Posts filed under ‘"એક નવા શુભ વર્ષમાં એમનો મગંળ પ્રવેશ.. "’
“એક નવા શુભ વર્ષમાં એમનો મગંળ પ્રવેશ.. “
અનિલ જોષીનું કન્યા વિદાયનું ગીત -પણ જરા શબ્દફેર સાથે..
“ લીલુડા પાંદડાની ઉછળતી વેલ
હવે કંકુના પગલા લઈ આવી
નાડાછડીના તાંતણે બાંધેલુ ફળિયુ
હવે લાગે છે મગંળ મંદિર..
મૂળ કન્યા વિદાય વિશે લખાયેલુ કાવ્ય આજના તે દિવસે જરા જુદી રીતે અનુભવાતુ હતુ. દિકરી માંડવડે બાંધેલી ચોરી વચ્ચે સપ્તપદીના ફેરા ફરતી હોય ત્યારે હ્રદય ઉમંગ ભર્યુ હોવા છતાં એના સાત સાત પડળ વહેરાઇને વેર-વિખેર થઈ જતા લાગે .જ્યારે આ જ સપ્તપદીના ફેરા ફરતી કોઇની કન્યા જ્યારે આપણા ઘરની લક્ષ્મી બની એના કુમકુમ પગલા પાડતી ગ્રુહપ્રવેશ કરવાની હોય ત્યારે એ પ્રત્યેક સપ્તપદીના ફેરાએ હ્રદયમાં સપ્તરંગી મેઘધનુષ્યના રંગ બની જતા હોય તેવું લાગે.
આવા જ એક સપ્તરંગી મેઘધનુષ્યના સાતે રંગ બનીને આવનાર એ મારી પુત્રવધુ -એ મીઠડીના આગમનના એ શુભ અવસરને આજે ૨૪ જાન્યુઆરીએ બે વર્ષના વ્હાણા વીતી ગયા છે પણ આજે એ દિવસની યાદ મન -હ્રદયમાં અકબંધ છે.
હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો કોઇની લાડલી બની છે રે દુલ્હન….
પાનેતરમાં ઢબુરાઇને જ્યારે કોઇની એ લાડલી મારા ઘરનો અજવાસ બનીને આવતી હતી ત્યારે એક બાજુ વિદાય ગીત ચાલતુ હતુ..
પરણ્યા એટલે પ્યારા લાડી
ચલો આપણે ઘેર રે..
હા, આજ સુધી જે મારુ ઘર હતુ એ આજથી એનું પણ ઘર હતુ. એના કુમકુમ પગલા જેમ જેમ મારા ઘરમાં પ્રવેશ કરવા આગળ વધી રહ્યા હતા તેમ તેમ અમારા અંતરમાં આનંદની લાલીમા રેલાતી હતી. નાજુક પગના એક ઠેલાથી અક્ષત કુંભ ઠેલવતી એ જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે દિકરીના વિદાયથી ખાલી પડેલુ ઘર જાણે અભરે ભરાઇ ગયું.
પુત્રવધુના આગમને પુત્ર વહેંચાઇ જશે એવી સાંભળેલી વાતોની મન- ચિત્તમાં સહેજ પણ ભીતિ નહોતી.જ્યારથી એ બે ના મન મળ્યા તે જ દિવસથી અમારા પણ હ્રદયમેળ થઈ ગયા હતા. ક્યાંક એવું જાણ્યુ હતુ કે જ્યારે તમે જે વ્યક્તિને પુરા મનથી -ખરા હ્રદયથી સ્વીકારી લો ત્યારે તે વ્યક્તિ તમારા જીવનનું અભિન્ન અંગ બની જાય તો પછી એ અભિન્ન અંગને આપણાથી –આપણા પરિવારથી ભિન્ન્ન શા માટે માનવું?
દિકરી સાથે લોહીનો સંબંધ હોય તો દિકરાની પત્ની સાથે લાગણીનો સંબંધ સંધાઇ જાય.દિકરી જ્યારે ઘરનો માળો છોડી બીજાના ઘરનો માળો વસાવવા જતી હોય તે સમયની વેદના ના સ્થાને જ્યારે કોઇની દિકરી આપણો માળો બાંધવા આવે ત્યારે ઉલ્લાસ ઉમંગથી એ માળો ચહેકી ઉઠે છે. આ જ ચહેકાહટ એ દિકરીના વિદાયથી ખાલી પડેલા માળાને જીવંત બનાવે છે.
દિકરી એટલે ઘરનો તુલસી ક્યારો ..પણ એ તુલસી ક્યારો બીજાના ઘર આંગણમાં જઈને ખીલવાનો છે..તો આજે મારા ઘરમાં રોપાતા એ તુલસી ક્યારાને પ્રેમથી સીંચીને હંમેશા પલ્લવીત મારે રાખવાનો છે એવો જાણે અજાણે કોલ ઘરમંદિરમાં થાપા દેતી મારી એ મીઠડીને મેં દીધો.
દિકરી જન્મે એટલે કહેવાય કે ઘરમાં લક્ષમી પધાર્યા …પુત્રવધુના ગ્રુહ પ્રવેશ સમયે પણ એવો જ ભાવ થવો એ સ્વભાવિક નથી?? જો એ સ્વભાવિકતા હંમેશા રહે તો જ સાચા અર્થમાં એનો સ્વીકાર કર્યો કહેવાય..
આજે આટલા સમયે એ સ્વીક્રુતિ એમ જ છે અને હંમેશા રહે એવી ઇશ્વરને ખરા હ્રદયથી પ્રાર્થના.કારણ આજે ફરી ૨૪ જાન્યુઆરી …એક નવા શુભ વર્ષમાં એમનો પ્રવેશ.. આવનાર પ્રત્યેક વર્ષ અમારા સૌ માટે અતિ શુભ બને..


Recent Comments