Posts filed under ‘''પ્યાર બાંટતે ચલો''’
”પ્યાર બાંટતે ચલો”
વાત છે -વિશ્વના મહાન સંગીકાર અને વાયોલિન વાદક પેગાની ની-લંડનમાં તે દિવસની કડકડતી ઠંડીમા એક વૃધ્ધ અંધજન નાના સ્ટૂલ પર બેસીને વાયોલિન વગાડી આવતા-જતા લોકો કંઇક મદદ કરશે તેવી આશાએ બેસી રહ્યો હતો. અતિશય ઠંડીના લીધે તેની આંગળીઓ ભૂરી પડી ગઇ હતી,શરીર ધ્રુજતુ હતું.લોકો ત્યાંથી પસાર થતા એને જોતા હતા ખરા પરંતુ કોઇ એક પૈસો પરખતું નહોતું.આવા સમયે એક સજ્જને આવીને પૂછ્યુ,”કેમ આજે નસીબ સાથ આપતું નથી? વાંધો નહીં હવે મારો વારો” આટલું કહી પેલા અંધજન પાસેથી વાયોલિન લઇ પોતે વગાડવા માડયુ.ખખડજ વાયોલિન માં જાણે પ્રાણ પૂરાયા. અકૌકિક સંગીતની સુરાવલીએ આવતા-જતા લોકો પર જાદુઇ અસર કરી.સંગીત અટકયું,પેલા સજ્જને પોતાની હેટ ઉતારી ટોળામાં ફેરવી. ટુંક સમયમાં તો ખાસ્સા એવા સિક્કા ભેગા થઇ ગયા. પેલા સજ્જનને ખખડધજ વાયોલિન અને સિક્કાઓ પેલા અંધજનને આપ્યા.અંધજને ખૂબ ગળગળા થઇ તેમનો આભાર માન્યો.અંધજનના ચહેરા પર આનંદની લાગણી છવાઇ ગઇ.આ સજ્જન એટલે જ વિશ્વના શ્રેષ્ઠ વાયોલિન વાદક પેગાની.
ક્યારેક કોઇ અંધજનને હાથ પકડી રસ્તો પાર કરાવી જોયો છે? એ સમયે એમના ચહેરા પર લિંપાયેલી લાગણી અનુભવી છે? હંમેશા માનવ માત્ર સ્વ-કેન્ડ્રી જ બની રહે છે.પણ ક્યારેક એના એ સ્વ ના વર્તુળમાંથી બહાર આવી કોઇના માટે કંઇક-કશુંક કરવાનો જાણે-અજાણે પણ પ્રયત્ન કરી જુવે ત્યારે સમજાય છે એ પળ ની ધન્યતા.
પોતાના માટે કરેલીઅઢળક કમાણીનો કોઇક નાનો હિસ્સો પણ જો કોઇ જરુરિયાત મંદના ચહેરા પર મુસ્કાન રેલાવી શકતો હશે તો એનો આનંદ પેલી અઢળક કમાણીના આનંદ કરતા વધુ ચઢિયાતો સાબિત થશે.
નજીકના ભૂતકાળમાં મુંબઈના એક પિડીયાટ્રીશીયન ડૉક્ટર સંજીવ નાણાવટીને મળવાનું થયુ. ના! કોઇ ઇલાજ અર્થે નહીં,મૈત્રીભાવે, ડૉ સંજીવ નાણાવટી એ સરસ મઝાની રેસ્ટોરન્ટમાં બીજા કેટલાક મિત્રોને ભેગા કરી ડીનર ગોઠવ્યું હતું. જમવાનું પતી ગયા પછી એ ડૉકટરે નિકળતી વખતે એક જણ શાંતિથી જમી શકે તેટલી વસ્તુનો ઑડર કર્યો.મનમાં વિચાર તો થયો કે આટલી મોડી રાત્રે આવું ભોજન કોના માટે? પશ્ર પૂછવાનો ટાળ્યો અને સાથે બહાર નિકળ્યા. અત્યંત આરામથી ધીમે-ધીમે ગાડી ચલાવતા ચારે બાજુ જોતા ડૉકટરે દૂર એક ખૂણામાં ટુંટીયુવાળી સૂતેલા ચિંથરેહાલ માણસને ઉઠાડી એ ભોજન આપ્યું. ગાલમાં ખાડા પડયા હશે એથી વધારે ઉંડો ખાડો એના પેટનો હશે. જે રીતે એ ભૂખ્યાને ભાવ પૂર્વક જમતા જોઇને શાંતિથી ઉભેલા એ ડૉકટરના ચહેરા પર જે તૃપ્તિના ભાવ જોયા.ત્યારે સમજાયું કે મિત્રોની મેહફીલને માણવા કરતા પણ વધુ આનંદ એ વખતે છલકતો હતો. અને અંતે બિસલેરીની પાણીની બોટલને એક ઘૂંટડે પૂરી કરતી એ વ્યક્તિને આભાર માનવાની તક પણ આપ્યા વગર એ ડૉકટરે ત્યાંથી ખસી જવાનું મુનાસિબ માન્યું.પણ એ ક્ષણે જે ભાવ જે સંતૃપ્તિ પેલી વ્યક્તિના ચહેરા પર હતી એના કરતા અને ઘણી પરિતૃપ્તિ ડૉકટર ના ચહેરા પર જોઇ.
સાવ જ સહજ રીતે થયેલી એ ધટનાએ મન-હ્રદય પર ખૂબ ઊંડી છાપ મૂકી.એ આયાસ કોઇ એક દિવસ પૂરતો નહોતો. ડૉકટરની હંમેશની એ પ્રકૃતિ જ હતી.
ઇશ્ર્વરે આપણને જે આપ્યું છે તેમાંથી બસ એક જરાક જેટલું કોઇના માટે ફાળવવાની વાત છે.
“આ લેખ/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને ૧૫/૦૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”


Recent Comments