવી રહ્યા છો? હું રવિવારની રાહ જોતી હોઉ છું. શ્રી જુગલભાઈએ ‘વાસરિકા’ની પણ મઝાની વાત કરી.. મુરબ્બી વલીભાઈએ સુંદર પ્રાચીન તથા અર્વાચીન કવિઓના કાવ્યના ઉદાહરણ દ્વારા પદ્યમાં ભાવ વિષે વાત કરી, ગદ્યમાં જોઈએ તો એક જ શબ્દ જુદી જુદી જગાએ ફેરવીને મૂકવામાં આવે તો કેવા જુદા જુદા અર્થ કરે છે?

દા.ત. ‘પણ હું તને પ્રેમ કરું છું.’

હું તને પણ પ્રેમ કરું છું.

હું તને પ્રેમ પણ કરું છું.

હું તને પ્રેમ કરું છું પણ…

એક શબ્દ એક વાક્યમાં સ્થાન બદલીથી કેટલા ભાવનું સર્જન કરી શકે છે. શબ્દની તાકાત…

રાજુલબહેન, ૐ એકાક્ષરી શબ્દ કે અક્ષર? એકાક્ષરી લખવામાં પરંતુ બોલતી વખતે જણાય છે ઑ…મ અ ઉ અને મ ત્રણ અક્ષર એકાક્ષરીમાં સમાયેલ છે. ૐકાર મંત્ર, પ્રણવ અનાદિ છે. અને પૂજા કે યજ્ઞ વિધિના મંત્ર ૐથી જ શરૂ થાય છે, અને પૂર્ણાહુતીના મંત્ર પણ ૐથી જ શરૂ થાય છે… ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते। ૐના રટણમાં જાગૃત, સ્વપ્ન સુષુપ્ત ત્રણે સ્થિતિનું સુચન..ૐ કાર ૐ કાર મન ધ્યાન ધર ૐ કાર…

****************************************

‘મન માનસ અને માનવી’ નામના બ્લોગમાં લખતા રહેતાં પ્રવીણાબેન કડકિયા લખે છેઃ

ગુજરાતી ભાષાના પ્રેમીઓ, પત્રાવળીના પત્રો વાંચીને અને લેખનકળા પ્રત્યેના પ્રેમને લીધે ‘સરગમ’ શબ્દ વિશે કંઈક લખવા મન મોહ્યું.

‘સરગમ‘ શબ્દની મધુરતા તો જુઓ. જાણે તેના અંગઅંગમાંથી સંગીત ન સરતું હોય ! ખરેખર, ‘સરગમ‘ સંગીત દર્શાવતો શબ્દ છે. આ ચાર અક્ષરનો બનેલો શબ્દ તેમાં છુપાયેલા સાતેય અક્ષરનું પ્રતિબિંબ પાડે છે. તેના ઉચ્ચાર સાથે જાણે મુખમાંથી સંગીત ન સરતું હોય એવો ભાવ થાય છે. તેના પ્રયોજન દ્વારા આપણે સમજી જઈએ છીએ કે, આ કાવ્યમાં, વાર્તા યા નિબંધમાં સંગીતનું આલેખન હશે. ‘સરગમ‘ શબ્દ તેમાં છુપાયેલા ‘આરોહ અને અવરોહ‘ને આડકતરી રીતે પ્રદર્શિત કરવા શક્તિમાન બને છે. તે સમજવા તેનો અભ્યાસ જરૂરી છે, તેની સાધના આવશ્યક છે. સંગીતની સાથે જેને સીધો સંબંધ છે તેની પાવનતા પિછાણવી પડે છે. તે કલા છે. કલાની ઉપાસના એ ઈશ્વરની ઉપાસના સમાન છે. તેને કાજે ધીરજ, લગની અને ઉત્કંઠા સતત હોવા જોઈએ. સરગમના સાત સૂરોની સાધના, તેની રાગ રાગિણીની પહેચાન અને અભ્યાસ અણમોલ છે.

‘સરગમ‘ શબ્દને કોઈ ‘ઘરેણા‘ની પણ આવશ્યકતા જણાતી નથી. મતલબ સ્વર કે વ્યંજનની સીધી યા આડકતરી સહાયતાની જરૂર નથી. જેવા કે કાનો, માત્રા, હ્ર્સ્વ ઇ, દીર્ઘ ઈ, હ્ર્સ્વ ઉ કે દીર્ઘ ઊ. ન તો તેને જોડાક્ષર છે. અનુસ્વાર કે વિસર્ગની પણ આવશ્યકતા જણાતી નથી. ચારઅક્ષરનો આ શબ્દ કોઈના પણ ટેકા વગર સક્ષમ છે. સરળ કેટલો છે. સરગમ, શબ્દનો ઉચ્ચાર કરવામાં જીભને કસરત પણ કરવી પડતી નથી.

ગદ્ય અને પદ્ય બન્નેમાં વપરાતો શબ્દ ‘સરગમ‘ સરળ ઉચ્ચારણ અને સુમધુર ભાવવાહીથી ભરપૂર છે. જેના દ્વારા સર્જક સફળતાની ટોચે બિરાજી પોતાના અંતરને ઠાલવી વાચકોના દિલ જીતવામાં કામયાબ બને છે. તેમને રસમાં તરબોળ કરી ભાવની ગંગામા સ્નાન કરાવી પાવન કરે છે. કદાચ આ શબ્દ ‘સરગમ‘ નામની સ્ત્રીનું પણ હોઈ શકે ? જેના કાર્યમાં, યા વર્તનમા સંગીતની છાંટ ઉભરાતી નજરે ચડે. શું કહો છો? મિત્રો, આજે તમારી સમક્ષ, ‘સરગમ‘ જેવા શબ્દનો માધુર્ય સભર પ્રવાસ આદર્યો. આશા છે આ પ્રયાસ આપને ઉચિત લાગ્યો હશે.

પ્રવીણા કડકિયા

November 4, 2023 at 3:40 pm

‘પત્રાવળી’-૧૭ ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.

રવિવારની સવાર

રોહિત શાહ

મિત્રો,

‘પત્રાવળી” એ તમારું સાહિત્યિક સાહસ છે અને એમાં સાહિત્યરસિકો સતત ભાગ લેતા રહે છે, એ ખૂબ આનંદની વાત છે. તમને ‘પત્રાવળી‘ શરૂ કરવા બદલ આનંદપૂર્વક અભિનંદન પાઠવું છું.

ભાષા પાણીની જેમ પ્રવાહી અને પરિવર્તનશીલ હોય છે, એટલે એના શબ્દો અને એ શબ્દોના અર્થ પણ સમયે-સમયે બદલાતા રહે છે.

ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ‘કાળ‘ અથવા ‘કાલ‘. આ એક જ શબ્દ અનેક અર્થચ્છાયાઓ ધરાવે છે. જેમ કે કાળ એટલે સમય. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ.

એ જ રીતે કાળ – કાલ એટલે દિવસ. ગઈકાલ અને આવતી કાલ માટે પણ ‘કાલ’ શબ્દ વપરાય છે. અહીં વીતેલા દિવસ અને આવનારા દિવસ માટે અનુક્રમે ‘ગઈકાલ‘ અને ‘આવતીકાલ‘ શબ્દ પ્રયોજાયો છે.

કાલ એટલે મૃત્યુ એવો અર્થ પણ ખાસ સંદર્ભમાં આપણને જોવા મળે છે. “રસ્તે જતા રાહદારીને એક ધસમસતી ટ્રક અથવા બસ ‘કાળ‘ બનીને ભરખી ગઈ” એમ કહેવામાં આવે છે ત્યારે ‘કાળ‘ એટલે મૃત્યુ કે યમદૂત એવો અર્થ સમજવાનો હોય છે.

મિત્રો, જૈન ધર્મમાં કોઈ સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ મૃત્યુ પામે ત્યારે તેઓ કાળધર્મ પામ્યાં એમ કહેવાય છે. આ ‘કાળધર્મ‘ મારો અત્યંત પ્રિય શબ્દ છે. સમયનો પણ એક ધર્મ હોય છે અને જીવનનો અંત એ સમયનો ધર્મ છે. એને કાળધર્મ કહેવાય છે

તો ક્યારેક કાલ એટલે ‘ક્યારેય નહીં‘ એવો અર્થ પણ સમજવાનો હોય છે. જેમ કે કોઈ દુકાન પર બોર્ડ માર્યું હોય કે ‘આજે રોકડા કાલે ઉધાર !‘ તો એનો અર્થ સ્પષ્ટ છે કે આજે ખરીદી કરવી હોય તો રોકડા પૈસા આપો. ઉધાર અહીં ક્યારેય મળશે નહીં, કારણ કે આવતીકાલ ક્યારેય આવતી નથી. આવતીકાલ જ્યારે આવે છે ત્યારે તે ‘આજ‘ બનીને જ આવતી હોય છે.

કાળ અને કાલ વિશે ગુજરાતી ભાષામાં કેટલીક માર્મિક કહેવતો પણ છે. જેમ કે ‘કાળ જાય પણ કલંક ન જાય‘, ‘કાળ જાય અને કહેણી રહી જાય‘, ‘કાળના કોદરાય ભાવે !‘ ‘કાલ કોણે દીઠી છે ?’, ‘કાલનું કામ આજે કરો, આજનું કામ અત્યારે જ !‘

તો કવિ નિરંજન ભગત જેવા કવિ કાવ્ય લખે છે કે ‘કાળની કેડીએ ઘડીક આપણો સંગ…‘

એક જાણીતો શબ્દપ્રયોગ છે ‘કાળમુખું‘. કાળમુખું એટલે અશુભ અથવા અપશુકનિયાળ ચહેરાવાળું.

કાળનો એક અર્થ ‘સમય‘ આપણે જાણ્યો. માણસે સમયનાં પણ ચોસલાં પાડ્યાં અને ચોઘડિયાં બનાવ્યાં. દિવસનાં ચોઘડિયાં જુદાં અને રાતનાં ચોઘડિયાં જુદાં ! એમાં એક ચોઘડિયું એટલે કાળ ચોઘડિયું. કાળ ચોઘડિયું અશુભનો સંકેત દર્શાવનારું ચોઘડિયું છે. ‘અશુભ‘ નામનું એક ચોઘડિયું પણ છે પરંતુ કાળ ચોઘડિયું પણ અશુભ મનાય છે ! કોઈ મંગલ કે સારું કામ લોકો કાળ ચોઘડિયામાં કરવાનું ટાળે છે.

ક્યારેક કાળ શબ્દનો અર્થ ભયાનક અથવા ખતરનાક એવો પણ થતો હોય છે જેમ કે કાળરાત્રી. કાળભૈરવ નામનો એક ખતરનાક રાક્ષસ પણ હતો. ઉનાળાની ‘કાળઝાળ ગરમી‘ એ પ્રયોગમાં પણ ખતરનાક અને દાહક વાતાવરણ અર્થ છે.

આમ શબ્દો સાથે રમવાનું આપણને ખૂબ ગમે છે, પણ એ નથી સમજાતું કે શબ્દો આપણને રમાડે છે કે આપણે શબ્દોને રમાડી છીએ !

શુભેચ્છા સાથે,

રોહિત શાહ

rohitshah.writer@gmail.com

October 29, 2023 at 6:07 pm

‘અમર’- ગરવી ગુજરાત (લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ ઈંદુ લતા મહાંતિ લિખીત વાર્તાનો ભાવાનુવાદ.

‘અમર’

સુદર્શન અને સુચરિતા. એકમેક માટે સર્જાયું હોય એવું યુગ્મ.સાંજ પડે પોતપોતાની ઑફિસેથી પાછા આવે પછી તો આ વિરાટ દુનિયામાં એ બે સિવાય અન્ય કોઈ છે એ સાવ ભૂલી જતાં.

સુચરિતા એટલે વાતોનો પટારો. પટારામાંથી વાતોનો ખજાનો નીકળે. સુદર્શન નીરવ શ્રોતાની ભૂમિકામાં ગોઠવાઈ જાય. પ્રતિદિન આ ક્રમ જળવાતો.

સુચરિતા એ દિવસે પણ રોજના સમયે જ પાછી આવી. રોજની જેમ ચા, નાસ્તો લઈને સુદર્શનની રાહ જોતી બેઠી. રોજની જેમ સુદર્શન પણ આવીને સુચરિતાની બાજુમાં ગોઠવાયો, પણ કોણ જાણે હંમેશની જેમ આજે સુચરિતાની વાતોનો પટારો ખુલ્યો જ નહીં.

આશ્ચર્યથી સુદર્શન સુચરિતાની સામે જોઈ રહ્યો. સુચરિતા માથુ નમાવીને ચાના કપમાં ખાંડ ઓગાળતી બેઠી રહી.

અષાઢ મહિનામાં વરસવાની રાહ જોતાં ઘેરાયેલાં વાદળોની જેમ સુચરિતાનો ચહેરો પણ અકળ ભાવોથી ઘેરાયેલો હતો.

એક સમય હતો જ્યારે સુચરિતાએ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની શરૂઆત કરી હતી. આમ તો આ મહાનગરમાં આવીને નોકરી શરૂ કરી એને ઘણો સમય થયો હતો, પણ સુચરિતા હજુ ઑફિસના આટાપાટા કે મહાનગરના હડદોલાથી ટેવાઈ નહોતી.

અરે, હજુ તો દરેક સ્ટેશને નિશ્ચિત સમયે, નિશ્ચિત સમય માટે ઊભી રહેતી લોકલ ટ્રેનમાં શરીરથી ઘસાઈને થતી ધક્કામુક્કીથી પણ ક્યાં ટેવાઈ હતી? આ ધક્કામુક્કીની વચ્ચે અટવાતાં અટવાતાં માંડ ટ્રેનમાં ચઢ્યા પછી બેસવાની વાત તો દૂર જાત સાચવીને સભ્યતાથી ઊભા રહેવાની મોકળાશ પણ મળતી નહીં. ટ્રેનના ડબ્બાનો રૉડ પકડીને ઊભી હોય ત્યારે કોઈ પુરુષના સ્પર્શ માત્રથી એ સંકોચાઈ જતી.

તે દિવસે ડબ્બામાં ઊભા રહેવાની જગ્યા ન મળતાં એ અકળાતી હતી ને જ એક યુવક ભીડમાંથી રસ્તો કરતો એની પાસે આવીને ઊભો રહ્યો. સુચરિતા એ યુવકની સામે આશ્ચર્યથી જોઈ રહી. અચાનક એ યુવકે સુચરિતાનો હાથ પકડી એક તરફ એને ખેંચીને એક ખાલી સીટ પર બેસાડી દીધી.

“પાંચ દિવસથી જોઉં છું કે, બેસવાની જગ્યા મેળવવાની વાત દૂર આ ભીડમાં સરખી રીતે ઊભા રહેવાની જગ્યાય કરી શકતી નથી તો ઘરની બહાર નીકળે છે જ શું કામ?”

યુવકના અવાજમાં અધિકારની છાંટ હતી. સુચરિતાને નવાઈ લાગી. આ યુવક ગાડરિયાં ટોળાંથી ખરેખર જુદો છે કે પછી સહાનુભૂતિના આવરણ હેઠળ એના મનમાં કોઈ બીજો મતલબ હશે?

જોકે યુવકના ચહેરા પર એવા કોઈ મતલબી ભાવ ન દેખાયા. સાવ સામાન્ય ચહેરો, સાધારણ પહેરવેશ, પણ આંખોમાં અનન્ય સંવેદના, અનુકંપા છલકાતી લાગી. પહેલી મુલાકાતમાં જ સુચરિતાને લાગ્યું કે એની આંખો ઘણું કહી જતી હતી. આજ સુધી આવી સંવેદના કે અનુકંપાનો એને ક્યારેય અનુભવ થયો નહોતો.

એ યુવકનો આવો વડીલ જેવો ભાવ સુચરિતાને જરા વિચિત્ર લાગ્યો. થોડો કઠ્યો પણ ખરો. એ સહેમી ગઈ.

“નારાજ થઈ ગઈ દીદી? પણ, શું ખોટું કીધું મેં? હું તો જે જોઈ રહ્યો હતો એ કહ્યું.”

યુવકે એને દીદી કહ્યું એથી સુચરિતા ચમકી. પોતાના પતિની ઉંમરની વ્યક્તિ એને દીદી કહેતી હતી! જોકે એ હજુ કશું વિચારે કે પૂછે એ પહેલાં તો ચારેબાજુથી લોકોની બૂમાબૂમ સંભળાઈ.

“અરે અમર, આ તું શું કરે છે? એમને જગ્યા આપીને તું આખો રસ્તો ઊભો રહી શકીશ?”

“ક્યારેક આમ ઊભા રહીને સારું લાગે છે. એક જગ્યાએ બેસીને પૂતળા જેવો બની ગયો હતો.” અમરના જવાબથી સૌ દંગ રહી ગયા.

“હા, તેં તો કહી દીધું કે ઊભા રહીને તને સારું લાગે છે, પણ તને આમ ઊભેલો જોઈને અમને તકલીફ થાય છે એનું શું?” કહીને સુચરિતાની સામે બેઠેલી એક વયસ્ક મહિલાએ સહેજ ખસીને અમરને બેસવાની જગ્યા કરી આપી.

“જોયું દીદી, આપીએ તો પામીએ. તમને બેસવાની જગ્યા કરી આપી તો મનેય બેસવાની જગ્યા મળી ગઈ ને?” અમર સુચરિતાની સામે જોઈને હસ્યો.

એ દિવસ પછી સુચરિતાએ જોયું કે, એને ચઢવાનું સ્ટેશન આવે ત્યારે અમર ટ્રેનના બારણાં પાસે એની રાહ જોતો ઊભો જ હોય. ક્યારેક ધક્કામુક્કીમાં એ ચઢી ન શકે તો એને હાથ આપીને ચઢવામાં મદદ કરતો અને રોકેલી સીટ પર બેસાડતો. દિવસો પસાર થયા તેમ છતાં સુચરિતા એની સાથે સહજ થઈ શકતી નહોતી. એ કંઈ બોલે કે ના બોલે અમર તો બસ, વગર પૂછે વાત માંડી દેતો.

પણ, સુચરિતા તો સીટ પર બેસતાની સાથે બારીની બહાર જ જોયા કરતી. એક દિવસ અમરે પૂછી લીધું,

“દીદી, મારો ચહેરો જરાય સારો નથી?”

અમરનો ચહેરો જ નહીં અમર પણ સાચે જ સરળ અને સૌમ્ય હતો. એક વાર કોઈ એને મળે કે એના ચહેરા પર નજર પડે તો હંમેશાં એને જોવાનું, મળવાનું જોવાનું મન થાય એવો હતો એટલે સુચરિતાને અમરનો સવાલ સમજાયો નહીં. અવઢવમાં એની સામે તાકી રહી.

કેમ હું તમારો ચહેરો નહીં જોઉં તો સુંદરમાંથી અસુંદર થઈ જશે? ભગવાને મને આજુબાજુ કે આગળપાછળ નજર નથી આપી, પણ હવે તમે મારી સામેની સીટ પર બેસજો. જેથી હું બહાર ઝાડપાન, પાણી-પવન. આભ-ધરતી જોવાના બદલે તમારી સામે જોઈ શકું.”

ધીમેધીમે સુચરિતાને અમરનો સ્વભાવ ગમવા માંડ્યો. એને સમજાયું કે અમર ન હોત તો ટ્રેનની આ યાત્રા એના માટે આટલી સુગમ ન હોત.

એક દિવસ સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે બારણાં પાસે અમરનો હસતો ચહેરો ન દેખાયો. સુચરિતા જાણે મુરઝાઈ ગઈ. માંડ અંદર પહોંચી. કોઈએ એની સીટ સાચવી હતી. સીટ પર બેસતાં પહેલાં એણે ચારેકોર નજર દોડાવી, પણ વ્યર્થ. અમર ક્યાંય ન દેખાયો.

એક, બે, ત્રણ,ચાર દિવસ પસાર થયા પણ અમર ન દેખાયો. અકળાઈને એણે અમરની જોડે બેસતા વિનાયકને અમરની ગેરહાજરી માટે પૂછ્યું. વિનાયકે જે જવાબ આપ્યો એ સુચરિતા માટે આઘાતજનક હતો.

અમર લ્યૂકેમિયાનો પેશન્ટ હતો. એના આખરી દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી. સુચરિતાએ આસપાસ બેઠેલા સૌની સામે ધ્યાનથી જોયું. સૌના ચહેરા પર વિષાદની છાયા હતી.

એ દિવસે સુચરિતા ઑફિસમાં કશું જ કામ ન કરી શકી. ઘેર પહોંચીને સુદર્શન સાથે પણ કોઈ વાત કરવા અસમર્થ રહી. મનમાં આખો દિવસ એક જ વિચાર ઘોળાયા કર્યો, “અમર સૌને છોડીને ચાલ્યો જશે?”

સુચરિતાને આમ શાંત, સ્થિર બેઠેલી જોઈને સુદર્શને સ્નેહથી એના મૌનનું કારણ પૂછ્યું અને સુચરિતાના હૃદયનો બંધ તૂટી પડ્યો.

“અમરનો અંત નજીક આવી રહ્યો છે. અમર ચાલ્યો જશે. સદાને માટે.”

સુદર્શન સમજતો હતો કે, અમર સુચરિતાનો આત્મિય ન હતો છતાં મનથી ઘણો નજીક હતો.

અસ્તુ.

October 26, 2023 at 2:16 pm

‘સંતાનપ્રાપ્તિ’ગરવી ગુજરાત(લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ પી.વી અખિલન લિખીત વાર્તાનો ભાવાનુવાદ.

‘સંતાનપ્રાપ્તિ’

તિરુચ્ચી શહેરનું બજાર લોકોની ચહલપહલથી જીવંત લાગતું હતું.

મારે ખમીસ માટે સફેદ કાપડ લેવું હતું. બજારની તમામ દુકાનોમાં ફરી વળ્યો. ચાર વાગ્યાનો નીકળ્યો હતો. છ વાગ્યા, પણ બજારમાંથી ગુલ કરી દેવામાં આવ્યું હોય એમ કોઈનીય પાસે સફેદ કાપડ હતું નહીં. ક્યાંક કોઈની પાસે હોય તો એ લોકો ખૂબ વધુ પૈસા માંગતા. કાળાબજારનું સફેદ કાપડ મારે લેવું નહોતું.

અંતે બજારમાંથી બહાર નીકળ્યો. સામે જ ફાટેલું ખમીસ અને મેલી ધોતી પહેરેલા એક ભિક્ષુકે હાથ લંબાવીને આજીજી કરી, “માલિક બેચાર આના આપો, તમારાં બાળબચ્ચાં સુખી રહેશે.”

જોકે એ સાવ ભિક્ષુક જેવો નહોતો લાગતો. આજે એના શરીરમાં નબળાઈ હતી, પણ આ પૂર્વે એ સ્વસ્થ હશે એવું લાગ્યું. મને જોઈને અચાનક બે હાથે ચહેરો ઢાંકીને ત્યાં પડેલા મોટા પત્થર પર બેસી ગયો. બાજુમાં ખોળામાં એક વર્ષનું બાળક લઈને ચીંથરા જેવા વસ્ત્રોમાં લપેટાયેલી યુવતી બેઠી હતી. યુવતી જાણે કોઈ દારુણ વ્યથામાં હોય એમ રડી રહી હતી. એનાં આંસુઓનો અભિષેક બચ્ચાં પર થઈ રહ્યો હતો.

હું એ યુવતી અને એનાં પતિને ઓળખી ગયો. નજીકના ગામમાંથી કમાણી માટે કેટલાય વણકર પરિવારની જેમ એ લોકો પણ સેલમ આવ્યાં હતાં. એ યુવતીને પહેલાં જોઈ ત્યારે તંદુરસ્ત હતી, પણ આજે પાણીના અભાવે લીલીછમ વેલ સૂકાઈ ગઈ હોય એવી લાગતી હતી. કેટલીય માનતા પછી થયેલો દીકરો ભૂખ-તરસ છીપાવવા અંગૂઠો ચૂસી રહ્યો હતો. પેટ તો એનું પાતાળે પહોંચ્યું હતું.

એમની દારુણ સ્થિતિ જોઈને, એમની વાત સાંભળીને મારું મન દ્રવી ઊઠ્યું.

બચ્ચાંના હાથમાં આપેલો રૂપિયો એ યુવતીએ લઈ લીધો.

“કોઈ નોકરી અપાવી દો માલિક. અમે બંને જણાં નોકરી કરીશું. ખાવાનું જોયે ત્રણ દિવસ થઈ ગયા છે.”

નોકરી મળવી સાવ સરળ નહોતી. મેં એમને મારું સરનામું આપીને અઠવાડિયા પછી મળવાનું કહ્યું. પતિપત્નીના વેદનાભર્યા ચહેરા પર કૃતજ્ઞા છલકાઈ. મારી પાસે નોકરી માંગવાના સંજોગ ઊભાં થયાં એ એને બહુ કઠતું હતું.

બંને જણ સાથે બે વર્ષ પૂર્વે થયેલી મુલાકાત મને યાદ આવી.

શ્રીલંકાથી ધનુષકોટિ બંદર પર ઉતરીને સામે ઊભેલી ઈન્ડોસિલોન એક્સપ્રેસમાં બેઠો હું બારીની બહાર જોઈ રહ્યો હતો. એક તરફ સમુદ્ર તટ, બીજી તરફ ઝૂંપડીઓ, ગંદકીથી ખદબદતું વાતાવરણ, ગંદા પાણીમાં રમતાં અને યાત્રીઓ જે પૈસા સાગરદેવને ચઢાવે એ માછલીની જેમ ડૂબકી મારીને શોધી કાઢતાં બાળકોને જોઈને હૃદયમાં ટીસ ઊઠી હતી. થોડી વારે ડબ્બામાં પતિપત્ની ચઢ્યાં. સંતાનપ્રાપ્તિ માટે રામેશ્વરમ્ ગયાં હતાં. ધનુષકોટિ સમુદ્ર તટ પર ડૂબકી મારીને ભીનાં વસ્ત્રોમાં પાછા જઈ રહ્યાં હતાં.

પ્લેટફોર્મ પર ઊભેલા બે સહાયક પંડાઓને નક્કી કરેલા રૂપિયા આપ્યા. પંડાઓને વધુ પૈસા જોઈતા હતા. નિશ્ચિત કરેલા રૂપિયાથી એક પણ વધુ રૂપિયો આપવાની પત્નીએ ના પાડી દીધી.

“આવા કંજૂસ લોકોને ક્યાંથી બાળક થાય?” પૈસા આપવાની રકઝકથી અકળાયેલા પંડાએ અત્યંત તિરસ્કારભર્યા શબ્દોમાં કહ્યું.

ઝેર જેવા એ શબ્દો તો મારા કાળજાનેય વીંધી ગયા. પતિ સ્તબ્ધ થઈ ગયો. પત્નીની આંખોમાંથી આંસુ છલકાયાં.

“ત્રણ રૂપિયા મારો એના મ્હોં પર.” પત્ની ક્રોધિત થઈને પતિને કહ્યું.

પૈસા લઈને પંડાઓ ચાલવા માંડ્યા. ટ્રેન ઊપડી. પતિએ કેટલુંય સમજાવ્યું, પણ કેમેય કરીને પત્નીનાં આંસુ રોકાતાં નહોતાં.

“આવી દાદાગીરી, આવી નિર્લજ્જતા? આ માટે આપણે અહીં આવ્યાં હતાં?” બાળકને જન્મ ન આપી શકવાની પીડા પર એ પંડાઓએ આકરો પ્રહાર કર્યો હતો.

એમની વ્યક્તિગત બાબતમાં મારે બોલવું ન જોઈએ, પણ બેચાર શબ્દોથી સાંત્વના આપવા હું મથ્યો. થોડી વાર પછી એ સહજ થઈ.

પતિ વણકર હતો. સાળ પર કપડું વણતો. પત્ની ચરખા પર સૂતર કાંતતી. કરકસરથી ઘર ચાલતું. બચત પણ કરી લેતાં. લગ્નને આઠ વર્ષ થયાં, પણ સંતાન નહોતું. પતિને કોઈ ફરક નહોતો પડતો, પણ પત્નીમાં ધીરજ ખૂટી હતી. રામેશ્વરમ્ આવવાં એક વર્ષથી પૈસા ભેગાં કરતાં હતાં.

પતિને આવી વાતોમાં વિશ્વાસ નહોતો, પણ પત્નીનું મન રાખવા એ આવ્યો હતો. ધનુષકોટિથી તિરુચ્ચી સુધી એમની સાથે વાતો થતી રહી. બંનેમાં ખૂબ પ્રેમ હતો. સફરનો ભરપૂર આનંદ લેતાં હતાં. સ્ટેશન પર ભિક્ષુકને પૈસા આપતાં. કોઈ સ્ટેશન પરથી ફૂલ તો અન્ય સ્ટેશન પરથી સંતરા, તાજી કાકડી લઈને મઝાથી ખાતાં.

તિરુચ્ચી આવ્યું તો જાણે કેટલાય સમયના પરિચિતો છૂટાં પડતાં હોય એવું લાગ્યું.

*******

લાંબા સમય પછી આજે બજારમાં મળ્યાં ત્યારે એમની હાલત જોઈને અત્યંત દુઃખ થયું. કમ-સે-કમ મારા આપેલા રૂપિયાથી એ દિવસે એમને ખાવાનું મળી ગયું જશે એ વિચારથી ત્યારે મને જરા રાહત થઈ.

આજે બજાર તરફ હું નીકળ્યો અને ઓચિંતી એ જ યુવતી મારી સામે આવીને ઊભી રહી. એની આંખોમાં અકથ્ય પીડા હતી.

કહેતી હતી કે, બાળક પતિને સોંપીને એ ખાવાનું શોધવા ગઈ હતી. પાછી આવી ત્યારે દીકરો ગાયબ હતો. એનો છોકરો કોઈ ઊઠાવી ગયું હતું. પોલીસમાં રિપોર્ટ લખાવવો જરૂરી હતો. ચાલતાં ચાલતાં આખા રસ્તે એ “મારો રાજ્જા દીકરો ક્યાં ગયો”નું રટણ કરતી રહી. રસ્તામાં કોઈનીય પાસે બાળક જોતી તો તરત ઊલટ-તપાસ કરવા માંડતી. ધીરે ધીરે એનું આક્રંદ વધતું ચાલ્યું. હું સમજી શકતો હતો, કેટલીય માનતા પછી સંતાનપ્રાપ્તિ થઈ હતી.

એના પતિના ચહેરા પર પણ ઘેલછાની છાયા દેખાતી હતી.

પોલીસમાં રિપોર્ટ લખાવી દીધાં પછીય કેટલાય દિવસો સુધી બાળકનો પત્તો ન મળ્યો.

એક દિવસ કેરી વેચવાવાળો મારા ઘેર આવ્યો. સરસ મઝાની કેરીઓથી ટોપલી ભરેલી હતી. એને જોઈને હું ચોંક્યો. એ અન્ય કોઈ નહીં, પેલો અભાગી બાપ હતો જેના સંતાનની ભાળ મળતી નહોતી.

“શું થયું, દીકરો મળ્યો?”

“નહીં મળે.” કહેતા એની આંખો ભરાઈ આવી.

“દીકરો ખોવાયો જ નથી. પચાસ રૂપિયામાં આ પાપીએ એને વેચી દીધો છે.”

“હેં, દીકરો વેચી દીધો? તારું મન કેવી રીતે માન્યું? કેટલી માનતા પછી દીકરો થયો હતો?” આઘાતથી મારો અવાજ ઊંચો થઈ ગયો.

“શું કરું માલિક, દીકરાનું પેટ ભરવા એ ભૂખી રહેતી. દીકરાને બચાવવા એ પોતાનો પ્રાણ આપવા તૈયાર હતી. એક શેઠને બાળક જોઈતું હતું. એનું જતન સારી રીતે કરશે એવું વચન આપ્યું. સૌની એમાં જ ભલાઈ છે એમ વિચારીને દીકરો વેચી દીધો. એ રૂપિયામાંથી કેરી વેચવાનો ધંધો શરૂ કર્યો. રોજ બેચાર રૂપિયા મળી જાય છે. દીકરો વેચ્યાની ખબર પડશે તો એ જીવ આપી દેશે. એને કહી દીધું છે કે, ધંધો કરવા તમે રૂપિયા આપ્યા છે.”

હું સ્તબ્ધ. હતો. ગરીબી, લાચારી માણસને આ હદે લઈ જાય?

અસ્તુ……

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક-

October 22, 2023 at 3:28 pm

પત્રાવળી ૧૬..ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.

પત્રાવળી ૧૬..

રવિવારની સવાર….

મિત્રો,

રખે એમ માનતાં કે હું કડક પ્રકારના આહાર-દમનમાં છું – એટલે કે ‘સ્ટ્રિક્ટ ડાયેટિન્ગ’ કરું છું. એવું નથી. બલ્કે હું તો ફૂઉઉડીઇઇ – “ફૂડી” છું, એટલે કે ખાવાની શોખીન છું. પણ શાકાહારી ને તેથી ‘શોખીન શાકાહારી’ કહેવાઉં!

આગળના પત્રોનો સંદર્ભ જરાક યાદ કરું તો, પડિયા અને પતરાળાં હવે કેવાં સ્મરણબદ્ધ થઈને રહ્યાં છે. વળી, મિષ્ટાન અને ફરસાણ હવે ઘરમાં જાણે ભાગ્યે જ બને છે. બહારથી હવે બધું સરસ મળી જાય છે, ખરું કે નહીં? હવે આપણે કહી શકીએ કે અમે બળતાંમાં ઘી ઊમેરતાં નથી, કે કોઈને માખણ લગાવતાં નથી!

મને બહુ કહેવતો યાદ નથી હોતી. મારા વરને હોય છે. એ ઘણી વાર બંગાળી કહેવત બોલે. ભાષા તો હું જાણું, પણ તળ-બોલીના પ્રયોગ ના સમજાય, એટલે પૂછવું પડે. સાંભળીને હસવું આવી જાય, અને વળી અર્થ પણ સંદર્ભને યોગ્ય જ હોય.

એમ તો ગુજરાતીની અમુક કહેવતો પણ મને સમજાતી નહીં. જેમકે, “જા બિલ્લી કુત્તે કુ માર”. સાંભળવામાં એ મને ‘કુત્તેકુમાર’ જેવું લાગતું. ક્યાંય સુધી થયા કરેલું, કે આ શબ્દોનો અર્થ શું હશે? આપણા ‘ગુજરાતી હિન્દી’માં ‘કુત્તે કો માર’ને બદલે ‘કુત્તે કુ માર’ થતું, ને ‘કુત્તે કુમાર’ જેવું જ બોલાતું!

પહેલેથી જ મારું ધ્યાન શબ્દો પર રહેતું, તેથી “ગરજ સરી કે વૈદ વેરી” જેવી, અથવા “ભેંશ ભાગોળે ને છાશ છાગોળે” જેવી ઉક્તિ મને સમજાતી, અને ગમતી પણ ઘણી. કારણ એ જ કે એમાં પ્રાસ છે, લય છે.

વલીભાઈએ શબ્દ-પ્રયોજન વિષે બહુ સરસ વાતો કરી. ને ખરેખર, શબ્દો પોતે ભાષાનાં ઘરેણાં છે. ઉપરાંત, શબ્દોને એમના પોતાના અલંકાર પણ હોય છે. એટલે જ તો હું મને પોતાને ‘શોખીન શાકાહારી’ કહીને હરખાઉં છું, કારણ કે એ છે વર્ણાનુપ્રાસ. એ માટે કવિ શ્રી મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’ની “કામિની કોકિલા કેલી કુજન કરે” જેવી પંક્તિ કેવી યાદ રહી ગઈ છે!

અને રવીન્દ્રનાથ તો ગીતે ગીતે હરખાવતા રહે છે – જેમકે, (ગુજરાતી કરીને) “આજ દિગંતે ઘન ઘન ગભીર, ગુરુ ગુરુ ગુરુ ગુરુ ડમરુ રવ થયો છે આ શરૂ–”; અથવા બીજા એક ગીતમાં, “સહસા તેથી જ ક્યાંકથી કુલુ કુલુ કુલુ કુલુ કલકલ સ્ત્રોતે દિશા દિશાએ છે જળની ધારા–”. શબ્દોની રમત જેવું લાગે છે ને? પણ આ તો છે શબ્દ-પ્રયોજનની સર્જનાત્મક લીલા.

