Archive for June 15, 2024
‘તું જ તારો સાક્ષી’ (અંતરનો ઉજાસ -૨) કેનેડામાં નંબર ૧-ગુજરાત ન્યૂઝલાઈનમાં પ્રસિદ્ધ લેખ.
-તું જ તારો સાક્ષી-
ઇટલીના મિલાન શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી જગ્યાએ મૂકવાની હતી કે જ્યાં સુધી ભાગ્યે જ કોઈની નજર પહોંચે. શિલ્પકાર હાથમાં ટાંકણુ લઈને અતિ લીન થઈને એકેએક રેખામાં, એકેએક વળાંકમાં પોતાની કલા ઠાલવીને મૂર્તિઓ કોતરતો હતો. આ જોઈને બીજી વ્યક્તિએ ટીકા કરી, ”આ મૂર્તિ પર કોઈની નજર પડવાની નથી તો શા માટે આટલી મહેનત ?”
મૂર્તિકારે પોતાનું કામ ચાલુ રાખતા જવાબ આપ્યો , ”બીજું કોઈ જુએ કે ન જઈ પણ હું તો જોઉ છું. બીજું કોઈ જુએ કે ના જુએ મારો ભગવાન તો જોશે ને ?”
એક દિવસ યુનિવર્સિટીની સાયન્સ લેબોરેટરીમાં એક છોકરીની ભૂલથી રિસર્ચ માટે મુકેલી પ્લેટ્સમાં જરાક નુકશાન થઈ ગયું. .તે સમયે બીજું કોઈ તો હાજર નહોતું જ. જો તે છોકરીએ કદાચ એ વાત પોતાના સુધી રાખી હોત તો પણ કોઈને ખબર પડવાની નહોતી પરંતુ તેણે સામે ચાલીને હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ( H O D )ને પોતાની ભૂલની વાત કરી. ઘડીભર તેની વાત સાંભળીને તેમણે કહ્યું,
”નુકશાન એવું ખાસ નહોતું. તેં ના જણાવ્યુ હોત તો કોઈને ક્યાં ખબર પડવાની હતી? ” છોકરીએ સાવ સરળતાથી જવાબ આપ્યો,” મને, મારા અંતરાત્માને અને ઉપર બેઠેલા “હેડ ઓફ ધ હોલ ડીપાર્ટ્મેન્ટને -ભગવાનને તો ખબર પડવાની જ હતી ને? મારી ભૂલ કોઈને ધ્યાનમાં આવે કે ના આવે મારા તો ધ્યાનમાં હતી જ. મારું મન એનું સાક્ષી હતુ. એ ભૂલનો ભાર મને હંમેશાં રહેત.”
હંમેશાં નહી તો ક્યારેક એવું બનતુ હોય છે કે આપણી ભૂલ અથવા સારપની કદાચ કોઈને ખબર હોય કે ન હોય, તેની નોંધ કોઈ લે કે ન લે પણ આપણો અંતરાત્મા તો જાણતો જ હોય છે. વ્યક્તિનો પોતાનો જો માંહ્યલો સાચો હોય તો કોઈ કહે કે ના કહે પોતે પોતાની ભૂલનો ભાર તો ચોક્કસ અનુભવે છે.
એવી રીતે સારી વાત સારા કાર્યની પણ જો કોઈ નોંધ લે કે ન લે વ્યક્તિ આપ એની સાક્ષી હોય છે. એ સારપ એને પીંછા જેવી હળવાશ બક્ષે છે.
મન-હૃદય જ જેનું સાક્ષી છે એવી વ્યક્તિને કોઈ ગીતા, કોઈ બાઇબલ, કોઈ કુરાનના ટેકા કે આડશની જરૂર હોતી જ નથી. જેનું મન સાફ છે તેને કોઈનો ડર નથી. મન જેટલું શુદ્ધ હોય તેને દુનિયાની અશુદ્ધિ સાથે શું લેવાદેવા? અંતરમાં જ જેના ઉજાસ છે એને બાહ્ય પ્રકાશની શી આવશ્યકતા?
રાજુલ કૌશિક
Recent Comments