Archive for April, 2024
પત્રાવળી ૪૩, નીલમ દોશી-ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી.
વહાલા મિત્રો,
સીધા સાદા ડાકિયા, જાદુ કરે મહાન,
એક હી થેલે મેં ભરે આંસુ ઔર મુસ્કાન.
જોકે ડાકિયાનું સ્થાન હવે ઇ- મેઇલે લીધું છે. પણ પરિવર્તન એ તો સંસારનો ક્રમ.પત્ર લખાય, મોકલાય, પહોંચે,વંચાય અને વળતો જવાબ આવે..ત્યારે એક આખું સર્કલ પૂરું થાય.
આજે દેવિકાબહેને તેમની આ મજાની પત્રાવલિમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું ત્યારે તુરત હા પાડવાનાં બે કારણો..
એક તો પત્રલેખન એ મારું મનગમતું પ્રિય સાહિત્ય સ્વરૂપ..અને બીજું એમાં સામેલ બધા મિત્રો સાવ પોતીકા..જુગલકાકા આદરણીય વડીલ.. પ્રીતિબહેન, રાજુલબહેન અને દેવિકાબહેન તો લીલાંછમ્મ મિત્રો. કમાલ તો જુઓ..આમાંથી રાજુલબહેન એક એવા છે જેમને કદી રૂબરૂ મળી નથી. છતાં એ બિલકુલ અજાણ્યાં નથી. સાવ પોતીકા સ્વજન..દેવિકાબહેનના શબ્દોમાં કહું તો શબ્દોને પાલવડે અમે અનેક વાર મળ્યા છીએ..કેટકેટલી ગૂફતગૂ..કરી છે. ભીતરના પટારાને એકમેક સામે ખોલ્યો છે કે અનાયાસે ખૂલી ગયો છે !
અહીં તો આ પત્રોમાં શબ્દોને વિવિધ રીતે પામવાનો કેવો મજાનો ઉપક્રમ સર્જાયો છે !
ભર્તૃહરીએ ત્રણ જ્યોતિ અને ત્રણ પ્રકાશની વાત કરી છે.
અગ્નિજયોતિથી લાધતો પ્રકાશ, ચિત્તજયોતિથી લાધતો પ્રકાશ અને શબ્દજયોતિથી લાધતો પ્રકાશ..
શબ્દજયોતિને એમણે પ્રકાશનેય પ્રકાશિત કરનારો કહેલો છે.
પોતીકા શબ્દોનું અજવાળુ લઈને અહીં મળેલા સર્વ મિત્રસર્જકોને સાદર પ્રણામ.
શબ્દ તો કમલદળ સમ, હળવે હાથે લખજો,
લખી આંગળી થાકે, ત્યારે મધુર વાણી ઉચ્ચરજો.
શબ્દ તો છે અંતરનો નાદ, અખિલાઈ સંગ નાતો એનો,શબ્દ છે ઈબાદત, શબ્દ છે પ્રાર્થના,શબ્દે શબ્દે ઉઘડે ઉજાસ શબ્દો છે અમારા સાવ નોખા, શબ્દો જ અમારા કંકુ ને ચોખા. (શ્રી મનોજ ખંડેરિયા)
સાહિત્યની ડાળીએ નવી નવી શબ્દ-કૂંપળો ફૂટતી રહી છે. એમનું સન્માન કરીને સીંચવાની, એને પોંખવાની,પોષવાની જવાબદારી સમાજની છે.
સાહિત્ય એ સાંપ્રત સમાજનો આયનો છે. જેમાં સાંપ્રત સમાજનો પડઘો આપોઆપ ઝિલાતો રહે છે, ઝિલાતો રહેવો જોઈએ. સમાજમાં બનતી સારી, નરસી ઘટનાઓનું પ્રતિબિંબ આપણા શબ્દોમાં પડવું જોઈએ. સમાજની બદીઓ સામે લાલબત્તી ધરવી અને સારી વાતને ઉજાગર કરવી એ સાચા સાહિત્યકારની જવાબદારી છે, એનો ધર્મ છે. એ જવાબદારી આપણે સૌએ નિભાવવી રહી. એ ધર્મ આપણે પાળવો રહ્યો. આપણા દ્વારા લખાતો દરેક શબ્દ એ આપણી જવાબદારી છે.
કોઈ ના વાંચી શકે, ના પામી શકે,
માનવી તો વણઉકેલ્યો વેદ છે.
આ વણ ઉકેલ્યા વેદને શબ્દની ચાવીથી ઉઘાડી શકાય છે. આપણા શબ્દમાં એ તાકાત હોવી જોઈએ.
સ્કૂલમાં ભણતા હતા ત્યારે ઘણી વાર નિબંધ લખવાનો આવતો કે કલમ ચડે કે તલવાર..?
આપણે ઇતિહાસમાં ઘણી જગ્યાએ વાંચ્યું છે કે માથું કપાઈ ગયા બાદ રણમેદાનમાં થોડી વાર એકલું ધડ ઝઝૂમી રહ્યું. ભાટ, ચારણોના બુલંદ અવાજે માથા વિનાના ધડમાંયે ઘડીભર ચેતન પ્રગટતું. કેવી હશે એ શબ્દોની તાકાત? કેવી હશે એ વાણી ? આપણે તો એની કલ્પના જ કરવી રહી.
શબ્દ માણસને કયાંથી કયાં લઈ જઈ શકે છે એનો મને પોતાને અનુભવ છે. સાત સાગર પાર જયારે હું પહેલી વાર આવી હતી ત્યારે મને કોણ ઓળખતું હતું ? કોઈ જ નહીં. હું ફકત થોડા શબ્દો લઈને ગઇ હતી..અને એ શબ્દોએ વિદેશમાં પણ કેટકેટલા મિત્રો મેળવી આપ્યા. કેવા મજાના સંબંધો આપ્યા…
શબ્દો મારી પણ શકે અને તારી પણ શકે. બાળી કે ઠારી પણ શકે. બેધારી તલવાર જેવા શબ્દોનો સમુચિત ઉપયોગ એની સાચી તાકાત.
આ સુંદર યાત્રામાં સહભાગી થયાના આનંદ સાથે, સૌ મિત્રોના સ્નેહ સ્મરણને ભીતરની દાબડીમાં સંગોપીને અહીં જ વિરમું..મળતા રહીશું..શબ્દોને સથવારે, શબ્દોને પાલવડે.
નીલમ દોશી
nilamdoshi@gmail.com
Recent Comments