જુભાઈએ પર્સનલ ડાયરીની જગ્યાએ વાસરિકા અથવા દૈનંદિની જેવા શબ્દો ઉપયોગમાં લીધા. કેટલા સરસ ધ્વનિ છે એમના. હું નાનપણથી ડાયરી લખતી હતી, ને વર્ષો સુધી લખી. પણ એમણે સાચું જ કહ્યું છે કે પત્રોમાં સંપર્કનો, ને પરસ્પર ભાવાવેશનો ઉદ્દેશ હોય છે. પત્રોમાં શબ્દોનો ઇષત્ મર્મર ધ્વનિ હોય છે.

જૂના હોય કે નવા, બોલચાલના હોય કે કાવ્ય-પંક્તિમાંના, તળપદા હોય કે સંસ્કૃત, વર્ણસંકર હોય કે સાહિત્યના – શબ્દોનું કામ આ છે: રસપ્રદ રીતે, અસરકારક રીતે, પોતપોતાની રીતે, અલંકૃત થઈને ઉપસ્થિત થવાનું.

મિત્રો, સંમત થાઓ છો ને મારી સાથે?

—– પ્રીતિ સેનગુપ્તા

October 21, 2023 at 4:38 pm

‘ ૨૯ ફેબ્રુઆરી’-રાષ્ટ્રદર્પણ Atlanta (USA)માં પ્રસિદ્ધ વાર્તા

‘ ૨૯ ફેબ્રુઆરી’

અમદાવાદની ‘ક્રાઉન પ્લાઝા’ના બૅક્વિટ હૉલમાં ઉમંગની છોળ ઉડતી હતી. એ.જી.હાયસ્કૂલની ૨૦૧૦ની બેચના વિદ્યાર્થીઓની પાર્ટી હતી.

૨૦૦૦ પછી તો સૌ કોઈ અલગઅલગ ક્ષેત્ર અને અલગઅલગ દેશોમાં ગોઠવાઈ ગયાં હતાં.

ભલું થજો આ વ્હોટ્સેપનું જેનાં થકી છેલ્લા પાંચ-સાત વર્ષથી ફરી એકવાર સૌ સંપર્કમાં આવ્યાં.

કૉલેજ પૂરી કરીને વિદેશ સેટલ થઈ ગયેલો અખિલ આજે ૧૩ વર્ષે અમદાવાદ આવ્યો હતો. વ્હોટ્સેપ ગ્રુપમાં એ હતો ખરો પણ, એક માત્ર જય સિવાય કોઈની સાથે સીધા સંપર્કમાં નહોતો. હા, કોઈના જન્મદિવસે કે ખાસ પ્રસંગ પર શુભેચ્છાની સાથે ફૂલોનું ઈમોજી જરૂર મોકલતો.

વ્હોટ્સેપ ગ્રુપના મૌનીબાબા જેવા અખિલને મળીને એની સાથે ઢગલાબંધ વાતો કરવા સૌ ઉત્સુક હતાં, સૌથી વધુ ઉત્સુક હતી સુરભી.

કૉલેજમાં બંને એકબીજાને ખૂબ પસંદ કરતાં. સુરભીની જેમ સૌને વિશ્વાસ હતો કે, યોગ્ય સમયે બંને પરણશે.

પણ, એવું ન બન્યું. અખિલ અમેરિકા ચાલ્યો ગયો. કોઈનેય મળ્યા વગર, કોઈનેય જણાવ્યા વગર. સુરભીને પણ નહીં.

આજે વર્ષોથી બંધ પડેલું ઘર, જમીન વેચીને અમદાવાદ સાથે જોડાયેલી રહીસહી યાદોથી મુકત થવા આવ્યો હતો. અમદાવાદ આવીને માત્ર જયનો સંપર્ક કર્યો.

જયની જીદને માન આપીને પહેલી અને છેલ્લી વાર જૂના મિત્રોને મળવા આવ્યો.. ઉમળકા વગર સાવ ઔપચારિકતા કે ખપ પૂરતું સૌને મળીને સૂપ લઈને સાવ ખૂણાનાં ટેબલ પર જઈને બેઠો.

“હાય અખિલ.” સામે સુરભી હતી.

ઠીક તો છું ને? ઠીક જ હોઈશ પણ, તને જોઈને લાગે છે કે તું ક્યાંક તારી જાતને ખોઈ બેઠો છું. જે અખિલને જાણતી હતી, ઓળખતી હતી એ તો જાણે બીજો જ અખિલ હતો નહીં?” સુરભીના ચહેરા પર અકળ ભાવ હતા.

સુરભીને મળવાનું થશે એવી અખિલેની ખાતરી હતી. જે રીતે એ સુરભીને મળ્યા વગર, જણાવ્યા વગર ચાલ્યો ગયો હતો એનાથી સુરભી અત્યંત નારાજ હશે એ જાણતો હતો. મળશે ત્યારે કેટલાય સવાલોના જવાબ આપવા પડશે, કેટલાય ખુલાસા કરવા પડશે એની માનસિક તૈયારી રાખી હતી. એનાં બદલે સુરભી તો એની ખેરિયત પૂછતી હતી!

એ બઘવાઈ ગયો. અઘરા પ્રશ્નપેપરની તૈયારી કરીને આવ્યો હોઅને એકડિયામાં પૂછાય એવા સવાલનો જવાબ શું આપે?

“અં…હા, ઠીક છું અને તું?”

“હું એકદમ મઝામાં છું, પણ ઠીકની વ્યાખ્યામાં બંધ બેસે તારું વર્તન એવું ન લાગ્યું.” સુરભી હસી પડી.

“અખિલ, અહીં મળ્યાં છે એ આપણાં મિત્રો છે. એમનાથી સાવ આમ અલગ બેસીને તું શું સાબિત કરવા માંગે છે?”

“સમજ્યો નહીં.” અખિલના ચહેરા પર મૂંઝવણ હતી.

સમજ્યો નહીં કે સમજવું જ નથી?” સુરભીના અવાજમાં ટીખળ ભળી.

******

અખિલ અને સુરભી. બંને રમતિયાળ અને વાતોડિયાં. જય બંનેનો કૉમન મિત્ર. બંને વચ્ચે પાંગરતા પ્રેમનો એક માત્ર સાક્ષી.

“બંને મળો છો ત્યારે બોલવાનો વારો કોનો એ કેવી રીતે નક્કી કરો છો?” જય પૂછતો.

જેને બોલવું હોય એ આંગળી ઊંચી કરે. પહેલાં જેની આંગળી ઊંચી એનો વારો પહેલો. જોકે મારી આંગળી ટૂંકી જ પડે હોં. ગમે તે કરું પણ અખિલ જ પહેલો હોય.” નાના બાળકની જેમ સુરભી હસી પડતી.

એ અખિલ કશું જ કહ્યા વગર, સુરભીને કશું કહેવા, પૂછવા આંગળી ઊંચી કરવાની તક આપ્યા વગર જ અમેરિકા ચાલ્યો ગયો.

સોરી સુરભી, પણ આમ તને કહ્યા વગર…..”

“હું તારી પાસે કોઈ કેફિયત નથી માંગતી. માત્ર તારી ઉદાસીનો ઓળો આજે તારાં માટે મળેલાં આ મિત્રો સુધી ન પહોંચે એટલું કરે તો બસ.” કહીને સુરભી ચાલી ગઈ.

અખિલ શું કહે? એ સુરભીને કેવી રીતે સમજાવે કે, આ ઉદાસી જ એની હંમેશની સાથી છે.

પાર્ટીમાંથી છૂટાં પડતાં અખિલે એકવાર સુરભીને મળવાની ઇચ્છા પ્રગટ કરી.

******

બીજા દિવસે બંને રિવરફ્રન્ટ પર બેઠાં હતાં. સાબરમતીનાં વહેણની જેમ અખિલની લાગણી વાણીમાં વહેતી હતી. ગઈ રાતના શાંત અખિલે આંગળી ઊંચી કરીને પોતાના વારાની રાહ જોયા વગર બોલવા માંડ્યું હતું.

ગૌતમ શાહની સંપત્તિનો, ફેક્ટરીનો અખિલ એકમાત્ર વારસદાર હતો. ધંધાનો બહોળો પસારો પાથરીને બેઠેલા ગૌતમભાઈના ધંધામાં મંદી આવતાં સંપત્તિ દાવ પર લાગી. બેંકની લોન ન ચૂકવી શકવાનાં લીધે ફેક્ટરી સીલ થઈ, ઘર જપ્ત થયું. સંપત્તિ અને શાખ રોળાઈ જવાના આઘાતથી ગૌતમભાઈને મૅસિવ ઍટેક આવ્યો.

મૈત્રી કૃષ્ણ સુદામાએ કરી.. એને જીવી જાણી ગૌતમભાઈના નાનપણના દોસ્ત કાકુભાઈએ. ગૌતમભાઈની નાદારી અને નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાની સાથે કાકુભાઈ અમેરિકાથી આવી પહોંચ્યા.

ગૌતમભાઈની શારીરિક હાલત જરા સુધરે ત્યાં સુધીમાં બેંકની લોન ચૂકતે કરી ઘર અને ફેક્ટરી છોડાવીને મેડિકલ ગ્રાઉન્ડ પર ગૌતમભાઈને અમેરિકા લઈ જવાની તૈયારી આદરી.

“ગૌતમ, અખિલ વિચારતો હતો ને કે, અમેરિકામાં ફેમિલી બિઝનેસમાં માસ્ટર્સ કરીને તારી સાથે જોડાય. હવે ધંધામાં બરકત રહી નથી તો માસ્ટર્સ કરીને અહીં પાછા આવવાનો શું મતલબ? અત્યારનાં સંજોગો જોતા એની પ્રગતિમાં કેટલી વીસે સો થશે એ સૌ જાણીએ છીએ. તમે બંને ત્યાં આવો. તારી ટ્રીટમેન્ટ અને અખિલનો અભ્યાસ બંને સચવાઈ જશે. મોટેલ, ગેસ- સ્ટેશન, કન્વીનિઅન્ટ સ્ટોરનો મારો બિઝનેસ અખિલ અને સોનાલી સંભાળી લે એટલે ભયોભયો. આપણે બંને મઝાથી નિવૃત્તિ માણીશું.”

“પણ….”

મને બોલી લેવા દે ગૌતમ. મારાં પેન્ક્રિઍટિક કેન્સરની આપણે વાત થઈ હતી. જ્યારે એ ડિક્ટેક્ટ થયું ત્યાં સુધીમાં અંદર લિવર સુધી ફેલાઈ ગયું. સર્જરીની કોઈ શક્યતા નથી. કીમોથેરાપી સહન નથી થતી, વળી થોડું આયુષ્ય લંબાય એ માટે યાતના સહન કરવાની ક્ષમતા નથી. છ થી નવ મહીના સુધીનો સમય છે હજુ. જો અખિલની તૈયારી હોય તો સોનાલીનો હાથ અને બિઝનેસ એને સોંપીને નિશ્ચિંત બનીને મારો છેલ્લો સમય તારી સાથે જીવી લેવા માંગું છું. બિઝનેસ કરતાંય મા વગરની મારી સોનાલી સલામત હાથોમાં છે એ જોઈને હું નિરાંતે મરી શકીશ. જો, અખિલની મરજી હોય તો જ. અખિલ નિર્ણય લેવા સ્વતંત્ર છે. પણ, મારાં છેલ્લા દિવસો માટે મારે તારો સાથ, તારી હૂંફ જોઈએ છે. અમેરિકા જઈને લોકો તો ઘણાં મળ્યા, દોસ્ત ન મળ્યા. બે હાથ જોડું છું દોસ્ત, મારી આટલી વાત માની લે અને ચાલ મારી સાથે. તારી ટ્રીટમેન્ટ માટે, મારા માટે.”

હોસ્પિટલના બિછાને સૂતેલા દોસ્ત માટે આટલું કર્યા પછી પણ કાકુ નામનો દાતા યાચક બનીને આજીજી કરી રહ્યો હતો. કાકુભાઈનાં આંસુથી ગૌતમભાઈનો હાથ અને હૈયું ભીંજાતા હતાં.

રૂમમાં પ્રવેશવા જતો અખિલ બારણે જ અટકી ગયો.

પછીની ઘટનાઓ ખૂબ ઝડપથી બની ગઈ. મેડિકલ ગ્રાઉન્ડ પર ગૌતમભાઈને અને એમની સારસંભાળ અર્થે અખિલને વીઝા મળી ગયા. અખિલે સંજોગ સાથે સમાધાન કરી લીધું. પિતૃઋણ ચૂકવતો હોય એમ માસ્ટર્સ ડીગ્રી લેવાનું માંડી વાળીને સોનાલી સાથે લગ્ન કરી લીધા.

બંનેએ કાકુભાઈનો બિઝનેસ સંભાળી લીધો.

કાકુભાઈના અંતિમ દિવસો સખત પીડાજનક હતા. છતાં, ડૉક્ટરોએ આંકેલી આયુષ્યરેખાની અવધિ પૂરી થાય એ પહેલાં ગૌતમભાઈના ખોળામાં છેલ્લો શ્વાસ છોડ્યો ત્યારે એમના ચહેરા પર નિતાંત શાંતિ, સંતોષ હતાં.

‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ

ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ’

અખિલ અને સોનાલીએ કાકુભાઈની અંતિમવિધી આટોપી. થોડા સમય પછી ગૌતમભાઈએ પણ ચિરવિદાય લીધી.

આમ તો અખિલ માટે સોનાલી સાથેનો સંબંધ સમાધાન ખાતર સ્વીકારેલો સંબંધ હતો, પણ સરળ, સ્નેહાળ પ્રકૃતિની સોનાલી ગમવા માંડી.

ક્યારેક એને સુરભી તીવ્રપણે યાદ આવતી. સોનાલીમાં સુરભી શોધવા મથતો પછી સમજાયું કે, સુરભી વાસંતી વાયરો હતી. સોનાલીમાં પહેલાં વરસાદની ભીની માટી જેવી મહેક હતી જે ધીરેધીરે એના મનને તરબતર કરતી ગઈ.

******

“સુરભી, હું અહીં જે રીતે તને છોડીને ગયો હતો એનો ગિલ્ટ મને ખૂબ અજંપ રાખતો. તારો અપરાધ કર્યો હોય એવું સતત અનુભવતો. પપ્પાની તબિયત અને કાકુકાકાની અંતિમ ઇચ્છાને લીધે જ અમેરિકા જવાનો નિર્ણય કર્યો બાકી તકલીફો સામે સંઘર્ષ કરી લેવાની તાકાત હતી મારામાં.

“કાકુકાકાએ અમારો કપરો સમય સાચવી લીધો ત્યારે એમના પર માન થયું, પણ એથી કરીને અમેરિકા જવાનો નિર્ણય ન લેત. એમણે એમના અંતિમ સમયે પપ્પાનો સાથ, હૂંફ માંગી ત્યારે મને મારી જવાબદારી સમજાઈ. જે આત્મકેન્દ્રિ બનાવે તો એ પ્રેમ નહીં મોહ કહેવાય. એક બાજુ તું હતી, બીજી બાજુ પપ્પા અને કાકુકાકા હતા.

“જે વ્યક્તિએ પપ્પા માટે આટલું કર્યું હોય ત્યારે એમના માટે મારે જે કરવું જોઈએ એ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં સોનાલી માટે માત્ર અનુકંપા હતી. પપ્પા આઈ.સી.યુ.માં હતા ત્યારે એકલા પડી જવાના વિચારથી હું ભયભીત થઈ જતો એટલે પપ્પાને ગુમાવી દેવાની એની પીડા કેવી હશે એ સમજાતું.

“તને ભૂલીને સોનાલીને અપનાવી શકીશ કે કેમ એ વિચારોમાં રાતોની રાતો જાગ્યો છું, પણ અંતે સોનાલીના સ્વભાવને લીધે એની સાથે રહેવાનું સરળ બન્યું. સોનાલીને અમેરિકાની હવા જરાય સ્પર્શી નહોતી. મારાં પપ્પાની પણ એણે ખૂબ કાળજી લીધી છે. આ જમાનામાં કાકુકાકા કે સોનાલી જેવી વ્યક્તિઓ જીવનમાં આવી એ મારું સદ્ નસીબ.

“જે કોઈ મારી નજીક આવ્યું છે એ થોડા સમયમાં અઢળક આપીને ગયું છે. પપ્પા પછી કાકુકાકા અને છેલ્લે સોનાલી…..

“આજે ગાડીનો એ જીવલેણ અકસ્માત યાદ આવે છે તો ભયથી કાંપી જઉં છું. સોનાલી તો ગાડીમાં જ…..

“પાંચ મહિનાની પ્રેગનન્સી હતી. ચેકઅપ માટે જતી હતી. રોંગ સાઇડથી સ્પીડમાં આવેલી કાર ઠોકાઈ, કારની સીટ અને સ્ટિયરિંગ વ્હીલ વચ્ચે ફસાયેલી સોનાલીને કારમાંથી બહાર કાઢવી…..

“સોનાલી અને પેટમાં આકાર લેવા માંડેલું બચ્ચું…બંને ગુમાવી બેઠો.

“તું પૂછતી હતી ને કે, કેમ આટલો અતડો, કેમ સૌથી દૂરદૂર રહું છું? હવે કોઈની નજીક જઈને કે કોઈને નજીક આવવા દઈને એમને ગુમાવી દેવા નથી. તું દૂર છું, સલામત છું એ મોટું આશ્વાસન છે. અહીંનું કામ આટોપીને બને એટલો જલદી ચાલ્યો જઈશ. જય આ બધું જાણે છે. કોઈનેય આ વાત નહીં કરે એવી એની પાસે ખાતરી માંગી હતી.”

****

“બોલી લીધું? હવે મારો વારો.” સુરભીએ હસીને આંગળી ઊંચી કરી. અખિલના મન પરનો બોજો ઉતરી ગયો હતો.

“અખિલ, તારી વાત સાંભળી લીધી. સમજાય છે કેવા કપરા સંજોગોમાં તારે નિર્ણય લેવો પડ્યો હશે, પણ એકવાર…….એકવાર મને મળ્યો હોત તો તું મન પર કોઈ જાતના ભાર વગર જઈ શક્યો હોત. આપણો પ્રેમ ફટકિયા મોતી જેવો નહોતો, જે જરા અમસ્તો ઘા પણ ન ઝીલી શકે કે સમય જતાં તૂટી જાય. આપણો પ્રેમ તો જીવનભર સાથ નિભાવે એવાં સાચાં મોતી જેવો. જ્યાં જાય ત્યાં ઝળકી ઊઠે.

“એક વાત કહું? જીવનમાં સુખદુઃખની આવનજાવન રહેવાની. તું જે રીતે ચાલ્યો ગયો ત્યારે હું સાવ હતાશ થઈ ગઈ હતી. ભાંગી પડી હતી. જયે મને સાચવી લીધી. જય ન હોત તો કદાચ…..

“પણ જવા દે, આજે એ વાતો નથી કરવી. પીડાનાં પોટલાં છાતીએ ન બાંધી રખાય.

“યાદ છે, ટ્રેનની સફરમાં વચ્ચે નદી આવે ત્યારે એનાં વહેતાં પાણીમાં આપણે પૈસા નાખતાં? એમ જીવનસફરમાં સમયનાં વહેણમાં આપણી વ્યથાઓ વહાવતાં જવાનું હોય.

“તારાં સંજોગોની જાણ થઈ પછી જયે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અધૂરા પ્રેમની વ્યથામાં જીવવવાનાં બદલે જય મળ્યો એને સદ્ નસીબ માન્યું.

“જય તારી વાત જાણતો હતો અને કોઈનેય તારી વાત નહીં કરે એવી તેં એની પાસે ખાતરી માંગી હતી એમ મારી હતાશામાંથી મને જયે જે રીતે બહાર આણી એ તને નહીં કહેવાની મેં ખાતરી માંગી હતી. જોકે, જય માટે હું કોઈ નહોતી રહી. તારાં માટેની ગેરસમજ દૂર થાય એટલા માટે મને તારી બધી વાત કરી હતી.

“અખિલ. તારો જન્મ ૨૯ ફેબ્રુઆરીનો. દર ચાર વર્ષે તારો જન્મદિન પપ્પા કેટલી સરસ રીતે ઉજવતા!? પણ, દર વર્ષે જન્મદિન ન ઉજવી શકવાની અકળામણમાં તું એય માણી શકતો નહોતો.

“તને જે નથી મળ્યું એ યાદ રાખવાના બદલે જે મળ્યું એમાંથી મનનું સમાધાન શોધીને સંતોષ અને અનંદ માણતા શીખ. માત્ર શું ગુમાવ્યું એ યાદ રાખવાના બદલે શું મળ્યું એ યાદ રાખ્યું હોત તો તું આટલો ઉદાસ ન હોત. તેં કહ્યું ને કે, કાકુકાકા કે સોનાલી જેવી વ્યક્તિઓ તારાં જીવનમાં આવી એ તારું સદ્ નસીબ. તો કાકુકાએ તારાં પપ્પા માટે જે કર્યું, સોનાલીએ તને નિસ્વાર્થ પ્રેમ કર્યો એ યાદ રાખીને જીવી જો. જીવ્યું સાર્થક થશે.

“અને હા, ચાર વર્ષે ૨૯મી ફેબ્રુઆરી આવે ત્યારે પપ્પાને યાદ કરીને તારો જન્મદિન મનાવવાનું ન ભૂલતો.

“આજે મળ્યાં, કાલે મળીશું કે નહીં એની ખાતરી નથી. હંમેશાં ખુશ રહીશ તો અમને ગમશે. ચાલ આવજે.”

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક

October 20, 2023 at 2:46 pm

Older Posts


Blog Stats

  • 150,446 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!