એષા ખુલ્લી કિતાબ પ્રકરણ – ૮ રાજુલ કૌશિક
May 20, 2022 at 2:32 pm 1 comment
એષા અને રોહિતને એક સાથે આવેલા જોઈને રાજી થયેલી રિવાનો આનંદ સામે ઊભેલા રોહિતને જોઈને ક્ષણ માત્રમાં ઓસરી ગયો. રોહિતની બાહ્ય શારીરિક અવસ્થા જ ઘણું કહી જતી હતી અને પછી તો હિમેટોલોજીસ્ટ ડૉકટર સંદિપ શાહની ક્લિનિકમાં એષા પાસેથી જે સાંભળ્યું એ તો જાણે અસહ્ય વજ્રાઘાત હતો.
હજુ હમણાં જ તો ઋચાના વિવાહના સમાચાર મળ્યા હતા. એષાએ જ્યારે ફોન પર ઋચાના વિવાહની વાત કરી ત્યારે એના પ્રત્યેક શબ્દોમાં, અવાજના રણકામાં છલોછલ આનંદની છોળ રિવાએ અનુભવી હતી.
ઈશ્વર એષાને કેમ નિરાંતનો શ્વાસ લેવાના વરદાનમાંથી બાકાત રાખી હશે? રિવાના મનમાં આક્રોશ ઊઠતો હતો.
મુંબઈથી અમદાવાદ અને વિરસદ, વળી વિરસદથી શરૂ કરીને આણંદ સુધીની દડમજલ, સંસારથી માંડીને સંતાનોની જવાબદારી, હોસ્પિટલથી માંડીને હૉસ્પિટૅલિટી, બધું જ એષાએ પાર પાડ્યું હતું.
ક્યારેક એષા અને રિવા નિરાંતે મળતાં ત્યારે વચગાળાની વાતોમાં કેટલો સમય પસાર થઈ જતો! ક્યારેક જીવનના ઉખડખાબડ રસ્તાને સમથળ કરીને આગળ વધતી એષાને રિવા પૂછતી, “ઈશ્વર જ્યારે ખોબો ભરીને નિરાંતની પળો આપવા બેઠા હતા ત્યારે તું ચારણી લઈને ઊભી હતી? માંડ થોડી નિરાંત મળે અને એક નવો બવંડર તારી સામે આવીને ઊભો રહે છે!”
એષા હસી પડતી, “ ખબર છે ને તને, ભગવાન પણ ભીંત જોઈને ભાર મૂકે છે?”
ઋચાના વિવાહ પછી નિરાંતનો શ્વાસ લઈને બેઠેલી એષાના જીવનમાં એક સાવ અજાણ્યો બવંડર ચકરાવા લેવા માંડ્યો હતો. ભીંત જ નહીં ભીતર પણ હચમચી જાય એવા બવંડરે એષાને નહીં રોહિતને ઝપટમાં લીધો હતો. હસ્તમેળાપ સમયે રોહિતનો હાથ થામીને સાત પગલાં ચાલેલી એષાને આ ક્ષણે સમજાતું હતું કે એ હસ્તમેળાપ, એ ગઠબંધન માત્ર લગ્નવેદી પૂરતુ જ નહોતું. રોહિતનો હાથ અને સાથ સાચવવાની જવાબદારી જીવનભરની હતી.
બે છેડાની અનુભૂતિ જેવા આનંદ અને આઘાતના સમાચારનું એક સાથે આગમન થયું હતું.
******
ઝાઝા લોકો હોય તો જ પ્રસંગ ઉજવ્યો કહેવાય? ઉત્તરાયણના બે દિવસ પછી કમૂરતાં ઉતરતાં માત્ર ઋચા અને કાર્તિકના પરિવારે ઘરમેળે ગોળ-ધાણાની રંગેચંગે વિધિ સંપન્ન કરી. બંને પક્ષે પ્રથમ પ્રસંગ હતો એટલે ઉત્સાહ ખૂબ હતો. સગાંસ્નેહી તેમજ મિત્ર વર્તુળમાં સમાચાર આપવાનો સિલસિલો શરૂ થયો.
અઠવાડિયું માંડ પૂરું થયું હશે ને એક દિવસ સાધારણ શરદીને લઈને નાક સાફ કરતાં સફેદ રુમાલ પર લાગેલું લોહી રોહિતે જોયું. શરદી થઈ હતી અને જરા જોરથી નાક સાફ કરતાં આવું બન્યું હશે તેમ તે વખતે રોહિતે વિચારી લીધું. વળી એકાદ દિવસ પછી એ જ ઘટના બની. આમ તો બીજી કોઈ તકલીફ તો હતી નહીં, પરંતુ પોતે ડૉકટર હોવાથી કશુંજ અવગણવું નહી તેમ માની ENT ડૉક્ટર મિત્ર સાથે વાત કરવી એવું રોહિતે વિચારી લીધું.
