૧૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ
સદાબહાર એટલે હંમેશા પ્રફુલ્લ રહેતું, સદા ખીલી રહેતું…
આમ જોવા જઈએ તો આ વાત ફૂલો માટે થતી હોય એમ જ વિચારીએ પરંતુ આપણે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ છીએ સદાબહાર સૂરની એટલે કે અવિનાશ વ્યાસની અવિસ્મરણીય રચનાઓની જે સાંભળતા આપણે ખુદ પ્રફુલ્લિત થઈ ઉઠીએ છીએ.
કેટલીક વ્યક્તિઓ માટે સમય જતાં લૅજન્ડ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ લોકો લૅજન્ડરી અર્થાત કેવળ દંતકથામાં આવતા પાત્રો તરીકે ચિરસ્થાયી બની જાય પરંતુ અવિનાશ વ્યાસ માટે, એમની રચનાઓ માટે સદાબહાર શબ્દ આજે અને ભવિષ્યમાં પણ અંકિત થઈને રહેશે.
આ એક જ શબ્દકાર, સ્વરકાર અને ગીતકારે અઢળક ગીતો ગુજરાતીઓને, ગુજરાતી ભાષાને આપ્યા છે અને એટલા માટે જ એમના માટે એવું કહેવાય કે તેમણે એક ગીતનગર ઊભું કર્યું છે તો જરાય અતિશયોક્તિ નહીં લાગે. એમ લાગે કે જાણે આ કલા તેમનામાં જન્મજાત હશે..
ગયા વખતે આપણે એમણે રચેલા હુ તૂ તૂ તૂ ગીતની વાત કરી હતી. સાવ અચાનક રમતાં રમતાં થઈ ગયેલી એ રચના પાછળ એમના કૌશલ્યનો પાયો તો સાવ નાનપણમાં જ મંડાયો હશે એની આજે વાત કરવી છે.
આ વાત તો આપણે એમને ઓળખતા થયા એ પહેલાંની છે.
તેઓ નાનાં હતાં અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા તેઓ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ‘પ્રોપ્રાયટરી’ હાઈસ્કૂલમાં ભણતાં હતાં જે અત્યારે ‘દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ’ તરીકે ઓળખાય છે. તેઓ ભણતા હતા ત્યારે એક દિવસ વર્ગમાં ભાષાનો પિરિયડ હતો. તેમના ભાષાના શિક્ષકે વર્ગમાંના બધાં વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કામ સોંપ્યું હતું. તે પિરિયડ પૂરો થતાં શિક્ષકે બધાં વિદ્યાર્થીઓની નોટબુકો એકઠી કરી લીધી. શિક્ષકે તે બધી નોટોમાં લખેલો નિબંધ વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એક વિદ્યાર્થીની નોટબુકમાં તેમને નિબંધની જગ્યાએ એક ગીત વાંચવામાં આવ્યું. ગીત બહુ જ સુંદર હતું. વર્ગ શિક્ષકે તે સમયના શાળાના સંચાલક શ્રી દિવાન સાહેબને વર્ગમાં બોલાવ્યા. તેમણે દિવાન સાહેબને તે ગીત વાંચવા માટે નોટ આપી. દિવાન સાહેબે તે ગીત વાંચ્યું. તેઓ તો એટલા બધા ખુશ થઈ ગયા કે તેમણે તેની પીઠ થાબડીને શાબાશી આપી. ત્યારબાદ અચાનક જ બોલી ઊઠ્યા : ‘અલ્યા છોકરા ! તું તો ગુજરાતનો રવીન્દ્રનાથ થવાનો છે કે શું ?’ પરંતુ આ નાનકડા નાગર છોકરાએ જવાબ આપ્યો : ‘ના જી સાહેબ, હું તો ગુજરાતનો અવિનાશ વ્યાસ થવાનો છું !’ – આવો હતો એમનો આત્મવિશ્વાસ અને એક ગુજરાતી તરીકેનું સ્વાભિમાન . આજે વર્ષો પછી પણ તેમના શબ્દો સાચા પડ્યા છે અને તેમના ગીતો અને ગરબા લોકહૃદયમાં ગૂંજી રહ્યા છે.
સાવ નાની ઉંમરે આવી આંતરિકસ્ફુરણા થવી એ જ દર્શાવે છે કે આગળ જતાં આ છોકરો કેવું કાઠું કાઢશે……
નાનપણથી જ તેમને મળેલા આ વરસા માટે ખાતરીપૂર્વક એમ કહી શકાય કે એ વારસો માતા મણીબેન તરફથી મળ્યો હશે કારણકે મણીબેનમાં પણ સંગીત અને સાહિત્યના સંસ્કાર હતા. તેઓ પણ તે સમયમાં ગરબા લખતાં હતાં.
યુવાન અવિનાશ વ્યાસની કારકીર્દિની શરૂઆત મિલની નોકરીથી થઈ. એક દિવસ મિલના સમારંભમાં તેમને મિલમજૂરની ભૂમિકા ભજવવાની હતી તેમાં એમણે એક ગીત ઉપાડ્યું : ‘કોઈ કહેશો ચાંદલિયો શાને થયો…?’ અને શ્રોતાઓએ તે ગીતને ખૂબ જ હર્ષભેર વધાવી લીધું.
અને પછી એમના જીવનનો જાણે પ્રવાહ જ બદલાઈ ગયો. તેમણે મિલની નોકરી છોડી દીધી અને નસીબ અજમાવવા માટે મુંબઈ ગયા. મુંબઈના આકાશવાણી જ નહીં ભારતભરના સંગીતના ચાહકોએ તેમના મધુર કંઠ અને અર્થપૂર્ણ સ્વરરચનાને આવકારી લીધી અને પછી તો જે સર્જાયો એને ઈતિહાસ જ કહી શકાય ને?
મઝાની વાત તો એ છે કે રેડીયો પરથી પ્રસારિત થતા ગીતોથી માંડીને આજના ડિજિટલ યુગમાં પણ અવિનાશ વ્યાસના ગીતો અણનમ છે.
હવે આગળ વાત કરીશું એવા જ નોખી-અનોખી વિવિધ રચનાઓની.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments