શતરૂપા સ્ત્રી- ગોપાલી બુચ સંપાદિત પુસ્તક ‘હોવાપણું ખરૂં-હાવીપણું નહીં’. (ન્યૂઝ ઓફ ગાંધીનગર / જન ફરિયાદમાં પ્રસિદ્ધ લેખ
શતરૂપા સ્રી
સ્ત્રી એટલે– નારી,મહિલા, વનિતા… જેવાં અનેક અર્થમાં સમાયેલી એક વ્યક્તિ અથવા અનેક અર્થમાં સમાયેલું એક વ્યક્તિત્વ.
નરસિંહ મહેતાએ ઈશ્વર માટે કહ્યું છે,
“દેહમાં દેહ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં વેદ થઈ ભાસે; અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ”
એવી રીતે દીકરી, બહેન, માતા, ભાભી, કાકી જેવાં અનેક સંબંધો નિભાવતી અનેકરૂપા સ્ત્રી આરંભે અને અંતે તો શક્તિ છે. જે વ્યક્તિ સંસારને સંપૂર્ણ બનાવે, વંશને આગળ વધારે એને કોઈ એક વ્યાખ્યામાં ક્યાં બાંધી શકાય? સ્ત્રી એક નથી અનેક છે, અનેક રૂપમાં સમાયેલી એ એક સંપૂર્ણ વ્યક્તિ છે.
વર્તમાન સમયમાં સ્ત્રી સ્વાતંત્ર્યને લઈને જાણે ચર્ચાનો બવંડર ઊઠ્યો છે. વિચારીએ અથવા સાચી રીતે સમજીએ તો સ્ત્રી વળી ક્યારેય પરતંત્ર હતી કે એની સ્વાતંત્ર્ય વિશે સંદેહ હોવો જોઈએ અથવા ચર્ચા હોવી જોઈએ?
હા, મૂળભૂત રીતે આપણો સમાજ પુરુષ પ્રધાન છે. દેખીતી રીતે પરિવાર કે સમાજ પર પુરુષોનું આધિપત્ય આપણે જોતાં અને અનુભવતાં આવ્યાં છીએ એને નકારી પણ શકાય નહીં.
સદીઓ પહેલાંના સમય પર નજર કરીએ તો, ગાર્ગી અને લોપામુદ્રા જેવી વિદુષીઓ સ્ત્રી સશક્તિકરણના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે યાદ આવશે.
જો સરતચૂક ન થતી હોય તો, વિશ્વની સૌથી પહેલી નારીવાદી ચર્ચા કહો કે ચળવળ ૧૮૪૮માં અમેરિકાસ્થિત એલિઝાબેથ સ્ટેન્ટને કરી હતી. એ કહેતાં, “સ્ત્રી પોતે અવનતિની ઊંડાઈને યોગ્ય રીતે સમજી શકે છે. એને ઊંચાઈએ લઈ જવાનું કામ પણ સ્ત્રીએ પોતે જ કરવાનું છે.”
મૂળ વાત છે નારીએ પોતે જ પોતાની આત્મઓળખ, આત્મવિશ્વાસને બુલંદ કરવાની. સંસારમાં પોતાના અસ્તિત્વને એક એવા દરજ્જે સ્થાપિત કરવાની જ્યાં એને જોવા સૌ કોઈએ નજર ઉઠાવવી પડે.
સ્ત્રી પોતાના નિર્ણયો પોતે જ લઈ શકે એમાં એનું સાચું સ્વાતંત્ર્ય છે. પરણિત કે અપરણિત સ્ત્રી પોતાને યોગ્ય લાગે એ જ નિર્ણય લે અને એને યથાર્થ સાબિત કરે. આ નિર્ણયોમાં પણ એ સૌને સાથે લઈને ચાલી જ શકે છે. એ સાચી હશે તો સૌનો સાથ એને મળવાનો જ છે.
આજકાલ યુવાપેઢીમાં જરા અલગ વિચારોનો વાયરો વંટોળની જેમ ઉમટ્યો છે. સ્રી સ્વાતંત્ર્ય એટલે મરજી મુજબનું જીવન અને પુરુષ પરનું આધિપત્ય. જો સ્ત્રી પોતે પુરુષની મરજી મુજબ જીવવા ન માંગતી હોય કે પુરુષનું આધિપત્ય સ્વીકારવા સંમત ન હોય તો પુરુષ (એ એનો પિતા, પતિ કે પુત્ર પણ હોઈ શકે) પર એની મરજી કે એનું આધિપત્ય કઈ રીતે ઠોકી દઈ શકે?
