પત્રાવળી-૫૦, ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી
June 17, 2024 at 4:00 pm Leave a comment
રવિવારની સવાર…
સૌ પંગતમિત્રો !
પાંગત અને પંગત શબ્દો જાણીતા છે. પાંગત તો ખાટલામાં કાથી કે પાટી ભર્યા પછી પગ જે બાજુ રહેવાના છે ત્યાંનું ભરત જુદું પડે તે ખાટલાનો છેવાડાનો ભાગ….ને ખાટલાનું ‘વાણ’ ઢીલું પડે પછી એ ભરતની દોરી ખેંચે તેને ‘પાંગત તાણી’ એમ કહે છે. (ગમે તેવી પાટી હોય કે કાથી, પણ સમયસમયે એની પાંગત તાણવી પડતી હોય છે. આ જ વાત જીવનમાં પણ બનતી રહે છે. અવારનવાર રોજિંદાં કાર્યોની ઢીલ તપાસીને એને ખેંચવી પડતી હોય છે.)
પંગત શબ્દ જમવા માટે બેઠેલાંઓની હારને કહે છે. પંગતના બીજાય અર્થો છે. પણ આપણે બધાં તો પત્રાવળીએ બેઠાં છયેં તેથી આપણી પંગત તો પીરસવા ને જમવા સાથે જ જોડેલી રહે.
આ પત્રનું સંબોધન તો મારે “પ્રિય પિરસણિયાજીઓ !” એમ કરવું હતું પણ પછી થયું કે આપણે પીરસીનેય જમનારાં પણ છીએ જ. બલકે સામાન્ય રિવાજે તો પીરસનારાંનો વારો જમવામાં છેલ્લો હોય જ્યારે આપણે તો સૌ પહેલાં આપણા પત્રો એકબીજાંને જમાડીને પછી જ બહાર પીરસીએ છીએ – શબરીની જેમ – એટલે પછી ‘પંગતી મિત્રો’ કહીને સંતોષ રાખ્યો.
આપણી સાંભરણમાં સૌથી જૂનો ને જાણીતો પત્ર કયો ? મારી સાંભરણમાં તો રુકમણિએ કૃષ્ણને લખેલો તે જ કે બીજો કોઈ હશે ? મધ્યકાળમાં કોઈ રાજાને કોઈ બહેને પત્ર લખીને રક્ષા માગ્યાની વાત પણ વાંચી છે. એ જમાનામાં ટપાલી નહીં, કાસદ હતા. પણ કબૂતરોનેય ટપાલી બનાવીને કામ ચલાવી લીધાંની નોંધો મળે છે. કબૂતરો કને જાસૂસી કરાવ્યાની વાતોય મળે છે તો ‘ગુંજ ઊઠી શહેનાઈ’માં “ખત ક્યા, ખબર હૈ ખબર” કહીને પત્રો વાંચી લઈને લડાવ્યા કરનારો ટપાલી જોવા મળે છે.
એક સંસ્કૃત મહાકાવ્યમાં ઉલ્લેખ આવે છે તે મુજબ એક રાજા પોતાનો સંદેશો એક પ્રેમી યુવાન સાથે મોકલે છે જેમાં એ રાજાને લખે છે કે આ પત્ર લાવનારને ‘વિષ’ આપજો ! પત્ર લઈ જનાર રસ્તામાં એ પત્ર વાંચે છે…..પત્ર મેળવનાર રાજાની પુત્રીનું નામ વિષયા હોય છે, જેની સાથે આ સંદેશ લઈ જનારને પ્રેમ હોય છે ! પરિણામે તે યુવાન પત્રમાં સુધારો કરીને ‘વિષ’નુ ‘વિષયા’ કરી દે છે !! ને એમ મોતને બદલે પ્રેમિકા પામે છે !
પત્રોનું તો ભૈ એવું !
આપણા જાણીતા ને માનીતા લેખક ધૂમકેતુને તો મરિયમના પત્રની રાહ જોતા પિતા અલીડોસાની વાર્તા ‘પોસ્ટઑફિસે’ પ્રસિદ્ધ બનાવી દીધા.
આપણે સૌએ આ આટલા દિવસો–મહિનાઓમાં કેટકેટલા પ્રદેશો ખૂંદ્યા ?! એક પછી એક પત્રો મૂકતાં ગયાં ને અનેક વિષયોને વહેંચતાં રહ્યાં. આપણા પીરસેલાં ભાણાંમાં વાનગીનું વૈવિધ્ય તો વધતું જ રહ્યું પણ પંગતે બેસનારાંઓની સંખ્યાય વધતી ગઈ. ચાખનારાં–જમનારાંઓમાંનાં કેટલાકોએ તો વાનગીઓને વખાણીય ખરી. (ખીચડી દાઢે વળગીના સમાચાર આપણામાંથી કોઈને મળ્યા હોય તો કહેજો પાછા !)
જાનેવારીની પહેલી તારીખે પહેલો પત્ર આપણે મૂક્યો હતો. વચ્ચે આપણી વચ્ચે વાત હતી કે પત્રાવળીના ભોજને મહાભોજ બનાવવા એમાં ૫૬ ભોગ ધરાવીને પૂરું કરીશું. એ ગણતરીએ આપણે, જાનેવારી આવું આવું હશે ને આપણો આ ભોજસમારંભ પૂરો થવામાં હશે. એટલે આજ સુધી તો આપણે સૌ એકબીજાં લખનારાંને સંબોધીને લખતાં હતાં તે આજે આપણા ભોજકોનેય સંબોધીએ કે આપ સૌ પણ આ સમેટાવા જઈ રહેલા ભોજનવ્યવહારના યજમાનોને જમ્યાંના ઓડકારરૂપે આશીર્વાદી ટિપ્પણીઓથી ખુશ કરજો !
પત્રો તો ઊડતાં, વહેતાં, ફરફરતાં, મર્મરતાં પર્ણો (પાન, પત્ર) છે ! કેવી મજાની અર્થચ્છાયાઓ આ પત્ર શબ્દને મળી છે ! આપણે એને આજ સુધી મોટે ભાગે ભોજનથાળરૂપે ગણાવી છે. ભોજન સૌને વહાલું હોય તે ખરું પણ સાહિત્યજગતમાં તો વૃક્ષ એનાં પર્ણો થકી સર્વજનસુખાય બની રહ્યું છે. “વૃક્ષને તો પત્રં, પુષ્પં, ફલં તોયમ્” સર્વ રીતે સમૃદ્ધિનું સાધન–માધ્યમ ગણીને એનો મહિમા કરાયો છે.
આપણા આ પત્રો એ કક્ષાને પ્રાપ્ત થાય તો કેવી ભાગ્યશાળી બની રહે આપણી આ પત્રશ્રેણી !!
આશા રાખીએ કે આ પત્રો કોઈ નવી દિશામાં નવી કેડી કંડારીને આપણા આ પ્રયત્નને વધાવે.
અમદાવાદથી સ્નેહસ્મરણ.
જુગલકિશોર.
Email: jjugalkishor@gmail.com
Entry filed under: પત્રાવળી, પત્રોત્સવ, પત્રોત્સવ, પત્રોત્સવ, Rajul.
Trackback this post | Subscribe to the comments via RSS Feed