પત્રાવળી- ૧૮,ન્યૂઝ ઓફ ગાંધીનગર -જન ફરિયાદમાં પ્રસિદ્ધ -‘પત્રોત્સવ’ શ્રેણી
. પત્રાવળી- ૧૮-
( વાચક-મિત્રો )
પ્રજ્ઞા જુ.વ્યાસ, ડો. ઈન્દુબહેન શાહ,પ્રવીણા કડકિયા
સાહિત્ય જગતના આદરણીય અને https://niravrave.wordpress.com પર પ્રકાશ પાથરતાં શ્રીમતી પ્રજ્ઞાબહેન વ્યાસ લખે છેઃ
મિત્રો, ડાયરીનો સરસ તરજુમો ‘સ્મરણમંજૂષા’ અને ‘વાસરિકા’ કાકાસાહેબ કાલેલકરે કર્યો હતો, એમાં પણ શૈલી અને વાચનક્ષમતા હોવાં અનિવાર્ય છે. ‘કલાપીના પત્રો’ કે કાકાસાહેબના લલિત નિબંધોમાં વાસરિકાનાં ઘણાં લક્ષણો જોવા મળે છે..
મહાદેવભાઈ અને ‘કેપ્ટન જેમ્સ મેકમર્ડોની ડાયરી તો દસ્તાવેજ મનાય છે.
આપણને રોજનાં ઘણા વિચારો આવતા હોય છે. એમ થાય કે આ અત્યારે નહિ પછી ક્યારેક નોંધી લેશું. પણ એ દિવસ આવતો નથી, તેને પત્ર દ્વારા ડૉ. છત્રારાની જેમ વિચારોનાં ઝરણાંમાં વહેતાં કરીએ કે પત્રયાત્રા કરાવીએ. આપણા બ્લોગર મા. નીલમ દોશીએ સ-રસ પત્ર યાત્રા કરાવી છે. તેઓ કહે છે – “પત્રોનું આ જ તો મહત્વ છે. એક વાર લખાયેલા શબ્દો તમને અનેકવાર ખુશી આપી શકે..તમે એમાં એકવાર નહીં અનેકવાર ભીંજાઈ શકો..’
એક બીજી વાત. અમારા પ્રેમાળ આદિવાસીઓની આદિભાષાની મઝા માણીએ. છોકરો તેનાં પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો, પછી “પિયાણ” નક્કી કરવામાં આવે છે. અમારો આ પિયાણ સગાઈ કરતા પ્રેમાળ લાગે તેવા પોહોતિયો વાલના છોડોને પાપડી બેસે તે ઉત્સવની અનુભૂતિ કરાવે અને “ઉબાડિયાં” બોલતા જ સ્વાદ-સુગંધની લહેજત આવે છે. છાગ પાડવી તે સર્વશક્તિમાનનો ભાગ આપવો પછી તાડીની પણ જે પ્રેમથી છાગ પાડે તે અભિવ્યક્તી બીજા શબ્દથી ન આવે અને છાપતિલક કરવાની વાત આદિકાળથી આવે. ત્યારબાદ અમીર ખુશરોની રચના-‘ છાપતિલક સબ છીની રે મોં સે નૈનાં મિલાકે ’આમાં છાપ એ મુસ્લિમના કપાળની છાપ અને હિન્દુઓના તિલક તરીકે શબ્દ પ્રયોજાયો.
પ્રજ્ઞા જુ.વ્યાસ
****************************************
‘ શબ્દસુધા’ અને ‘શબ્દ સથવારે’ માં અનુભૂતિઓને વ્યક્ત કરતાં રહેતાં ડો. ઈન્દુબહેન શાહ લખે છેઃ
પત્રસાથીઓ, શબ્દ કહ્યાગરો તો ખરો જ, તેને શબદ કહો કે શબ્દ કહો, બોલ કહો કે વેણ કહો, કોઈ ફરિયાદ નહીં. આપ સહુ પત્રાવળીના સર્જકો કેવા સુંદર ભાતીગળ શબ્દોથી પત્રાવળીને સજાવી રહ્યા છો? હું રવિવારની રાહ જોતી હોઉ છું. શ્રી જુગલભાઈએ ‘વાસરિકા’ની પણ મઝાની વાત કરી.. મુરબ્બી વલીભાઈએ સુંદર પ્રાચીન તથા અર્વાચીન કવિઓના કાવ્યના ઉદાહરણ દ્વારા પદ્યમાં ભાવ વિષે વાત કરી, ગદ્યમાં જોઈએ તો એક જ શબ્દ જુદી જુદી જગાએ ફેરવીને મૂકવામાં આવે તો કેવા જુદા જુદા અર્થ કરે છે?
દા.ત. ‘પણ હું તને પ્રેમ કરું છું.’
હું તને પણ પ્રેમ કરું છું.
હું તને પ્રેમ પણ કરું છું.
