” અહંકાર ”
December 16, 2009 at 2:03 am 7 comments
એક વાર એક નવદીક્ષિત સંતનું મંદિરમાં આગમન થયું.તેમને સમાવેશ કરવા મંદિરના મુખ્ય સંતે ધર્મશાળામાં આસન રાખતા સૌ સંતોને વિનંતી કરી કે ”સૌ પોતાનું આસન ૪-૪ વેત આગળ ખસેડે તો આ નવા સાધુ માટે પણ જગ્યા થઇ જાય” તે વખતે બધા ખસ્યા પણ એકે ના મરજી બતાવી.પોતાના આસનની જગ્યા માટે જાણે જન્મસિધ્ધ અધિકાર હોય તેમ એક તસુ પણ ખસવા નન્નો જ ભણ્યા કર્યો. છેવટે બળજબરીથી બધાએ તેનું આસન સહેજ ખસેડ્યું. હઠીલા સાધુને માઠું લાગી ગયું અને તે ત્યાંથી નિકળીને ૪૦ ગાઉ દૂર બીજા મંદિરમાં રહેવા ચાલી ગયા. ૪૦ ગાઉ ખસ્યા પણ ૪ વેત ના ખસ્યા તે ના જ ખસ્યા.
અહંકારનો હુંકાર-ફુત્કાર માનવીને એટલી હદે જડ બનાવી દે કે સ્વાભાવમાં એક અકડાઇ આવી જાય. તૂટી જાય પણ નમે નહી.
તાજેતરના સમાચારોમાં ઓબામાની જાપાનના વડાપ્રધાનની મુલાકાતને લઇને અખબારોમાં થોડીક ચણભણ થઇ. મહાસત્તાના મુખ્યા એવા ઓબામાએ સહેજ વળીને જાપાનના વડાપ્રધાનનું અભિવંદન કર્યું. સહેજ જુદી રીતે વિચારીએ તો એથી શું ઓબામાની માન-પ્રતિષ્ઠા-ગૌરવને ક્યાંય હાની પહોંચી? ના! કોઇની સાથે નમ્રતાથી,સલુકાઇથી પેશ આવવાથી, કોઇને માન આપવાથી ખુદનું માન ક્યાય ઓછું થતું જ નથી.
અહંકાર એક કાળ કાળમીંઢ ખડક જેવો છે. વ્યકિતને પોતાની મોટાઇ બતાવવાની મનોવૃતિ અંદરનો અહંકાર પેદા કરે છે.એથી કરીને નુકશાન કોને થશે? તમારા અહંકાર ને લઇને તમારી આસપાસના લોકો પોતાના આત્મસન્માન-ગૌરવ જાળવવા તમારાથી ધીરે ધીરે દૂર થતા જશે પરંતુ તમે કોનાથી વેગળાથતાજાવ છો એનો લેશમાત્ર અંદાજ પણ તમને તરત નહીં આવે.
અભિમાની-અહંકારી વ્યકિતને પોતાના અહમની આળ-પંપાળ કરવામાં બીજાનુ અપમાન કરતા સહેજ પણ વાર નથી લાગતી પણ ક્યારેય એને અહમ ધવાય ત્યારે પોતાને શું લાગણી થાય છે તેનો વિચાર પણ કરશે ખરા?
ક્યારેક વડીલો પણ પોતાના વડીલપદના તોરમાં કોઇની પણ હાજરીની-ઉપસ્થિતિની પરવા કર્યા વગર ધરના સભ્યોને,સંતાનોને પણ કોડીના કરી મૂકતા
અચકાતા નથી અને પછી વડીલ પોતાનું માન જળવાય તેવી અપેક્ષા પણ રાખે છે. માન માગવાથી નથી માન આપવાથી માન વધે છે.
જેમ કહે છે કે ”સૌંદર્ય પામાતા પહેલાં સૌંદર્ય બનવું પડે” તેમ માન મેળવવા માન આપતા શિખવું પડે છે.
આજ ના અત્યંય લોકપ્રિય અને ઉચ્ચતાના શિખરો પર બિરાજમાન અમિતાભ બચ્ચનને તો આપણે રોજ-બરોજ જાણે આપણા ધરમાં જ ઉપસ્થિત હોય તેમ જોઇએ છીએ .કેટ-કેટલાક લોકોના માન-સન્માને યોગ્ય એવા આ અજોડ અભિનેતાની સલૂકાઇ, નમ્રતાને ક્યારેય ધ્યાનમાં લીધી? કોઇ પણ અદના આદમી-સાવ નાનામાં નાની વ્યકિતને પણ કેટલામાન થી આવકારે છે તે વિશે મનમાં નોંધ લીધી? એથી શું તેમના ગૌરવને આંચ આવી? ના! બલ્કે એથી એ વધુ એક મુઠ્ઠી ઉચેરા સાબિત થાય છે.
અહંકાર તો રાજા રાવણનું પણ ટક્યું નહીં.આમ જોવા જઇએ તો રાવણ અને કંસ બંનેને અહંકારના પ્રતિક કહેવામાં આવે છે.બાહ્ય રીતે માન પામતા આ બંને જણના પતનથી કેટલાય લોકો સાચા હ્રદયથી ખુશ થયા હશે? જ્યાં માન હોય છે ત્યાં પ્રેમ હોય તેવું નથી હોતુ પરંતુ પ્રેમ હોય ત્યાં આપોઆપ માન પોતાનું સ્થાન મેળવી લે છે.માન આપવાની પ્રક્રિયા એ બાહ્ય અથવા ચમત્કાર હોય તેવ નમસ્કાર ની પરિસ્થિતિ છે પરંતુ એથી કરીને વ્યકિત આંતરિક પ્રેમને ક્યારેય પામી શકતી નથી.
શ્રી પ્રમુખસ્વામી મહારાજના કહેવા અનુસાર”મૂરખ ,મગર અને મંકોડો એને પકડતા આવડે પણ છોડતા નહીં” આવા મૂરખની પંકિતમાં અહંકારનો સાથ હોય તેને ઝડપથી આસન મળી જાય જ્યારે અહંકારવૃતિ માણસના મન પર ભરડો લે ત્યારે માણસ પોતે ખતમ થઇ જાય પણ પેલા મંકોડા ની માફક વળ છોડી ન શકે. માટેજ મંકોડાની માફક કોઇ આપણને ઉખાડી ફેંકે તે પહેલાં જ સમય વર્તે સાવધાન.
“આ લેખ/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને૧૫/૧૨/૨૦૦૯ ના પ્રગટ થયો.”
Entry filed under: ચિંતન કણિકા, હકારાત્મક અભિગમ.
1.
Bhupendrasinh Raol | December 16, 2009 at 2:54 am
પર્સનલી હું બચ્ચન સાહેબ નો ફેન છું.એમની નમ્રતાનો જોટો જડે તેમ નથી.કૌન બનેગા કરોડપતિમાં એમની નમ્રતા ના દર્શન કરેલા.બીજું ખાસ તમે એ કાદાચિત નોધ્યું હોય,તો એમની નમ્રતામાં જરાય અહંકાર ના દેખાય.કારણ નમ્રતામાં જે અહંકાર છુપાએલો હોય છે,એ ભાગ્યેજ કોઈ ઓળખી શકે.બચ્ચન સાહેબ ની જે નમ્રતા છે એકદમ ઈનોસેન્ટ લાગે.જો કોઈએ માર્ક કર્યું હોય તો.હું મારા લેખોમાં બચ્ચન સાહેબ નું નામ લખું એમાં મારો વિરોધ પ્રજાની માનસિકતા માટે હોય,બચ્ચન સાહેબ માટે ના હોય.કારણ પ્રજા જે અસલ હીરો છે,એમના બદલે અભિનેતાઓને હીરો માની એમની પાછળ ગાંડા થઇ પેલા અસલી હીરો જે પ્રજાના રક્ષણ માટે બલિદાનો અને જીવ આપે છે એને ભૂલી જાય છે.હમણા મેં અહીની ચેનલ પર વ્હીલ ઓફ ફોર્ચ્યુન પ્રોગ્રામ જોયો એમાં બે પુરુષો અને એક સ્ત્રી એમ ત્રણ અમેરિકન આર્મી ના માણસો આવેલા.પાછળ બેનર હતું”હીરોસ”ભારતમાં સોલ્જરોની કોઈ કદર કે મહત્તા જ નથી.અમેરિકા માં કોઈ પણ જગ્યાએ સોલ્જર માટે દેશના હીરો એવોજ શબ્દ વપરાય છે.એનું શ્રેય જાય છે અહીના ટીવી, મીડિયા અને પ્રેસને.હવે બચ્ચન સાહેબ માટે લાબીલાબી કેક બનાવી ને રોજ એમના ગાણા ગાયા.પછી વારો આવ્યો તેન્ડુંલકર નો એમાં કોઈને સંસદ પર હુમલો થયો ત્યારે માર્યા ગયેલા યાદ આવ્યા?આપણે અહિંસા ના પુજારીઓ અને આ સૈનિકો તો હિંસા કરે.