Posts filed under ‘''આનંદ નો તહેવાર ઉત્તરાયણ''’
”આનંદ નો તહેવાર ઉત્તરાયણ”
ઉત્તરાયણ એટલે ઉલ્લાસ-મસ્તીનો તહેવાર. અમસ્તાય તહેવારો જીવનમાં ઉત્સાહ. ઉમંગ ,ઉલ્લાસ પ્રેરનારા છે.
ઉત્તરાયણ એટલે કે સૂર્યનું ઉત્તર તરફ અયન .ઉત્તર તરફ ગમન-પ્રયાણ. ૧૪મી જાન્યુઆરીથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. અને પ્રવેશ એટલે કે સંક્રાંત કાળ માટે મકરસંક્રાંતિ.ભારતના કોઇપણ તહેવારો પાછળ કશોક હેતુ. કંઇક સંદેશ અથવા કોઇને કોઇ ભાવના રહેલી જ હોય છે.
સંક્રાંત એટલેકે સંક્રમણ .એટલેકે મૂળ જગ્યાએથી બીજી દિશા તરફ પ્રયાણ કરવું. સુર્યની જેમ અંધકારમાંથી વધુ તેજોમય દિશા તરફ પ્રયાણ કરવું.અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અસમજમાંથી સમજ તરફ, જડતામાંથી ચેતન તરફ, સ્થિરતામાંથી પ્રગતિ તરફ પ્રયાણ કરવું.
પતંગ એક જીવંત -આદર્શ ઉદાહરણ છે જીવનને જોવાનુ. જીવનાકાશમાં પતંગ જેવી ઉચ્ચતા -સ્થિરતા પામવા માટે આપણે જ આપણા હાથમાં પરિશ્રમ રૂપી દોરનો સંચાર કરવાનો છે. માંજો જેટલો કાચ પાયેલો હોય તેટલો વધુ મજબૂત બને તેમ આપણા ઇરાદા જેટલા મક્કમ હોય એટલી ટક્કર લેવી સરળ બને. આકાશમાં લહેરાતા અસંખ્ય પતંગ વચ્ચે આપણો પતંગ કપાઇ ન જાય તે માટે જેવી અને જેટલી તકેદારી રાખીએ તેવી અને તેટલી સાવધાની જીવનમાં હંમેશા રાખવી જ પડે. ક્યારે સમજણ -સમાધાનની ઢીલ મૂકવી પડે તો ક્યારેક મક્કમ મનોબળથી અન્યાય સામે ખેંચ-ઝીંક પણ ઝીલવી પડે.
સાનૂકુળ અથવા પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ પતંગને સ્થિર રાખીએ તેમ જીવનની સાનૂકુળ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણા આદર્શોને ટકાવી રાખવાની સાવધાની વર્તવી પડે.
સમયના ફલક ઉપર શ્રેષ્ઠતા સાબિત કરવા આસપાસના કનક્વાને આપણને સ્પર્શે નહીં તે રીતે અથવા તો ચોમેર ફેલાયેલી હરિફાઇમાં વધુ ઉચ્ચતાથી વધુ શ્રેઠતમ દેખાવ થકી વિજયી બની આગળ વધવાનો સંદેશ ઉત્તરાયણ-મકરસંક્રાંતિના દિવસે આકાશમાં સ્થિર થયેલો પેલો નાનકડો પતંગ આપણને આપે છે.
રાત્રે આકાશમાં ચમકતી તુક્કલની માફક આપણે સૌ સ્વ-પ્રકાશથી ચમકીએ તેવી આ શુભ દિને સૌને શુભેચ્છા.


Recent Comments