Posts filed under ‘'' ચંદ્રના અજવાળામાં નહાતો કુંભલગઢ ''’
”ચંદ્રના અજવાળામાં નહાતો કુંભલગઢ”
![DSC_3307 [640x480] - Copy DSC_3307 [640x480] - Copy](http://rajul54.files.wordpress.com/2009/10/dsc_3307-640x480-copy.jpg?w=455&h=302)
ચંદ્રના અજવાળામાં નહાતો કુંભલગઢ
ચંદ્ર પરથી ચીનની દીવાલ પછી જો નજરે પડતી હોય તો તે છે કુંભલગઢ ફરતે ૩૬ કિ.મી લાંબી અને ૨૬ ફીટ પહોળી દીવાલ ધરાવતી રચના.એક સાથે આઠ ઘોડા જોતરેલા રથ સહિતનીસેના પ્રસાર થઇ શકે તેવી દીવાલને ચીનની દીવાલની લઘુ આવ્રુત્તિ કહી શકાય.
ઉદયપુરથી બે કલાક્ના માર્ગે અને જયપુરની દક્ષિણે આવેલા કુંભલ ગઢને મૌર્ય સામ્રાજ્યના ઐશ્ર્વર્યનું-ભવ્યતાનુ પ્રતીક માનવામાંઆવે છે.રાજસ્થાનમાં મેવાડ સામ્રાજ્યના અતિ દુર્ગમ કુંભલગઢને સર્મથ કહી શકાય તેવા મોગલો પણ પરાસ્ત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.૧૯૧૪ મીટર ઊંચી ગિરિમાળા ઉપરનો આ કુંભલગઢ ભુતકાળના રાજપૂત રાજ્યના ભવ્ય પ્રતિક સમો આજે પણ એવી જ ભવ્યતા સાથે સાથે પેનોરમિક વ્યૂના લીધે લોકોમાં એટલો જ આકર્ષણરુપ રહ્યો છે. ૧૫મી સદી દરમ્યાન બંધાયેલો આ કુંભલગઢ ચિત્તોડગઢ જેવી જ મહત્વની કિલેબંધી ધરાવે છે.૩૬ કિ.મી.લાંબી દિવાલ અને સાત મજબૂત દરવાજાથી ઘેરાયેલા કુંભલગઢ તેનાથી જ આરક્ષિત છે.પરંતુ વિધિના વક્રતા એ છે કે રાણા કુંભની હત્યા આ જ કિલ્લામાં તેના દીકરા ઉદયે કરી હતી.
કુંભલ ગઢ સાથે જોડાયેલી તેની કેટલીક સ્થાનિક જગ્યાઓ છે જે પોતાની એક જુદી જ વાત કરી જાય છે. કુંભલગઢના સાત દરવાજા પણ પોતાની અલગ ઓળખ સમા છે.કુંભલગઢની અંદર જ આવેલો કતારગઢ વળી એક નવી-એક અનોખી ભાત ઉપસાવે છે.રાણા કુંભ દ્વ્રારા બંધાયેલા જુના મહેલને પાડીને ત્યાં મહારાણા ફતેહ્સિંહે મહેલ બંધાવ્યો. કતારગઢમાં લગભગ ૩૬૫ મંદિરો છે.જેમાં ભગવાન શિવને સમર્પિત એવા એક વિશાળ શિવલિંગનો સમાવેશ છે
સોથી પ્રથમ અને પડકાર સમી અરેટ પોળ તેની નજીક આવેલા અરેટ ગામના નામ પરથી જાણીતી છે.કુંભલગઢનો આ દરવાજો કટોકટી સમયે અરીસા દ્વ્રારા પ્રતિબિંબિત કરીને બીજા તમામ દરવાજા સુધી સંદેશો પહોંચાડી શકાય તેવી રચના ધરાવતો રહ્યો.
બીજી હલ્લાપોળ-૧૫૬૭માં મોગલ લશ્કરે કરેલો હુમલો એટલો વિનાશકારી રહ્યો હતો કે આજના વર્તમાન સમયે પણ આ દરવાજા પર તોપમારાનાં નિશાન યથાવત છે.અહીં ભવિષ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને બનાવેલી રચના પણ છે. જો બનવાકાળે પરદેશી રાજ્ય ગઢ તોડવામાં સફળ બને તો ત્યાં ભૂગર્ભમાર્ગ છટકબારી હોવા ઉપરાંત સૈન્યને હુમલા સામે ચેતવણી આપવા હાકલથી સંદેશો પહોંચાડવા ઉપયોગી હતો.
કુંભલગઢની ત્રીજી અને ભગવાન હનુમાનજીના નામે જ સમર્પિત એવી હનુમાનપોળ માટે કહેવાય છે કે મહારાણા કુંભે મેવાડના મંદોરની પ્રતિબિંબ સમા આવાસની આભા આપી છે.
ચોથી ભૈરવપોળ ૧૯મી સદીના દેશનિકાલ પામેલા મુખ્ય્મંત્રીના નામ પર આધારિત છે.આ દરવજો કલા-કારીગીરીના તે સમયનો ઉત્ક્રુષ્ટ નમૂનો છે.
કુંભલગઢની પાંચમી પાઘરાપોળ નામે ઓળખાતો આ દરવાજો યુધ્ધ પહેલાં જ્યારે હયદળનું એકત્રીકરણ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી પસાર થતા ઘોડેસવારોને આપવામાં આવતા પીણા (મધના પ્યાલા) માટે જાણીતો છે. બાજુમાંઆવેલા પહેરા (ચોકી) માટેનો મિનારો પણ ઘણી જુની રચના છે.જે લગભગ ૮ મીટર પહોળી દિવાલ ધરાવે છે.
તોપખાનાપોળ નામે જાણીતો છઢ્ઢો દરવાજો ‘તોપ દરવાજા’ તરીકે પણ ઓળખાય છે. અહીં પણ એક ભૂગર્ભ માર્ગ છે જે છટ્કી જવાના ગુપ્ત માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ગઢના સલામતી પરિબળ તરીકે તેની રચના કરવામાં આવી હતી.
ઇતિહાસ સાક્ષી છે પન્નાદાઇની કર્તવ્ય પરાયણતાનો, કાકાની તાજ માટેની- રાજ માટેની તીવ્ર લાલસા જ્યારે બાળ ઉદયસિંહની હત્યા કરવા પ્રેરિત થાય છે ત્યારે બુંદીથી પન્નાદાઇ બાળ ઉદયસિંહને બચાવીને જ્યાં ઉદયસિંહને છુપાવીને ઉછેર કરે છે તે નીમ્બુપોળ કુંભલગઢની પશ્રિમે એની મંત્રમુગ્ધ કરતી ગ્રુહરચના થકી સ્થાપિત છે. કુંભલગઢને જ ત્યારબાદ પોતાનો રહેવાસ બનાવી રાજા ઉઅદયસિંહે મેવાડની રાજ્યસત્તાનો ઉદય કર્યો અને લેક સિટી તરીકે પ્રખ્યાત ઉદેપુરની સ્થાપના કરી.
તદ્દપરાંત કુંભલગઢની રામપોળ અને વિજયપોળની વચ્ચે ત્રણ પથ્થરની મૂર્તિઓ જોવા મળે છે. લોકવાયકા એવી છે કે રાજવંશની ત્રણ મલિન સ્ત્રીઓએ ગઢમાં પ્રવેશવા માટેના ગુપ્ત દરવાજા વિશે માહિતી આપી દુશ્મનોને મદદ કરવા પ્રયત્ન કરેલો.એની સજારુપે તે સ્ત્રીઓને દીવાલમાં જીવતિ ચણી લેવામાંઆવી હતી.ફરી આવી ભૂલ ન થાય તેવી યાદ અપાવતી એ પથ્થરની મૂર્તિઓ દીવાલના આગળના ભાગે મૂકવામાં આવી છે.
રાણા કુંભની આજ્ઞાથી રચેયાલો ૩૭ મીટર ઊંચો ૯ માળનો પ્રભાવી મિનારો ‘વિજય સ્તંભ’ નામે ઓળખાય છે. ૧૪૫૮માં તેની રચના પૂર્ણ થઇ હતી.તેનો ‘વિષ્ણુ સ્તંભ’ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.આ મિનારો હિંદુ દેવ દેવીઓના અત્યંત સુંદર શિલ્પોથી તેમજ રામાયણ-મહાભારતની પ્રાસંગિક કથાના નયનરમ્ય ચિત્રોથી સુશોભિત છે.
કુંભલગઢમાં ફતેહ પ્રકાશ મહેલ તેની એડવાન્સ વેન્ટિલેશન સિસ્ટમ માટે ખ્યાતિ પામેલો છે.તે જમાનામાં ચીમનીની સિસ્ટમ ધરાવતાં રસોડા અહીં જોવા મળતા. ફ્તેહપ્રકાશ મહેલનો દરબાર હોલ તેની સજાવટ અને પેઇન્ટિંગ માટે ,જ્યારે ગણેશ મંદિર તેમજ દરિયાથી ૩૮૦૦ફુટ ઊંચાઇએથી પનોરમિક વ્યુ માટેનું આકેર્ષણ છે.
બાદલ મહેલ તેના નામ પ્રમાણે સોથી ઊંચાઇએ આંબતી રચના માટે ખ્યાત છે.ગઢની ફરતે પ્રાક્રુતિક સોદર્યનો વ્યુ ધરાવતો કુંભલગઢનો આ સોથી સુંદર મહેલ છે.તેના આવાસો નાજુક પેસ્ટલ રંગોનાં ભીંતચિત્રોથી સુશોભિત છે.આપણા સમ્રુધ્ધ ઐતિહાસિક વારસા સમો કુંભલગઢ અમદાવાદથી ૩૩૫ કિ.મી.અંતરે છે.જ્યારે ઉદેપુરથી ૮૦ કિ.મી.ના અંતરે છે.
આલેખન-રાજુલ શાહ. સંકલનકાર -બેલા ઠાકર
માહિતિ – કલ્યાણ શાહ.
ફોટો સોજન્ય- નિશિથ શાહ, ઇલેશ શાહ,કલ્યાણ શાહ.
For more Pictures look at :
“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર Sunday-”યાત્રા/હેરિટેજ ” માટે લખ્યો અને 04/10/2009 ના પ્રગટ થયો.”
![DSC_3261 [640x480] - Copy DSC_3261 [640x480] - Copy](http://rajul54.files.wordpress.com/2009/10/dsc_3261-640x480-copy.jpg?w=455)

Recent Comments