પણ આ લોકો સતત હિંસા કરવા બોર્ડર પર તૈયાર હોય છે ત્યારે આપણે અહી અહિંસા ના ગાણાં ગાઈ શકીએ છીએ.એટલે ગેરસમજ થવા શક્ય્યતા છે.પણ બચ્ચન સાહેબ ની નમ્રતા અને શાહરુખખાન ની નમ્રતામાં આભ જમીન નો ફેર હોય છે.અને દેખાય પણ છે.મેં એક મોરારી બાપુના ટીવી ઇન્ટરવ્યું જોયા પછી આર્ટીકલ લખીને બ્લોગ માં મુક્યો છે.આપણે લોકો ધર્મ ગુરુઓને ખુબજ માન થી જોતા હોઈએ છીએ.અને તેમના માટે એ લોકો જે બોલે તે બ્રહ્મ વાક્ય હોય એવા પુજ્ય ભાવ ના પૂર્વગ્રહ થી આપણે સૌ કોઈ ભરેલા હોઈએ છીએ.એમાં લખ્યું છે કે નમ્રતામાં અહંકાર,અહંકારમાં નમ્રતા કે નમ્ર અહંકાર જોવો હોય,માણવો હોય તો મોરારીબાપુના ટીવી ઇન્ટરવ્યું જોઈ લેવા.એમના ટીવી ઇન્ટરવ્યું પુરતા મને તો દેખાય છે.બીજા ને નાપણ દેખાય.પણ મને બચ્ચન સાબ માં કોઈ પણ ઇન્ટરવ્યું માં નમ્રતામાં અહંકાર દેખાયો નથી.નમન નમન મેં ફેર હૈ,,,,,,,,,,,,,,,,,,,,,,
LikeLike
2.
Hasmukh | December 16, 2009 at 4:23 am
One more good article, readers should tell their children to read such blog. That will be usefdul in character building. Thank you
LikeLike
3.
chetu | December 16, 2009 at 8:12 am
સરસ લેખ … નમ્રતા જ માનવી નો સાચો સાથી છે
LikeLike
4.
manharmody | December 16, 2009 at 9:36 am
ખુબજ મનનીય અને ચિંતનશીલ લેખ. ગરવ કીયો સોઇ નર હાર્યો.
LikeLike
5.
Manisha Patel | December 16, 2009 at 3:12 pm
ખૂબ જ ગંભિર વિષયના લેખને તમે એકદમ હળવી શૈલીમાં રજુ કર્યો છે એટલે વાંચીને ખૂબ જ આનંદ થયો..
હું એવું માનું છું કે માણસને ખોટી (અ) જગ્યાએ હંકારી જતી વસ્તુ એટલે અહંકાર….
+++ મનિષા પટેલ +++
Gujarati Stuff
SMS Fun Zone
LikeLike
6.
gaganmusafir | December 19, 2009 at 10:29 am
સરસ લખણ છે. ઘણા લેખકો કે વિદ્વાનો કે નેતાઓ નમ્ર હોવાનો દેખાવ જ કરતા હોય છે. તોય ઘણા હરખપદુદા થૈને ભોલવાઇ જાય છે.
LikeLike
7.
Ramesh Patel | February 27, 2010 at 9:28 pm
અહંકાર એક કાળ કાળમીંઢ ખડક જેવો છે. વ્યકિતને પોતાની મોટાઇ બતાવવાની મનોવૃતિ અંદરનો અહંકાર પેદા કરે છે.એથી કરીને નુકશાન કોને થશે? તમારા અહંકાર ને લઇને તમારી આસપાસના લોકો પોતાના આત્મસન્માન-ગૌરવ જાળવવા તમારાથી ધીરે ધીરે દૂર થતા જશે પરંતુ તમે કોનાથી વેગળાથતાજાવ છો એનો લેશમાત્ર અંદાજ પણ તમને તરત નહીં આવે.
અહંકાર બાબત યુગોથી ચેતવણીના સૂરો મળતા રહ્યા છે પરંતુ જ્યારે સત્તા હોય છે
અહંકાર પડદો બની માર્ગથી ભટકાવી દેછે.માર્ગદર્શક લેખ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike