૧૧ -સદાબહાર સૂર
અવિનાશ વ્યાસ …. આ એક નામ ગુજરાતીઓમાં જ નહીં બિનગુજરાતીઓમાં એટલું જ જાણીતું છે. ગુજરાતી સુગમ સંગીતમાં અવિનાશ વ્યાસનું નામ સદા મોખરે જ રહેવાનું. એમની રચનાઓ પર માત્ર ઉડતી નજર નાખીએ તો ય સમજાય કે એમની રચનાઓમાં ભરપૂર વૈવિધ્ય હતું. એમણે ગીત, ગઝલ,ગરબા કે ભજન એમ કોઈ પ્રકાર બાકી રાખ્યો નથી. મહદ અંશે ગીત-સંગીતના ચાહકો પાસેથી એક વાત તો સાંભળવા મળે જ છે કે એમણે ગુજરાતીઓને ગુજરાતમાં જ નહીં ગુજરાતની બહાર પણ ગાતા કર્યા છે.
એમની રચનાઓમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે એટલું જ કદાચ એનાથી વધારે એને સંબંધિત વિષયોમાં પણ જોવા મળશે. જેમકે એમણે આ સંસાર અને સંસારના સંબંધોને પણ એમની રચનાઓમાં આવરી લીધા છે.
જ્યારે અવિનાશ વિશે વાતની શરૂઆત કરવી હતી ત્યારે મને મારા બાળપણના સ્મૃતિના પટારામાંથી જ ખુલેલા ખજાનામાંથી આગળ એના સંદર્ભ મળતા ગયા અને એકમાંથી અનેક રચનાઓ યાદ આવતી ગઈ. જ્યારે એકવાર આ પટારો ખુલે એટલે એમાંથી અસંખ્ય યાદોના પડ એકપછી એક ખુલતા જાય એમ બાળપણની યાદ લગ્નના મંગળગીત અને વિદાયગીત સુધી તાજી થઈ અને એ સંબંધના તાંતણે જોડાયેલા, જન્મથી જ લોહીના સગપણે બંધાતા ભાઈ બહેનના પ્રેમની ય વાત કરી અને હવે વાત કરવી છે એ ખુબ હેતે-પ્રીતે ઉછરેલી બેનની. દિકરીના જન્મની સાથે જ સૌને ખબર છે કે તો એક દિવસ આ ઘરનું અજવાળું અન્યના ઘરને ઉજાળવાનું છે.
એ વખતે વાતની શરૂઆત તો મારા માટે જ લખાયેલા વિદાયગીતની હતી પણ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે વિદાયગીતની સર્જનની વાત આવે એટલે આપોઆપ એની સાથે અવિનાશ વ્યાસનું નામ જોડાઈ જ જાય. યાદ છે એક ખુબ ગવાતું વિદાયગીત?
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય……..
બેના રે..
રામ કરે સુખ તારું કોઈથી નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય..
ગુજરાતી ફિલ્મ ‘પારકી થાપણ’નું આ ગીત તો લગભગ ઘણી કન્યાવિદાય વખતે ગવાતું થઈ ગયું હતું અને કદાચ આજે પણ ગવાતું જ હશે અને હાજર સૌની આંખો અને હ્રદયને ભીના કરી દેતું હશે. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કરેલું આ વિદાયગીત ગાયું છે લતાજીએ. આ અને મહેંદી તે વાવી માળવે, પાંદડુ લીલુ ને રંગ રાતો જેવા બીજા અનેક ગીતો આજ સુધી એટલા જ લોકપ્રિય રહ્યા છે જેની રચના અવિનાશ વ્યાસ દ્વારા થઈ હતી.
પણ આ કન્યાવિદાયના ગીત સાથે સંકળાયેલી વાત તો વળી એકદમ અનોખી છે. વાત જાણે એમ બની કે આ ગીત અલકા યાજ્ઞિક ગાશે એવું નિશ્ચિત હતું પણ ગીતની શબ્દ રચના અને એમાં ગૂંથાયેલી ભાવના, એ સંવેદનાને તો લતાજીના કંઠે વ્યક્ત થાય એવી ફિલ્મ દિગ્દર્શક અરુણ ભટ્ટની મરજી. આ વિદાયગીત તો જાણે પોતાની દિકરી માટે જ લખાયું હોય એટલું પોતિકુ લાગે. આવા હ્રદયસ્પર્શી ગીત માટે લતાજીના અવાજથી વિશેષ બીજો કયો અવાજ હોઈ શકે?
લતાજી તો અત્યંત વ્યસ્ત. એમની ડાયરીમાં તો કેટલાય સમય પહેલાથી દિવસો નિશ્ચિત થઈ ગયા હોય એટલે એમનો સમય તો કંઇ એકદમ તો ના જ મળે ને? …… પણ ક્યારેક એવું બને કે ઈતિહાસ સર્જાવાનો હોય તો કલ્પના પણ ન કરી હોય એવો તાલ મળી જાય. આ ગીતના સંગીતકાર અને અવિનાશ વ્યાસના સુપુત્ર ગૌરાંગ વ્યાસ લતાજીને મળવા ગયા અને આ ગુજરાતી ગીત માટે એમણે સમયની સાથે પોતાનો કંઠ પણ આપ્યો. સામાન્ય વાયકા એવી છે કે લતાજી ક્યારેય સાંજે ગાતા નથી પણ આ ગીત માટે સાંજનો સમય અને સ્ટુડિયો નિશ્ચિત થયો હતો એ એમણે વિફળ ન જવા દીધો. ખૈયામ સાહેબ માટે મુકરર થયેલો સમય લતાજીએ આ ગીત માટે ફાળવ્યો અને જે ઈતિહાસ સર્જાયો એ આજે પણ અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ અને લતાજીના નામે અંકિત છે..
