Posts filed under ‘''રાણી ની વાવ''’
”રાણી ની વાવ”
આ પગથિયાંવાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિરના સ્મારક સમું અનેક દેવ-દેવીઓની મૂર્તિઓથી સમૃધ્ધ છે.પગથિયાં ઊતરતા સામેની પશ્ર્વિમ દિશાની દીવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સુતેલા વિષ્ણુની કોતરણીવાળો ગોખ આજે પણ એટલો જ જીવંત લાગે છે.
ભારત સદીઓ જુની સંસ્કૃતિ,સ્થાપત્ય,કલાકૃતિનો વારસો લઇને આજે પણ દેશ-પરદેશના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતને પોતાની આગવી અસ્મિતા-આગવું ગૌરવ અને કલા વારસો છે. આજે એક એવા જ ઉત્તમ કલાવારસાની મુલાકાત લેવાના હેતુથી પાટણનો પ્રવાસ યોજાયો હતો.”પાટણની પ્રભુતા” દ્વારા પણ પાટણનો પરિચય હતો.ઇતિહાસની થોડી-ધણી જાણકારી હતી એટલે એમાં રસ પણ વધારે હતો.
ઢળતી સાંજના ઉતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઉગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ”રાણી ની વાવ” ની આભા જરા જુદી જ લાગતી હતી.૨૩’-૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ પૂર્વે સ્થાપિત આ વાવ પાટણની પશ્વિમે-ઉત્તરે લગભગ ૨ કી.મી ના અંતરે છે.પાટણ એટલે કે પ્રાચીન અણહીલવાડ અણહીલપુરના નામે પણ જાણીતુમ છે.સરસ્વતિ નદીના તટે આવેલું અને ગુઅજરાતના મહેસાણા થી લગભગ ૫૭ કી.મીટરે આવેલું આ ઐતિહાસિક શહેર ૬૦૦ વર્ષ પૂર્વે ગુજરાતનું પાટનગર કહેવાતું.લગભગ ૮ કી સદીથી ૧૪મી સદી દરમ્યાન રાણા ભીમદેવ તેમના પુત્ર કરણદેવ અને પૌત્ર સિધ્ધરાજ જયસિંહના આધિપત્ય સમયે અહીં મંદિર,મસ્જીદ,વાવ,તળાવ અને બીજી કેટલીક સમાધિ જેવા સ્થાપત્યની રચના થઇ .પરંતુ આ બધામાં ”રાણી ની વાવ” એ સૌથી ભવ્ય અને અદ્દભૂત રચના છે.
રાણા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ ૧૧મી સદી દરમ્યાન આ વાવની રચના કરાવી.પૂર્વ-પશ્વિમ દિશા સ્થિત આ વાવના પશ્વિમ દિશા તરફ તેનો મુખ્ય ભાગ એટ્લે કે કુવો છે તે ૬૪ મીટ્ર લાંબો,૨૦ મીટર પહોળો અને ૨૭ મીટર ઊંડો છે.આ વાવના સાત માળ ની રચના અનેક આકર્ષક કોતરણીવાળા સ્તંભના ટેકાથી કરવામાં આવી છે.
જમીનના લેવલથી નીચે ઉતરતા કુંડ સુધી ના તમામ માલ ની પરસાળ,તેના સ્થંભ,ચારે બાજુની દિવાલો,મંડપ ની વિશેષતા એ છે કે પ્રત્યેક તેની સુંદર નકશીથી ઓપી ઉઠે છે.વાવની દિવાલો પર મહિષાસુરમર્દિની,પાર્વતી અને અલગ અલગ શૈવ પ્રતિમા ઉપરાંત ભિન્ન-ભિન્ન મુદ્રામા વિષ્ણુની પ્રતિમા,ભૈરવ,ગણેશ,સુર્ય,કુબેર,લક્ષ્મીનારાયણ,અષ્ટદિકપાલ,જેવી નારી પ્રતિમાઓના પણ અનેક મુદ્રામાં આલેખન છે.વાવના તમામ સ્તંભ તેની કુંભીથી થાંભલાના મુખ્ય ભાગે પણ જટિલ કહેવાય તેથી કોતરણીથી સુશોભિત છે.
આ પગથિયા વાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિર ના સ્માર્ક સમું અનેક દેવ-દેવીઓ ની મૂર્તિઓથી સમૃધ્ધ છે,પગથિયા ઉઅતરતા સામેની પશ્વિમ દિશા ની દિવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સૂતેલા વિષ્ણુ ની કોતરણીવાળો ગોખ આજે પણ એટલે જ જીવંત લાગે છે.
કલા-કારીગીરીના ઉત્કૃષ્ટ નમૂના જેવી વાવ ત્યારબાદ કેટલાય સમય સુધી જમીનની અંદર જ જાણે કે દટાઇ ગઇ.સમયના થપેડા સાથે સરસ્વતી નદીમાં આવતા પૂર અને સરકારની ઉપેક્ષાના લીધે આ વાવની કૃતિઓને નુકશાન પણ ધણું પહોંચ્યું .૨૦મી સદી ના છઠ્ઠા દસકા દરમ્યાન તો કદાચ આટલી અલંકૃતિ વાવ -આટલી પ્રતિમાઓથી સમૃધ્ધ વાવના અસ્તિત્વની તો લોકોને જાણકારી પણ નહોતી. કારણકે તેના ઉપરના ટોચના ભાગ સિવાય બાકીની આખી વાવ માટીથી જમીન સાથે જાણે દટાઇ ચૂકી હતી.
૧૯મી સદીની શરુઆતના દરમ્યાન આર્થર માલેટ,હેનરી ક્યુસેન તેમજ જેમ્સ બર્ગેસની પાટણની મુલાકાત દરમ્યાન આ વાવ કે જેની પાછળની દિવાલ અને તોરણ જેવા થાંભાલા માત્ર દેખાતા હતા તે ઉપરથી જાણકારી પ્રાપ્ત થઇ.૧૯૬૮માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ત્યાર્બાદ અહીં ઉત્પન્ન કાર્યનો પ્રારંભ કર્યો.ધીરે ધીરે આ પ્રયાસ દરમ્યાન અમૂલ્ય વાસ્તુશિલ્પ ની ધરોહર સમી આ વાવ દ્દષ્ટિ ગોચર થવા માંડી. જો કે વાવમાં કેટલીક કૃતિઓ ખંડિત હતી તો કેટલીક ગાયબ પણ હતી.કેટલીક પ્રતિમાઓ તેના મૂળ સ્થાને નહોતી તેને અત્યંત સાવધાનીથી પુનસ્થાપિત પણ કરવામાં આવી.આર્કીયોલોજી ના સફળ પ્રયાસ રુપે આજે આપણે ફરી એકવાર આ ઉત્ત્મ કલા-કારીદીરિના સ્થાપત્યને જોવા-જાણવા-માણવા નસીબવંતાબન્યા છીએ.
જો કે આ ભવ્ય અને અત્યંત નાજુક કલાકૃતિના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી વાવ ને ફરી એક વાર ભૂકંપ દરમ્યાન નુકશાન થયું છે.હાલમાં લગભગ જમિન તરફથી નીચે વાવના કુંડ તરફ ઉતરતા પાંચ મજલા સુધી મુલાકાતીઓ જવા મંજુરી છે.ત્યારબાદ મુખ્ય કુવા તરફ જતા બે માળને આડશો મૂકી બધં કરવામાં આવ્યા છે જેથી જાન તથા માલ બંન્નેને ક્ષતિ ન પહોંચે.
જ્યાં સુધી નજર પહોંચે ત્યાં દેવ-દેવીઓ ઉપરાંત પાટણના પટોળામાં વણાતી બારિક જાળી જેવી જોઇને પ્રશ્ર્ન થાય કે વાવની કોતરણી પહેલાં થઇ હશે કે પટોળાની ભાત પહેલાં પડી હશે? અત્યારના આધુનિક ટેકનીકના સમયની તુલનામાં ધણી ઓછી અને પાછળ કહેવાય તેવી કાર્યશૈલીમાં પણ આવું સુંદર-બારિક નકશીકામ કેટલી મહેનતે પાર પાડયું હશે તે વિચાર માત્રથી મન દાદ આપ્યા વગર ન રહી શકે.લગભગ એક-મેકથી જુદી પડતી શિલ્પકૃતિઓથીઅલંકૃત આ વાવમાં નીચે ઉતરવાની પગપારના પગથિયાના પત્થરો લાકડાની ચીપથી જોડાયેલા છે.ને સમયનું આવું જોડાણ અને લાકડું પણ આજે ધણી જગ્યાએ અકબંધ છે.તો વળી મનને એક સવાલ થાય કે આવા નજીવા નુકસાન સામે ભૂકંપના એક ઝટકાથી જમીનદોસ્ત થતા બાંધકામોની સામે પછાત કહેવાય તેવી કાર્યશૈલીની રચનાઓ વધુ મજબૂત તો ખરી જ ને?
મૂળ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વણઝારાની પોઠોને પાણી અને પોરો એમ બંને એકજ સ્થાનેથી મળે તેવિ આ વાવ બાંધવા પાછળ રાણી ભાનુમતીએ બીજા કેટલાય શ્રમિકોને,કારીગરોને,નકશીકારો,શિલ્પકારોને પણ રોજી-રોટી આપવાનું શુભકાર્ય કર્યું હશે!
સરસ્વતીના પ્રવાહની માફક જ લુપ્ત થતી પાટણની પ્રભુતાના અત્યંત ગૌરવશાળી આ સ્થાપ્ત્ય સમી ”રાણી ની વાવ” આજે પણ વાવ નીરાણી તરીકે જ ઓળખાય છે.કહેવાય છે કે આ વાવનું પાણી ઊંટાટીયા માટે અકસીર ગણાતું.ઊટાટીયો શબ્દ આજ ની જનરેશન માટે ઉખાણા જેવો લાગશે પરંતુ તે સમયે તો આ વાવના ઔષધિય ગુણો ધરાવતું પાણી તેનો ઉત્તમ ઉપાય ગણાતો.
”રાણી ની વાવ” એટલે કે આ ”રાણી ની વાવ” ની મુલાકાત દરમ્યાન એટલી તો ચોક્કસ અનૂભૂતિ થઇ કે આ બધી સ્થાપત્ય કલાએ પરદેશીઓએ આવીને જે નુકશાન પહોંચાડ્યું તે પછી પણ હવે સમય,કાળ,પવન કે પાણીના થપેડાઓ સામે પુરતી જાળવણી કરીને એ ઐતિહાસિક વારસો સચવાવો તો જોઇએ જ.
”રાણી ની વાવ” તો હજુ પણ જોવાલાયક રહી છે જ્યારે એક સમયનું ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ તો આજે જે અવદશામાં છે ત્યારે તો ચોક્કસ એમ થાય કે આ હેરીટેજની વાતો માત્ર કરવા પુરતી જ છે? ખુબ આતુરતાથી-ઉત્સાહથી સહસ્ત્રલિંગ જોઇએ અને મનને જે ધડકો લાગે તે એક નહીં સહસ્ત્ર ગણો હોય.સરસ્વતીના પાણીથી ભરાતા આ તળાવ પાછળ ની ઐતિહાસિક કથા તો સૌ જાણે છે. એવું કહેવાય છે કે સહસ્ત્રલિંગ પર ફરતા અનાવેલા મંદિરોમાં એક જ્ગયાએ ધંટ વગાડવામાં આવે તો એક સાથે સહસ્ત્ર ધંટારવ થતા.
અત્યારે પુરાતત્વ ખાતા તરફથી તેના ખોદકામનું કાર્ય ચાલુ છે.આશા રાખીએ કે ઉંડા ઉતરતા તેનો પણ વૈભવ ”રાણી ની વાવ” ની જેમ આપણને માણવા મળે .બીજી એક ઉડીને આંખે બાઝે અને દિલને દુઃખાડે તેવી વાત ચારે બાજુ ગંદકી-અસ્વચછઅતા અને અવ્યવસ્થાની છે.આવા ભવ્ય વારસાને સાચવવા જવાબદારી સરકારની અને જનતાની પણ એટલી જ છે.
થોડી જાણકારીઃ
* રાણા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ ૧૧મી સદી દરમ્યાન આ વાવની રચના કરાવી.
* આ વાવના સાત માળ ની રચના અનેક આકર્ષક કોતરણીવાળા સ્તંભના ટેકાથી કરવામાં આવી છે.
* પૂર્વ-પશ્વિમ દિશા સ્થિત આ વાવના પશ્વિમ દિશા તરફ તેનો મુખ્ય ભાગ એટ્લે કે કુવો છે તે ૬૪ મીટ્ર લાંબો,૨૦ મીટર પહોળો અને ૨૭ મીટર ઊંડો છે.
* વાવની દિવાલો પર મહિષાસુરમર્દિની,પાર્વતી અને અલગ અલગ શૈવ પ્રતિમા ઉપરાંત ભિન્ન-ભિન્ન મુદ્રામા વિષ્ણુની પ્રતિમા,ભૈરવ,ગણેશ,સુર્ય,કુબેર,લક્ષ્મીનારાયણ,અષ્ટદિકપાલ,જેવી નારી પ્રતિમાઓના પણ અનેક મુદ્રામાં આલેખન છે.
* વાવના તમામ સ્તંભ તેની કુંભીથી થાંભલાના મુખ્ય ભાગે પણ જટિલ કહેવાય તેથી કોતરણીથી સુશોભિત છે.
આલેખન – રાજુલ શાહ
તસવીરો – કલ્યાણ શાહ
For more Pictures look at : www.kalyanshah.wordpress.com
“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર Sunday-”યાત્રા” માટે લખ્યો અને ૦૭/૦૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”
![DSC_5593 [640x480]](http://rajul54.files.wordpress.com/2010/02/dsc_5593-640x480.jpg?w=455&h=304)



Recent Comments