સ્વાતંત્ર્યનો અર્થ છે, સ્ત્રી પોતાના વિચારો, માનસિક વલણો અને મનોવ્યાપારનો વિકાસ સાધે એ. આધિપત્ય પુરૂષ પર નહીં પણ સમય–સંજોગો પર પોતાના કૌશલ્યના આધારે આધિપત્ય સ્થાપિત કરે એ.
સ્ત્રીએ પોતાના માનસિક વિકાસ, નિર્ણયો લેવાની ક્ષમતા પર આધિપત્ય મેળવવાનું છે.
નારી તું નારાયણી કહેવાયું છે. નારાયણી શબ્દ કે ભાવમાં માત્ર અને માત્ર સ્ત્રી છે, શક્તિ છે, દુર્ગા છે, જ્યારે એની સામે શિવને અર્ધનારીશ્વર કહેવાયા. અહીં શિવના સ્વરૂપમાં પણ સાથે પાર્વતી તો છે જ. એનો સીધો અને સાદો અર્થ એ લઈ શકાય કે નારી સંપૂર્ણ છે, પણ જ્યારે નરની જોડાજોડ નારી હોય ત્યારે નર સંપૂર્ણ બને છે.
આજે અમસ્તાં જ જાણવાનું મન થયું કે આપણે સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરીએ છીએ ત્યારે આ મુદ્દા વિશે પુરુષ શું વિચારતો હશે?
એક જ વાક્યમાં જે જવાબ મળ્યો એ અહીં પ્રસ્તુત છે, “ સ્ત્રી સ્વાતંત્ર્ય એટલે સ્ત્રી નિર્ભયતાથી પોતાના નિર્ણય લે એ.”
વાત કેટલી સાચી છે! સ્ત્રીમાં આ નિર્ભયતા ત્યારે આવે જ્યારે એને પોતાની ક્ષમતા અને પોતે લીધેલા નિર્ણયો સાચા છે એ અંગે પૂરેપૂરો વિશ્વાસ હોય.
સ્ત્રીએ શા માટે પોતાનાં નિર્ણયો માટે કોઈને આધારિત રહેવું જોઈએ? એને પાંખ પસારવા મોકળું આસમાન જોઈએ છે તો પહેલાં એણે પોતાની પાંખ પસારતાં શીખવાનું છે.
સ્ત્રી એક એવી વ્યક્તિ છે જે ઘર–પરિવારની પ્રત્યેક વ્યક્તિના ગમા–અણગમા સમજી લઈને સૌની તકો સાચવી લે છે. સ્ત્રી તો પરિવારનો ઉંબરો છે, એ ગૃહલક્ષ્મી છે. ઘરની માન–મર્યાદાને ઘરમાં સાચવી લેવાની એનામાં ત્રેવડ છે. આર્થિક પરિસ્થિતિ મુજબ ઘરની આબરુને એનાં પાલવમાં ઢાંકીને એ પરિવારને ઊજળો દેખાડે છે. એ સંતાનને જન્મ આપી એમને સુસંકૃત કરે છે ત્યારે સ્ત્રીની સ્વતંત્રતા સ્વાર્થી પણ ન હોવી જોઈએ.
આજ સુધી એવી માન્યતા છે કે સ્ત્રીઓએ પુરુષો દ્વારા સ્થાપિત કરેલા નિયમોને અનુસરવું. આ માન્યતામાંથી બહાર આવીને પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વને એણે ઉજાગર કરવાનું છે. એના માટે કૌટુંબિક જવાબદારીઓમાંથી છટકવાની કે છૂટવાની જરૂર નથી. જે પ્રગતિના પંથે એને જવું છે એમાં સ્વયંની સાથે સમસ્તને સાથે લઈને ચાલવાની વાત છે. એની પોતાની ઇચ્છાશક્તિ કેળવવાની વાત છે.
એક સરસ જાહેરખબર જોઈ. સવારમાં એક સાથે ઘરનાં તમામ સદસ્યોની માંગને પહોંચી વળવા બે નહીં બાર હાથે, સાવ સરળતાથી હસતાં–રમતાં સૌને તૃપ્ત કરતી ગૃહિણીને એમાં ફોકસ કરવામાં આવી છે.
આ છે ગૃહિણીની કાર્યદક્ષતા. એને પોતાની જવાબદારીઓની બરાબર ખબર છે. સમયના ટુકડાની વચ્ચે પોતાની જાતને ગોઠવીને એક જિગ્સૉ પઝલની જેમ ગેમ પૂરી કરવાની છે. ક્યાંય કોઈ સાંધો કે રેણ ન દેખાય એવી રીતે એ કરી શકે જ છે. આ જવાબદારી નિભાવ્યા પછી એ ઓફિસ પણ સંભાળી શકે છે. શું નથી કરતી એ?
એ તો સિદ્ધ છે જ તો શા માટે આ સ્ત્રીએ સ્વાતંત્ર્યનું બંડ પોકારીને પોતાને સિદ્ધ સાબિત કરવા શક્તિ વેડફવી જોઈએ કે સ્ત્રી સ્વાતંત્ર્ય જેવાં સંકુચિત વિચારોમાં કે વાડામાં અટવાવું જોઈએ!
સ્ત્રી સ્વાતંત્ર્ય એટલે સ્ત્રીની પોતાની નબળાઈઓ, પરાધીનતા અને પરાવલંબી પ્રકૃતિમાંથી મુક્તિ. સ્ત્રી સાચી હશે કે એણે લીધેલા નિર્ણયો અને એનાં કારણો સાચા હશે તો એને કોઈને જવાબ આપવા જ નહીં પડે કે કોઈ એને રોકી નહીં શકે.
સ્ત્રી જીવંત વ્યક્તિ છે, મશીન નથી એટલે શક્ય છે ક્યારેક અંગત કારણોસર કે નાદુરસ્ત તબિયતના લીધે કોઈ જવાબદારીમાંથી એને પોરો લેવાનું મન થાય. તે સમયે કોઈ જવાબદારી નિભાવવાની ઇચ્છા ન હોય તો એમાં સંકોચ રાખવાની પણ જરૂર નથી. અહીં જવાબદારીમાંથી છટકવાની એની વૃત્તિ નથી, માત્ર એ સમયે એને જરા વિરામ લેવો છે એટલી જ વાત એણે અને સૌએ સમજી લેવી જોઈએ.
સૌથી મઝાની વાત એ બની કે આ લેખ લખતી વખતે એક નહીં અનેકવાર અને સાવ સહજતાથી સ્ત્રીના બદલે શ્રી લખાઈ જતું. શક્ય છે મનમાં એ જ અભિપ્રેત હતું ,આ શ્રી શબ્દનાય કેટલા અર્થ! શોભા, કાંતિ, ભભકો, સૌંદર્ય, સંપત્તિ, ધન, દોલત, વિભૂતિ, વૈભવ, જાહોજલાલી, આબાદી, ચડતી, અભ્યુદય, ઉન્નતિ, લક્ષ્મીદેવી, લખાણને આરંભે લખાતો માંગલિક સંકેત. આ એક શ્રી શબ્દના તમામ અર્થનું એક નામ એટલે સ્ત્રી.
આ સ્ત્રી સ્વાતંત્ર્યની વાતને લઈને યાદ કરીએ તો આપણી પૌરાણિક કથાઓથી માંડીને ઇતિહાસમાંથી યાદ કરી શકાય એવાં અનેક સ્ત્રી પાત્રો મળી આવશે, પણ આજે તો હું માત્ર એક એવી સ્ત્રીની વાત કરીશ જેણે સાવ સ્વતંત્ર રીતે જીવનપથ નક્કી કર્યો અને છતાં એ સૌ માટે જીવી. એ હતી મારી મા. દુનિયામાં એનાં જેવી અનેક સ્ત્રીઓ હશે, પણ મારા માટે તો મારી મા જીવંત દૃષ્ટાંત રહી.
વાત જ્યારની છે ત્યારે સમય હતો
રાત્રે ૧૦૩૭નો.. મારાં નાનીની અચાનક તબિયત બગડી. એ સમયે ફોનની સગવડ નહોતી. અડધી રાત્રે ડૉક્ટરને કોણ, ક્યાંથી બોલાવે? મારી મા ત્યારે માત્ર ૧૧ વર્ષની હતી. નજર સામે એણે નાનીને હંમેશ માટે વિદાય લેતાં જોયાં અને એણે ડૉક્ટર બનવાનો નિર્ણય લઈ લીધો. એ કોઈ તરંગી કે આવેશમાં લીધેલો નિર્ણય નહોતો. ૧૧ વર્ષની ઉંમરે લેવાયેલો દૃઢ નિર્ણય હતો. રમવાની ઉંમર હતી ત્યારથી એણે ઘર સંભાળ્યું. આર્થિક મુશ્કેલીઓ જેવાં ઘણાં કપરાં સંજોગો સામે એ લડી અને એણે સેવેલા સ્વપ્નને સિદ્ધ કર્યું. અમીન પરિવારમાંથી નાણાવટી પરિવારમાં આવી. ૧૯૫૦નાં સમયે એ તબીબી ક્ષેત્રે જોડાઈ. સફળ અને સારા ડૉક્ટર તરીકે નામના મેળવી. પણ, આ બધું જ કરવાની સાથે બંને પરિવાર અને સગાંસ્નેહીઓ તરફ કૌટુંબિક જવાબદારીઓ નિભાવી. એક ડૉક્ટર તરીકે જરૂર પડી ત્યારે પૂરેપૂરી નિષ્ઠાથી એ સૌની સાથે ઊભી રહી. પરિવાર જ નહીં એનાં દર્દીઓનાં સ્વાસ્થ્યની કટોકટી સમયે એમનાં માટે જે જરૂરી હોય એ નિર્ણયો લેતી. એના નિર્ણયો પર સૌની અખૂટ, અપાર શ્રદ્ધા મેં જોઈ છે. એક વાત સતત હું જોતી હતી, અનુભવતી હતી કે ક્યારેય એણે કોઈનીય પાસે કશી અપેક્ષા પણ રાખી નહોતી.
એ ડૉક્ટર હતી, એ પોતાનું જીવન પોતાની રીતે જીવવા સ્વતંત્ર હતી, છતાં એ સૌની સાથે રહી, સૌને સાથે લઈને ચાલી, સૌના માટે જીવી. ક્યારેય કોઈ વાત માટે એને ફરિયાદ નહોતી કે નહોતો આ બધુ કરવાનો ભાર! શક્ય છે ઘણી વાર એને સમય અને સંજોગોની સાથે પોતાના વિચારોમાં બાંધછોડ કરવી પડી હશે. એથી શું એની સ્વતંત્રતા જોખમાઈ? ના, એ બાંધછોડ પણ એણે પૂરેપૂરી સભાનતાથી, સમજણપૂર્વક કરી હતી. એટલે દરેક વખતે એ સ્વતંત્ર અને સંપૂર્ણ વ્યક્તિ જ રહી. ક્યારેય સ્ત્રી કે વ્યક્તિ તરીકે સ્વતંત્રતા ગુમાવી છે કે ગુમાવવી પડી છે, એવાં કોઈ ભાવ કે રંજ મેં એનાંમાં જોયાં નથી કારણકે સ્વતંત્રતા ક્યારેય સ્વાર્થી કે આપખુદ હોતી જ નથી.
આજ સુધી કહેવાતું આવ્યું છે કે સ્ત્રી અને પુરુષ સંસાર રથના બે પૈડાં છે તો બંનેમાં આ સંસાર રથનો તાલમેલ જાળવવાની ક્ષમતાય એક સરખી જ હોવી જોઈએ ને? કોણ કોનાથી ચડિયાતું છે એ નક્કી કરવાની હોડનાં બદલે કોણ કોને વધુ સારી રીતે સાચવશે એ જાણવું વધુ જરૂરી છે. એકમેકનાં પૂરક બનવું જરૂરી છે.
સ્વતંત્રતાનાં અંચળા હેઠળની સ્વચ્છંદતા સ્ત્રી માટે જરાય આવકાર્ય નથી. સ્વતંત્રતાની લક્ષ્મણરેખા ઓળંગીને જે પગ બહાર મુકાશે એ સ્વચ્છંદતામાં પરિણમશે. આપણે જાણીએ છે સતી હોવા છતાં અજાણતાં જ લક્ષ્મણરેખા ઓળંગી ત્યારે સીતાને ય અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. આ લક્ષ્મણરેખા સ્વયં સમજીને સ્વીકારેલી હોવી જોઈએ. પોતાની જાતને મર્યાદામાં રાખીને પણ સ્ત્રી દસે દિશામાં વિસ્તરી શકે છે.
પુરુષથી વધુ ચઢિયાતી છે એ સાબિત કરવાની કે સ્વયંમાં શ્રેષ્ઠતા શોધવાની જીદમાંથી બહાર આવીને સ્ત્રીએ શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પોતાની જાતને સ્થિરતા આપવાની છે. સ્વતંત્ર તો એ છે જ.
ડિયેના મેરીચાઈલ્ડ કહે છે એમ,’ સ્ત્રી સંપૂર્ણ વર્તુળ છે. આ વર્તુળમાં એની પાસે સર્જન કરવાની, જતન કરવાની અને રૂપાંતર કરવાની શક્તિ છે.’
અંતે આજે જ વાંચેલા એક સુંદર વાક્ય સાથે હું અહીં વિરમું છું.
“સ્ત્રી એટલે…જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું સર્જન.”
Entry filed under: મારું ભાવજગત, Rajul.
Recent Comments