રોહિતને ક્યારેક સાયનસની તકલીફ રહેતી હતી પણ એના લીધે નાકમાંથી ક્યારેય લોહી નીકળ્યું હોય એવું બન્યું નહોતું. ENT ડૉક્ટરે X-RAY કરાવી લેવાનો અભિપ્રાય આપ્યો.
રેડિઅલોજિસ્ટ ડૉકટર પણ રોહિતના ખાસ મિત્ર. X-RAY રિપોર્ટ જોઈને શંકા થઈ અને ત્યાર પછી જુદા જુદા blood test રિપૉર્ટ પણ ચિંતાજનક આવ્યા. આ બે-ત્રણ દિવસ દરમ્યાન રોહિત પણ થોડા ચિંતામાં-વિચારમાં હોય તેવું એષાએ લાગ્યું પણ કંઈ સંતોષકારક જવાબ ના મળ્યો.
*********
એષા થોડા દિવસ પહેલાં જ બનેલી ઘટનાની રિવા સાથે વાત કરતી હતી.
”હું પણ હોસ્પિટલમાં જ કામ કરતી હતી. ક્લિનિક્લ લેબોરેટરી ઉપરાંત સર્જરીમાં પણ રોહિતને ક્યારેક આસિસ્ટ કરતી હતી છતાંય મને બિલકુલ ખ્યાલ ના આવ્યો કે કોઈ ગંભીર બાબતના ઓળા અમારા જીવન પર ઘેરાવા માંડ્યા છે.”
રિવા સવાલ કર્યા વગર સાંભળતી રહી. એષા એક શ્વાસે બોલતી રહી અને શ્વાસ રોકીને રિવા એને સાંભળતી રહી. દરિયામાં આવેલી ભરતીનાં પાણી કિનારે ફીણ ફીણ થઈને પાછાં ફરી ગયાં. એષા પણ ભાવિની અનિશ્ચિંતતાના કિનારા પર ફીણ ફીણ થઈ ગઈ.
“આમ પણ રોહિતને ચાર સવાલ કરો ત્યાં માંડ એક જવાબ મળે. એ વખતે પણ કેટલી વાર પૂછ્યા પછી એક દિવસ રોહિતે હોસ્પિટલની એની ઑફિસમાં મને બેસાડીને કહ્યું,
”એષા હું જે કંઈ કહું તે સ્વસ્થ મનથી સાંભળજે અને સ્વીકારજે.
“અને ડ્રોઅર ખોલીને એમાંથી રોહિતે તેના blood test રિપૉર્ટ મારાં હાથમાં મૂક્યા. મારી આંખ સામે જે ચિત્ર હતું એની તો કલ્પના માત્રથી હું થથરી ગઈ હતી. રિપૉર્ટ પરથી જે ફલિત થતું હતું એ રોગની ગંભીરતાનાં પરિણામે મને હચમચાવી મૂકી.
“ રિવા, એ વખતે એ પળ મારા માટે વજ્ર સમાન બની ગઈ. મન બધિરતાના આરે આવી ઊભું હતું કોઈ વિચારો આગળ વધતા નહોતા અને છતાંય મનમાં વિચારોનું દ્વંદ્વયુદ્ધ મંડાયું હતું.
નિયમિત ખોરાક, વ્યસનરહિત જીવન છતાં મલ્ટીપલ માયલોમા? પેથોલોજીસ્ટ તરીકે હું જાણતી હતી મલ્ટીપલ માયલોમા એટલે એક જાતનું હાડકાનું કેન્સર. મન માનવા તૈયાર નહોતું. આઘાત ઓસરતો નહોતો છતાં સ્વભાવવશ પૂછાઈ ગયું, રિપૉર્ટ તમારા જ છે ને?
“મન અને હ્રદય જાણે તુમુલ યુધ્ધે ચઢયા હતા. નજરે દેખ્યા અહેવાલને નજરઅંદાજ કરવા મન માનતું નહોતું અને જે વંચાતું હતું એ જોઈને ભવિષ્યમાં સામે આવનારા કટોકટીના સમયને નકારી શકાય એમ નહોતો..
“પરંતુ અમદાવાદ કેન્સર હોસ્પિટલના બાયોપ્સી રિપૉર્ટે રહી સહી શંકાને પણ હકીકતમાં પલટી નાખી. દર્દીના રિપૉર્ટ એના હાથમાં મૂકીએ ત્યારેય મન થોડું તો મક્કમ કરવું જ પડે છે, જ્યારે અહીં તો પોતાના જ ઘર પર પડેલી વીજળીએ બધું વેરણછેરણ કરી નાખ્યું હતું તેને કેમ કરીને સમેટવું ? મન –હ્રદય પર જે ભાર વધતો જતો હતો તેને કેમ કરી ને જીરવવો ? બધી ચેતનાઓ થીજી ગઈ હતી. વિચારોની ધાર પણ કુંઠિત થઈ ગઈ હતી.”
રિવાને ફરી એક વાર ઈશ્વરને પૂછવાનું મન થયું કે કેમ એ એષાને સ્થિરતા આપતો નહી હોય? શા માટે એક જગ્યાએ, એક પરિસ્થિતિમાં ,એક સંજોગમાં એ સ્થિર થાય તે પહેલા જ એને મૂળસોતી ઉખાડી નાખે છે?
“બધું જ બરોબર ગોઠવાઈ ગયુ હતુ . બધુ જ બરોબર ચાલતું હતું . હું અને રોહિત પણ ખુશ હતા આ જીવનથી. ઋચાના લગ્નપ્રસંગને અત્યંત પ્રસન્નતાથી ઉજવવાની તમામ તૈયારીઓમાં લાગવાનાં હતાં. અને આમ, બસ આમ અચાનક કોઈ સંકેત વગર આફત આવીને ઊભી.
“ખેર ! હવે તો બેવડી શક્તિથી સામનો કરવાનો હતો. ઓન્કૉલોજિસ્ટને બતાવ્યું . બને તેટલો ઝડપી ટ્રીટમેન્ટનો દોર શરૂ થઈ ગયો. જાણે થોડા સમયમાં દુનિયા બદલાઈ ગઈ. ઋચાના જીવનનો યાદગાર પ્રસંગ જાણે- અજાણે બાજુમાં જ રહી ગયો.
“ના, બાજુમાં રહી નહોતો ગયો. હવે એને શક્ય એટલી ઝડપથી ટૂંકા સમયગાળામાં આટોપી લેવાનો હતો. આનંદના અવસર પર આઘાતની છાયા સુદ્ધાં ન દેખાય એમ એને ઉતાવળે ઉજવી લેવાનો હતો. એક આંખમાં આનંદ હતો તો બીજી આંખમાં સતત ડોકાતી ચિંતા.
”પરંતુ હું, રોહિત, રૂચા અને ધ્રુમિલ અમે સૌ કોઈ દિવ્યશક્તિથી જોડાયાં હોય એમ દરેક સુખદુઃખની ક્ષણ સાચવી લેતાં હતાં. ઋચાને રાજી રાખવા બાકીના અમે ત્રણે પણ રાજી રહેવા પ્રયત્ન કરતા હતા અને મહદ અંશે સફળ પણ રહેતા હતા.”
એષા આટલું બોલીને જરા અમસ્તી અટકી.
ડૉક્ટર સંદિપ શાહની ક્લિનિકના વેઇટિંગરૂમમાં એષા અને રિવા વચ્ચે ચોસલું પડે એવી શાંતિ છવાઈ.
હવે એષાની આંખ અને ચહેરા પર જાણે સ્થિરતાના,જડતાના ભાવ આવી ગયા હતા. રિવા એનો હાથ પસવારતા મૂક સધિયારો આપતી હતી .એ જાણતી હતી કે અત્યારે એષાના મન અને હૃદય પર જે ભાર છે એ હળવો થઈ જવો જરૂરી છે જેથી એષા સામે આવેલી કટોકટીનો નવેસરથી સામનો કરવા કટીબધ્ધ થઈ શકશે.
ડૉક્ટરો કહેતા કે હવે તો કેન્સર પણ મટી જાય છે અને રોહિત કે એષા પણ ક્યાં આ વાત નહોતા જાણતાં? પણ એ કેન્સર કયા સ્ટેજ પર છે અથવા તો જાળાની જેમ બાઝેલી કેન્સરની ગાંઠ કયા અંગ પર છે, એના પરથી એ મટવાની શક્યતા નિશ્ચિત થતી હોય છે એ વાતથી પણ ક્યાં એ બંને અજાણ હતાં? અને માટે જ તો આજે અહીં અમદાવાદ સુધી ખેંચાયા હતા. આશાનો તંતુ છોડવો નહોતો.
અસ્તુ
આલેખનઃ રાજુલ કૌશિક
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
1.
Vimala Gohil | May 21, 2022 at 1:09 pm
ભગવાન પણ ભીંત જોઈને ભાર મૂકે છે?”
સાચી વાત.આપણી નિકટ આવા પત્રો હોય જ છે, તેમાંની એક મારી પોતાની સખી છે,સદાય હસતી….
LikeLike