હું તને પ્રેમ કરું છું પણ…
એક શબ્દ એક વાક્યમાં સ્થાન બદલીથી કેટલા ભાવનું સર્જન કરી શકે છે. શબ્દની તાકાત…
રાજુલબહેન, ૐ એકાક્ષરી શબ્દ કે અક્ષર? એકાક્ષરી લખવામાં પરંતુ બોલતી વખતે જણાય છે ઑ…મ અ ઉ અને મ ત્રણ અક્ષર એકાક્ષરીમાં સમાયેલ છે. ૐકાર મંત્ર, પ્રણવ અનાદિ છે. અને પૂજા કે યજ્ઞ વિધિના મંત્ર ૐથી જ શરૂ થાય છે, અને પૂર્ણાહુતીના મંત્ર પણ ૐથી જ શરૂ થાય છે… ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते। ૐના રટણમાં જાગૃત, સ્વપ્ન સુષુપ્ત ત્રણે સ્થિતિનું સુચન..ૐ કાર ૐ કાર મન ધ્યાન ધર ૐ કાર…
****************************************
‘મન માનસ અને માનવી’ નામના બ્લોગમાં લખતા રહેતાં પ્રવીણાબેન કડકિયા લખે છેઃ
ગુજરાતી ભાષાના પ્રેમીઓ, પત્રાવળીના પત્રો વાંચીને અને લેખનકળા પ્રત્યેના પ્રેમને લીધે ‘સરગમ’ શબ્દ વિશે કંઈક લખવા મન મોહ્યું.
‘સરગમ‘ શબ્દની મધુરતા તો જુઓ. જાણે તેના અંગઅંગમાંથી સંગીત ન સરતું હોય ! ખરેખર, ‘સરગમ‘ સંગીત દર્શાવતો શબ્દ છે. આ ચાર અક્ષરનો બનેલો શબ્દ તેમાં છુપાયેલા સાતેય અક્ષરનું પ્રતિબિંબ પાડે છે. તેના ઉચ્ચાર સાથે જાણે મુખમાંથી સંગીત ન સરતું હોય એવો ભાવ થાય છે. તેના પ્રયોજન દ્વારા આપણે સમજી જઈએ છીએ કે, આ કાવ્યમાં, વાર્તા યા નિબંધમાં સંગીતનું આલેખન હશે. ‘સરગમ‘ શબ્દ તેમાં છુપાયેલા ‘આરોહ અને અવરોહ‘ને આડકતરી રીતે પ્રદર્શિત કરવા શક્તિમાન બને છે. તે સમજવા તેનો અભ્યાસ જરૂરી છે, તેની સાધના આવશ્યક છે. સંગીતની સાથે જેને સીધો સંબંધ છે તેની પાવનતા પિછાણવી પડે છે. તે કલા છે. કલાની ઉપાસના એ ઈશ્વરની ઉપાસના સમાન છે. તેને કાજે ધીરજ, લગની અને ઉત્કંઠા સતત હોવા જોઈએ. સરગમના સાત સૂરોની સાધના, તેની રાગ રાગિણીની પહેચાન અને અભ્યાસ અણમોલ છે.
‘સરગમ‘ શબ્દને કોઈ ‘ઘરેણા‘ની પણ આવશ્યકતા જણાતી નથી. મતલબ સ્વર કે વ્યંજનની સીધી યા આડકતરી સહાયતાની જરૂર નથી. જેવા કે કાનો, માત્રા, હ્ર્સ્વ ઇ, દીર્ઘ ઈ, હ્ર્સ્વ ઉ કે દીર્ઘ ઊ. ન તો તેને જોડાક્ષર છે. અનુસ્વાર કે વિસર્ગની પણ આવશ્યકતા જણાતી નથી. ચારઅક્ષરનો આ શબ્દ કોઈના પણ ટેકા વગર સક્ષમ છે. સરળ કેટલો છે. સરગમ, શબ્દનો ઉચ્ચાર કરવામાં જીભને કસરત પણ કરવી પડતી નથી.
ગદ્ય અને પદ્ય બન્નેમાં વપરાતો શબ્દ ‘સરગમ‘ સરળ ઉચ્ચારણ અને સુમધુર ભાવવાહીથી ભરપૂર છે. જેના દ્વારા સર્જક સફળતાની ટોચે બિરાજી પોતાના અંતરને ઠાલવી વાચકોના દિલ જીતવામાં કામયાબ બને છે. તેમને રસમાં તરબોળ કરી ભાવની ગંગામા સ્નાન કરાવી પાવન કરે છે. કદાચ આ શબ્દ ‘સરગમ‘ નામની સ્ત્રીનું પણ હોઈ શકે ? જેના કાર્યમાં, યા વર્તનમા સંગીતની છાંટ ઉભરાતી નજરે ચડે. શું કહો છો? મિત્રો, આજે તમારી સમક્ષ, ‘સરગમ‘ જેવા શબ્દનો માધુર્ય સભર પ્રવાસ આદર્યો. આશા છે આ પ્રયાસ આપને ઉચિત લાગ્યો હશે.
પ્રવીણા કડકિયા
Entry filed under: પત્રાવળી, પત્રોત્સવ, પત્રોત્સવ, પત્રોત્સવ.
Recent Comments