૨૩ – સદાબહાર સૂર અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસ એવા ગીતકાર હતા જેમણે સર્વ વિદિત વિષયો પર ગીત રચના તો કરી છે અને સાથે કેટલાક એવા ગીતોની રચના પણ કરી છે જેમાં પત્થર-કોંક્રીટના બનેલા અડાબીડ જંગલ જેવા શહેરોની સૂરીલી શાબ્દિક ઓળખ થાય.
કહેવાય છે કે અવિનાશ વ્યાસ એક માત્ર એવા ગીતકાર-સંગીતકાર હતા જેમણે ગુજરાતના મોટા ભાગનાં શહેરો વિશે ગીતો રચ્યાં અને એ બધાં ગીતો અત્યંત લોકપ્રિય નિવડ્યા હતાં. સાવ સરળ અને લોકભોગ્ય બોલીમાં આ ગીતોનું લોકમાનસમાં વર્ષો સુધી અનેરું સ્થાન રહ્યું છે.
અવિનાશ વ્યાસનો જન્મ ખાડીયા રાયપુરમાં આવેલી ગોટીની પોળમાં થયો અને બાળપણ પણ એ ગોટીની પોળમાં વિત્યું એટલે સ્વાભાવિક છે કે અમદાવાદ પ્રત્યે એમને સવિશેષ પ્રેમ અને સન્માન હોય.
આ અમદાવાદનું મહત્વ એટલે છે કે અમદાવાદના સાબરમતીના તટ પરથી શરૂ થયેલી દાંડીકુચ ભારતને આઝાદી અપવાનું નિમિત્ત બની હતી. આ વાતને વણી લેતી એમની એક રચના છે જેને આપણે પણ ગર્વથી ગાવી જોઈએ…
અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અમદાવાનો ઈતિહાસ ભવ્ય હતો. આ એવા અમદાવાદની વાત છે જ્યાંના સસલાઓએ ડર્યા વગર શિકારી કુતરાઓનો સામનો કર્યો અને અહમદશા બાદશાહે આ શહેર વસાવ્યું. આમ તો આપણે પણ જાણીએ છીએ અમદાવાદ ભારતનું માંચેસ્ટર તરીકે ઓળખાતું એટલે એ મિલો અને કારખાનાઓથી ધમધમતા સમયની કલ્પના કરવી સાવ સહેલી છે. જરાક દૂરના ભૂતકાળ તરફ નજર કરીએ તો લાગે કે એ વાતને લઈને અવિનાશ વ્યાસે દાયકા પહેલાનાં અમદાવાદની અસલી ઓળખ આ ગીતમાં આપી છે.
અવિનાશ વ્યાસ કહે છે કે અહીં મિલનું ભુંગળું પહેલાં બોલતું અને પછી કૂકડો બાંગ પોકારતો. અહીં રોટલીનો ટુકડો રળવા સાઇકલ લઈને મિલ મજદૂર ભાગતા અને એ મિલ મજદૂરની મજદૂરીથી શહેરની આબાદી વધી.
અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જો કે આજના અમદાવાદને જોઈએ તો સવાલ થાય કે સાચે અમદાવાદ આવું હતું ખરું? એ મારું અમદાવાદ તો જાણે ક્યાંય ખોવાઈ ગયું.
અમદાવાદીઓની ફિતરત કેવી છે એ તો જગ જાહેર છે. અવિનાશ વ્યાસે અમદાવાદીઓના વલણની સાવ સાચૂકલી છબી દોરી છે. કહે છે કે અમદાવાદીઓ સમાજવાદી, કોંગ્રેસવાદી, શાહીવાદીને ટપી જાય એવા મૂડીવાદી છે પણ સાથે આપણે સૌ એ જાણીએ છીએ કે આ મૂડીવાદી અમદાવાદ જે ગુજરાતની આ એક સમયની રાજધાની હતી એ આઝાદીની ચળવળનું મધ્યબિંદુય હતું
અમદાવાદીઓ પાછા ખાવાનાય શોખીન. એમના એ શોખનો પણ અવિનાશ વ્યાસે ઉલ્લેખ કરતાં કહે છે કે આ ફાફડા જલેબીનાની જ્યાફતના શોખીનો ભલે લાગે સાવ સુકલકડી પણ હા, મિજાજના મક્કમ. ધારે તો ભલભલાની ગાદીને ઉથલાવવામાં એ પાછા ના પડે. અંગ્રેજોની ગાદી ઉથલાવવામાં મૂઠ્ઠીભર હાડકાના, સાવ સુકલકડી એવા બાપુ જ નિમિત્ત બન્યા હતા ને?
સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
આ અમદાવાદીઓને પારખવા અઘરા એવું અમદાવાદનું, એ પણ સાવ અટપટું. અમદાવાદની પોળમાં જેમનું બાળપણ વિત્યું હોય એવા અવિનાશ વ્યાસે અમદાવાદની પોળની વાત કેવી મઝાની કરી છે?
અમદાવાદની અટપટી પોળોની વાત અવિનાશ વ્યાસે સાવ હળવાશથી આલેખી છે. કહે છે કે મુંબઈની મહિલા જેવા આ પોળોથી અજાણ છે એવા લોકો અહીં ચોક્કસ ભૂલા પડે. જવા નીકળે જમાલપુર અને માણેકચોક પહોંચે અને માણેકચોકમાંથી નિકળીને પાછા માણેકચોકમાં જ પહોંચે. આ હળવાશે લખેલી વાત જરા જુદી રીતે સાચી છે. અત્યારે આ વાત લખતાં વર્ષો પહેલાં સાંભળેલી વાત યાદ આવે છે કે જ્યારે અંગ્રેજોને હટાવવાની ચળવળ ચાલતી હતી ત્યારે છમકલા કરીને નાસી જવા એ ક્રાંતિકારી યુવાનો માટે પોળો આશીર્વાદ સમાન હતી. ક્યાંથી છટકીને ક્યાંય પહોંચી જતા અને અંગ્રેજ પલટન હાથ ઘસતી રહી જતી.
પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…
જો કે અવિનાશ વ્યાસે આવી એકાદી નહીં અમદાવાદ પર અન્ય રચનાઓ પણ કરી છે. ગુજરાત આવે ત્યાં ગરબા આવે. અવિનાશ વ્યાસે આ અમદાવાદને સરસ રીતે સનેડામાં ઢાળ્યો છે . સનેડો આવે તો સૌ તાનમાં આવી જાય ને?
હે કાંકરિયાની પાળે ને આથમતા અજવાળે, ને આંખડીયુંના ચાળે
મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી રે, હો જી રે મારો હેલો સાંભળો જી રે..
આ સનેડામાં પોળની નહીં પણ પોળમાં રહેતી નારીની વાત જરા જુદી રીતે મુકી છે. કહે છે કે રાયપુરની રાણી ને સારંગપુરની શાણી, શાહીબાગની શેઠાણી નીકળે ત્યારે સૌ એમને ટીકી ટીકીને જોઇ રહે એવો તો એમનો ઠસ્સો હતો.
બની ઠનીને જ્યારે તમે પોળમાં નીકળતાં
ટીકી ટીકી જોનારાનાં હૈયા રે ઉછળતાં…
રાયપુરની રાણી ને સારંગપુરની શાણી, શાહીબાગની શેઠાણી
મારો મીઠો મીઠો પ્રેમ કેરો હેલો સાંભળો જી…..
અવિનાશ વ્યાસના ગીત, ગરબાની જેમ સનેડા માણવા જેવા ખરા.
હવે આગળ આપણે કરવાના છીએ અવિનાશ વ્યાસ રચિત અમદાવાદની અને અમદાવાદની તાસીરની જે અલગ અલગ રૂપે એમના શબ્દોમાં વણાઈ છે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments