Archive for June 22, 2024
અંતરનો ઉજાસ-૩,/-આત્મબળ-કેનેડામાં નંબર ૧-ગુજરાત ન્યૂઝલાઈનમાં પ્રસિદ્ધ લેખ.
અંતરનો ઉજાસ-૩,/-આત્મબળ-
“જો તમે જીવવાનો વિચાર ન છોડો તો હાર પણ તમારી નજીક ફરકતા વિચારશે.”
આ શબ્દો છે મોતના દરવાજેથી પોતાના આત્મબળે પાછી આવનાર નિધિ ચાફેકરના.
નિધિ ચાફેકર…નામ જાણીતું લાગે છે ? કદાચ એ નામ પરિચિત ના પણ લાગે, પણ ૨૦૧૬ની ૨૨મી માર્ચે બ્રસેલ્સના ઝેવેન્ટેમ એરપોર્ટ પરના આતંકી હુમલાથી તો આપણે માહિત છીએ જ. એ સમયે થયેલા આતંકી હુમલામાં ૩૨ વ્યક્તિઓએ જાન ગુમાવી અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા. નિધિ ચાફેકર બ્રસેલ્સથી ઇન્ડીયા પરત થતી જેટ ઍરવેઝની ઇનફ્લાઇટ મેનેજર હતી.
એક બોમ્બ બ્લાસ્ટથી ચોતરફ વેરાયેલા વિનાશ અને ઍરપોર્ટના ભેંકાર ખંડિયેર વચ્ચે બીજા એક વધુ બોમ્બ બ્લાસ્ટના લીધે ફૂટબોલની જેમ ફંગોળાયેલી નિધિનું શરીર ધડાકાના લીધે દાઝીને કાળું પડી ગયું હતું. શરીર ઊભા થવા સાથ નહોતું આપતું એવી નિધિના શરીરમાં લોખંડના ૪૭ જેટલા ટુકડા તો પ્રથમ સર્જરી સમયે જ કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજી બારેક સર્જરીમાં લોખંડની ઝીણી ઝીણી અસંખ્ય કરચો કાઢવામાં આવી અને પચ્ચીસ ટકાથી પણ વધુ જેટલા બળી ગયેલા શરીર પર સ્કિન ગ્રાફ્ટિંગ સર્જરી પણ થઈ. કાનમાં બોમ્બના ટુકડા ઘૂસી ગયા હોવાથી કાનનો પડદો ફાટી ગયો હોય જ્યારે ભાનમાં આવે ત્યારે યાદદાસ્ત પણ સાથ ન આપતી હોય અને સર્જરી દરમ્યાન અનેકવાર થયેલા ઇન્ફેક્શનના લીધે કદાચ સૌએ એના જીવવાની આશા છોડી દીધી હોય એવા સંજોગોમાં પણ ડૉક્ટરોના પ્રયાસો અને અર્ધ ચેતનાવસ્થામાં પણ સતત હકારાત્મક અભિગમ અને લડી લેવાના દૃઢ મનોબળથી નિધિએ મોતના આ જંગ સામે વિજય પ્રાપ્ત કર્યો. આ વાત સાંભળવામાં આવી ત્યાં સુધી એની એક આંખમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો નહોતો.
જ્યારે સંપૂર્ણ સાનભાન મેળવ્યા ત્યારે નિધિ આપમેળે ચાલી પણ શકતી નહોતી. ગગનમાં ઊંચી ઊડાન ભરનાર નિધિ વૉકરના સહારે આવી ગઈ હતી. એ પોતાના અનુભવને આધારે કહે છે કે,
‘આપણને ઊભા કરવા માટે દવાઓ માત્ર ૨૦ ટકા અને ૮૦ ટકા આત્મબળ – વ્યક્તિનો પોતાનો હકારાત્મક અભિગમ જરૂરી છે. જીવવાની જિજીવિષામાંથી જીતવાની જિજીવિષા ઉત્પન્ન થાય છે.
એ નિધિ આજે એક વાત કહે છે કે “ there is no gain without pain”. નિધિ કહે છે કે આ વિશ્વમાં હું એકલી જ નથી જેને ઈશ્વરના આ આશીર્વાદ મળ્યા હોય. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને ધૈર્ય, શૌર્ય અને શક્તિના ઈશ્વરદત્ત આશીર્વાદ મળેલા જ હોય છે. જરૂર છે માત્ર એને પારખવાની. સમસ્યાઓ આવે છે આપણને તોડી નાખવા નહીં પણ જોડી રાખવા. આપણને આપણી જાતની ઓળખ આપવા, આપણી જ શક્તિઓથી જાત જોડે જોડી રાખવા.
જ્યારે મુશ્કેલીઓ આપણને તોડવા કટીબદ્ધ થાય છે ત્યારે આપણે એની સામે લડવા કેટલા કટીબદ્ધ છીએ એના પર આપણી જીત નિર્ભર છે.
જ્યારે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની વાત આવે છે ત્યારે જો એમ વિચારીએ કે હવે શું થશે એના બદલે એમ વિચારીએ કે શું નહીં થઈ શકે, બધું જ શક્ય છે. મનમાં જો સંભવત શક્યતાઓને પ્રાધાન્ય આપવા માંડીએ તો આખું બ્રહ્માંડ આપણી પડખે આવીને ઊભું રહેશે. સતત પોતાની જાતને એક વિશ્વાસ-એક ખાતરી આપતા રહો કે આજે જે પરિસ્થિતિ છે એ કાલે રહેવાની નથી. પગ નીચે દરિયાનું મોજું આવ્યું છે એ માત્ર પગ ભીના કરીને પાછું વળી જવાનું છે. જરૂર છે એ સમયે પગ નીચેથી સરકતા પાણીની સાથે વહી જવાના બદલે સ્થિરતાથી જાતને જમીન સાથે જકડી રાખવાની.
જીવનમાં જેટલો જરૂરી છે પ્રેમ, વિશ્વાસ, સંબંધોની સાર્થકતા એનાથી વધુ જરૂરી છે આત્મબળ.
રાજુલ કૌશિક –
Recent Comments