Archive for November, 2011
જીવન સંધ્યા….
જીવન સંધ્યા….
સૂર્યના આગમન સાથે શરૂ થતો થતો દિવસ મધ્યાને પહોંચે અને હળવેથી સાંઝ બની ને આથમી જાય રાતના અંધારા આપણા અસ્તિત્વને એના આગોશમાં લપેટીને ઢબૂરી દે. અને આપણે પણ એક બીજા દિવસને , એક નવી પ્રભાતને આવકારવાની તૈયારી સાથે નિશ્ચિંત મને એ રાતમાં આપણી જાતને ઓગાળી દઈએ છીએ ને?
એક જન્મથી બીજા જન્મ સુધીની આપણી સફર પણ આ એક દિવસ જેવી જ નથી? જીવનનુ પ્રભાત એ આપણુ પા પા પગલી પાડતુ બચપન. યુવાનીનો મધ્યાન તપે અને હળવેથી પ્રૌઢાવસ્થા એટલે કે જીવન સંધ્યામાં ઢળી જાય. અને અહીંથી શરૂ થાય છે એક નવજીવનને આવકારવાની પ્રક્રિયા.ક્ષિતિજે મળતી અવની અને આકાશનુ અદભૂત મિલન એકમેક માં ભળી જાય એવી રીતે જીવનના અનુભવો અને સમજણ નુ જો સુરેખ મિલન થાય તો એ જીવન સંધ્યાના અવનવા રંગો ઢળતી ઉંમરના ઘેરા અને કદાચ અકલ્પ્ય -અસહ્ય રંગો પર નવી આભા ઉભી કરીને એ ઘેરા રંગોને થોડા આછા કરી જ શકે. અને તો જ વ્યક્તિ નવજીવન માટે નિશ્ચિંત મને જીવને શિવના- આત્માને પરમાત્માના મિલન માટે જાતને ઓગાળી શકે.
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે ચાર આશ્રમની વ્યવસ્થા ગોઠવાઇ છે એ પ્રમાણે જોવા જઈએ તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચેનો સંધિકાળ એ જ આ જીવનનુ ૭૫મુ વર્ષ. આ સમયનો સંધિકાળ એટલે જીવન સંધ્યા.
આજ સુધી સ્વજન માટે કરેલી દોડને અટકાવીને પોતાની જાત માટે – સ્વને શોધવાનો સમય.ઉમાશંકર કહે છે એમ ”હું મને મળવા આવ્યો છુ”
સમજણ આવી ત્યારથી બીજાને સમજવાની અને બીજાને સાચવવાની મથામણમાં ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ખોઇ નાખતી હોય છે. હવે સમય શરૂ થાય છે આત્મખોજનો. આજ સુધી બીજા માટે વ્યતિત કરેલા જીવનના વર્તુળને સમેટીને સ્વને કેન્દ્ર બિંદુ સ્થાને મુકીને સમય પસાર કરવાનો મોકો હવે મળે છે. પણ સાવ જ એવા સ્વકેન્દ્રી બનવાના
બદલે નિવૃત્તિમાં પ્રવૃત્તિ આદરવાનો આ સમય સ્વની સાથે સ્વજનને પણ સમૃધ્ધ બનાવે તો ? સાચા અર્થમાં જીવન સાર્થક થયુ ન કહેવાય? સમૃધ્ધિ ભૌતિક હોય એ સર્વ સામાન્ય વાત છે અહીં તો આટ્લા વર્ષોનો અનુભવ નિચોડ સિંચીને સ્વ અને સ્વજનને સમૃદ્ધ બનવા બનાવવાની વાત છે.
સાવ મોકળા મને જીવવાના આ સમયને સમય સાચવવાની કોઇ જાતની પાબંદી હોતી નથી ત્યારે જ કદાચ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થતો હશેને? આ શ્રેષ્ઠ ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ તો રહેવાનો જ. ધર્મની સાથે કર્મને સાંકળીને યથાયોગ્ય જીવાતા જીવનના અંતે વ્યક્તિ પોતાની જાત માટે સંતોષ લઈ શકે એવી પ્રવૃત્તિ થી નિવૃત્તિને ઉજાળવાનો પ્રયાસ એટલે જા જીવન સંધ્યા.
નિવૃત્તિ શબ્દને શબ્દદેહે જીવનમાં જેણે વણી લીધો છે એને આ નિવૃત્તિનો ચોક્કસ ભાર લાગવાનો . શરીરથી સક્ષમ હો અને ફરજીયાત નિવૃત્તિ લેવાની વાત આવે એ વ્યક્તિને તોડી નાખતી હોય છે પણ નિવૃત્તિને મરજીયાત અને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડી દેવાથી એને રસપ્રદ બનાવી જ શકાય ને? આ રસપ્રદ પ્રવૃત્તિ પણ વ્યક્તિ વ્યક્તિ એ અલગ તો હોવાની જ.
દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે. જીવનનુ ૭૫મુ વર્ષ તો બાકીની જીંદગીની પા પા પગલી કરતી શરૂઆત છે. આ સમય એવો છે કે જ્યારે જેના માટે આખુ જીવન વ્યતિત કર્યુ હોય એવા સ્વજનો પાસે તમારી માટે ફાળવવાનો કદાચ સમય ન પણ હોય. ત્યારે એકલતા અનુભવવાના બદલે મનને
સાબૂત રાખવા મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ કરવાનો છે. બની શકે કે સમય જતા શરીર પણ મનની વૃત્તિઓને સાથ આપવા જેટલુ સક્ષમ ન પણ રહે.પણ મન સાબૂત રાખીને તનને પ્રવૃત્તિમય રાખવાનો ઉદ્યમ તો ચોક્કસ કરીજ શકાય.
આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.
રાજુલ શાહ
http://www.rajul54.wordpress.com
…………………………………………………………………………………………………………………………………………………………………
આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના કે, મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.
આ પ્રસંગે મારા ૫૪ વર્ષના દામ્પત્ય જીવનમાં સતત ઉષ્માભર્યો સાથ-સહકાર આપનાર જીવન સંગીની ઇન્દુનો હું ઋણ સ્વીકાર કરું છું.
ચી. રાજુલ શાહ દ્વારા મારા ૭૬ માં વર્ષના પ્રવેશ નિમિત્તે આલેખાયેલ પ્રાસંગિક લેખમાંથી સાભાર.
કલ્યાણ સી . શાહ
…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………
રોકસ્ટાર – film reviews -
“હીના રંગ લતી હૈ પિસને કે બાદ” જનાર્દન જખર( રનબીર કપૂર) ને આ સત્ય સમજાય છે ત્યારથી માંડીને આ સત્ય ને હકિકત વચ્ચેનો સંઘર્ષ એટલે એક સામાન્ય ગાયકમાંથી રોકસ્ટાર બનવા સુધીની સફર અને આ સફરનુ ચિત્રીકરણ એટલે પ્રોડ્યુસર ધિલ્લીન મહેતાની ઇમ્તિયાઝ અલી દિગદર્શીત ફિલ્મ” રોકસ્ટાર” .જનાર્દનથી જોર્ડન સુધીની આ સફરમાં એક અદના ગાયકને જીવનમાં કેવી ઉંચાઇઓ અને કેવી હતાશાની ગર્તામાંથી પસાર થવુ પડે એની વ્યથાની સંગીતમઢી કથા છે.કોઇ જ સંદર્ભ ન હોવા છતાં આજે અજાણતા જ ગુરૂદત્તની ફિલ્મ ” કાગજ કે ફૂલ” યાદ આવી ગઈ.
દિલ્હીના મિડલ ક્લાસ પ્રિતમપુરાથી ઇન્ટર્નેશનલ સ્ટેજ સુધી પહોંચવા મથતા જનાર્દનને આજ સુધી હિણપત અને માનહાની જ પ્રાપ્ત થયા હોય ત્યારે એની સંવેદના ક્યાં તો બુઠ્ઠી બની જાય અથવા તો અત્યંત ઉગ્ર બની જાય. જ્યારે જનાર્દન એક સત્ય તો સમજી જ જાય છે કે પ્રત્યેક કલાકારના જીવનની કરૂણતા એ છે કે એમની સફળતાનુ મૂળ એમના જીવનની કોઇને કોઇ દુઃખદ ઘટના સુધી પહોંચતુ હોય છે. પહેલ પાડ્યા વગર તો હીરો પણ એક સામાન્ય નંગ જ હોય છે.
રોકસ્ટાર બનવા જનાર્દન પણ એક આવી જ કોઇ ઘટના એના જીવનમાં ઘટે એમ ઇચ્છે છે જે એનુ જીવન બદલી નાખે. હીર કૌર કોલેજ કેમ્પસનુ એક એવુ નૂર છે જેની પાસે અવાજ , રૂપ ,કૌશલ્યની સાથે ઘમંડ પણ ભારોભાર છે . કંઇ કેટલાયના દિલ તોડી ચુકેલી હીર ના પ્રેમમાં પડેલા જનાર્દનની ઝંખના પ્રમાણે એને પ્રેમ પ્રાપ્ત થશે કે પ્રતિષ્ઠા ?
જનાર્દનના સંઘર્ષ અને સફળતા, વેદના અને સંવેદના, ઉદ્ગગમ અને પતન , જોશ અને ઉદાસીનતાની આ કથાને જબ વી મેટ અને લવ આજ કલ ના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ એક નવા અભિગમનો સ્પર્શ આપવા પ્રયત્ન કર્યો છે. બોલીવુડના એલ્વીસ પ્રીસ્લી ગણાતા અને સાચા અર્થમાં પહેલા રોકસ્ટાર તરીકે જાણીતા થયેલા શમ્મી કપૂરની ફિલ્મી પડદા પરની છેલ્લી હાજરી એક અનોખુ નજરાણુ બની રહેશે.જ્યારે શમ્મી કપૂરની વાત આવે ત્યારે સ્વભાવિક રીતે કશ્મીર કી કલી થી માંડીને પ્રોફેસર, તિસરી મંઝીલ જેવી અનેક ફિલ્મો જેણે પણ જોઇ હશે એમની યાદોમાં એ તમામ ફિલ્મોના ધૂંઆધાર ગીતો આજે પણ અકબંધ હશે જ. આમ ગાયકથી ખાસ ગાયક સુધીની રોકસ્ટારની સફર માં જ્યારે એ.આર રહેમાનનુ સંગીત હોય ત્યારે આવા જ કોઇ ચિરસ્મરણિય ગીતોની અપેક્ષા હોય. એ શમ્મી કપૂરની ફિલ્મોને યાદ ન કરીએ અને એ. આર. રહેમાનની ” રોજા” કે “તાલ”ને નજર સમક્ષ રાખીએ તો પણ એ સમયના ગીત સંગીતની આજના ગીત સંગીત સાથે સહજ સરખામણી થઈ જ જાય .તેમ છતાં ” તેરા નામ” , ફીર સે ઉડ ચલા જેવા ગીતોની નોંધ લેવી રહી.
રણબીર કપૂરે રાજનિતી, વેક અપ સિડ જેવી ફિલ્મોમાં અભિનયથી આગવી ઓળખ ઉભી કરી છે. રોકસ્ટાર ફિલ્મમાં લાગણીઓના ચઢાવ- ઉતાર ઉન્માદ અને હતાશાને રણબીર કપૂરે પુરેપુરા વિશ્વાસથી વ્યક્ત કર્યા છે. નાજુક એવી નરગીસ ફકરીએ ફરી એક વાર કશ્મીર કી કલીની યાદ તાજી કરાવી. જો કે ક્યારેક એની ભાવનાત્મક અભિવ્યક્તિની ઉણપ કઠે છે. રણબીર અને નરગીસ વચ્ચે સરસ તાદાત્મ્ય સર્જાતુ અનુભવાય છે. શમ્મી કપૂરે બોલીવુડને અલવિદા કરતા પહેલા નાના રોલમાં અભિનય કરી જીવનની આખરી ઇનિંગ પુરી કરી છે..
ઇમ્તિયાઝ અલીના દિગ્દર્શનનો જે ટચ આગલી ફિલ્મોમાં જોયો હોય અને એ અપેક્ષા રાખી હશે તો એને અહીં આ ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી થોડા ગુંચવાયેલા લાગે અને તેમ છતાં દિગ્દર્શકની કલાકાર પાસે ધાર્યુ કામ કઢાવી લેવાની કુશળતા અને એમાં રણબીર કપૂરનો સાથ આ ફિલ્મનુ જમા પાસુ છે.
કલાકાર- રણબીર કપૂર, નરગીસ ફખરી, શમ્મી કપૂર, અદિતી રાવ હૈદરી.
પ્રોડયુસર – ધિલ્લીન મહેતા
ડાયરેકટર-ઇમ્તિયાઝ અલી
મ્યુઝિક- એ.આર. રહેમાન
ફિલ્મ * * * એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *
રા-વન- film reviews -
રા-વન ફિક્શન મુવી છે જેમાં ટેકનિક, સ્પેશિયલ ઇફેક્ટને સુપર પાવર ગણવી કે હીરોને એ દરેકની મુનસફીની વાત છે.
એક કંપલીટ કન્ફ્યુઝ છતાં એક્મેક માટે કન્સર્ન ફેમીલી. સાઉથ ઇન્ડીયન શેખર સુબ્રમણ્યમ (શાહરૂખ) ને પંજાબી પત્ની સોનિયા ( કરિના )અને પુત્ર પ્રતિક જે સ્કૂલમાં રોક બેન્ડ અને ફૂટબોલ ટીમમાં અગ્રીમ છે પણ તેને ખરો રસ તો વીડિઓ ગેમ પ્રત્યે છે. શેખર ગેમ ડિઝાઇનર છે જે આજ સુધી એક પણ ઇન્ટરેસ્ટીંગ વીડિયો ગેમ બનાવી શક્યો નથી. પુત્રનો પ્રેમ પામવા માટે સતત પ્રયત્નશીલ શેખરને એક એવી વિડીયો ગેમ બનાવવી છે જેનાથી પ્રતિક ખુશ થાય કારણકે પ્રતિકને વીડિયો ગેમ તરફ અથાગ લગાવ છે. પ્રતિકનુ માનવુ છે કે હીરો કરતા હંમેશા વિલન સુપર પાવર હોય. માટે શેખરને એવા સુપર પાવર વિલનનુ સર્જન કરવુ છે.પણ ખરેખર વાસ્તવિક જીવનમાં આમ બને ત્યારે તો રા-વન સામે જી-વને જ જંગ છેડવો અને જીતવો પડે.
સોનિયા આધુનિક ટેકનોલોજીથી જરા અલગ માનસ ધરાવતી એક્દમ પરંપરાગત પંજાબી પત્ની છે તેમ છતાં સ્વ- નિર્ભર પણ એટલીજ છે.
વીડિયો ગેમ બનાવવાના સતત પ્રયાસોમાં અંતે એક દિવસ શેખર સફળ થાય છે. અને આ સફળતા પરિવાર સાથે માણવાના સમયે આ બેલ મુઝે માર જેવી પરિસ્થિતિ ઉત્તપન્ન થાય છે. જે ગેમ શેખરે રમવા માટે બનાવી હતી એ જ ગેમ હવે એની સાથે રમતના આટાપાટા ખેલે છે. હાર્ડ ડ્રાઇવ ક્રેશ થયેલી વીડિયો ગેમ શેખર અને એના પરિવારની દુનિયા ઉલટ-પુલટ કરી નાખે છે.
હજુ તો જેની હવા બોલીવુડના રસિયાઓના માનસમાં બંધાયેલી હશે એવી ફિલ્મ રોબોટ પણ એક એવા સુપર હીરોની જ ઇમેજ હતી જે સર્વથા શક્તિમાન હોય. રા-વન પણ આવીજ હીરો ઇમેજને અકબંધ રાખતી બાળકોને વધુ આકર્ષે એવી ફિલ્મ છે. કદાચ કોઇ પણ પણ ઉંમર હોય દરેક વ્યક્તિમાં એક બાળપણ સચવાયેલુ હોય છે જેમાં આવા સુપર પાવરને માણવાની એક ઇચ્છા ઉંડે ઉંડે પણ સચવાયેલી હોય છે. અને આ અદમ્ય ઇચ્છા સંતોષાય ક્યારે? જ્યારે એ કલ્પનાને નજર સામે સાકાર થતી થતી જુવે ત્યારે. રા-વનમાં લગભગ તમામ એવા તત્વો છે જે આ અંદરના બાળકને ખુશ કરે. સુપર હીરો ની ઇમેજ, આછી પાતળી હોવા છતાં ઝડપથી આગળ વધતી કથા અને ફિલ્મને સફળ બનાવે એવુ મનોરંજન. ફિલ્મમાં ટેકનિકની સાથે ઇમોશનનો ઉમેરો હોય તો એ પ્રેક્ષકના રસને જકડી રાખે. રા-વનમાં પિતા અને પુત્રના સ્નેહભર્યા સંબંધો, પતિ અને પત્નિની સંવાદિતા ફિલ્મને એક્શન સાથે પારિવારિક ફિલ્મનો દરજ્જો આપે છે. પિતાના પુત્રની કાલ્પનિક દુનિયાને જીવંત બનાવવાના, પુત્રને રાજી રાખવાના તમામ પ્રયાસોમાં જેટલો જ સફળ નિવડે છે જેટલી રા-વન ફિલ્મની એક્શન સિકવન્સ પ્રેક્ષકને પકડી રાખવામાં પણ સફળ નિવડે છે.સ્પેશિયલ ઇફેક્ટ આ ફિલ્મનુ મહત્વનુ પાસુ છે.
રા-વન ફિલ્મમાં ન તો માત્ર અધધ રુપિયા પણ સાથે સાથે શાહરૂખની કેરિયર પણ દાવ પર લાગી છે.
એક સમયના બોલીવુડના બાદશાહને હવે બીજા ખાન સામે જીતવા જી-વન જેવો મરણીયો પ્રયાસ કરવો જ પડે એમ છે .રા-વન”ને “ગજની”અને “દબંગ”ની સફળતા સામે ટક્કર લેવાની છે.એટલુ જ નહીં પણ શાહરૂખને પોતાની આજ સુધીની રોમેન્ટીક ઇમેજ સામે પણ ટક્કર લેવાની છે.જેમાં એ મહદ અંશે સફળ નિવડે છે. ફિલ્મના ઉતરાર્ધ સુધી તામિલીયન ગેટ અપમાં શાહરૂખને પચાવવો જરા અઘરો લાગે છે. કરિનાએ સોનિયાના પાત્રને જી-વન સામે જીવંત બનાવ્યુ છે. પણ સૌથી વધુ ધ્યાન ફિલ્મના બાળ કલાકારે ખેંચ્યુ છે. પ્રતિક એટલે કે અરમાન વર્માની પ્રતિભાની નોંધ લેવી જ રહી. રા-વનના પાત્રમાં ઘણી મોડી ઓળખ છતી થતી હોવા છતાં ઓમ શાંતિ ઓમ જેવો નેગેટીવ રોલ ફરી એક્વાર અર્જુન રામપાલે સફળતાથી ભજવ્યો છે.
અનુભવ સિંહા સમર્થ દિગ્દર્શક છે પણ સ્ક્રીન પ્લે અને સ્ક્રીપ્ટમાં ઉણા ઉતર્યા છે. “છમ્મક છલ્લો” અને “દિલદારા” જેવા ગીતો ફિલ્મની રજૂઆત પહેલેથીજ લોકજીભે રમતા થઈ ગયા હતા એ અલગ વાત છે પણ પ્રેક્ષકને મન એક સવાલ તો જરૂર ઉઠે કે બોલીવુડ ફિલ્મને ગીત સંગીતનુ વળગણ એટલી હદે છે કે આવી એક્શન ફિલ્મમાં પણ બીન જરૂરી ગીતોની ગોઠવણ જાણે આવશ્યક બની રહે?
આમ ફિલ્મોમાં બનતુ હોય છે એમ ફિલ્મમાં ક્ષતિઓ પણ છે પણ ફિલ્મને માણવી હોય તો ઘણાબધા પ્લસ પોંઇન્ટની સામે ફિલ્મમાં આવી નાની મોટી ક્ષતિઓ પણ અવગણવી જ રહી .
કલાકાર- શાહરૂખ ખાન, કરિના કપૂર,અર્જુન રામપાલ, શહાના ગોસ્વામી, ટોમ વૂ, દલીપ તાહિલ, સુરેશ મેનન, સતીશ શાહ
પ્રોડયુસર –ગૌરી ખાન
ડાયરેકટર-અનુભવ સિંહા
મ્યુઝિક- વિશાલ શેખર.
ફિલ્મ ***૧/૨ એક્ટિંગ-* * * ૧/૨ મ્યુઝિક * * * સ્ટોરી * * * એકશન * * * *
“આ આલેખન ફિલ્મ રિવ્યુ ગુજરાત ન્યુઝાલાઇન ( ઇન્ડો કેનેડીયન ગુજરતી કોમ્યુનીટી ન્યુઝ પેપર ) માટે લખ્યો અને ૪ નવેમ્બર ૨૦૧૧ ના પ્રગટ થયો.”




Recent Comments