આમ તો હવે દુનિયાની કોઈપણ દીકરીની ગાય સાથે સરખામણી થઈ શકે એમ નથી પરંતુ મારું મન એવું માનવા પ્રેરાય છે કે જ્યારે આ ગીતની રચના થઈ ત્યારનો સમય એવો હતો કે દીકરી તો ક્યાં પિતાની કે પછી પતિની આંગળીએ દોરાઈ દોરાતી. એનું અલગ અસ્તિત્વ હોય એવી ભાગ્યેજ વિચારસરણી એ સમયે કેળવાઈ હશે એટલે જ કદાચ આ ગીતમાં પણ દીકરીની વિદાય વસમી હોવા છતા એને પતિગૃહે જતી વેળાએ આંસુ પાંપણે બાંધી રાખવા કહેવાયું હશે. એ વિદાય લે ત્યારે ઘડી પહેલાં ભીંતે ચીતરેલા ગણપતીને પગે લાગતી વેળા એના કંકુવર્ણા હાથની છાપ ઘરની ભીંતે મુકીને જાય છે. આ ગીત સાંભળું છું ને ત્યારે એક વિચાર એવો ય આવે છે કે દીકરીને પારકી થાપણ કહીને કેમ એને જુદાગરો આપવામાં આવ્યો હશે? કાળજાના ટુકડા સમી એ દીકરી એકવાર ઉંબરો ઓળંગી જાય પછી એનું ભાવિ એના હાથમાં જ નહીં રહેતું હોય એટલે? હાથે બાંધેલા મીંઢળ કે પતિ સાથે પાનેતરના છેડા સાથે ગંઠાયેલી એ ગાંઠ સાથે જીવનભરના એવા તે કયા બંધન હશે?
પતિનો પડછાયો બનીને રહેવાની શીખામણમાં એટલું તો સમજાય કે સદાય સપ્તપદીના પગલાં જેની સાથે ભર્યા છે એનો સાથ નિભાવજે પણ સાથે પતિના પડછાયા સમી એને કહીને ગીતકાર શું કહેવા માંગતા હશે? કદાચ એ એવું કહેવા માંગતા હશે કે પતિ છે ત્યાં સુધી તારું અસ્તિત્વ હેમખેમ છે? સેંથામાં સિંદુર અને હાથમાં કંકણ હશે ત્યાં સુધી તું સલામત છું અને એટલે જ કદાચ કન્યાને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવામાં આવતા હશે.
આ કરૂણમંગળ ગીતમાં એક વાત ખુબ ગમી. ગીતકાર અવિનાશ વ્યાસ કહે છે કે આમ જુવો તો સૌનું આંસુ પાણી જેવું પાણી. એ સુખનું છે કે દુઃખનું એ કોઈના શક્યું જાણી. માતા-પિતાના આંસુ પણ સુખ-દુઃખ એમ બંને લાગણીને લઈને વહી જાય છે. એનો એક અર્થ એવો પણ કરી શકાય કે બેના, આજ પછી સાસરીમાં તું તારું સુખ-દુઃખ કોઈ કળી ના શકે એમ તારી જાતને સંભાળી લેતા શીખી જજે? તારા મનની વાતને ગોપિત રાખીને જીવી લેતાં શીખી જજે? શક્ય છે કારણકે એ સમયે તો દીકરીને સાચે જ સાવ નરમ પ્રકૃતિની માનીને જ એનો ઉછેર કરવામાં આવતો.
અવિનાશ વ્યાસે એમના આ અમર અવિનાશી ગીતની ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ પંક્તિઓમાં એ સમયની લોક-કહેવતને વણી લીધી છે.આમ પણ અવિનાશ વ્યાસે સંસારના તમામ સંબંધો પર અત્યંત ભાવવાહી રચનાઓ કરી કારણકે એ પોતે જ ભાવનાના -લાગણીના-સંબંધની વ્યક્તિ હતા અને દિકરીની વિદાયથી વધીને તો અન્ય કયો ભાવવાહી કે કરૂણમંગળ અવસર હોઈ શકે?
જો કે આજની દીકરી તો નારાયણી બની રહી છે તેમ છતાં કોઈપણ દીકરીની વિદાય સમયે અવિનાશ વ્યાસનું આ ગીત આજે પણ સૌની આંખ અને હ્રદય ભીના કરી દે એટલું ભાવવાહી બન્યું છે પણ જો જો હોં આ ગીત સાંભળો ત્યારે ભલે આંખમાં આંસુ હોય પણ કોઈપણ દીકરીને કલ્યાણ આશિષ આપવાનું ચૂકી ના જતા.
http://www.mavjibhai.com/MadhurGeeto/158_dikarito.htm
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments